પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સાથે સંવાદ કર્યો હતો.

વિજેતા બાળકોને ભારતના રાષ્ટ્રપતિએ 22 જૂન, 2020ના રોજ આ પુરસ્કાર એનાયત કર્યા હતા. પુરસ્કૃત બાળકો પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ ભાગ લેશે.

આ 49 પુરસ્કૃત બાળકોમાં જમ્મુ અને કાશ્મીર, મણીપુર અને અરૂણાચલ પ્રદેશથી એક-એક સહિત ભારતના તમામ રાજ્યોના બાળકો સામેલ છે. આ બાળકો કલા અને સંસ્કૃતિ, નવીનતા, કેળવણી, સમાજ સેવા, રમત-ગમત અને સાહસિકતા વગેરે જેવા ક્ષેત્રે વિજેતા બન્યા છે. ભારત સરકાર બાળકોને રાષ્ટ્ર નિર્માણમાં સૌથી મહત્વપૂર્ણ સહયોગી પૈકીના એક માને છે. તે દિશામાં સરકાર આપણા બાળકોએ નવીનતા, કેળવણી ક્ષેત્રે સિદ્ધિ, સમાજસેવા, કલા અને સંસ્કૃતિ, રમત-ગમત અને સાહસિકતાના ક્ષેત્રે પ્રાપ્ત કરેલી અપૂર્વ સિદ્ધિઓને બિરદાવવા માટે દર વર્ષે આ પુરસ્કાર અર્પણ કરે છે.

વિભિન્ન ક્ષેત્રે બાળકોએ પ્રાપ્ત કરેલી અદ્વિતીય સિદ્ધિઓની પ્રસંશા કરતા, પ્રધાનમંત્રીએ તેમના દ્વારા આટલી નાની વયે કરવામાં આવેલા કાર્યને અદભૂત ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “તમે સૌ જે રીતે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે તમારી ફરજ બજાવી રહ્યા છો તે જોઇને મને ગર્વ થઇ રહ્યો છે, તે મને વધારાની ઊર્જા પ્રદાન કરે છે અને જ્યારે હું આપણા યુવાન કોમરેડ્સની સિદ્ધિઓ અને સાહસિકતા વિશે સાંભળું છું ત્યારે તે વાતો મને વધારે મહેનત કરવા માટે પ્રેરણા પ્રદાન કરે છે.”

પ્રધાનમંત્રીએ પુરસ્કૃત બાળકોને પાયાની વાસ્તવિકતાઓ સાથે મજબૂત રીતે જોડાયેલા રહીને સખત મહેનત કરવા માટે કહ્યુ હતું. તેમણે ઉમેર્યું હતું કે, “આ સન્માન જીવનમાં વધુ પ્રાપ્ત કરવા માટેની શરૂઆત હોવી જોઇએ અને તમારે આ સમજવું જોઇએ કે આ કોઇ અંત નથી અને આવા પુરસ્કારો તમારા સાથીઓ અને અન્ય બાળકોને પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપશે.”