5,550 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના 176 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
કાઝીપેટમાં 500 કરોડથી વધુના મૂલ્યના રેલ્વે વિનિર્માણ એકમનો શિલાન્યાસ કર્યો
ભદ્રકાળી મંદિરમાં દર્શન અને પૂજા કરી
"તેલુગુ લોકોના સામર્થ્યએ હંમેશા ભારતના સામર્થ્યમાં વધારો કર્યો છે"
"આજનું નવું યુવા ભારત ઊર્જાથી છલોછલ છે"
"ભારતમાં જૂનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી ઝડપથી વિકાસ કરવો અશક્ય છે"
"તેલંગાણા આસપાસના આર્થિક કેન્દ્રોને જોડે છે અને આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર બની રહ્યું છે"
"ઉત્પાદન ક્ષેત્ર યુવાનો માટે રોજગારનો વિશાળ સ્રોત બની રહ્યું છે"

તેલંગાણા પ્રજલંદરિકી ના અભિનંદનલુ...

તેલંગાણાનાં ગવર્નર તમિલસાઈ સૌંદરાજનજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી નીતિન ગડકરીજી, જી કિશન રેડ્ડીજી, ભાઈ સંજયજી, અન્ય મહાનુભાવો અને તેલંગાણાનાં મારા ભાઈઓ અને બહેનો, તાજેતરમાં જ તેલંગાણાએ તેની સ્થાપનાનાં 9 વર્ષ પૂર્ણ કર્યાં છે. તેલંગાણા રાજ્ય ભલે નવું હોય પરંતુ ભારતના ઈતિહાસમાં તેલંગાણાનું યોગદાન, તેના લોકોનું યોગદાન હંમેશા ઘણું મોટું રહ્યું છે. તેલુગુ લોકોનાં સામર્થ્યએ હંમેશા ભારતનું સામર્થ્ય વધાર્યું છે. તેથી જ આજે જ્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક શક્તિ બની ગયું છે ત્યારે તેમાં પણ તેલંગાણાના લોકોની મોટી ભૂમિકા છે. અને આવી સ્થિતિમાં, આજે જ્યારે સમગ્ર વિશ્વ ભારતમાં રોકાણ કરવા માટે આગળ આવી રહ્યું છે, વિકસિત ભારતને લઈને એટલો ઉત્સાહ છે, ત્યારે તેલંગાણાની સામે તકો જ તકો છે.

 

સાથીઓ,

આજનું નવું ભારત યુવા ભારત છે, ઘણી બધી ઊર્જાથી ભરેલું ભારત છે. 21મી સદીના આ ત્રીજા દાયકામાં આ સુવર્ણકાળ આપણી સામે આવ્યો છે. આપણે આ સુવર્ણકાળની દરેક સેકન્ડનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. ઝડપી વિકાસની કોઈપણ સંભાવનામાં દેશનો કોઈ ખૂણો પાછળ ન રહેવો જોઈએ. આ શક્યતાઓને મજબૂત કરવા માટે, છેલ્લાં 9 વર્ષોમાં, ભારત સરકારે તેલંગાણાના વિકાસ અને તેની કનેક્ટિવિટી પર વિશેષ ધ્યાન આપ્યું છે. આ શ્રેણીમાં આજે તેલંગાણામાં કનેક્ટિવિટી અને મૅન્યુફેક્ચરિંગ સંબંધિત રૂ. 6,000 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. હું આ તમામ પ્રોજેક્ટ્સ માટે તેલંગાણાના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

નવા ધ્યેય હોય તો નવા માર્ગો પણ બનાવવા પડે. જૂનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે ભારતનો ઝડપી વિકાસ શક્ય ન હતો. અવર-જવરમાં વધુ સમય વેડફાય, જો લોજિસ્ટિક્સ મોંઘું હોય તો ધંધામાં પણ નુકસાન થાય છે અને લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલા માટે જ અમારી સરકાર પહેલા કરતા વધુ ઝડપ અને વ્યાપ પર કામ કરી રહી છે. આજે દરેક પ્રકારનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પહેલાં કરતા અનેકગણી ઝડપથી કામ થઈ રહ્યું છે. આજે સમગ્ર દેશમાં હાઈવે, એક્સપ્રેસ વે, ઈકોનોમિક કૉરિડોર, ઈન્ડસ્ટ્રીયલ કૉરિડોરનું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે. ટુ લેન હાઈવેને ફોર લેનમાં અને ફોર લેન હાઈવેને સિક્સ લેનમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે. જ્યાં 9 વર્ષ પહેલા તેલંગાણાનું નેશનલ હાઈવે નેટવર્ક 2500 કિલોમીટરનું હતું, આજે તે વધીને 5000 કિલોમીટર થઈ ગયું છે. આજે, તેલંગાણામાં 2500 કિમીની રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ નિર્માણના વિવિધ તબક્કામાં છે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ દેશમાં બની રહેલા ડઝનેક કૉરિડોરમાંથી ઘણા તેલંગાણામાંથી પસાર થાય છે. હૈદરાબાદ-ઈન્દોર ઈકોનોમિક કૉરિડોર, સુરત-ચેન્નઈ ઈકોનોમિક કૉરિડોર, હૈદરાબાદ-પણજી ઈકોનોમિક કૉરિડોર, હૈદરાબાદ-વિશાખાપટ્ટનમ ઈન્ટર કૉરિડોર, આવાં અનેક ઉદાહરણો આપણી સામે છે. એક રીતે, તેલંગાણા આસપાસનાં આર્થિક કેન્દ્રોને જોડે છે, આર્થિક પ્રવૃત્તિઓનું હબ બની રહ્યું છે.

 

સાથીઓ,

આજે, નાગપુર-વિજયવાડા કૉરિડોરના મંચેરિયલથી વારંગલ સેક્શનનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. તે તેલંગાણાને મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ સાથે આધુનિક કનેક્ટિવિટી આપે છે. આનાથી મંચેરિયલ અને વારંગલ વચ્ચેનું અંતર ઘણું ઓછું થશે અને ટ્રાફિક જામની સમસ્યા પણ ઓછી થશે. તે ખાસ કરીને એવા વિસ્તારોમાંથી પસાર થાય છે જ્યાં વિકાસનો અભાવ હતો, જ્યાં આપણા આદિવાસી સમુદાયનાં ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં રહે છે. આ કૉરિડોર મલ્ટિમૉડલ કનેક્ટિવિટીનાં વિઝનને પણ મજબૂત કરશે. કરીમનગર-વારંગલ સેક્શનને ફોર-લેન કરવાથી હૈદરાબાદ-વારંગલ ઈન્ડસ્ટ્રીયલ કૉરિડોર, કાકટિયા મેગા ટેક્સટાઈલ પાર્ક અને વારંગલ SEZ સાથે કનેક્ટિવિટી પણ મજબૂત થશે.

સાથીઓ,

ભારત સરકાર આજે તેલંગાણામાં જે કનેક્ટિવિટી વધારી રહી છે, તેનાથી તેલંગાણાના ઉદ્યોગ અને અહીંના પ્રવાસનને લાભ થઈ રહ્યો છે. તેલંગાણામાં ઘણાં હેરિટેજ કેન્દ્રો, આસ્થાનાં સ્થળો છે, હવે તેમની મુલાકાત લેવી વધુ સુવિધાજનક બની રહી છે. અહીંના કૃષિ સંબંધિત ઉદ્યોગો, કરીમનગરના ગ્રેનાઈટ ઉદ્યોગને પણ ભારત સરકારના આ પ્રયાસોથી મદદ મળી રહી છે. એટલે કે ખેડૂતો હોય કે શ્રમિકો, વિદ્યાર્થીઓ હોય કે વ્યાવસાયિકો, તમામને તેનો લાભ મળી રહ્યો છે. જેનાં કારણે યુવાનોને તેમનાં ઘરની નજીક રોજગાર અને સ્વરોજગારની નવી તકો પણ મળી રહી છે.

સાથીઓ,

મૅન્યુફેક્ચરિંગ સેક્ટર દેશમાં યુવાનો માટે રોજગારનું વધુ એક મોટું માધ્યમ બની રહ્યું છે, મેક ઇન ઇન્ડિયા અભિયાન કરવામાં આવી રહ્યું છે. અમે દેશમાં મૅન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે પીએલઆઇ સ્કીમ શરૂ કરી છે. મતલબ જે વધુ ઉત્પાદન કરે છે, તેને ભારત સરકાર તરફથી વિશેષ મદદ મળી રહી છે. આ અંતર્ગત અહીં તેલંગાણામાં 50થી વધુ મોટા પ્રોજેક્ટ્સ લાગુ કરવામાં સ્થપાયા છે. તમે જાણો છો કે ભારતે આ વર્ષે સંરક્ષણ નિકાસમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. 9 વર્ષ પહેલા ભારતની સંરક્ષણ નિકાસ એક હજાર કરોડ રૂપિયાથી પણ ઓછી હતી. આજે તે 16 હજાર કરોડ રૂપિયાને પાર કરી ગઇ છે. હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડને પણ આનો લાભ મળી રહ્યો છે.

સાથીઓ,

આજે ભારતીય રેલવે મૅન્યુફેક્ચરિંગની દ્રષ્ટિએ પણ નવા રેકોર્ડ અને નવાં સીમાચિહ્નો સ્થાપી રહી છે. અત્યારેમેડ ઈન ઈન્ડિયા વંદે ભારત ટ્રેનની ઘણી ચર્ચા થઈ રહી છે. વીતેલાં વર્ષોમાં, ભારતીય રેલવેએ હજારો આધુનિક કૉચ અને લોકોમોટિવ્સનું નિર્માણ કર્યું છે. ભારતીય રેલવેના આ કાયાકલ્પમાં હવે કાઝીપેટ પણ મેક ઈન ઈન્ડિયાની નવી ઊર્જા સાથે જોડાવા જઈ રહ્યું છે. હવે દર મહિને ડઝનબંધ વેગન અહીં બનાવવામાં આવશે. જેનાં કારણે આ વિસ્તારમાં રોજગારીની નવી તકો ઊભી થશે, અહીંના દરેક પરિવારને એક યા બીજી રીતે ફાયદો થશે. આ જ તો સબકા સાથ, સબકા વિકાસ. છે. વિકાસના આ મંત્ર પર આપણે તેલંગાણાને આગળ લઈ જવાનું છે. ફરી એકવાર, હું તમને બધાને આ ઘણા પ્રગતિશીલ કાર્યક્રમો માટે, આયોજનો માટે, વિકાસના નવા પ્રવાહ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું! આભાર!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors

Media Coverage

PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 ડિસેમ્બર 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security