બેંગલુરુ-મૈસુરુ એક્સપ્રેસવે દેશને સમર્પિત કર્યો
મૈસુરુ-કુશલનગર 4-લેન હાઇવે માટે શિલારોપણ કર્યું
&"કર્ણાટકમાં આજે જે અત્યાધુનિક રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ શરૂ થઈ રહ્યા છે, તે રાજ્યભરમાં કનેક્ટિવિટીને વેગ આપશે અને આર્થિક વૃદ્ધિને મજબૂત કરશે"
"'ભારતમાલા' અને 'સાગરમાલા' જેવી પહેલ ભારતનાં પરિદ્રશ્યની કાયાપલટ કરી રહી છે
"આ વર્ષનાં બજેટમાં દેશમાં માળખાગત વિકાસ માટે 10 લાખ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે"
"સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર 'ઈઝ ઑફ લિવિંગ'ને વધારે છે. તે પ્રગતિ માટે નવી તકો ઊભી કરે છે"
"માંડ્યા ક્ષેત્રનાં 2.75 લાખથી વધારે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં કેન્દ્ર સરકાર દ્વારા 600 કરોડ પ્રદાન કરવામાં આવ્યા છે"
"દેશમાં દાયકાઓથી વિલંબિત સિંચાઈ યોજનાઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે"
"ઇથેનોલ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી શેરડીના ખેડૂતોને મદદ મળશે"

ભારત માતા કી જય.

ભારત માતા કી જય.

કર્નાટક-દા, એલ્લા, સહોદર સહોદરી-યારિગે, નન્ના નમસ્કારાગલુ!

તાઇ ભુવનેશ્વરીને પણ મારાં નમસ્કાર!

હું આદિ ચુનચુનાગિરી અને મેલુકોટેના ગુરુઓ સમક્ષ પણ પ્રણામ કરું છું, તેમનાં આશીર્વાદ માગું છું.

છેલ્લા કેટલાક સમયમાં મને કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં જનતા જનાર્દનનાં દર્શન કરવાની તક મળી છે. દરેક જગ્યાએ, કર્ણાટકના લોકો અભૂતપૂર્વ આશીર્વાદ વરસાવી રહ્યા છે. અને માંડ્યાના લોકોના તો આશીર્વાદમાં પણ મીઠાશ હોય છે. સક્કરે નગરા મધુર મંડ્યા, મંડ્યાના આ પ્રેમથી, આ આતિથ્ય સત્કારથી હું અભિભૂત છું. હું આપ સૌને શિશ નમાવીને વંદન કરું છું.

ડબલ એન્જીન સરકારનો એ સતત પ્રયાસ છે કે આપના આ પ્રેમને, આપનું જે ઋણ છે એને અમે વ્યાજ સહિત ચૂકવીએ, ઝડપી વિકાસ કરીને ચૂકવીએ. હમણાં હજારો કરોડ રૂપિયાના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ અહીં કરવામાં આવ્યું છે, તે આ જ પ્રયાસનો એક ભાગ છે.

છેલ્લા ઘણા દિવસોથી દેશમાં બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. એક્સપ્રેસ વે સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દરેક દેશવાસીની, આપણા યુવાનોની એ ઈચ્છા રહી છે કે આવા શાનદાર, આધુનિક એક્સપ્રેસ વે ભારતમાં દરેક જગ્યાએ બને. આજે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે જોઈને આપણા દેશના યુવાનો ગર્વથી ભરાયેલા છે. આ એક્સપ્રેસ વેથી, મૈસુર અને બેંગલુરુ વચ્ચેનો મુસાફરીનો સમય હવે અડધાથી પણ ઓછો થઈ ગયો છે.

આજે મૈસૂર-કુશલનગર ફોર-લેનિંગનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. આ તમામ પ્રોજેક્ટ્સ આ વિસ્તારમાં સબકા વિકાસને વધુ વેગ આપશે અને સમૃદ્ધિનો માર્ગ ખોલશે. આ કનેક્ટિવિટીના પ્રોજેક્ટ્સ માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન.

ભારતમાં જ્યારે પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિઝનને લગતી કોઈ ચર્ચા થાય છે ત્યારે બે મહાન વિભૂતિઓનાં નામ હંમેશા મોખરે રહે છે. કૃષ્ણ રાજા વડિયાર અને સર એમ. વિશ્વેશ્વરૈયા. આ બંને મહાપુરુષો આ માટીનાં સંતાન હતાં અને તેમણે સમગ્ર દેશને એક નવી દ્રષ્ટિ આપી, તાકાત આપી હતી. આ મહાન વિભૂતિઓએ આપત્તિને અવસરમાં પરિવર્તિત કરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વ સમજ્યું અને એ આજની પેઢીઓનું સદ્‌ભાગ્ય છે કે તેઓને તેમના પૂર્વજોની તપસ્યાનો લાભ મળી રહ્યો છે.

આવી મહાન હસ્તીઓથી પ્રેરિત થઈને આજે દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ થઈ રહ્યું છે. આજે ભારતમાલા અને સાગરમાલા યોજનાઓથી કર્ણાટક બદલાઈ રહ્યું છે, દેશ બદલાઈ રહ્યો છે. વિશ્વ જ્યારે કોરોનાની મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યું હતું ત્યારે પણ ભારતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બજેટમાં અનેકગણો વધારો કર્યો છે. આ વર્ષનાં બજેટમાં તો અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રેકોર્ડ 10 લાખ કરોડ રૂપિયા રાખ્યા છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેની સાથે માત્ર સુવિધા નથી લાવતું, પરંતુ તે રોજગાર લાવે છે, રોકાણ લાવે છે, કમાણીનાં સાધન લાવે છે. એકલાં કર્ણાટકમાં જ અમે પાછલાં વર્ષોમાં હાઇવે સંબંધિત પ્રોજેક્ટ્સમાં રૂ. 1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

બેંગ્લોર અને મૈસુર બંને કર્ણાટકનાં મહત્વનાં શહેરો છે. એક શહેર ટેક્નૉલોજી માટે જાણીતું છે, બીજું પરંપરા માટે. આ બંને શહેરોને આધુનિક કનેક્ટિવિટી સાથે જોડવાં ઘણા જુદા જુદા દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

લાંબા સમયથી બંને શહેરો વચ્ચે મુસાફરી કરતા લોકો ભારે ટ્રાફિકની ફરિયાદ કરતા હતા. પરંતુ હવે એક્સપ્રેસ-વેનાં કારણે આ અંતર માત્ર દોઢ કલાકમાં કાપી શકાશે. જેનાં કારણે આ સમગ્ર પ્રદેશમાં આર્થિક વિકાસની ગતિ ખૂબ જ ઝડપી બનવાની છે.

આ એક્સપ્રેસ વે રામનગર અને માંડ્યામાંથી પસાર થઈ રહ્યો છે. અહીં પણ અનેક ઐતિહાસિક ધરોહરનાં સ્થળો છે. આ શહેરોમાં પણ પર્યટનની સંભાવના વધશે. આનાથી મૈસૂર પહોંચવામાં સરળતા રહેશે જ, એટલું જ નહીં પરંતુ માતા કાવેરીનાં જન્મસ્થળ કોડગુ સુધી પહોંચવાનું પણ સરળ બનશે. અત્યારે આપણે જોઈએ છીએ કે પશ્ચિમ ઘાટમાં બેંગલુરુ-મેંગુલુરુ રોડ વરસાદની મોસમમાં ભૂસ્ખલનને કારણે ઘણીવાર બંધ થઈ જાય છે. એનાથી આ વિસ્તારની પોર્ટ કનેક્ટિવિટીને અસર થાય છે. મૈસુર-કુશાલનગર હાઈવે પહોળો થવાથી આ સમસ્યા પણ દૂર થઈ જશે. સારી કનેક્ટિવિટીને કારણે આ ક્ષેત્રમાં ઉદ્યોગ પણ ખૂબ જ ઝડપથી વિસ્તરશે.

વર્ષ 2014 પહેલા કૉંગ્રેસની જે સરકાર કેન્દ્રમાં હતી અને મિશ્ર સરકાર હતી. તે જાત-જાતના લોકોનાં સમર્થનથી ચાલી રહી હતી, તેણે ગરીબ લોકોને અને ગરીબ પરિવારોને બરબાદ કરવામાં કોઈ કસર છોડી ન હતી. જે પૈસા ગરીબોના વિકાસ માટે હતા, એના હજારો કરોડ રૂપિયા કૉંગ્રેસની સરકારે લૂંટી લીધા હતા. કૉંગ્રેસને ક્યારેય ગરીબનાં દુ:ખ-દર્દથી કોઇ ફરક પડ્યો નથી.

2014માં જ્યારે તમે મને વોટ આપીને સેવા કરવાની તક આપી ત્યારે દેશમાં ગરીબની સરકાર બની, ગરીબોનાં દુ:ખ-દર્દ સમજનારી સંવેદનશીલ સરકાર બની. આ પછી ભાજપની કેન્દ્ર સરકારે પૂરી ઇમાનદારીથી ગરીબોની સેવા કરવાનો પ્રયાસ કર્યો, ગરીબોનાં જીવનમાં મુશ્કેલીઓ ઘટાડવા સતત પ્રયાસ કર્યા.

ગરીબોને પાકું ઘર હોય, ગરીબનાં ઘરમાં નળનું પાણી આવે, ઉજ્જવલાનું ગેસ કનેક્શન હોય, વીજળી કનેક્શન હોય, ગામડાં સુધીના રસ્તાઓ બને, હૉસ્પિટલો બને, સારવારની ચિંતા ઓછી થાય તે સુનિશ્ચિત કરવાને ભાજપની સરકારે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.

છેલ્લાં 9 વર્ષમાં ભાજપ સરકારની યોજનાઓને કારણે કરોડો ગરીબોનું જીવન સરળ બન્યું છે. કૉંગ્રેસના સમયમાં ગરીબોને સુવિધા માટે સરકાર પાસે આંટા મારવા પડતા હતા. હવે ભાજપની સરકાર ગરીબો પાસે જઈને તેમને સુવિધાઓ આપી રહી છે. જે લોકો હજુ પણ ભાજપ સરકારની યોજનાઓના લાભથી વંચિત છે, તેમના સુધી પણ અભિયાન ચલાવીને પહોંચવામાં આવી રહ્યું છે.

ભાજપ સરકારે હંમેશા સમસ્યાઓના કાયમી ઉકેલને મહત્વ આપ્યું છે. છેલ્લાં 9 વર્ષમાં દેશમાં 3 કરોડથી વધુ ગરીબોનાં ઘર બનાવવામાં આવ્યાં છે. જેમાંથી આપણાં કર્ણાટકમાં પણ લાખો ઘર બન્યાં છે. જલ જીવન મિશન હેઠળ કર્ણાટકમાં લગભગ 40 લાખ નવા પરિવારોને નળનું પાણી મળ્યું છે.

આપણા દેશમાં દાયકાઓથી સિંચાઈની જે યોજનાઓ લટકી હતી, એ પણ ઝડપથી પૂર્ણ કરાઈ રહી છે. આ વર્ષનાં બજેટમાં કેન્દ્ર સરકારે અપર ભદ્રા પ્રોજેક્ટ માટે 5300 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આનાથી પણ કર્ણાટકના એક મોટા ભાગમાં સિંચાઈ સંબંધિત સમસ્યાઓનો કાયમી ઉકેલ આવવાનો છે.

ખેડૂતોની નાની નાની સમસ્યાઓ દૂર કરીને પણ ભાજપ સરકાર તેમની ચિંતાનો કાયમી ઉકેલ લાવી રહી છે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ કર્ણાટકના ખેડૂતોનાં બૅન્ક ખાતામાં 12 હજાર કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અહીં, માંડ્યાના પણ પોણા ત્રણ લાખ ખેડૂતોનાં બૅન્ક ખાતામાં કેન્દ્રની ભાજપ સરકારે 600 કરોડ રૂપિયા મોકલ્યા છે.

આમ તો, હું કર્ણાટકમાં ભાજપ સરકારની વધુ એક વાત માટે પ્રશંસા કરીશ. કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિમાં જે 6 હજાર રૂપિયા મોકલે છે, કર્ણાટક સરકાર તેમાં વધુ 4 હજાર રૂપિયા ઉમેરે છે. એટલે કે ડબલ એન્જીન સરકારમાં ખેડૂતોને બેવડો લાભ મળી રહ્યો છે, તેમની સમસ્યાઓ હલ થઈ રહી છે.

કર્ણાટકના, સક્કરે નગરા મધુર મંડ્યાના આપણા શેરડીના ખેડૂતોને દાયકાઓથી વધુ એક સમસ્યાનો સામનો કરવો પડતો હતો. શેરડીનું ઉત્પાદન વધારે હોય તો મુસીબત, શેરડીનું ઉત્પાદન ઓછું થાય તો પણ મુસીબત. આ કારણે સુગર મિલો પર શેરડી પકવતા ખેડૂતોની બાકી રકમ વર્ષોથી ચાલતી રહેતી હતી.

આ સમસ્યાનો કોઈને કોઇ ઉકેલ શોધવો તો જરૂરી હતો. ખેડૂતોનાં હિતને પ્રાથમિકતા આપનારી ભાજપ સરકારે એક માર્ગ પસંદ કર્યો ઇથેનોલનો. અમે શેરડીમાંથી બનેલાં ઇથેનોલનું ઉત્પાદન વધારવાનું નક્કી કર્યું. એટલે કે જ્યારે શેરડીનું વધુ ઉત્પાદન થશે ત્યારે તેમાંથી ઇથેનોલ બનાવવામાં આવશે, ઇથેનોલ દ્વારા ખેડૂતની આવક સુનિશ્ચિત કરવામાં આવશે.

ગયાં વર્ષે જ દેશની સુગર મિલોએ રૂ. 20,000 કરોડનાં ઈથેનોલનું વેચાણ ઓઈલ કંપનીઓને કર્યું હતું. આનાથી શેરડીના ખેડૂતોને સમયસર ચુકવણી કરવામાં મદદ મળી છે. 2013-14 પછીથી છેલ્લી સિઝન સુધી ખાંડ મિલો પાસેથી રૂ. 70,000 કરોડનાં ઇથેનોલની ખરીદી કરવામાં આવી છે. આ પૈસા શેરડીના ખેડૂતો સુધી પહોંચ્યા છે.

આ વર્ષનાં કેન્દ્રીય બજેટમાં પણ ખેડૂતો માટે ખાસ કરીને શેરડીના ખેડૂતો માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે. સુગર કોઓપરેટિવ્સ માટે 10,000 કરોડ રૂપિયાની મદદ હોય, ટેક્સમાં છૂટ હોય, એનાથી શેરડીના ખેડૂતોને લાભ થશે.

આપણો દેશ તકોની ભૂમિ છે. દુનિયાભરના લોકો ભારતમાં તેમની શક્યતાઓ શોધી રહ્યા છે. 2022માં ભારતમાં રેકોર્ડ વિદેશી રોકાણ આવ્યું. આનો સૌથી મોટો ફાયદો આપણાં કર્ણાટકને થયો. કોરોના કાળ હોવા છતાં, કર્ણાટકમાં લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. આ ડબલ એન્જિન સરકારની મહેનત દર્શાવે છે.

કર્ણાટકમાં આઈટી ઉપરાંત બાયો-ટેક્નોલોજીથી લઈને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સુધી દરેક ક્ષેત્ર વિસ્તરી રહ્યું છે. સંરક્ષણ, એરોસ્પેસ અને અવકાશ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ રોકાણ થઇ રહ્યું છે. હવે કર્ણાટક ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદનમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.

ડબલ એન્જિન સરકારના આ પ્રયાસો વચ્ચે કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો શું કરી રહ્યા છે? કૉંગ્રેસ કહે છે કે કામ લીધું છે માથે, કૉંગ્રેસ મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહી છે. કૉંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત છે અને મોદી બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે બનાવવામાં વ્યસ્ત છે. કૉંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત છે અને મોદી ગરીબોનું જીવન સરળ બનાવવામાં વ્યસ્ત છે.

મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહેલા કૉંગ્રેસીઓ એ નથી જાણતા કે દેશની કરોડો માતા-બહેનો-દીકરીઓ, દેશની જનતાના આશીર્વાદ મોદીનું સૌથી મોટું સુરક્ષા કવચ છે.

કર્ણાટકના ઝડપી વિકાસ માટે ડબલ એન્જિન સરકાર જરૂરી છે. હું ફરી એકવાર આ ભવ્ય આયોજન માટે, ભવ્ય સત્કાર માટે અને તમારાં આશીર્વાદ માટે માંડ્યાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વિકાસના પ્રોજેક્ટ્સ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

ભારત માતા કી જય, ભારત માતા કી જય.

ભારત માતા કી જય, ભારત માતા કી જય.

ખૂબ ખૂબ આભાર. 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives due to a mishap in Nashik, Maharashtra
December 07, 2025

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a mishap in Nashik, Maharashtra.

Shri Modi also prayed for the speedy recovery of those injured in the mishap.

The Prime Minister’s Office posted on X;

“Deeply saddened by the loss of lives due to a mishap in Nashik, Maharashtra. My thoughts are with those who have lost their loved ones. I pray that the injured recover soon: PM @narendramodi”