પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10-12 જાન્યુઆરી, 2026 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 10 જાન્યુઆરીની સાંજે સોમનાથ પહોંચશે. લગભગ 8 વાગ્યે, પ્રધાનમંત્રી ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે અને પછી સોમનાથ મંદિરમાં ડ્રોન શો જોશે.
11 જાન્યુઆરીના રોજ લગભગ 9:45 વાગ્યે પ્રધાનમંત્રી શૌર્ય યાત્રામાં ભાગ લેશે, જે સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા અસંખ્ય યોદ્ધાઓના સન્માનમાં આયોજિત એક ઔપચારિક શોભાયાત્રા છે. ત્યારબાદ લગભગ 10:15 વાગ્યે પ્રધાનમંત્રી સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે યોજાનારા જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.
બાદમાં પ્રધાનમંત્રી કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેવા માટે રાજકોટ જશે. બપોરે લગભગ 1:30 વાગ્યે તેઓ સમિટમાં ટ્રેડ શો અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. બપોરે લગભગ 2 વાગ્યે, પ્રધાનમંત્રી રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટનું ઉદ્ઘાટન કરશે અને આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.
રાજકોટથી પ્રધાનમંત્રી અમદાવાદ જશે. સાંજે લગભગ 5:15 વાગ્યે, મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાના બાકીના ભાગનું ઉદ્ઘાટન કરશે, જે સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીનો છે.
12 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી અમદાવાદમાં જર્મનીના ફેડરલ ચાન્સેલર મહામહિમ શ્રી ફ્રેડરિક મેર્ઝ સાથે મુલાકાત કરશે. સવારે લગભગ 9:30 વાગ્યે બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ સવારે 10 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.
ત્યારબાદ સવારે 11:15 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય મુલાકાતો થશે, જ્યાં પ્રધાનમંત્રી અને જર્મન ચાન્સેલર ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે, જેણે તાજેતરમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે.


