થોડા દિવસ પહેલાં આપણે પ્રોફેસર એમ. એસ. સ્વામિનાથન ગુમાવ્યા અને રાષ્ટ્રએ એક સ્વપ્નદ્રષ્ટા ગુમાવ્યા, જેમણે કૃષિ વિજ્ઞાનમાં ક્રાંતિ લાવી, એક એવા નિષ્ઠાવાન વ્યક્તિ, જેનું ભારત માટે યોગદાન હંમેશાં સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે. પ્રાધ્યાપક એમ. એસ. સ્વામિનાથન ભારતને ચાહતા હતા. તેઓ ઇચ્છતા હતા કે આપણો દેશ અને ખાસ કરીને આપણા ખેડૂતો પણ સમૃદ્ધિનું જીવન જીવે. શૈક્ષણિક દૃષ્ટિએ તેજસ્વી, તેઓ કોઈપણ કારકિર્દી પસંદ કરી શક્યા હોત, પરંતુ 1943ના બંગાળના દુષ્કાળથી તેઓ એટલા વ્યથિત થયા હતા કે તેઓ સ્પષ્ટ હતા કે જો તેઓ કોઈ કામ કરશે, તો તે કૃષિનો સંશોધન કરવાનું હશે.

પ્રમાણમાં નાની ઉંમરે તેઓ ડૉ. નોર્મન બોરલોગના સંપર્કમાં આવ્યા અને તેમના કાર્યને ખૂબ વિગતવાર અનુસર્યા. 1950ના દાયકામાં, તેમને યુ.એસ.માં ફેકલ્ટી પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેને નકારી કાઢી હતી કારણ કે તેઓ ભારતમાં અને ભારત માટે કામ કરવા માંગતા હતા.

હું ઇચ્છું છું કે તમે બધા એ પડકારજનક સંજોગો વિશે વિચારો જેમાં તેઓ એક અડગ મહાપુરુષ તરીકે ઊભા રહ્યા, અને આપણા રાષ્ટ્રને આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસના માર્ગ તરફ દોરી ગયા. આઝાદી પછીના પ્રથમ બે દાયકામાં આપણે પુષ્કળ પડકારોનો સામનો કરી રહ્યા હતા અને તેમાંનો એક હતો અનાજની તંગી. 1960ના દાયકાની શરૂઆતમાં ભારત દુષ્કાળના કમનસીબ પડકારો સામે ઝઝૂમી રહ્યું હતું અને ત્યારે જ પ્રોફેસર સ્વામિનાથનની અડગ પ્રતિબદ્ધતા અને દીર્ધદષ્ટિએ કૃષિ સમૃદ્ધિના એક નવા યુગની શરૂઆત કરી. કૃષિ અને ઘઉંના સંવર્ધન જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને કારણે ઘઉંના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. આમ ભારતને ખાદ્ય-અછતવાળા દેશમાંથી આત્મનિર્ભર રાષ્ટ્રમાં ફેરવી નાખ્યું. આ અસાધારણ સિદ્ધિએ તેમને "ભારતીય હરિત ક્રાંતિના પિતા" તરીકેનું બિરુદ અપાવ્યું.

આ હરિત ક્રાંતિએ ભારતની "આપણે કરી શકીએ”ની ભાવનાની ઝાંખી કરાવી હતી કે જો આપણી પાસે એક અબજ પડકારો હોય, તો આપણી પાસે તે પડકારોને પહોંચી વળવા માટે સંશોધનની જ્યોત ધરાવતાં એક અબજ દિમાગ પણ છે. હરિયાળી ક્રાંતિ શરૂ થયાના પાંચ દાયકા પછી, ભારતીય કૃષિ વધુ આધુનિક અને પ્રગતિશીલ બની છે. પરંતુ, પ્રોફેસર સ્વામિનાથને જે પાયો નાખ્યો છે તે પાયો કદી ભૂલી શકાય તેમ નથી.

વર્ષોથી, તેમણે બટાકાના પાકને અસર કરતા પરોપજીવીઓનો સામનો કરવા માટે પાયાનું સંશોધન હાથ ધર્યું હતું. તેમના સંશોધનથી બટાકાના પાકને ઠંડા હવામાનનો સામનો કરવામાં પણ સક્ષમ બનાવ્યું. આજે, વિશ્વ બરછટ અનાજ બાજરી અથવા શ્રી અન્નની સુપર ફૂડ તરીકે વાત કરે છે પરંતુ પ્રો. સ્વામીનાથને 1990 ના દાયકાથી જ તેના મહત્વને પ્રોત્સાહન આપ્યું હતું.

પ્રોફેસર સ્વામિનાથન સાથે મારી અંગત વાતચીત વ્યાપક હતી. 2001માં મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યા પછી તેની શરૂઆત થઈ હતી. તે દિવસોમાં ગુજરાત તેની કૃષિ કુશળતા માટે જાણીતું નહોતું. ક્રમિક દુષ્કાળ અને સુપર ચક્રવાત અને ભૂકંપને કારણે રાજ્યના વિકાસના માર્ગ પર અસર થઈ હતી. અમે શરૂ કરેલી અનેક પહેલોમાં સોઇલ હેલ્થ કાર્ડ પણ સામેલ હતી, જેણે અમને જમીનને વધુ સારી રીતે સમજવા અને જો સમસ્યાઓ ઊભી થાય તો તેને દૂર કરવા સક્ષમ બનાવ્યાં હતાં. આ યોજનાના સંદર્ભમાં જ હું પ્રોફેસર સ્વામિનાથન ને મળ્યો. તેમણે આ યોજનાની પ્રશંસા કરી હતી અને આ માટે તેમના મૂલ્યવાન સૂચનો પણ કર્યા હતા. જેઓ આ યોજના વિશે સંશય ધરાવતા હતા તેમને સમજાવવા માટે પ્રોફેસર સ્વામિનાથન નું સમર્થન પૂરતું હતું, જેનાથી આખરે ગુજરાતની કૃષિવિષયક સફળતાનો તખ્તો તૈયાર કરવાનો હતો.

અમારી વાતચીત મારા મુખ્યમંત્રીપદના કાર્યકાળ દરમિયાન અને જ્યારે મેં પ્રધાનમંત્રી પદ સંભાળ્યું ત્યારે પણ ચાલુ રહી હતી. હું તેમને 2016માં ઈન્ટરનેશનલ એગ્રો-બાયોડાયવર્સિટી કોંગ્રેસમાં મળ્યો હતો અને ત્યાર પછીના વર્ષે 2017માં મેં તેમના દ્વારા લખાયેલી બે ભાગની પુસ્તકશ્રેણી શરૂ કરી હતી.

કુરાલ ખેડુતોને એક એવી કડી તરીકે વર્ણવે છે જે વિશ્વને એક સાથે રાખે છે કારણ કે તે ખેડુતો છે, જે દરેકને ટકાવી રાખે છે. પ્રોફેસર સ્વામિનાથન આ સિદ્ધાંતને સારી રીતે સમજતા હતા. ઘણા લોકો તેમને "કૃષિ વૈજ્ઞાનિક" કહે છે. પરંતુ, હું હંમેશાં માનતો આવ્યો છું કે તેઓ તેનાથી પણ વધુ હતા. તેઓ સાચા અર્થમાં "કિસાન વૈજ્ઞાનિક" – ખેડૂત વૈજ્ઞાનિક હતા. તેમના હૃદયમાં એક ખેડૂત હતો. તેમનાં કાર્યોની સફળતા તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પૂરતી મર્યાદિત નથી; તેમની સફળતા પ્રયોગશાળાઓની બહાર, ખેતરો અને ખેતરોમાં તેઓએ ઉભી કરેલી અસરમાં રહેલી છે. તેમના કાર્યથી વૈજ્ઞાનિક જ્ઞાન અને તેના વ્યવહારિક ઉપયોગ વચ્ચેનું અંતર ઓછું થયું. તેમણે સતત ટકાઉ કૃષિની હિમાયત કરી હતી, માનવ પ્રગતિ અને ઇકોલોજીકલ ટકાઉપણા વચ્ચેના નાજુક સંતુલન પર ભાર મૂક્યો હતો. અહીં, મારે પ્રોફેસર સ્વામિનાથન દ્વારા નાના ખેડૂતોના જીવનને સુધારવા અને તેઓ પણ નવીનતાના ફળનો આનંદ માણી શકે તે સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તેની પણ નોંધ લેવી જોઈએ. તેઓ ખાસ કરીને મહિલા ખેડૂતોના જીવનને સુધારવા માટે ઉત્સાહી હતા.

પ્રોફેસર એમ. એસ. સ્વામિનાથન વિશે એક બીજું પાસું પણ છે, જે નોંધપાત્ર છે. તેઓ નવીનતા અને માર્ગદર્શનના શ્રેષ્ઠ ઉદાહણરૂપ છે. 1987માં જ્યારે તેમણે આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર પ્રથમ વિશ્વ ખાદ્ય પુરસ્કાર જીત્યો હતો, ત્યારે તેમણે ઇનામની રકમનો ઉપયોગ બિન-નફાકારક સંશોધન ફાઉન્ડેશનની સ્થાપના કરવા માટે કર્યો હતો. અત્યાર સુધી, તેમણે વિવિધ ક્ષેત્રોમાં વિસ્તૃત કામગીરી હાથ ધરી છે. તેમણે અસંખ્ય લોકોને જ્ઞાની બનાવ્યા છે, તેમનામાં શીખવા અને નવીનતા માટે જુસ્સો પેદા કર્યો છે. ઝડપથી બદલાતા વિશ્વમાં તેમનું જીવન આપણને જ્ઞાન, માર્ગદર્શન અને નવીનતાની ટકાઉ શક્તિની યાદ અપાવે છે. તેઓ એક સંસ્થાના ઘડવૈયા પણ હતા, તેમના નામના ઘણા કેન્દ્રોમાં વાઇબ્રન્ટ સંશોધન થયા હતા. તેમનો એક કાર્યકાળ મનિલાની ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર તરીકેનો હતો. વારાણસીમાં વર્ષ 2018માં ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું સાઉથ એશિયા રિજનલ સેન્ટર ખોલવામાં આવ્યું હતું.

હું ફરીથી કુરાલને ટાંકીને ડો.સ્વામીનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશ. ત્યાં લખ્યું છે કે, "જો યોજના ઘડનારાઓમાં દ્રઢતા હોય, તો તેઓ જે રીતે ઇચ્છે છે તે મેળવશે." તેઓ એક એવા નિષ્ઠાવાન વ્યક્તિ હતા જેમણે તેમના જીવનની શરૂઆતમાં જ નક્કી કર્યું હતું કે તેઓ કૃષિને મજબૂત કરવા અને ખેડૂતોની સેવા કરવા માંગે છે. અને, તેમણે તે અસાધારણ રીતે નવીનતાથી અને જુસ્સાથી પૂર્ણ કર્યું. ડૉ. સ્વામિનાથનનું પ્રદાન કૃષિ નવીનતા અને ટકાઉપણાના માર્ગે આગળ વધી રહ્યું છે, ત્યારે આપણને પ્રેરણા અને માર્ગદર્શન આપતું રહ્યું છે. આપણે ખેડૂતોના ધ્યેયને ટેકો આપવો અને વૈજ્ઞાનિક નવીનીકરણના ફળ આપણા કૃષિ ક્ષેત્રના મૂળ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું પડશે. આવનારી પેઢીઓ માટે વૃદ્ધિ, ટકાઉપણું અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવું એ તેમના પ્રિય સિદ્ધાંતો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા બની રહેશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India auto sales cross 24 lakh in July, exports rise 25% as industry enters festive season

Media Coverage

India auto sales cross 24 lakh in July, exports rise 25% as industry enters festive season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.