મારા સાથી ભારતીયો,

નમસ્તે!

26 નવેમ્બર એ દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. 1949માં આ દિવસે, બંધારણ સભાએ ભારતના બંધારણને અપનાવ્યું, જે એક પવિત્ર દસ્તાવેજ છે જેણે રાષ્ટ્રની પ્રગતિને સ્પષ્ટ અને નિશ્ચિતપણે માર્ગદર્શન આપ્યું છે. તેથી જ, લગભગ એક દાયકા પહેલા, 2015માં, NDA સરકારે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

આપણા બંધારણની શક્તિ જ છે જેણે મારા જેવા વ્યક્તિને, જે એક ગરીબ અને આર્થિક રીતે પછાત પરિવારમાંથી આવે છે, સતત 24 વર્ષથી વધુ સમય સુધી સરકારના વડા બનવા સક્ષમ બનાવ્યો છે. મને હજુ પણ 2014ની તે ક્ષણ યાદ છે જ્યારે મેં પહેલીવાર સંસદમાં પ્રવેશ કર્યો હતો અને લોકશાહીના સૌથી મહાન મંદિરના પગથિયાં પર માથું નમાવ્યું હતું. પછી, 2019માં, ચૂંટણી પરિણામો પછી, જ્યારે હું સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં પ્રવેશ્યો, ત્યારે મેં નમન કર્યું અને આદરપૂર્વક મારા કપાળ પર બંધારણ મૂક્યું. આ બંધારણે મારા જેવા ઘણા લોકોને સ્વપ્ન જોવા અને તેને પૂર્ણ કરવાની શક્તિ આપી છે.

બંધારણ દિવસ પર, આપણે ડૉ. રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં બંધારણ સભાના તમામ પ્રેરણાદાયી સભ્યોને યાદ કરીએ છીએ, જેમણે બંધારણના મુસદ્દામાં યોગદાન આપ્યું હતું. આપણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના પ્રયાસોને યાદ કરીએ છીએ, જેમણે ખૂબ જ દૂરંદેશી સાથે મુસદ્દા સમિતિનું નેતૃત્વ કર્યું હતું. બંધારણ સભાની ઘણી અગ્રણી મહિલા સભ્યોએ તેમના વિચારશીલ કાર્ય અને દૂરંદેશી દ્વારા બંધારણને મજબૂત બનાવ્યું.

મને 2010નું વર્ષ યાદ આવ્યું. તે સમય હતો જ્યારે ભારતીય બંધારણે તેની 60મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. દુઃખની વાત છે કે આ પ્રસંગને રાષ્ટ્રીય સ્તરે યોગ્ય ધ્યાન મળ્યું નહીં. જોકે, બંધારણ પ્રત્યેની આપણી કૃતજ્ઞતા અને પ્રતિબદ્ધતા દર્શાવવા માટે, અમે ગુજરાતમાં "સંવિધાન ગૌરવ યાત્રા"નું આયોજન કર્યું. આપણું બંધારણ હાથીની અબાંડી પર ફેરવવામાં આવ્યું હતું. અને મને, વિવિધ પૃષ્ઠભૂમિના ઘણા અન્ય લોકો સાથે, આ શોભાયાત્રાનો ભાગ બનવાનું સન્માન મળ્યું.
જ્યારે બંધારણની 75 વર્ષની ઉજવણી કરી, ત્યારે અમે સ્વીકાર્યું કે આ ભારતના લોકો માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હશે. અમે આ ઐતિહાસિક પ્રસંગની યાદમાં સંસદનું ખાસ સત્ર બોલાવવાની અને દેશભરમાં કાર્યક્રમો શરૂ કરવાની તક ઝડપી લીધી. આ કાર્યક્રમોમાં રેકોર્ડબ્રેક ભાગીદારી આકર્ષાઈ.

આ વર્ષનો બંધારણ દિવસ ઘણા કારણોસર ખાસ છે.

આ બે અસાધારણ વ્યક્તિત્વો, સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ છે. બંનેએ આપણા દેશ માટે પુષ્કળ યોગદાન આપ્યું છે. સરદાર પટેલના દૂરંદેશી નેતૃત્વએ ભારતની રાજકીય એકતા સુનિશ્ચિત કરી. તેમની પ્રેરણા અને દૃઢ નિશ્ચયની હિંમતએ જ કલમ 370 અને 35(A) રદ કરવા માટે આપણા પગલાંને માર્ગદર્શન આપ્યું. ભારતનું બંધારણ હવે જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણપણે લાગુ છે, જે લોકોને, ખાસ કરીને મહિલાઓ અને પછાત સમુદાયોને, તમામ બંધારણીય અધિકારોની ખાતરી આપે છે. ભગવાન બિરસા મુંડાનું જીવન આપણા આદિવાસી સમુદાયો માટે ન્યાય, ગૌરવ અને સશક્તિકરણ સુનિશ્ચિત કરવાના ભારતના સંકલ્પને પ્રેરણા આપે છે.

આ વર્ષે, આપણે ‘વંદે માતરમ્’ ની 150મી વર્ષગાંઠની પણ ઉજવણી કરીએ છીએ, જેના શબ્દો સદીઓથી ભારતીયોના સામૂહિક સંકલ્પમાં ઊંડે સુધી જડાયેલા છે. આપણે શ્રી ગુરુ તેગ બહાદુરજીની 350મી શહીદ જયંતીની પણ ઉજવણી કરીએ છીએ, જેમનું જીવન અને બલિદાન આપણને હિંમત, કરુણા અને શક્તિથી પ્રકાશિત કરે છે.

આ બધા વ્યક્તિત્વો અને સીમાચિહ્નો આપણને આપણી ફરજોના મહત્વની યાદ અપાવે છે, જેના પર બંધારણ કલમ 51A માં મૂળભૂત ફરજો પરના એક ખાસ પ્રકરણ દ્વારા પણ ભાર મૂકે છે. આ ફરજો આપણને સામૂહિક રીતે સામાજિક અને આર્થિક પ્રગતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકે તે અંગે માર્ગદર્શન આપે છે. મહાત્મા ગાંધી હંમેશા નાગરિકની ફરજો પર ભાર મૂકતા હતા. તેમનો એવો વિશ્વાસ હતો કે સારી રીતે નિભાવેલી ફરજ એક અનુરૂપ અધિકાર પેદા કરે છે અને ખરા અધિકારો એ ફરજની કામગીરીનું પરિણામ છે.

આ સદી શરૂ થયાને 25 વર્ષ થઈ ગયા છે. ફક્ત બે દાયકામાં, આપણે ગુલામીમાંથી મુક્તિના 100 વર્ષની ઉજવણી કરીશું. 2049માં, બંધારણ અપનાવાયાને 100 વર્ષ થશે. આજે આપણે જે નીતિઓ બનાવીએ છીએ, આપણે જે નિર્ણયો લઈએ છીએ અને આપણે સાથે મળીને જે પગલાં લઈએ છીએ તે આવનારી પેઢીઓના જીવનને આકાર આપશે.

આનાથી પ્રેરિત થઈને, જેમ-જેમ આપણે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આગળ વધીએ છીએ, તેમ-તેમ આપણે હંમેશા આપણા મનમાં આપણા દેશ પ્રત્યેના કર્તવ્યોને સર્વોચ્ચ સ્થાને રાખવા જોઈએ.

આપણા દેશે આપણને ઘણું બધું આપ્યું છે, અને આ કૃતજ્ઞતાની ઊંડી ભાવના ઉત્પન્ન કરે છે. અને, જ્યારે આપણે આ ભાવના સાથે જીવીએ છીએ, ત્યારે આપણી ફરજો પૂર્ણ કરવી એ બીજો સ્વભાવ બની જાય છે. આપણી ફરજો પૂર્ણ કરવા માટે, દરેક કાર્યમાં આપણી સંપૂર્ણ ક્ષમતા અને સમર્પણ લગાવવું આવશ્યક બની જાય છે. આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે બંધારણને મજબૂત બનાવતું હોવું જોઈએ અને રાષ્ટ્રના લક્ષ્યો અને હિતોને આગળ ધપાવતું હોવું જોઈએ. આખરે, આપણા બંધારણના ઘડવૈયાઓ દ્વારા કલ્પના કરાયેલા સપનાઓને પૂર્ણ કરવાની જવાબદારી આપણી છે. જ્યારે આપણે આ ફરજની ભાવના સાથે કામ કરીશું, ત્યારે આપણા દેશની સામાજિક અને આર્થિક પ્રગતિમાં ઝડપથી વધારો થશે.
આપણું બંધારણ આપણને મતદાનનો અધિકાર આપે છે. નાગરિક તરીકે, આપણી ફરજ છે કે આપણે જ્યાં પણ નોંધણી કરાવી હોય ત્યાં રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક ચૂંટણીઓમાં મતદાન કરવાની તક ક્યારેય ચૂકી ન જઈએ. અન્ય લોકોને પ્રેરણા આપવા માટે, આપણે દર 26 નવેમ્બરે 18 વર્ષના યુવાનો માટે શાળાઓ અને કોલેજોમાં ખાસ સમારોહનું આયોજન કરવાનું વિચારી શકીએ છીએ. આ રીતે, આપણા પ્રથમ વખત મતદાતાઓને લાગશે કે તેઓ માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ રાષ્ટ્ર નિર્માણ પ્રક્રિયામાં સક્રિય સહભાગી પણ છે.

જ્યારે આપણે આપણા યુવાનોમાં જવાબદારી અને ગર્વની ભાવના જગાડીશું, ત્યારે તેઓ જીવનભર લોકશાહીના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ રહેશે. પ્રતિબદ્ધતાની આ ભાવના એક મજબૂત રાષ્ટ્રનો પાયો છે.
આ બંધારણ દિવસે, ચાલો આપણે આ મહાન દેશના નાગરિક તરીકેની આપણી ફરજો નિભાવવાના આપણા વચનને નવીકરણ કરીએ. આમ કરીને, આપણે બધા એક વિકસિત અને મજબૂત ભારતનું નિર્માણ કરવામાં અર્થપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ.

આપનો,

નરેન્દ્ર મોદી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
The entrepreneurs building a self-reliant India

Media Coverage

The entrepreneurs building a self-reliant India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.