આદિત્ય બિરલા ગ્રૂપનાં ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલાજી,

થાઇલેન્ડનાં સન્માનિય મહાનુભાવો,

બિરલા પરિવાર અને મેનેજમેન્ટનાં સભ્યો,

થાઇલેન્ડ અને ભારતમાંથી બિઝનેસ લીડર્સ,

મિત્રો,

નમસ્કાર,

સવાદી ખ્રપ

આપણે અહીં સુવર્ણ ભૂમિ, થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપની સુવર્ણ જયંતી કે  ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરવા એકત્ર થયા છીએ. આ ખરાં અર્થમાં વિશેષ પ્રસંગ છે. હું આદિત્ય બિરલા ગ્રૂપની ટીમને અભિનંદન આપું છું. આપણે થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપનાં પ્રશંસનીય કાર્ય વિશે શ્રી કુમાર મંગલમ બિરલાને સાંભળ્યાં. આ સમૂહ, દેશમાં ઘણાં લોકો રોજગારી અને સમૃદ્ધિની તકોનું સર્જન કરી રહ્યું છે.

મિત્રો,

આપણે અહીં થાઇલેન્ડમાં છીએ, જેની સાથે ભારત ગાઢ સાંસ્કૃતિક જોડાણ ધરાવે છે. આપણે અહીં આ દેશમાં ભારતનાં અગ્રણી ઔદ્યોગિક જૂથની કામગીરીનાં 50 વર્ષની ઉજવણી કરવા એકત્ર થયા છીએ. આ મારાં એ વિશ્વાસને પ્રતિપાદિત કરે છે કે, વેપારવાણિજ્ય અને સંસ્કૃતિ એકતા સ્થાપિત કરવા માટે સ્વાભાવિક ક્ષમતા ધરાવે છે. સદીઓથી સંતો-ભિક્ષુઓ અને વેપારીઓ દૂરદૂરનાં સ્થળો સુધી ફરવાનું સાહસ કરતાં હતાં. તેઓ ઘરથી દૂર પ્રવાસ કરતાં હતાં અને ઘણી વિવિધ સંસ્કૃતિઓ સાથે હળીમળી જતાં હતાં. આપણે આશા રાખીએ કે આગામી સમયમાં સંસ્કૃતિ અને વેપારવાણિજ્યનાં સંબંધો દુનિયાને વધારે નજીક લાવે.

 

મિત્રો,

હું ભારતમાં અત્યારે થઈ રહેલાં કેટલાંક સકારાત્મક પરિવર્તનોનો ચિતાર આપવા આતુર છું. હું આત્મવિશ્વાસ સાથે કહું છું કે, ભારતમાં હોવાનો અત્યારે શ્રેષ્ઠ સમય છે! હાલનાં ભારતમાં ઘણી બાબતોનો વિકાસ થઈ રહ્યો છે અને ઘણી જૂની પરંપરાઓ તૂટી રહી છે. ‘વેપારવાણિજ્ય કરવાની સરળતા’ વધી રહી છે અને લોકોનું ‘જીવન પણ વધારે સરળ’ બની રહ્યું છે. દેશમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)માં વધારો થઈ રહ્યો છે. અમારા દેશમાં વન કે જંગલનું આવરણ વધી રહ્યું છે. પેટન્ટ અને ટ્રેડમાર્કમાં વધારો થઈ રહ્યો છે. ઉત્પાદકતા અને કાર્યદક્ષતામાં વધારો થઈ રહ્યો છે. માળખાગત સુવિધાઓનાં નિર્માણની ગતિ વધી રહી છે. વધુને વધુ લોકો સ્વાસ્થ્ય સાથે સંબંધિત ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધાઓ વધી રહી છે. સાથે સાથે વિવિધ પ્રકારનાં કરવેરાનાં સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. કરવેરાનાં દરમાં ઘટાડો થઈ રહ્યો છે. અમલદારશાહીની પ્રતિકૂળતા ઘટી રહી છે અને અનુકૂળતા વધી રહી છે. ભાઇ-ભત્રીજાવાદમાં ઘટાડો થયો છે. ભ્રષ્ટાચારમાં ઘટાડો થઈ રહ્યો છે. ભ્રષ્ટ લોકો બચવા માટે આશરો શોધી રહ્યાં છે. સત્તાધિકારો સુધી પહોંચ ધરાવતાં વચેટિયાઓ હવે ઇતિહાસ બની ગયા છે.

મિત્રો,

છેલ્લાં પાંચ વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં ભારતમાં સફળતાની ઘણી ગાથા જોવા મળી છે. આ માટેનું કારણ ફક્ત સરકાર નથી. ભારતે અમલદારશાહીની કામ કરવાની પરંપરાગત શૈલીને બદલી નાંખી છે. મહત્વાકાંક્ષી અભિયાનો હાથ ધરવામાં આવ્યાં હોવાથી પરિવર્તનકારક ફેરફારો વધી રહ્યાં છે. જ્યારે આ મહત્વાકાંક્ષી અભિયાનોને જનભાગીદારી દ્વારા વેગ મળ્યો છે, ત્યારે આ યોજનાઓ જન આંદોલનો બની ગયા છે. અને સામૂહિક અભિયાનોએ ચમત્કારિક સફળતા હાંસલ કરી છે. અગાઉ જે કામગીરી કરવી અશક્ય જણાતી હતી એ હવે શક્ય બની છે. જીવનની મૂળભૂત જરૂરિયાતો લગભગ 100 ટકા જનસંખ્યા સુધી પહોંચી છે. આનું સારું ઉદાહરણ છે – જન ધન યોજના. આ યોજનાએ લગભગ સંપૂર્ણ નાણાકીય સર્વસમાવેશકતા સુનિશ્ચિત કરી છે. અને સ્વચ્છ ભારત અભિયાનની વાત કરીએ, તો લગભગ દરેક કુટુંબ સુધી સાફસફાઈની સુવિધાઓ પહોંચી છે.

 

મિત્રો,

જ્યારે સેવા પ્રદાન કરવાની વાત આવતી હતી, ત્યારે ભારતમાં અમે મોટી સમસ્યાનો સામનો કરતાં હતાં. એ સમસ્યા હતી – સરકારની કોઈ સેવા એનાં લાભાર્થીઓ સુધી ખરાં અર્થમાં પહોંચતી નથી. આ કારણે એનો સૌથી વધુ ભોગ ગરીબો બનતાં હતાં. તમને જાણીને આંચકો લાગશે કે ઘણાં વર્ષો સુધી ગરીબો પર ખર્ચ કરવામાં આવતાં રૂપિયા ગરીબો સુધી પહોંચતા જ નહોતા. અમારી સરકારે ડીબીટીનો અસરકારક અમલ કરીને આ સમસ્યાનું સમાધાન કર્યું છે. ડીબીટી એટલે સરકારી સબસિડીઓને લાભાર્થીઓનાં બેંક ખાતામાં સીધા હસ્તાંતરિત કરવાની યોજના. ડીબીટીએ વચેટિયાઓને દૂર કર્યા છે અને અકાર્યદક્ષતાનો અંત લાવી દીધો છે. એનાથી ખામીનો બહુ ઓછો અવકાશ છે. ડીબીટીથી અત્યાર સુધી 20 અબજ ડોલરની બચત થઈ છે. તમને ઘરેઘરે એલઇટી લાઇટ જોવા મળશે. તમે જાણો છો કે, એલઇડી લાઇટ વધારે અસરકારક છે અને ઊર્જાની વધારે બચત કરે છે. પણ તમે ભારતમાં એની અસર વિશે જાણો છો? અમે છેલ્લાં પાંચ વર્ષમાં 360 મિલિયન એલઇડી બલ્બનું વિતરણ કર્યું છે. અમે 10 મિલિયન સ્ટ્રીટલાઇટને એલઇડી લાઇટ સાથે  બદલી છે. આ રીતે અમે આશરે 3.5 અબજ ડોલરની બચત કરી છે. એનાથી કાર્બનનાં ઉત્સર્જનમાં પણ ઘટાડો થયો છે. હું દ્રઢપણે માનું છું કે, નાણાની જે બચત થઈ છે એ એક પ્રકારની આવક છે. ઊર્જાની જે બચત થઈ છે એ એક પ્રકારે ઊર્જાનું ઉત્પાદન છે. આ બચત થયેલા નાણાનો ઉપયોગ એટલાં જ અસરકારક કાર્યક્રમો દ્વારા લાખો લોકોને સક્ષમ બનાવવા માટે થાય છે.

 

મિત્રો,

હાલનાં ભારતમાં મહેનત કરતાં કરદાતાઓનું પ્રદાન વધી રહ્યું છે. અમે એક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે અને આ ક્ષેત્ર છે – કરવેરાનું. મને ખુશી છે કે, ભારત કરવેરાની સૌથી વધુ અનુકૂળ વ્યવસ્થા ધરાવતા દેશોમાંનો એક છે. અમે આ વ્યવસ્થાને વધારે સુધારવા કટિબદ્ધ છીએ. છેલ્લાં પાંચ વર્ષમાં અમે મધ્યમ વર્ગ પરનાં કરવેરાનાં ભારણમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. હવે અમે કરવેરાની ફેસલેસ આકારણી શરૂ કરી છે, જેથી કરદાતાઓને સતામણી માટેનો કોઈ અવકાશ ન રહે. ભારત સરકારે કોર્પોરેટ કરવેરામાં કાપ કરવાનો નિર્ણય લીધો છે અને તમે આ વિશે સાંભળ્યું હશે. અમે જીએસટીનો અમલ કરીને ભારતને આર્થિક રીતે એક કરવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. અમે જીએસટીને લોકોને વધારે અનુકૂળ બનાવવા પણ કામ કરવા ઇચ્છીએ છીએ. મારો કહેવાનો અર્થ એ છે કે, અત્યારે ભારત રોકાણ માટે વિશ્વનું સૌથી વધુ આકર્ષક અર્થતંત્રમાંનું એક બની રહ્યું છે.

મિત્રો,

છેલ્લાં પાંચ વર્ષમાં ભારતે 286 અબજ અમેરિકન ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) મેળવ્યું હતું. આ રોકાણ ભારતે છેલ્લાં 12 વર્ષમાં પ્રાપ્ત કરેલા કુલ એફડીઆઈથી લગભગ અડધું હતું. એટલું જ નહીં એમાંથી 40 ટકા રોકાણ ગ્રીન ફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ હતું. આ દર્શાવે છે કે, રોકાણકારો ભારતમાં લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને રોકાણ કરી રહ્યાં છે. ભારતની વૃદ્ધિ કેટલાંક રેટિંગ્સમાં પ્રતિબિંબિત પણ થાય છે. યુએનસીટીએડી મુજબ, વિશ્વનાં ટોચનાં 10 એફડીઆઈ મેળવનાર દેશોમાં ભારતે સ્થાન મેળવ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ ઓફ ડબલ્યુઆઇપીઓ પર 24 સ્થાનની આગેકૂચ કરી છે. પણ એમાંથી બે રેન્કિંગ પર હું ખાસ વાત કરવા ઇચ્છું છું. વિશ્વ બેંકનાં વેપાર વાણિજ્ય સરળ કરવાનાં રેન્કિંગમાં 79 સ્થાનની હરણફાળ ભરી છે. આ રેન્કિંગમાં વર્ષ 2014માં ભારતનું સ્થાન 142મું હતું, જે વર્ષ 2019માં સુધરીને 63મું થઈ ગયું છે. આ મોટી સફળતા છે. સતત ત્રીજા વર્ષે અમે આર્થિક સુધારા કરનારાં દુનિયાનાં ટોચનાં 10 દેશોમાં સ્થાન મેળવ્યું છે. ભારતમાં વેપારવાણિજ્ય કરવાનાં વેરિએબલ ઘણાં છે. ભારત વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ છે. અમારાં દેશમાં કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક એમ ત્રિસ્તરીય સરકાર છે. આ પ્રકારનાં સંદર્ભમાં દિશાત્મક પરિવર્તન આર્થિક સુધારાઓ પ્રત્યે અમારી કટિબદ્ધતા દર્શાવે છે. વેપારવાણિજ્ય કરવા માટેનાં વાતાવરણને શ્રેષ્ઠ બનાવવા માટે લોકો અને સરકાર એકમંચ પર આવી હતી.

 

મિત્રો,

બીજા એક સૂચકાંકમાં ભારતનાં રેન્કિંગમાં સુધારો થયો છે. આ રેન્કિંગ છે – વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ. આ ઇન્ડેક્સમાં વર્ષ 2013માં ભારતનું સ્થાન 65મું હતું, જે વર્ષ 2019માં સુધરીને 34મું થઈ ગયું છે. આ હરણફાળ પણ મોટી છે. ભારતની મુલાકાત લેતાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં પણ લગભગ 50 ટકાનો વધારો થયો છે. તમે બધા સારી રીતે જાણો છો કે, જ્યાં સુવિધા, સાનુકૂળતા અને સલામતી નહીં મળે, ત્યાં કોઈ પણ પ્રવાસી ન જાય. એટલે જો અમારાં દેશમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોય, તો એનો અર્થ એ છે કે, અમારાં પ્રયાસો વાસ્તવિક દ્રષ્ટિએ ફળીભૂત થયા છે. હકીકત એ છે કે, ભારતે વધારે સારો માર્ગોનું નિર્માણ કર્યું છે, હવાઈ જોડાણની વધારે સારી સુવિધાઓ ઊભી કરી છે, દેશમાં સ્વચ્છતામાં વધારો થયો છે તથા કાયદો અને શાસનની સ્થિતિ સુધરી છે, જેનાં પરિણામે દુનિયાનાં લોકો ભારતમાં આવી રહ્યાં છે.

 

મિત્રો,

રેન્કિંગમાં આ સુધારા પરિવર્તનની અસરનું પરિણામ છે. આ તમામ રેન્કિંગ અંદાજિત નથી. તેઓ ભારતમાં હકીકતમાં જે ફેરફારો થઈ રહ્યાં છે એનું પ્રતિબિંબ છે.

 

મિત્રો,

અત્યારે ભારત વધુ એક સ્વપ્ન સાકાર કરવાની દિશામાં અગ્રેસર છે – દેશનાં અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવા માટે કાર્યરત છે. જ્યારે મારી સરકારે વર્ષ 2014માં સત્તા સંભાળી હતી, ત્યારે ભારતની જીડીપી આશરે 2 ટ્રિલિયન ડોલરની હતી. પણ ફક્ત પાંચ વર્ષનાં ગાળામાં અમારાં અર્થતંત્રનું કદ વધીને આશરે 3 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. આ આંકડા પરથી મને વિશ્વાસ છે કે, અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું સ્વપ્ન ટૂંક સમયમાં સાકાર થઈ જશે. અમે અત્યાધુનિક માળખાગત સુવિધાઓ માટે 1.5 ટ્રિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવીએ છીએ.

 

મિત્રો,

જો મને કોઈ પણ એક બાબત પર વિશેષ ગર્વ હોય, તો એ છે – ભારતની પ્રતિભાશાળી અને કુશળ માનવીય મૂડી પર. એમાં કોઈ નવાઈ નથી કે, દુનિયાની સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં ભારત સામેલ છે. ભારત ડિજિટલ ઉપભોક્તાઓ માટે સૌથી મોટાં અને સૌથી વધુ ઝડપથી વિકસતાં બજારોમાંનું એક છે. દેશમાં એક અબજ સ્માર્ટ ફોન યુઝર છે અને એમાંથી અડધો અબજ ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સ છે. અમે ઇન્ડસ્ટ્રી 4.0 સાથે તાલમેળ જાળવીએ છીએ તથા વિકાસ અને શાસનની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ટેકનોલોજીનો સ્વીકાર કરવા માટે સક્રિયપણે કામ કરી રહ્યાં છીએ. આ તમામ ફાયદાઓ સાથે અમને વિશ્વનું ઉત્પાદન કેન્દ્ર બનવાની આકાંક્ષા છે.

 

મિત્રો,

‘થાઇલેન્ડ 4.0’ થાઇલેન્ડને મૂલ્ય-આધારિત અર્થતંત્રમાં પરિવર્તિત કરવા પર કેન્દ્રિત છે, જેનું નિર્માણ વિજ્ઞાન, ટેકનોલોજી, ઇનોવેશન અને રચનાત્મકતા પર થઈ રહ્યું છે. આ ભારતની પ્રાથમિકતાઓને અનુકૂળ અને પૂરક છે. ભારતની ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ગંગા શુદ્ધિકરણ પ્રોજેક્ટ, સ્વચ્છ ભારત અભિયાન, સ્માર્ટ સિટીઝ અને જલ જીવન મિશન જેવી પહેલો ભાગીદારી કરવા માટે સારી તકો પૂરી પાડે છે.

 

મિત્રો,

જ્યારે ભારત સમૃદ્ધ થશે, ત્યારે દુનિયા સમૃદ્ધ થશે. ભારતનાં વિકાસ માટેનું અમારું વિઝન એ પ્રકારનું છે કે, આ વધુ હરિયાળી અને સમૃદ્ધ પૃથ્વી તરફ જાય છે. જ્યારે અમે આયુષ્માન ભારત મારફતે 500 મિલિયન ભારતીયોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી હેલ્થકેર (સ્વાસ્થ્ય સાથે સંબંધિત) સેવાઓ આપવા આતુર છીએ, ત્યારે સાથે સાથે સ્વસ્થ ગ્રહનું નિર્માણ કરવાની જરૂરિયાત પણ સમજીશું. જ્યારે અમે વર્ષ 2025માં ટીબીને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે અમારો લક્ષ્યાંક વર્ષ 2030 સુધી ટીબીને નાબૂદ કરવાનાં આંતરરાષ્ટ્રીય લક્ષ્યાંકથી પાંચ વર્ષ અગાઉ છે. એનાથી ટીબી સામેની વૈશ્વિક લડાઈ મજબૂત થશે. સાથે સાથે અમે દુનિયામાં અમારી સફળતાઓ અને શ્રેષ્ઠ પ્રેક્ટિસને વહેંચીએ છીએ. અમારો સાઉથ એશિયા સેટેલાઇટ આપણાં વિસ્તારમાં ઘણાં લોકોને મદદરૂપ થઈ રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને માછીમારોને.

 

મિત્રો,

અમારી એક્ટ ઇસ્ટ પોલિસી અંતર્ગત અમે આ વિસ્તારમાં જોડાણ વધારવા વિશેષ ધ્યાન આપી રહ્યાં છે. થાઇલેન્ડનાં પશ્ચિમ દરિયાકિનારા પર સ્થિત બંદરો અને ભારતનાં પૂર્વ દરિયાકિનારા પર સ્થિત ચેન્નાઈ, વિશાખાપટનમ અને કોલકાતા જેવા બંદરો આપણી આર્થિક ભાગીદારીમાં વધારો કરશે. આપણે આ તમામ અનુકૂળ પરિબળોનો લાભ લેવો જોઈએ. આપણે આપણાં પૂર્વજોની જેમ આપણી ભૌગોલિક નિકટતાનો લાભ લેવો જોઈએ.

 

મિત્રો,

જો આપણી આર્થિક ક્ષમતા અને એકબીજાને પૂરક નીતિઓ-યોજનાઓને, આપણી સંસ્કૃતિઓ વચ્ચે રહેલી સમાનતાઓને, આપણી એકબીજા માટે સ્વાભાવિક સદભાવનાને ધ્યાનમાં રાખીએ, તો મને એમાં કોઈ શંકા નથી કે, આપણે બંને પક્ષો માટે લાભદાયક સ્થિતિસંજોગો માટે અમારી વ્યાવસાયિક ભાગીદારી વધારી શકીએ. હું મારી વાણીને વિરામ આ રીતે આપીશઃ રોકાણ અને સરળ વેપારવાણિજ્ય માટે ભારતમાં તમારું સ્વાગત છે. ઇનોવેશન કરવા અને શરૂઆત કરવા ભારતમાં તમારું સ્વાગત છે. પ્રવાસન માટે કેટલાંક શ્રેષ્ઠ સ્થળો જોવામાણવા આવો, લોકોનો ઉત્તમ આતિથ્યસત્કાર મેળવવા ભારતમાં તમારું સ્વાગત છે. તમારું હૃદયપૂર્વક સ્વાગત કરવા ભારત આતુર છે.

 

ધન્યવાદ.

ખોબ ખુન ખ્રપ.

આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s exports hit $43.56 billion in April as shipments record double-digit growth

Media Coverage

India’s exports hit $43.56 billion in April as shipments record double-digit growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam highlighting the virtues of firm resolve, self-control, and wisdom
June 02, 2026

Prime Minister Shri Narendra Modi today shared a Sanskrit Subhashitam, observing that firm resolve and self-control are the powers that make even the most difficult paths easy. Shri Modi highlighted that today, our youth are continuously engaged in nation-building with this very resolve.

The Prime Minister posted on X:

"दृढ़ निश्चय और आत्म-संयम वह शक्ति है, जो कठिन से कठिन राह को भी आसान बना देती है। आज हमारे युवा साथी इसी संकल्प के साथ राष्ट्र निर्माण में निरंतर जुटे हुए हैं।

निश्चित्य यः प्रक्रमते
नान्तर्वसति कर्मणः।

अबन्ध्यकालो वश्यात्मा
स वै पण्डित उच्यते॥"

A person who begins a task after careful deliberation and with firm resolve, who never leaves it unfinished, who uses time wisely and who maintains complete control over their senses, such a person alone is truly wise.