PM’s remarks at review meeting with districts having low vaccination coverage

Published By : Admin | November 3, 2021 | 13:49 IST
જ્યાં વેક્સિનેશનનું પ્રમાણ ઓછું છે તેવા ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય તથા અન્ય જિલ્લાઓમાં 40થી વધુ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે પ્રધાનમંત્રીએ મંત્રણા હાથ ધરી
દેશ આ વર્ષના અંત સુધીમાં રસીકરણ કવરેજને વિસ્તૃત કરે અને નવા વર્ષમાં નવા ભરોસા અને આત્મવિશ્વાસ સાથે પ્રવેશ કરે તે સુનિશ્ચિત કરવા માટે તમામ અધિકારીઓને આહવાન કર્યું
“હવે આપણે પ્રત્યેક ઘરમાં વેક્સિનેશન અભિયાન લઈ જવાની તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે ‘હર ઘર દસ્તક’ના મંત્ર સાથે દરેક દ્વાર ખટખટાવો અને વેક્સિનેશનના ડબલ ડોઝના સુરક્ષા કવચનો અભાવ ધરાવતા તમામ પરિવારનો સંપર્ક કરો”
“સ્થાનિક સ્તરે અંતરાલને દૂર કરીને રસીકરણના સંતૃપ્તિ માટે અત્યાર સુધીના અનુભવને ધ્યાનમાં રાખીને સૂક્ષ્મ વ્યૂહરચનાઓ વિકસાવો”
“જિલ્લાઓને રાષ્ટ્રીય સરેરાશની નજીક લાવવા માટે તમારે તમારા સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરવાના રહેશે”
“તમે સ્થાનિક ધાર્મિક નેતાઓ પાસેથી મદદ લઈ શકો છો. વેક્સિનેશન માટે તમામ ધર્મના નેતાઓ હંમેશાં માર્ગદર્શક રહ્યા છે”
“નિર્ધારિત સમયમાં બીજો ડોઝ નહીં લેનારા લોકોને તમારે પ્રાથમિકતાના ધોરણે સંપર્ક કરવાનો રહેશે”

આપ સૌ સાથીઓએ જે વાત કરી, જે અનુભવો વ્યક્ત કર્યા તે ખૂબ જ મહત્વના છે. હું જોઈ રહ્યો છું કે તમારા દિલમાં એવી ભાવના છે કે ભાઈ તમારૂં રાજ્ય, તમારો વિસ્તાર આ સંકટમાંથી વહેલામાં વહેલી તકે મુક્ત થઈ જાય. દિવાળીના આ તહેવારોમાં મુખ્યમંત્રીઓની વ્યસ્તતા હું સમજી શકું છું. અને હું પણ તમામ માનનિય મુખ્યમંત્રીઓનો ખૂબ જ આભારી છું કે તે સમય કાઢીને આપણી સાથે બેઠા છે. એ સાચી વાત છે કે હું જિલ્લાના લોકો સાથે વાત કરવા માંગતો હતો, મુખ્યમંત્રીઓને પરેશાન કરવા ઈચ્છતો ન હતો, પરંતુ આ એક કટિબધ્ધતા છે. મુખ્યમંત્રીઓના દિલમાં પણ પોતાના રાજ્યનું 100 ટકા રસીકરણ કરવાનું તેમનું લક્ષ્ય છે તેથી મુખ્યમંત્રી પણ આજે આપણી સાથે બેઠા અને તેમની હાજરી આપણાં જિલ્લાના જે અધિકારીઓ છે તેમને એક નવો વિશ્વાસ પૂરો પાડશે, એક નવી તાકાત આપશે. અને મારા માટે પણ એ ખૂબ જ આનંદની વાત છે. એટલા માટે જ હું ખાસ કરીને મુખ્યમંત્રીઓનો વિશેષ આભાર માનું છું. તેમણે આ બાબતને મહત્વ આપ્યું અને સમય કાઢીને તહેવારોના આજના દિવસોમાં પણ આપણી સાથે બેઠા છે.

હું હૃદયપૂર્વક તમામ મુખ્યમંત્રીઓને ધન્યવાદ આપું છું, અને મને વિશ્વાસ છે કે આજે જે વાતો થઈ છે, તે હવે મુખ્યમંત્રીજીના આશીર્વાદ પછી તે ખૂબ જ ઝડપથી આગળ ધપશે અને આપણને પરિણામ પ્રાપ્ત થશે. અને હું કહેવા માંગુ છું કે આજ સુધીમાં આપણે જેટલી પ્રગતિ હાંસલ કરી છે તે આપ સૌની મહેનતના કારણે શક્ય બની શકી છે. આજે જિલ્લાના, ગામના, નાના- મોટા દરેક કર્મચારી, આપણી આશાવર્કર બહેનોએ કેટલી મહેનત કરી છે, કેટલા દૂર દૂરના વિસ્તારોમાં પગપાળા ચાલી ચાલીને લોકો સુધી રસીકરણ પહોંચાડ્યું છે, પરંતુ એક અબજ પછી આપણે થોડાં ઢીલા પડી ગયા હોઈએ તો નવું સંકટ આવી શકે છે. અને એટલા માટે જ આપણે ત્યાં કહેવામાં આવે છે કે બીમારી અને દુશ્મનને ક્યારેય ઓછો આંકવો જોઈએ નહીં. તેની સાથે અંત સુધી લડાઈ લડવી પડે છે. અને એટલા માટે હું ઈચ્છું છું કે આપણે થોડીક પણ ઢીલાશ રાખવી જોઈએ નહીં.

સાથીઓ,

100 વર્ષની આ સૌથી મોટી મહામારીમાં દેશે અનેક પડકારોનો સામનો કર્યો છે. કોરોના સાથેની દેશની લડતમાં એક ખાસ બાબત એ હતી કે આપણે નવા નવા ઉપાયો શોધ્યા હતા. નવતર પ્રકારની પધ્ધતિઓ અજમાવી હતી. દરેક વિસ્તારમાં લોકોએ પોતાના દિમાગમાંથી નવી નવી ચીજો હાથ ધરી હતી. તમારે પણ તમારા જિલ્લામાં રસીકરણ વધારવામાં નવી નવી અને નવતર પ્રકારની પધ્ધતિઓ દ્વારા વધુને વધુ કામ કરવાનુ રહેશે. નવી પધ્ધતિઓ, નવો ઉત્સાહ, નવી ટેકનિક આ પ્રક્રિયાને જીવંત બનાવશે. તમારે પણ એ યાદ રાખવાનું રહેશે કે દેશના જે રાજ્યોએ પ્રથમ ડોઝના 100 ટકા રસીકરણનો મુકામ પાર કર્યો છે તેમાં પણ ઘણાં સ્થળોએ અલગ અલગ પ્રકારના પડકારો રહ્યા છે. ક્યાંક ભૌગોલિક પરિસ્થિતિને કારણે પણ મુશ્કેલી પડી છે, તો ક્યાંક સાધન અને સ્રોતોનો પડકાર ઉભો થયો છે, પરંતુ આ જિલ્લા પડકારોને પાર કરીને જ આગળ વધી શક્યા છે. રસીકરણ સાથે જોડાયેલો ઘણાં મહિનાઓનો અનુભવ આપણી સાથે છે. આપણે ઘણું બધુ શિખ્યા છીએ અને એક અજાણ્યા દુશ્મન સાથે કેવી રીતે લડી શકાય છે તે આપણી નાની નાની આશા વર્કર્સે પણ શિખી લીધું છે. હવે આપણે માઈક્રો વ્યૂહરચના બનાવીને આગળ ધપવાનું છે. હવે આપણે રાજ્યનો હિસાબ, જિલ્લાનો હિસાબ આ બધુ ભૂલી જઈએ, આપણે દરેક ગામ, ગામમાં પણ મહોલ્લા અને તેમાં પણ ચાર ઘર બાકી રહી ગયા હોય તો તે ચારેય ઘર ઝીણવટ સાથે જેટલા બહાર આવશે તો આપણને પરિણામ પ્રાપ્ત થશે અને જે કોઈપણ સ્થળે, જે કોઈપણ ઊણપો છે તેને વહેલામાં વહેલી તકે દૂર કરીને જ રહેવાનું છે. જે રીતે તમારી સાથેની વાતચીતમાં મેં ખાસ કેમ્પ ઉભા કરવાની વાત કરી તો તે વિચાર સારો છે. પોતાના જિલ્લાના દરેક ગામમાં એક એક કસબા માટે જો અલગ-અલગ રણનીતિ બનાવવાની હોય તો તે પણ બનાવો. તમે વિસ્તાર મુજબ 20 થી 25 વ્યક્તિઓની ટૂકડી બનાવીને આ કામગીરી કરી શકો છો. તમે જે ટૂકડીઓ બનાવો તેમાં પણ એક તંદુરસ્ત સ્પર્ધા થાય તેવો પ્રયાસ પણ આપણે કરી શકીએ છીએ. આપણા જે એનસીસી અને એનએસએસના જે યુવા સાથીદારો છે તેમની વધુમાં વધુ મદદ લો અને તમે તમારા જિલ્લાનું વિસ્તાર મુજબ સમય-પત્રક પણ બનાવી શકો છો. પોતાના સ્થાનિક લક્ષ્ય નક્કી કરી શકો છો. હું જ્યારે પાયાના સ્તરે સરકારના આપણાં સાથીદારો સાથે વાત કરતો રહેતો હોઉં છું ત્યારે મેં જોયું છે કે રસીકરણની કામગીરી સાથે જોડાયેલી મહિલા અધિકારીઓ દિલથી આ કામગીરીમાં લાગી ગયા છે અને તેમણે સારાં પરિણામો આપ્યા છે. આપણાં જે મહિલા કાર્યકરો છે, પોલિસમાં પણ આપણી જે મહિલાઓ છે તે ક્યારેક ક્યારેક તો સાત સાત દિવસ સુધી આ કામમાં લાગેલી રહી છે. તમે જોશો કે તેનું પરિણામ ખૂબ ઝડપથી મળી રહ્યું છે. તમારા જિલ્લા જલ્દીથી રાષ્ટ્રીય સરેરાશની નજીક પહોંચે તેવી મારી ઈચ્છા છે. તેનાથી પણ આગળ નિકળી જાય તે માટે તમારે પૂરી તાકાત લગાવવાની રહેશે. મને ખાત્રી છે કે તમારી સામે એક પડકાર, અફવાઓ અને લોકોમાં ભ્રમની સ્થિતિનો પણ છે. અને જેમ જેમ આપણે આગળ વધતાં જઈશું તેમ તેમ આવી સમસ્યાઓ કદાચ કેટલાક ગીચ વિસ્તારોમાં સામે આવશે. હમણા વાતચીત દરમ્યાન તમારામાંથી કેટલાંક લોકો એ ઉલ્લેખ કર્યો છે અને તેનો એક મોટો ઉપાય એ છે કે લોકોને વધુને વધુ પ્રમાણમાં જાગૃત કરવામાં આવે. આ કામગીરીમાં તમે સ્થાનિક ધર્મગુરૂઓનો પણ ઉપયોગ કરી શકો છો, તેમની મદદ લો. નાના નાના બે- બે ત્રણ-ત્રણ મિનિટના વિડીયો બનાવો અને આ વિડીયોને લોકપ્રિય બનાવો. દરેક ઘરમાં આ ધર્મગુરૂઓના વિડીયો પહોંચાડો. ધર્મગુરૂઓ તેમને સમજાવે તે માટે તમે પ્રયાસ કરો. હું તો ઘણી વખત અલગ અલગ પંથના ગુરૂઓને સતત મળતો જ રહું છું. મેં ઘણાં સમય પહેલાં તમામ ધર્મગુરૂઓ સાથે વાતચીત કરીને તેમને આ કામગીરીમાં મદદ કરવા માટે અપીલ કરી હતી. તમામ ધર્મગુરૂઓ રસીકરણના મોટા હિમાયતી છે, કોઈ વિરોધ કરતા નથી. હજુ બે દિવસ પહેલાં જ વેટીકનમાં મારી પોપ ફ્રાન્સીસ સાથે પણ મુલાકાત થઈ હતી. રસી અંગે ધર્મગુરૂઓના સંદેશને પણ જનતા સુધી પહોંચાડવા માટે વધુ આગ્રહ રાખવો પડશે.

સાથીઓ,

તમારા જિલ્લામાં રહેનારા લોકોની સહાયતા માટે, તેમને પ્રેરણા પૂરી પાડવા માટે રસીકરણ અભિયાનને હવે ઘર ઘર સુધી લઈ જવાની તૈયારી કરવાની છે. દરેક ઘરે દસ્તક (ટકોરા)ના મંત્ર સાથે આપણે દરેક ઘરે દસ્તક કરીશું. જ્યાં અત્યાર સુધીમાં બે રસીના ડોઝનું સંપૂર્ણ સુરક્ષા કવચ મળ્યું નથી, અત્યાર સુધીમાં તમે તમામ લોકોને રસીકરણ કેન્દ્ર સુધી પહોંચાડવાનું અને ત્યાં સુરક્ષિત રસીકરણ કરવાની વ્યવસ્થા કરી હતી. હવે હર ઘર ટીકા, ઘર ઘર ટીકા ની ઝૂંબેશ સાથે આપણ ઘેર ઘેર પહોંચવાનું છે.

સાથીઓ,

આ અભિયાનની સફળતા માટે આપણે કોમ્યુનિકેશન માટે ટેકનોલોજીથી માંડીને આપણી સામાજીક માળખાકિય સુવિધાઓનો પણ ભરપૂર ઉપયોગ કરવાનો છે. આપણી પાસે દેશના અનેક રાજ્યોમાં, અનેક જિલ્લાઓમાં આવા મોડલ છે, જે દૂર દૂરના ગામથી માંડીને શહેરો સુધી 100 ટકા રસીકરણ માટે અપનાવવામાં આવ્યા છે. સામાજિક અથવા ભૌગોલિક પરિસ્થિતિઓને આધારે જે પણ મોડલ તમારી પાસે હોય અથવા કોઈ ચોક્કસ ક્ષેત્ર માટે અનુકૂળ હોય તો તેને જરૂર અપનાવવાં જોઈએ. તમે વધુ એક કામ કરી શકો છો. તમારા સાથીદારોએ અને તમારા સહયોગીઓએ અન્ય જિલ્લાઓમાં ઝડપભેર રસીકરણ કર્યું છે. શક્ય છે કે તમે જે પડકારોનો સામનો કરી રહ્યા છો તેવા પડકારોમાંથી તે લોકો પણ પસાર થયા હશે. તમે તેમની પાસેથી પણ જાણકારી મેળવો. તેમણે રસીકરણની ગતિ કેવી રીતે આગળ વધારી, સમસ્યાના ઉપાયો કેવી રીતે શોધી કાઢ્યા, કેવી નવી નવી પધ્ધતિઓ અપનાવી તેની જાણકારી માટે તમે કરેલો એક ફોન-કૉલ પણ જિલ્લામાં પરિવર્તન લાવી શકે છે. તે જિલ્લામાં જો કોઈ નવતર પ્રકારની કામગીરી કરી હોય, કોઈ સારી પ્રણાલિ અપનાવી હોય તો તમે પોતાના જિલ્લામાં પણ તેનું પુનરાવર્તન કરી શકો છો. આપણાં જે આદિવાસી, વનવાસી સાથી છે તેમને રસી આપવા માટે પણ આપણાં પ્રયાસો વધારવા પડશે. અત્યાર સુધીના આપણા અનુભવ દર્શાવતા હતા કે સ્થાનિક નેતૃત્વ, સમાજના અન્ય સન્માનિત સાથીઓનો સાથ અને સહયોગ પણ એક મોટું પરિબળ બની રહે છે. આપણે કેટલાક દિવસો પણ નક્કી કરવાના છે, જેમ કે બિરસા મુંડાજીની જયંતિ પણ આવશે. બિરસા મુંડાજીની જયંતિ પહેલાં સમગ્ર આદિવાસી વિસ્તારમાં વાતાવરણ ઉભુ કરવામાં આવે. આવી કેટલીક લાગણીલક્ષી બાબતો આપણે જોડીશું અને હું ઈચ્છું છું કે આ આદિવાસી સમુદાયમાં પણ સંપૂર્ણ રસીકરણ કરવામાં આવે તેવો અભિગમ ખૂબ જ કામે લાગશે. રસીકરણ સાથે જોડાયેલા કોમ્યુનિકેશનને આપણે સરળ બનાવીશું, સ્થાનિક ભાષાઓ અને બોલીઓનો ઉપયોગ કરીશું. મેં જોયું છે કે કેટલાક લોકોએ તો ગીત પણ બનાવ્યા છે. ગ્રામીણ ભાષામાં ગીત ગાતાં ગાતાં રસીકરણની વાત કરવામાં આવે તો તેના બહેતર પરિણામો મળશે.

 

 

સાથીઓ,

આપણે દરેક ઘરે ટકોરા મારતાં પહેલાં, પ્રથમ ડોઝની સાથે સાથે બીજા ડોઝ અંગે પણ એટલું જ ધ્યાન આપવાનું છે, કારણ કે જ્યારે પણ સંક્રમણના કેસ ઓછા થવા લાગે છે ત્યારે ઘણી વાર તાકીદની સ્થિતિની ભાવના ધીમી પડતી જાય છે. લોકોને પણ એવું લાગે છે કે હવે આટલી શું ઉતાવળ છે, લગાવી દઈશું. મને યાદ છે કે જ્યારે આપણે એક અબજનો આંક પાર કરી દીધો હતો ત્યારે હું હોસ્પિટલમાં ગયો હતો અને ત્યાં મને એક સજ્જન મળ્યા હતા. મેં તેમની સાથે વાત કરી કે આટલા દિવસ સુધી તમે રસી કેમ લીધી નહીં, તો કહેવા લાગ્યા કે નહીં, હું તો પહેલવાન છું, મને મનમાં થતું હતું કે તેની શું જરૂર છે, પણ હવે જ્યારે એક અબજનો આંક પાર થઈ ગયો છે ત્યારે મને લાગે છે કે મને અછૂત માનવામાં આવશે અને લોકો જ્યારે મને પૂછશે ત્યારે મારૂં મસ્તક નીચે ઝૂકી જશે. મને મનમાં થયુ કે હવે હું પણ રસી લગાવી લઉં. એટલા માટે અહિં આવ્યો છું અને એટલા માટે જ કહું છું કે આપણે કોઈપણ હાલતમાં લોકોના રસી લેવાના વિચારને ધીમો પડવા દેવાનો નથી. આવા વિચારને કારણે જ દુનિયાના અનેક દેશોમાં, તમે જુઓ સારા સારા સમૃધ્ધ દેશોમાં ફરીથી કોરોના અંગે ચિંતા ઉભી થાય તેવા સમાચાર આવી રહ્યા છે. આપણાં દેશમાં તો આપણે આવી સ્થિતિનો સ્વિકાર કરી શકીએ તેમ નથી, આપણે આવી સ્થિતિ સ્વિકારી શકીએ તેમ નથી અને એટલા જ માટે રસીના બંને ડોઝ નિશ્ચિત સમયે લેવા ખૂબ જ જરૂરી છે. તમારા વિસ્તારમાં જે લોકોએ અત્યાર સુધી નિશ્ચિત સમય પૂરો થવા છતાં પણ રસીનો બીજો ડોઝ લીધો નથી તેમનો પણ તમારે અગ્રતાના ધોરણે સંપર્ક કરવાનો રહેશે અને તેમને બીજો ડોઝ આપવાનો રહેશે.

સાથીઓ,

સૌને રસી, મફત રસી અભિયાન હેઠળ આપણે આશરે એક દિવસમાં અઢી કરોડ લોકોને રસી આપવાની સ્થિતિ જોઈ ચૂક્યા છીએ. આપણી તાકાતનો આપણને અનુભવ થયો છે અને તે બાબત દર્શાવે છે કે આપણી ક્ષમતા શું છે, આપણું સામર્થ્ય શું છે. રસીને ઘર ઘર સુધી પહોંચાડવા માટે જરૂરી જે પણ સપ્લાય ચેઈન નેટવર્ક છે તે તૈયાર છે. આ મહિને કેટલી રસી ઉપલબ્ધ થશે તેની વિસ્તૃત જાણકારી દરેક રાજ્યને આગોતરી પૂરી પાડવામાં આવી ચૂકી છે. એટલા માટે તમે તમારી સુવિધા મુજબ આ મહિને પોતાનો લક્ષ્યાંક અગાઉથી નક્કી કરી શકો છો. હું ફરી એક વખત કહીશ કે આ વખતે એક અબજ ડોઝ પછી દિવાળી ઉજવવાનો ઉમંગ આવ્યો છે. આપણે નવું લક્ષ્ય પાર કરીને ક્રિસમસને ઉમંગથી મનાવીશું તેવા મિજાજ સાથે આપણે આગળ ધપવાનું છે.

અંતમાં હું આપ સૌ સાથીઓને એક વાત યાદ અપાવવા માંગુ છું કે તમે એ દિવસ યાદ કરો કે જ્યારે તમારી સરકારી સર્વિસનો પ્રથમ દિવસ હતો. હું તમામ જિલ્લાના અધિકારીઓને તેમની સાથે બેઠેલી ટીમને પણ ખૂબ જ હૃદયપૂર્વક અપીલ કરવા માંગુ છું કે તમે કલ્પના કરો કે જે દિવસે ફરજનો પ્રથમ દિવસ હતો, જે દિવસે તમે મસૂરીમાંથી તાલિમ લઈને બહાર નિકળ્યા હતા તે દિવસે તમે કેવી ભાવનાઓથી સભર હતા, તમારો ઉત્સાહ કેવો હતો, તમારા સપનાં કેવા હતા. મને પાકો વિશ્વાસ છે કે તમારા મનમાં એવો ઈરાદો હશે કે તમે સારૂં કામ કરી બતાવશો, કશુંક નવું કરશો, સમાજ માટે દિલ લગાવીને કામમાં લાગી જશો. ફરી એક વખત તે સપનાંને યાદ કરો, તે સંકલ્પોને યાદ કરો અને આપણે નક્કી કરીએ કે સમાજમાં જે લોકો પછાત છે, જે લોકો વંચિત છે તેમના માટે, પોતાનું જીવન સમર્પિત કરવાનો આનાથી મોટો કોઈ અવસર હોઈ શકે નહીં તેવી ભાવના સાથે કામમાં જોડાઈ જાવ. મને વિશ્વાસ છે કે તમારા સહિયારા પ્રયાસોથી, ખૂબ ઝડપથી તમને જિલ્લામાં રસીકરણની સ્થિતિમાં સુધારો જોવા મળશે. આવો, દરેક ઘરે ટકોરા મારો,આપણે ઘેર ઘેર જઈને રસીકરણ અભિયાનને સફળ બનાવીએ. આજે દેશના જે લોકો મને સાંભળી રહ્યા છે તે બધાંને હું કહેવા માંગુ છું કે તમે પણ આગળ આવો, અને તમે રસી લીધી હોય તો તે સારી બાબત છે, પણ બીજા લોકોને રસી લગાવવા માટે મહેનત કરો. નક્કી કરો કે દરરોજ 5 વ્યક્તિ, 10 વ્યક્તિ કે 2 વ્યક્તિને આ કામ કરવામાં લગાવશો. આ માનવતાનું કામ છે, ભારત માતાની સેવાનું કામ છે. 130 કરોડ દેશવાસીઓના કલ્યાણનું કામ છે. આમાં આપણે કોઈ બેદરકારી દાખવવાની નથી. આપણી દિવાળી એવા સંકલ્પ સાથેની દિવાળી બને કે આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આઝાદીનું 75મું વર્ષ ખુશીઓથી ભરેલું હોય, આત્મવિશ્વાસથી ભરેલું હોય, એક નવા ઉમંગ અને ઉત્સાહથી ભરેલુ હોય તે માટે ખૂબ ઓછા સમયમાં મહેનત કરવાની છે. મને આપ સૌ ઉપર ભરોંસો છે, તમારા જેવી યુવા ટીમ પર મને ભરોંસો છે અને એટલા માટે જ મેં જાણી જોઈને પરદેશથી પરત ફરવાની સાથે જ મારા દેશના આ સાથીઓને મળવાનો વિચાર કર્યો. તમામ મુખ્યમંત્રી પણ હાજર રહે તેની કેટલી ગંભીરતા ઊભી થાય છે તે આજે મુખ્યમંત્રીઓએ પણ બતાવી દીધુ છે. હું તમામ મુખ્યમંત્રીઓનો પણ આભારી છું. હું ફરી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.

નમસ્કાર.

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum

Media Coverage

'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives in fire mishap in Arpora, Goa
December 07, 2025
Announces ex-gratia from PMNRF

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives in fire mishap in Arpora, Goa. Shri Modi also wished speedy recovery for those injured in the mishap.

The Prime Minister informed that he has spoken to Goa Chief Minister Dr. Pramod Sawant regarding the situation. He stated that the State Government is providing all possible assistance to those affected by the tragedy.

The Prime Minister posted on X;

“The fire mishap in Arpora, Goa is deeply saddening. My thoughts are with all those who have lost their loved ones. May the injured recover at the earliest. Spoke to Goa CM Dr. Pramod Sawant Ji about the situation. The State Government is providing all possible assistance to those affected.

@DrPramodPSawant”

The Prime Minister also announced an ex-gratia from PMNRF of Rs. 2 lakh to the next of kin of each deceased and Rs. 50,000 for those injured.

The Prime Minister’s Office posted on X;

“An ex-gratia of Rs. 2 lakh from PMNRF will be given to the next of kin of each deceased in the mishap in Arpora, Goa. The injured would be given Rs. 50,000: PM @narendramodi”