મહામહિમ, પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ,

મહામહિમ, શ્રી અમીર ઓહાના, નેસેટના સ્પીકર,

મહામહિમ, શ્રી યાયર લેપિડ, વિરોધ પક્ષના નેતા,

નેસેટના માનનીય સભ્યો,

મારા વહાલા ભાઈઓ અને બહેનો,

શાલોમ!

નમસ્તે!

માનનીય સભ્યો,

આ પ્રતિષ્ઠિત ગૃહ સમક્ષ ઊભા રહેવું મારા માટે એક વિશેષાધિકાર અને સન્માનની વાત છે. હું ભારતના પ્રધાનમંત્રી તરીકે અને એક પ્રાચીન સભ્યતાના પ્રતિનિધિ તરીકે બીજી પ્રાચીન સભ્યતાને સંબોધિત કરવા માટે અહીં ઉપસ્થિત થયો છું. હું મારી સાથે 1.4 બિલિયન ભારતીયોની શુભેચ્છાઓ અને મિત્રતા, આદર અને ભાગીદારીનો સંદેશ લાવ્યો છું.

 

શ્રીમાન સ્પીકર, તમારા માયાળુ આમંત્રણ માટે હું તમારો આભાર માનું છું. અને નેસેટને ભારતીય રંગોથી પ્રકાશિત કરવાના તમારા અદ્ભુત સંકેત માટે પણ. તમારી ત્રણ વર્ષ પહેલાની ભારતની મુલાકાત નેસેટના સ્પીકર દ્વારા લેવામાં આવેલી પ્રથમ મુલાકાત હતી. અને તમારા કારણે, હું આ ગરિમાપૂર્ણ સભાને સંબોધિત કરનાર ભારતનો પ્રથમ પ્રધાનમંત્રી છું.

નવ વર્ષ પહેલા, મને ઇઝરાયેલની મુલાકાત લેનાર ભારતનો પ્રથમ પ્રધાનમંત્રી બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. અને હું ફરીથી અહીં આવીને ખૂબ જ ખુશ છું, એક એવી ભૂમિ પર પાછો ફર્યો છું જેના પ્રત્યે મેં હંમેશા આકર્ષણ અનુભવ્યું છે. છેવટે, મારો જન્મ એ જ દિવસે થયો હતો જે દિવસે ભારતે ઔપચારિક રીતે ઇઝરાયેલને માન્યતા આપી હતી – સપ્ટેમ્બર 17, 1950!

માનનીય સભ્યો,

હું મારી સાથે “ઓક્ટોબર 7” ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા બર્બર આતંકવાદી હુમલામાં ગુમાવેલા દરેક જીવન અને જેમના વિશ્વ વેરવિખેર થઈ ગયા છે તેવા દરેક પરિવાર માટે ભારતના લોકોની ઊંડી સંવેદના પણ લાવ્યો છું. અમે તમારી પીડા અનુભવીએ છીએ. અમે તમારા દુઃખમાં સહભાગી છીએ. ભારત આ ક્ષણે અને તે પછી પણ પૂરી દ્રઢતા અને સંપૂર્ણ ખાતરી સાથે ઇઝરાયેલની સાથે ઊભું છે.

 

કોઈપણ કારણ નાગરિકોની હત્યાને યોગ્ય ઠેરવી શકતું નથી. આતંકવાદને કંઈપણ યોગ્ય ઠેરવી શકતું નથી.

ભારતે પણ લાંબા સમયથી આતંકવાદની પીડા સહન કરી છે. અમને 26/11 ના મુંબઈ હુમલા અને ઇઝરાયેલી નાગરિકો સહિત ગુમાવેલા નિર્દોષ જીવો યાદ છે. તમારી જેમ જ, અમારી પાસે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની સુસંગત અને બીનસમાધાનકારી નીતિ, જેમાં કોઈ બેવડા ધોરણો નથી.

આતંકવાદનો ઉદ્દેશ્ય સમાજોને અસ્થિર કરવાનો, વિકાસને અવરોધવાનો અને વિશ્વાસને નષ્ટ કરવાનો છે. આતંકવાદનો સામનો કરવા માટે સતત અને સંકલિત વૈશ્વિક કાર્યવાહીની જરૂર છે, કારણ કે ગમે ત્યાંનો આતંક દરેક જગ્યાએ શાંતિ માટે જોખમ છે. તેથી જ, ભારત ટકાઉ શાંતિ અને પ્રાદેશિક સ્થિરતામાં ફાળો આપતા તમામ પ્રયાસોને સમર્થન આપે છે.

કેટલાક વર્ષો પહેલા, જ્યારે તમે અબ્રાહમ એકોર્ડ્સ પૂર્ણ કર્યા, ત્યારે અમે તમારા સાહસ અને વિઝનને બિરદાવ્યા હતા. લાંબા સમયથી મુશ્કેલીમાં રહેલા પ્રદેશ માટે તે નવી આશાની ક્ષણ હતી. ત્યારથી, પરિસ્થિતિ નોંધપાત્ર રીતે બદલાઈ ગઈ છે. રસ્તો વધુ પડકારજનક છે. છતાં તે આશા જાળવી રાખવી મહત્વપૂર્ણ છે.

યુએન સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા સમર્થિત ગાઝા શાંતિ પહેલ (Gaza Peace Initiative) એક માર્ગ પ્રદાન કરે છે. ભારતે આ પહેલને પોતાનું મજબૂત સમર્થન વ્યક્ત કર્યું છે. અમે માનીએ છીએ કે તે પેલેસ્ટાઇન મુદ્દાને સંબોધવા સહિત આ પ્રદેશના તમામ લોકો માટે ન્યાયી અને કાયમી શાંતિનું વચન ધરાવે છે.

આપણા તમામ પ્રયત્નો જ્ઞાન, સાહસ અને માનવતા દ્વારા માર્ગદર્શિત થવા દો. શાંતિનો માર્ગ હંમેશા સરળ હોતો નથી. પરંતુ ભારત આ પ્રદેશમાં સંવાદ, શાંતિ અને સ્થિરતા માટે તમારી અને વિશ્વની સાથે જોડાય છે.

માનનીય સભ્યો,

ભારતમાં ઇઝરાયેલના સંકલ્પ, સાહસ અને સિદ્ધિઓ માટે ઘણો આદર છે. આપણે આધુનિક રાજ્યો તરીકે એકબીજા સાથે જોડાયા તેના ઘણા સમય પહેલા, આપણે એવા સંબંધોથી જોડાયેલા હતા જે બે હજાર વર્ષ કરતા પણ વધુ પાછળ જાય છે. બુક ઓફ એસ્થર (Book of Esther) ભારતને હોડુ (Hodu) તરીકે ઓળખાવે છે. તાલમદ (Talmud) પ્રાચીન સમયમાં ભારત સાથેના વેપારની નોંધ રાખે છે.

યહૂદી વેપારીઓએ સમુદ્રી માર્ગો દ્વારા મુસાફરી કરી જે ભૂમધ્ય સમુદ્રને હિંદ મહાસાગર સાથે જોડતા હતા. તેઓ તક અને ગૌરવની શોધમાં આવ્યા હતા. અને, ભારતમાં, તેઓ આપણામાંના જ એક બની ગયા.

યહૂદી સમુદાયો ભારતમાં સતામણી અથવા ભેદભાવના ડર વિના જીવ્યા છે. તેમણે તેમની શ્રદ્ધા જાળવી રાખી છે અને સમાજમાં સંપૂર્ણ ભાગીદારી કરી છે. તે રેકોર્ડ અમારા માટે ગર્વનો સ્ત્રોત છે.

 

માનનીય સભ્યો,

મહારાષ્ટ્રના બેને ઇઝરાયેલ, કેરળમના કોચિની યહૂદીઓ, કોલકાતા અને મુંબઈના બગદાદી યહૂદીઓ અને ઉત્તર પૂર્વના બની મેનાશે (Bnei Menashe) એ ભારતને સમૃદ્ધ બનાવ્યું છે. મારા ગૃહ રાજ્ય ગુજરાતમાં, બેને ઇઝરાયેલી પરિવાર - મિસ્ટર અને મિસિસ બેસ્ટ દ્વારા સ્થાપિત એક શાળા છે. તે એક ઉત્તમ શાળા છે, અને અલબત્ત, તેને બેસ્ટ સ્કૂલ કહેવામાં આવે છે!

એડવિન માયર્સ (Edwyn Myers) એ ફિલ્મ્સ ડિવિઝન ઓફ ઇન્ડિયાને આકાર આપ્યો અને ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક વિરાટ વ્યક્તિત્વ હતા. ડોક્ટર રુબેન ડેવિડ અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના સ્થાપક હતા. અભિનેતા ડેવિડ અબ્રાહમ ચૌલકર, અથવા અંકલ ડેવિડ, સમગ્ર દેશમાં ઘરે-ઘરે જાણીતું નામ બન્યા. વોલ્ટર કૌફમેને ઓલ ઇન્ડિયા રેડિયો માટે સિગ્નેચર ટ્યુન કમ્પોઝ કરી હતી. ડેવિડ સાસૂને ઘણી સંસ્થાઓ બનાવી જે આજે પણ ભારતીય સમાજની સેવા કરે છે.

અને, અલબત્ત, 1971 ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન લેફ્ટનન્ટ જનરલ જે.એફ.આર. જેકબનું પરાક્રમી યોગદાન વ્યાપકપણે જાણીતું છે. મને તેમની નિવૃત્તિ પછી તેમની સાથે નજીકથી કામ કરવાનું સન્માન મળ્યું હતું. અમે ચાના ઘણા કપ પર ભારત-ઇઝરાયેલ સંબંધો સહિત ઘણી બાબતો પર ચર્ચા કરી હતી. આવા અસંખ્ય અન્ય લોકો છે જેમના યોગદાન ભારતના સમૃદ્ધ જીવનના તાણાવાણામાં વણાયેલા છે.

માનનીય સભ્યો,

ભારતથી ઇઝરાયેલ તરફ પણ હિલચાલ થઈ હતી, જ્યારે વીસમી સદીના મધ્યમાં ઘણા ભારતીય યહૂદીઓ ઇઝરાયેલમાં સ્થળાંતર કરી ગયા હતા. આજે, અહીં એક ગતિશીલ ભારતીય મૂળનો યહૂદી સમુદાય રહે છે. તેમણે આધુનિક ઇઝરાયેલના નિર્માણમાં પ્રયોગશાળાઓ અને હોસ્પિટલોમાં, વર્ગખંડોમાં અને યુદ્ધના મેદાનમાં પણ યોગદાન આપ્યું છે. તેઓ દ્રઢપણે માને છે કે ઇઝરાયેલ તેમની પિતૃભૂમિ છે અને ભારત તેમની માતૃભૂમિ છે. અમને તેમના પર ગર્વ છે.

માનનીય સભ્યો,

આ ભૂમિ સાથે ભારતનું જોડાણ લોહી અને બલિદાનથી પણ લખાયેલું છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, આ પ્રદેશમાં ચાર હજારથી વધુ ભારતીય સૈનિકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. સપ્ટેમ્બર 1918 માં હાઈફા ખાતેનો કેવેલરી ચાર્જ (cavalry charge) લશ્કરી ઇતિહાસમાં એક નોંધપાત્ર પ્રકરણ છે.

મેજર ઠાકુર દલપત સિંહ, જેમને હાઈફાના હીરો તરીકે યાદ કરવામાં આવે છે, તે આ સહિયારા ઇતિહાસનું પ્રતીક છે. મારી છેલ્લી મુલાકાત દરમિયાન, ભારતીય સૈનિકો માટેના હાઈફા સ્મારક પર શ્રદ્ધાંજલિ આપતા હું ઊંડો પ્રભાવિત થયો હતો.

 

માનનીય સભ્યો,

ગયા મહિને, વિશ્વએ આંતરરાષ્ટ્રીય હોલોકોસ્ટ રિમેમ્બ્રન્સ ડે મનાવ્યો હતો. હોલોકોસ્ટ માનવતાના સૌથી અંધકારમય પ્રકરણોમાંના એક તરીકે ઊભું છે. છતાં, તે તોફાની વર્ષોમાં પણ, માનવતાના કેટલાક કાર્યો અલગ તરી આવ્યા હતા. ગુજરાતમાં નવાનગરના મહારાજા, જેઓ જામ સાહેબ તરીકે પણ ઓળખાય છે, તેમણે પોલિશ બાળકોને આશ્રય આપ્યો હતો, જેમાં યહૂદી બાળકો પણ સામેલ હતા, જેમને બીજે ક્યાંય જવાનો માર્ગ નહોતો. મને કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં મોશાવ નેવાટિમ (Moshav Nevatim) માં જામ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આભાર. આ સન્માન અને સ્મૃતિ માટે તમારો આભાર.

માનનીય સભ્યો,

ભારતની આઝાદી પછી, ઘણા ભારતીય નેતાઓએ ઇઝરાયેલના લોકો સાથે આત્મીયતા અનુભવી હતી. 1950 ના દાયકાની ભારતની સંસદીય ચર્ચાઓ રણમાં ખેતીનો વિકાસ કરવાના ઇઝરાયેલના પ્રયત્નો પ્રત્યેની તેમની પ્રશંસાની સાક્ષી છે. ઇઝરાયેલના કિબુત્ઝ (Kibbutz) આંદોલને આચાર્ય વિનોબા ભાવે અને લોકનાયક જયપ્રકાશ નારાયણ જેવા આપણા નેતાઓને પ્રેરણા આપી હતી. પહેલા મારા ગૃહ રાજ્ય ગુજરાતમાં, અને હવે સમગ્ર ભારતમાં, મેં "પર ડ્રોપ, મોર ક્રોપ" (Per Drop, More Crop) ના અભિગમને કૃષિમાં ચમત્કાર કરતા જોયો છે.

મારી પોતાની ઇઝરાયેલની પ્રથમ મુલાકાત 2006 માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે થઈ હતી. બાદમાં, 2017 માં, પ્રધાનમંત્રી તરીકેની મારી ઇઝરાયેલ મુલાકાત દરમિયાન, આપણા બંને દેશોએ તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી (Strategic Partnership) માં ઉન્નત કર્યા. ત્યારથી, આપણું જોડાણ સ્કેલ અને વ્યાપમાં વિસ્તર્યું છે. અને અમે ઘણા ક્ષેત્રોમાં આ સંબંધને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

માનનીય સભ્યો,

છેલ્લા કેટલાક વર્ષોથી, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર રહ્યું છે. ટૂંક સમયમાં, અમે વૈશ્વિક સ્તરે ટોચના ત્રણ અર્થતંત્રોમાં હોઈશું. તે જ સમયે, ઇઝરાયેલ ઇનોવેશન અને ટેકનોલોજીકલ નેતૃત્વનું પાવરહાઉસ છે. આ ભવિષ્યલક્ષી ભાગીદારી માટે કુદરતી પાયો બનાવે છે.

અમે વેપારના વિસ્તરણ, રોકાણના પ્રવાહને મજબૂત કરવા અને સંયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. ગયા વર્ષે હસ્તાક્ષર કરાયેલ દ્વિપક્ષીય રોકાણ સંધિ (Bilateral Investment Treaty) અમારા વ્યવસાયોને વિશ્વાસ અને અનુમાનિતતા પૂરી પાડશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતે અન્ય રાષ્ટ્રો સાથે સંખ્યાબંધ મહત્વપૂર્ણ વેપાર કરારો કર્યા છે. તમારા પશ્ચિમમાં, યુરોપિયન યુનિયન અને યુકે. તમારા પૂર્વમાં, યુએઈ અને ઓમાન.

આપણો દ્વિપક્ષીય માલસામાનનો વેપાર તાજેતરના વર્ષોમાં અનેકગણો વધ્યો છે. પરંતુ, તે તકની સંપૂર્ણ મર્યાદાને પ્રતિબિંબિત કરતો નથી. તેથી જ અમારી ટીમો મહત્વાકાંક્ષી મુક્ત વ્યાપાર કરાર (Free Trade Agreement) માટે સખત મહેનત કરી રહી છે. તે આપણા વેપાર સંબંધોમાં રહેલી વિશાળ અણખેડાયેલી સંભાવનાઓને ખોલશે.

અમે ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર અને ભારત, ઈઝરાયેલ, યુએઈ અને યુએસ વચ્ચેના I2U2 ફ્રેમવર્ક જેવા વિવિધ ફોર્મેટમાં પણ નજીકથી કામ કરીશું. સંરક્ષણ અને સુરક્ષા એ અમારી ભાગીદારીનો બીજો મહત્વનો સ્તંભ છે. ગયા વર્ષે નવેમ્બરમાં, અમે સંરક્ષણ સહયોગ પર એક MOU પર હસ્તાક્ષર કર્યા હતા. આજના અનિશ્ચિત વિશ્વમાં, ભારત અને ઇઝરાયેલ જેવા વિશ્વસનીય ભાગીદારો વચ્ચે મજબૂત સંરક્ષણ ભાગીદારીનું ઘણું મહત્વ છે.

 

માનનીય સભ્યો,

ઇઝરાયેલને ઘણીવાર "સ્ટાર્ટ-અપ નેશન" કહેવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં, અમે અમારા યુવાનોની નવીનતા અને સર્જનાત્મકતાને ખોલવા માટે પણ કામ કરી રહ્યા છીએ. મને યાદ છે કે 2018 માં, પ્રધાનમંત્રી નેતન્યાહુ અને મેં ભારતમાં iCreate ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટરનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી, તેણે આવા લગભગ 900 સ્ટાર્ટ-અપ્સને ટેકો આપ્યો છે.

ગયા અઠવાડિયે, અમે 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓ સાથે વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ લોકશાહીવાળી AI ઇમ્પેક્ટ સમિટનું આયોજન કર્યું હતું. અમારી આકાંક્ષી ભાવના ઇઝરાયેલની ઇનોવેશન ઇકોસિસ્ટમ સાથે કુદરતી રીતે સુસંગત છે. હું ક્વોન્ટમ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં ઘણી સમાનતાઓ જોઉં છું. અમે અમારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ક્રોસ-બોર્ડર નાણાકીય જોડાણો બનાવવા પર પણ ઇઝરાયેલ સાથે કામ કરી રહ્યા છીએ.

માનનીય સભ્યો,

મેં ઉલ્લેખ કર્યો છે કે રણમાં ઇઝરાયેલનો કૃષિ ચમત્કાર અમને કેટલો પ્રેરણાદાયી લાગ્યો છે. ચોકસાઇ પિયત (precision irrigation) અને જળ વ્યવસ્થાપનમાં ઇઝરાયેલી નિપુણતાએ ભારતમાં કૃષિ પદ્ધતિઓમાં પહેલેથી જ પરિવર્તન લાવ્યું છે.

સાથે મળીને, અમે સમગ્ર ભારતમાં 43 સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (Centres of Excellence) સ્થાપ્યા છે જેણે અડધા મિલિયનથી વધુ ખેડૂતોને તાલીમ આપી છે. હવે આપણે લાખો ખેડૂતો અને માછીમારોને લાભ પહોંચાડવા માટે 100 કેન્દ્રો સુધી વિસ્તરણ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરવું જોઈએ.

માનનીય સભ્યો,

ભારત-ઇઝરાયેલ ભાગીદારીના હૃદયમાં આપણા લોકો વચ્ચેના સંબંધો છે. જ્યારે મેં 2006 માં પ્રથમ વખત ઇઝરાયેલની મુલાકાત લીધી હતી, ત્યારે ઇઝરાયેલમાં ગણ્યાગાંઠ્યા યોગ કેન્દ્રો હતા. આજે, લગભગ દરેક પડોશમાં યોગનો અભ્યાસ થતો જોવા મળે છે!

મને કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલમાં આયુર્વેદમાં પણ રસ વધી રહ્યો છે. હું વધુને વધુ યુવાન ઇઝરાયેલીઓને ભારતની યાત્રા કરવા આમંત્રણ આપું છું. તેઓ આપણા સમાજની ગતિશીલતાના સાક્ષી બનશે અને અનુભવશે કે સર્વગ્રાહી સુખાકારી (holistic wellness) શરીર અને મન માટે શું કરી શકે છે.

મને આ ગરિમાપૂર્ણ ગૃહને જણાવતા આનંદ થાય છે કે ભારતીય સંસદે ઇઝરાયેલ માટે સંસદીય મિત્રતા જૂથ (Parliamentary Friendship Group) ની સ્થાપના કરી છે. હું આપ સૌને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપું છું અને આપણા સંસદસભ્યો વચ્ચે વધુ આદાનપ્રદાનની અપેક્ષા રાખું છું.

હું જાણું છું કે ઇઝરાયેલમાં ભારતીય સંભાળ રાખનારાઓ (caregivers) અને કુશળ કામદારો પરિવારો અને સમુદાયોમાં ઘણું યોગદાન આપે છે. તેમણે ઓક્ટોબર 7 સહિત કટોકટીના સમયમાં અદ્ભુત સાહસ અને સમર્પણ દર્શાવ્યું છે. અમને તેમના પર ગર્વ છે.

યહૂદી શિક્ષણ આપણને યાદ અપાવે છે તેમ, "જે કોઈ એક જીવ બચાવે છે, તે આખા વિશ્વને બચાવે છે." તેમની સેવા અમારા સહયોગ પાછળના માનવીય સંબંધોની શક્તિને પ્રતિબિંબિત કરે છે. અમે બંને રાષ્ટ્રોને લાભદાયી એવા ક્ષેત્રોમાં કામદારો અને વ્યાવસાયિકોની હિલચાલને સરળ બનાવવાનું ચાલુ રાખીશું.

માનનીય સભ્યો,

આપણે બંને પ્રાચીન સભ્યતાઓ છીએ. અને કદાચ એમાં નવાઈ નથી કે આપણી સભ્યતાની પરંપરાઓ પણ દાર્શનિક સમાનતાઓ પ્રગટ કરે છે. ઇઝરાયેલમાં, ટિક્કુન ઓલમ (Tikkun Olam) નો સિદ્ધાંત વિશ્વને સાજું કરવાની વાત કરે છે. ભારતમાં, વસુધૈવ કુટુંબકમ એ વાતની પુષ્ટિ કરે છે કે વિશ્વ એક પરિવાર છે. બંને વિચારો જવાબદારીને તાત્કાલિક સીમાઓની બહાર વિસ્તારે છે. તેઓ સમાજોને કરુણા અને નૈતિક સાહસ સાથે કાર્ય કરવા કહે છે.

યહૂદી ધર્મ હલાખા (Halakha) પર ભાર મૂકે છે, જે કાયદા અને પ્રેક્ટિસ દ્વારા રોજિંદા આચરણનું માર્ગદર્શન કરે છે. હિન્દુ દર્શન ધર્મની વાત કરે છે, તે નૈતિક વ્યવસ્થા જે કર્તવ્ય અને સાચા કાર્યને આકાર આપે છે. બંને પરંપરાઓમાં, નૈતિક જીવન ક્રિયા દ્વારા જીવવામાં આવે છે, અને શ્રદ્ધા આચરણ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે.

આપણા તહેવારોમાં પણ એક મનમોહક સમાનતા છે. તમે મીણબત્તીઓના ગરમ તેજ સાથે હનુક્કાહ (Hanukkah) ઉજવો છો. લગભગ તે જ સમયે, અમે દીવાઓના સૌમ્ય તેજ સાથે પ્રકાશનો તહેવાર દિવાળી ઉજવીએ છીએ. ટૂંક સમયમાં, ભારત ખુશીઓ અને રંગોથી ભરેલો હોળીનો તહેવાર ઉજવશે. અને લગભગ તે જ સમયે, ઇઝરાયેલ પણ ઉત્સાહ અને આનંદ સાથે પુરિમ (Purim) ઉજવશે.

માનનીય સભ્યો,

આપણા સહિયારા આદર્શો એ ઊંડા પાયા છે જે આપણી આધુનિક ભાગીદારીને શક્તિ આપે છે. આપણે ઇતિહાસ દ્વારા ઘડાયેલા અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરનારા લોકશાહી દેશો છીએ. આપણી ભાગીદારી સહિયારા અનુભવ અને સહિયારી આકાંક્ષાઓ પર આધારિત છે. આપણી મજબૂત ભાગીદારી માત્ર રાષ્ટ્રીય હિતો જ પૂરી કરતી નથી પણ વૈશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિમાં પણ ફાળો આપે છે.

ચાલો આપણે સુનિશ્ચિત કરીએ કે ભારત અને ઇઝરાયેલ વચ્ચેની મિત્રતા અનિશ્ચિત વિશ્વમાં શક્તિનો સ્ત્રોત બની રહે.

અમ યીસરાએલ ચાઈ (Am Yisrael Chai).

જય હિન્દ.

આભાર.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Womaniya' initiative of GeM, sees 27.6% growth, Rs 28,000 crore contracts awarded to women MSEs

Media Coverage

Womaniya' initiative of GeM, sees 27.6% growth, Rs 28,000 crore contracts awarded to women MSEs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives in a mishap in Katihar, Bihar
April 11, 2026
PM announces ex-gratia from PMNRF

Prime Minister Shri Narendra Modi today expressed profound grief over the tragic mishap in Katihar, Bihar, describing the incident as extremely painful.

The Prime Minister extended his heartfelt condolences to the families who have lost their loved ones and prayed for the earliest recovery of those who sustained injuries. Shri Modi further announced an ex-gratia of Rs. 2 lakh from the Prime Minister’s National Relief Fund (PMNRF) for the next of kin of each deceased, noting that Rs. 50,000 would be provided to those injured in the accident.

The Prime Minister wrote on X:

"The mishap in Katihar, Bihar, is extremely painful. Condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000."