શાળામાં મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કર્યો
સિંધિયા સ્કૂલની 125મી વર્ષગાંઠના સન્માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી
પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ટોચની પ્રાપ્તકર્તાઓને શાળાના વાર્ષિક એવોર્ડ રજૂ કરે છે
"મહારાજા માધો રાવ સિંધિયા-આઈજી એક સ્વપ્નદ્રષ્ટા હતા, જેમનું સપનું હતું કે આવનારી પેઢીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવામાં આવે"
"છેલ્લા એક દાયકામાં, રાષ્ટ્રના અભૂતપૂર્વ લાંબા ગાળાના આયોજનને કારણે અભૂતપૂર્વ નિર્ણયો લેવામાં આવ્યા છે"
"અમારો પ્રયાસ છે કે, આજના યુવાનો સમૃદ્ધ થાય તે માટે દેશમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવે"
"સિંધિયા સ્કૂલના દરેક વિદ્યાર્થીએ ભારતને વિકસિત ભારત બનાવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, પછી તે વ્યાવસાયિક વિશ્વમાં હોય કે અન્ય કોઈ પણ સ્થળે હોય"
"આજે ભારત જે પણ કરી રહ્યું છે, તે તેને મોટા પાયે કરી રહ્યું છે"
"તમારું સ્વપ્ન એ જ મારો સંકલ્પ છે"

મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ, અહીંના લોકલાડીલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, સિંધિયા સ્કૂલના નિદેશક મંડળના અધ્યક્ષ અને મંત્રીમંડળમાંના મારા સાથીદારો શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, શ્રી નરેન્દ્રસિંહ તોમર, ડૉ. જીતેન્દ્રસિંહ, શાળા સંચાલનના સાથીદારો અને તમામ કર્મચારીઓ, શિક્ષકો તેમજ વાલીઓ અને મારા વ્હાલા યુવાના મિત્રો!

સિંધિયા સ્કૂલના 125 વર્ષ પૂરા થવા પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે આઝાદ હિંદ સરકારનો સ્થાપના દિવસ પણ છે. હું તમામ દેશવાસીઓને આના માટે પણ અભિનંદન પાઠવું છું. હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું કે, મને અહીંના આ ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડવાની આપ સૌએ તક આપી. આ ઇતિહાસ સિંધિયા શાળાનો પણ છે અને આ ઐતિહાસિક ગ્વાલિયર શહેરનો પણ છે. ઋષિ ગ્વાલિપા, સંગીત સમ્રાટ તાનસેન, શ્રીમંત મહાદજી સિંધિયાજી, રાજમાતા વિજયરાજેજી, અટલ બિહારી વાજપેયીજી અને ઉસ્તાદ અમજદ અલી ખાંથી લઇને ગ્વાલિયરની આ ભૂમિ કે જે પેઢીઓ સુધી લોકોને પ્રેરણા આપે તેવા લોકોને તેણે જન્મ આપ્યો છે.

 

આ ધરતી નારી શક્તિ અને વીરંગાનાઓની તપોભૂમિ છે. મહારાણી ગંગાબાઇએ આ ધરતી પર જ પોતાના ઘરેણાં વેચીને સ્વરાજ યુદ્ધ માટે સેના તૈયાર કરાવી હતી. આથી ગ્વાલિયર આવવું એ પોતાની રીતે જ એક ખૂબ આનંદદાયક અનુભવ છે. અન્ય બે કારણો પણ એવા છે જેના કારણે ગ્વાલિયર સાથે મારો ખાસ સંબંધ રહ્યો છે. સૌથી પહેલું તો, હું કાશીનો સાંસદ છું અને સિંધિયા પરિવારે કાશીની સેવા કરવામાં અને આપણી સંસ્કૃતિને બચાવવામાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે. સિંધિયા પરિવારે ગંગાના કિનારે કેટલાય ઘાટનું નિર્માણ કરાવ્યું છે અને BHUની સ્થાપના માટે પણ આર્થિક મદદ કરી છે. આજે જે પ્રકારે કાશીનો વિકાસ થઇ રહ્યો છે તે જોઇને આપણે કલ્પના કરી શકીએ છીએ કે મહારાણી બૈજાબાઇ અને મહારાજ માધવ રાવજીનો આત્માને કેટલી શાંતિ થતી હશે, તેઓ જ્યાં પણ હશે ત્યાં કેટલાક ખુશ થતા હશે.

અને જે રીતે મેં કહ્યું કે બે કારણો છે, ચાલો હું તમને બીજું કારણ પણ જણાવી દઉં. ગ્વાલિયર સાથે મારું બીજું પણ એક જોડાણ છે. આપણા જ્યોતિરાદિત્યજી ગુજરાતના જમાઇ છે. આ કારણે પણ મારો ગ્વાલિયર સાથે સંબંધ છે. બીજો પણ એક સંબંધ એ છે કે, મારું ગામ ગાયકવાડ રજવાડાનું ગામ હતું. અને મારા ગામમાં બનેલી પ્રથમ પ્રાથમિક શાળાનું નિર્માણ ગાયકવાડ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. અને હું ભાગ્યશાળી હતો કે ગાયકવાડજીએ બનાવેલી શાળામાં મને મફત પ્રાથમિક શિક્ષણ મળતું હતું.

મિત્રો,

આપણે ત્યાં કહેવાય છે કે, - मनस्येकं वचस्येकं कर्मण्येकं महात्मानाम्।

એટલે કે, સજ્જન મનમાં જે વિચારે એવું જ એ કહે છે અને એવું જ એ કરે પણ છે. એક કર્તવ્ય પરાયણ વ્યક્તિત્વની આ જ ઓળખ છે. કર્તવ્ય પરાયણ વ્યક્તિ તાત્કાલિક લાભ માટે નહીં પરંતુ આવનારી પેઢીઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે કામ કરે છે. એક જૂની કહેવત પણ છે. જો તમે એક વર્ષનો વિચાર કરતા હોવ તો અનાજ વાવો. જો તમે એક દાયકાનું વિચારી રહ્યા હોવ તો ફળોના વૃક્ષો વાવો. અને જો તમે સદીનું વિચારતા હોવ તો શિક્ષણને લગતી સંસ્થાઓનું નિર્માણ કરાવો.

મહારાજા માધવરાવ સિંધિયા પ્રથમજી, તેમની આ જ વિચારસરણી તાત્કાલિક લાભ વિશે નહોતી પરંતુ આવનારી પેઢીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી હતી. સિંધિયા શાળાનું નિર્માણ એ તેમની દૂરોગામી વિચારધારાનું જ પરિણામ હતું, તેઓ સારી રીતે જાણતા હતા કે માનવ સંસાધનમાં કેટલી તાકાત રહેલી છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે, માધોરાવજીએ જે ભારતીય પરિવહન કંપનીની સ્થાપના કરી હતી , તે આજે પણ દિલ્હીમાં DTC તરીકે કામ કરી રહી છે. ભાવિ પેઢીઓ માટે જળ સંરક્ષણ પર પણ તેઓ એટલું જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા. તેમણે તે સમયગાળા દરમિયાન પાણી અને સિંચાઇની ખૂબ જ મોટી વ્યવસ્થા કરી હતી. આ જે 'હરસી ડેમ' છે, તે 150 વર્ષ પછી પણ એશિયાનો સૌથી મોટો માટીમાંથી બનાવેલો ડેમ છે. આ ડેમ આજે પણ લોકો માટે કામ કરી રહ્યો છે. માધવરાવજીના વ્યક્તિત્વમાંથી આ દૂરંદેશી આપના સૌના શીખવા જેવી બાબત છે. શિક્ષણ હોય, કારકિર્દી હોય, જીવન હોય કે પછી રાજનીતિ હોય, શોર્ટ કટ તમને ભલે તાત્કાલિક લાભ લાવી શકતો હોય, પરંતુ તમારે લાંબા ગાળાના વિચાર સાથે જ કામ કરવું જોઇએ. કોઇ પણ વ્યક્તિ જે સમાજ કે રાજનીતિમાં તાત્કાલિક સ્વાર્થ માટે કામ કરે છે તે સમાજ અને રાષ્ટ્રને નુકશાન જ કરે છે.

 

મિત્રો,

વર્ષ 2014માં જ્યારે દેશે મને પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સોંપી ત્યારે મારી સામે બે વિકલ્પો હતા. કાં તો માત્ર તાત્કાલિક લાભ માટે કામ કરવું અથવા લાંબા ગાળાનો અભિગમ અપનાવો. અમે નક્કી કર્યું હતું કે, અમે 2 વર્ષ, 5 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ જેવા અલગ અલગ સમયગાળાને ધ્યાનમાં રાખીને તેમના માટે કામ કરીશું. આજે તમે કહી શકો કે અમારી સરકાર 10 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ 10 વર્ષમાં લાંબા ગાળાના આયોજન સાથે દેશે લીધેલા નિર્ણયો અભૂતપૂર્વ છે. અમે દેશને ઘણા પડતર રહેલા નિર્ણયોના બોજમાંથી મુક્ત કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની માંગ 60 વર્ષથી ચાલી રહી હતી. અમારી સરકારે આ કામ કરી બતાવ્યું છે. ભૂતપૂર્વ સૈનિકોને એક રેન્ક એક પેન્શન આપવામાં આવે તેવી માંગ 40 વર્ષથી અધુરી હતી. અમારી સરકારે આ કામ કર્યું છે. GSTનો અમલ કરવામાં આવે તેવી 40 વર્ષથી થઇ રહી હતી. આ કામ પણ અમારી સરકારે જ કરી બતાવ્યું છે.

દાયકાઓથી મુસ્લિમ મહિલાઓ ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવવાની માંગ કરી રહી હતી. ત્રણ તલાક વિરુદ્ધ કાયદો પણ અમારી સરકારના શાસન દરમિયાન જ ઘડવામાં આવ્યો છે. તમે જોયું જ હશે કે થોડા અઠવાડિયા પહેલાં જ લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે અનામતનો કાયદો ઘડવામાં આવ્યો છે. આ કામ પણ દાયકાઓથી પડતર હતું. નારી શક્તિ વંદન અધિનિયમ પણ અમારી સરકારે જ બનાવ્યો છે.

મારી પાસે કામોની યાદી એટલી બધી લાંબી છે કે તે ગણાવીશ તો આખી રાત વીતી જશે. હું તો તમને આમાંથી માત્ર કેટલાક એવા મોટા નિર્ણયો જ જણાવી રહ્યો હતો... જે અમારી સરકારે જો આ નિર્ણયો ન લીધા હોત તો વિચારો કે આ બોજ કોના પર ગયો હોત? જો અમે આ કામ ન કર્યું હોત તો બીજે ક્યાં જવાનું હતું, તમારી પેઢી પર જાત? તેથી મેં તમારી પેઢીનો પણ થોડો ભાર હળવો કરી દીધો છે. અને મારો પ્રયાસ એવો જ રહ્યો છે કે, આજની યુવા પેઢી માટે દેશમાં ખૂબ જ સકારાત્મક માહોલનું નિર્માણ કરવામાં આવે. એવો માહોલ કે જેમાં તમારી પેઢી પાસે તકોની કોઇ કમી ન હોય. એવો માહોલ કે જેમાં ભારતના યુવાનો મોટા સપનાં જોઇ શકે અને તેને સિદ્ધ પણ કરી શકે. સપનું મોટું જુઓ અને વિરાટ સિદ્ધિ હાંસલ કરો. અને હું તમને આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે જ્યારે સિંધિયા શાળા તેના 150 વર્ષ પૂર્ણ કરશે... ત્યારે દેશ પણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર હશે. આ એક સીમાચિહ્નરૂપ હશે – ભારતની આઝાદીના 100 વર્ષ.

આજે આપણે સૌએ સંકલ્પ લીધો છે કે, આગામી 25 વર્ષમાં આપણે દેશને ચોક્કસ વિકસિત બનાવીશું. અને આ તમારે જ કરવાનું છે, ભારતની યુવા પેઢીએ જ કરવાનું છે. મારો વિશ્વાસ આપ સૌ યુવાનો પર છે, આપ સૌ યુવાનો પર વિશ્વાસ ટકેલો છે, આપ સૌ યુવાનોના સામર્થ્ય પર મારો વિશ્વાસ ટકેલો છે. અને હું આશા રાખું છું કે, તમે આ સપનાઓને વળગી રહેશો અને તે મુજબ કામ કરશો, સપનાઓને સંકલ્પોમાં પરિવર્તિત કરશો અને જ્યાં સુધી તમારો સંકલ્પ સિદ્ધ ન થાય ત્યાં સુધી અટકશો નહીં.

આગામી 25 વર્ષ ભારત માટે એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા તમારા જીવન માટે છે. સિંધિયા શાળાના દરેક વિદ્યાર્થીમાં આ સંકલ્પ હોવો જોઇએ - હું વિકસિત ભારતનું નિર્માણ કરીશ. મિત્રો, તમે  બધુ કરશો ને, બોલો કરશો ને? હું રાષ્ટ્ર પ્રથમના વિચાર સાથે દરેક કરીશ. હું આવિષ્કાર કરીશ, હું સંશોધન કરીશ, હું વ્યાવસાયિક દુનિયામાં રહું કે પછી અન્ય કોઇ જગ્યાએ રહું, ભારતને હું વિકસિત બનાવીને જ જંપીશ.

 

અને મિત્રો,

શું તમે જાણો છો કે, સિંધિયા શાળામાં મને આટલો બધો વિશ્વાસ કેમ છે? કારણ કે હું તમારી શાળાના કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ ખૂબ નજીકથી જાણું છું. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી ભાઇ જિતેન્દ્રસિંહજી મંચ પર બેઠા છે. તેઓ પણ તમારી શાળામાં જ ભણ્યા હતા. રેડિયો પર જેમના અવાજો સાંભળીને આપણે મંત્રમુગ્ધ થઇ જતા હતા, તે અમીન સયાનીજી, લેફ્ટનન્ટ જનરલ મોતી દારજી, કે જેમણે અહીં અદ્ભુત રજૂઆત કરી હતી, મીત બ્રધર્સ અને હુડ-હુડ દબંગ સલમાન ખાન તેમજ મારા મિત્ર નીતિન મુકેશજી કે જેઓ અહીં બેઠા છે. સિંધિયા શાળાના વિદ્યાર્થીઓનું કેનવાસ એટલું બધું મોટું છે કે આપણે તેમાં તમામ પ્રકારના રંગો જોઇ શકીએ છીએ.

મારા યુવાન મિત્રો, વિષ્ણુ પુરાણમાં લખ્યું છે કે,

गायन्ति देवाः किल गीतकानि, धन्यास्तु ते भारतभूमिभागे।

એટલે કે દેવતાઓ પણ એ જ ગીત ગાય છે કે, જેમણે આ ભારત ભૂમિ પર જન્મ લીધો છે તે મનુષ્યો તો દેવતાઓ કરતાં પણ વધારે ભાગ્યશાળી છે. આજે ભારત જે સફળતાની ઊંચાઇઓ સર કરી રહ્યું છે તે અભૂતપૂર્વ છે. સમગ્ર વિશ્વમાં ભારતનો પ્રભાવ જામેલો છે. 23 ઓગસ્ટના રોજ ભારત ચંદ્ર પર એવી જગ્યાએ પહોંચ્યું હતું, જ્યાં અત્યાર સુધી કોઇ દેશ પહોંચી શક્યો નથી. G-20માં પણ તમે જોયું હતું ને કે, ભારતનો ધ્વજ કેવી રીતે લહેરાતો હતો? આજે ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું વિરાટ અર્થતંત્ર છે. આજે ભારત વૈશ્વિક ફિનટેક અપનાવવાના દરમાં પ્રથમ ક્રમે છે. આજે ભારત વાસ્તવિક સમયના ડિજિટલ વ્યવહારોમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે આવે છે. આજે ભારત સ્માર્ટફોન ડેટા ઉપભોક્તાઓના સંદર્ભમાં પ્રથમ ક્રમે આવે છે.

આજે ભારત, ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યાના સંદર્ભમાં સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે આવે છે. આજે ભારત, વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ છે. આજે ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે. આજે ભારત, વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ઉપભોક્તા દેશ છે. આજે ભારત અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે. આજે સવારે તમે પોતે જ જોયું છે કે કેવી રીતે ગગનયાનની ટેસ્ટ ફ્લાઇટ અને 'ક્રુ એસ્કેપ પ્રણાલી'નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગ્વાલિયરમાં વાયુદળનો આટલો મોટો બેઝ આવેલો છે... તમે તેજસને આકાશમાં ઉડતા જોયા હશે. તમે સમુદ્રમાં INS વિક્રાંતની ગર્જના જોઇ હશે… આજે ભારત માટે કંઇ પણ અશક્ય નથી. ભારતની આ વધી રહેલી સંભાવના દરેક ક્ષેત્રમાં તમારા માટે નવી સંભાવનાઓ ઊભી કરી રહી છે.

જરા વિચારો કરો, 2014 પહેલાં આપણી પાસે માત્ર થોડાક સો જેટલા સ્ટાર્ટઅપ હતા. આજે ભારતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા લગભગ એક લાખ સુધી પહોંચી ગઇ છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતમાં 100 કરતાં પણ વધુ યુનિકોર્ન બની ગયા છે. તમે લોકો એ પણ જાણો છો કે, એક યુનિકોર્ન મતલબ... ઓછામાં ઓછી 8 હજાર કરોડ રૂપિયાની કંપની. સિંધિયા સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ અહીંથી નીકળ્યા પછી યુનિકોર્ન બનવાનું છે અને આપણા દેશનું નામ ઉજ્જવળ કરવાનું છે.

'દુનિયા તમારી મુઠ્ઠીમાં છે!!! અને સરકાર તરીકે, અમે પણ તમારા માટે નવા ક્ષેત્રો ખોલી આપ્યા છે. અગાઉ માત્ર સરકાર દ્વારા ઉપગ્રહો બનાવવામાં આવતા હતા અથવા તો વિદેશમાંથી મંગાવવામાં આવતા હતા. અમે તમારા જેવા યુવાનો માટે અવકાશ ક્ષેત્ર પણ ખોલી દીધું છે. અગાઉ, સંરક્ષણ સાધનો કાં તો સરકાર દ્વારા બનાવવામાં આવતા હતા અથવા વિદેશથી આયાત કરવામાં આવતા હતા. અમે તમારા જેવા યુવાનો માટે સંરક્ષણ ક્ષેત્ર પણ ખોલી દીધું છે. આવા તો ઘણા ક્ષેત્રો છે, જે હવે તમારા માટે ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે.

 

તમારે મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને આગળ વધારવાનો છે. તમારે આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ વધારવાનો છે. મારો બીજો એક મંત્ર પણ યાદ રાખો. હંમેશા આઉટ ઓફ બોક્સ એટલે કે સીમાઓથી બહારનું વિચારો. જ્યોતિરાદિત્ય સિંહજીના પિતાજી, આપણા માધવરાવ સિંધિયાજી જ્યારે રેલ્વે મંત્રી હતા, ત્યારે તેમણે શતાબ્દી ટ્રેનો શરૂ કરી હતી તેવી રીતે વિચારો. તેના ત્રણ દાયકા વીતિ ગયા ત્યાં સુધી ભારતમાં અન્ય કોઇ આવી આધુનિક ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી ન હતી. હવે વંદે ભારત ટ્રેન પણ દેશમાં લોકપ્રિય છે અને ગઇકાલે તમે નમો ભારતની ગતિ પણ જોઇ લીધી હશે.

મિત્રો,

અહીં આવતા પહેલા હું સિંધિયા શાળાના અલગ અલગ ઘરોના નામ જોઇ રહ્યો હતો અને જ્યોતિરાદિત્યજી પણ મને સમજાવી રહ્યા હતા. સ્વરાજના સંકલ્પ સાથે સંકળાયેલા એ નામો જ તમારા માટે કેટલી મહાન પ્રેરણા છે. શિવાજી હાઉસ... મહાદજી હાઉસ, રાણોજી હાઉસ, દત્તાજી હાઉસ, કનરખેડ હાઉસ, નિમાજી હાઉસ, માધવ હાઉસ, એક રીતે જોવામાં આવે તો તમારી પાસે સપ્ત-ઋષિઓની શક્તિ છે. અને હું વિચારું છું કે નવરાત્રિના આ શુભ અવસર પર મારે તમને બધાને નવ કાર્ય સોંપવા જોઇએ કારણ કે કાર્યક્રમ જ શાળાનો છે અને જો તમને ગૃહકાર્ય ન આપવામાં આવે તો તે અધુરો કહેવાય. તો હું તમને આજે નવ કાર્યો આપવા માંગુ છું, તમે તેને યાદ રાખશો ને? તારો અવાજ દબાઇ ગયો ભાઇ, કારણ શું છે? તમે તેને યાદ કરશો ને, તેને સંકલ્પ બનાવશો ને? તમે જીવનભર તેને પરિપૂર્ણ કરવા માટે કામ કરશો ને?

પહેલું - તમે લોકો અહીં જળ સંરક્ષણ માટે આટલું કામ કરો છો. જળ સુરક્ષા 21મી સદીનો ખૂબ જ મોટો પડકાર છે. આના માટે લોકોને જાગૃત કરવા માટે અભિયાન ચલાવો.

બીજું - સિંધિયા શાળામાં ગામ દત્તક લેવાની પરંપરા રહી છે. તમે લોકો હજુ પણ વધુ ગામડાઓમાં જાઓ અને ત્યાંના લોકોને ડિજિટલ વ્યવહારો વિશે માહિતગાર કરો.

ત્રીજું - સ્વચ્છતાનું મિશન. જો મધ્યપ્રદેશનું ઇન્દોર સ્વચ્છતાની બાબતમાં પ્રથમ ક્રમ હાંસલ કરી શકે છે તો આ મારું ગ્વાલિયર કેમ ન બની શકે? તમે પણ તમારા શહેરને સ્વચ્છતામાં પ્રથમ ક્રમે લાવવાનું બીડું ઉપાડો.

 

ચોથું – વોકલ માટે વોકલ... જેટલું પણ શક્ય હોય ત્યાં સુધી સ્થાનિકને, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપો તેનો પ્રચાર કરો, ફક્ત ભારતમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરીને આ પ્રોત્સાહન આપો.

પાંચમું – સૌથી પહેલા ભારતમાં પ્રવાસ કરો... જેટલું પણ શક્ય હોય તેટલું, પહેલા આપણા પોતાનામાં દેશમાં જુઓ, આપણા જ દેશમાં પ્રવાસ કરો, પછી વિદેશમાં જાઓ.

છઠ્ઠું - ખેડૂતોને કુદરતી ખેતી વિશે વધુને વધુ જાગૃત કરો. ધરતી માતાને બચાવવા માટે આ ખૂબ જ જરૂરી અભિયાન છે.

સાતમું - તમારા જીવનમાં બરછટ ધાન્ય એટલે કે, શ્રી અન્નનો સમાવેશ કરો, તેનો વ્યાપકપણે પ્રચાર કરો. તમે જાણો છો ને, કે તે એક સુપરફૂડ હોય છે.

આઠમું – આરોગ્ય માટે યોગ હોય કે રમતગમત હોય, તેને પણ તમારા જીવનનો અભિન્ન ભાગ બનાવો. આજે જ અહીં બહુલક્ષી રમતગમત સંકુલનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. આનો પણ તમે ભરપૂર લાભ ઉઠાવો.

અને નવમું - ચોક્કસપણે ઓછામાં ઓછા એક ગરીબ પરિવારનો હાથ પકડો. જ્યાં સુધી દેશમાં એક પણ ગરીબ વ્યક્તિ હશે કે જેની પાસે ગેસનું જોડાણ ન હોય, બેંકમાં ખાતું ન હોય, રહેવા માટે પાકું ઘર ન હોય, આયુષ્માન કાર્ડ ન નહોય... ત્યાં સુધી આપણે શાંતિથી બેસીશું નહીં. ભારતમાંથી ગરીબી દૂર કરવા માટે આ ખૂબ જ જરૂરી છે. આ રસ્તા પર આગળ વધીને માત્ર પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ માર્ગ પર આગળ વધીને ભારત ગરીબી દૂર કરશે અને તેને વિકસિત પણ બનાવશે.

મિત્રો,

ભારત આજે જે કંઇ પણ કરી રહ્યું છે, તે ખૂબ જ મોટા પાયે કરી રહ્યું છે. તેથી, તમારે પણ તમારા ભવિષ્ય વિશે પણ નાનું વિચારવાની જરૂર નથી. તમારા સપનાં અને સંકલ્પ બંને મોટા હોવા જોઇએ. અને હું તમને એ પણ કહું કે, તમારું સ્વપ્ન એ જ મારો સંકલ્પ છે. તમે તમારા વિચારો, તમારી પરિકલ્પનાઓ મારી સાથે નમો એપ્લિકેશન પર પણ શેર કરી શકો છો. અને હવે હું વોટ્સએપ પર પણ છું, હું તમારી સાથે ત્યાં પણ જોડાઇ શકું છું. જો તમે ઇચ્છતા હોવ, તો તમે તમારા રહસ્યો પણ શેર કરી શકો છો. અને હું તમને વચન આપું છું કે હું કોઇને પણ તે કહીશ નહીં.

 

મિત્રો,

જીવન બસ આ રીતે જ હસવા અને મજાક સાથે ચાલવું જોઇએ. તમે ખુશ રહો... સ્વસ્થ રહો. મને તમારા બધા પર પૂરો વિશ્વાસ છે. હું આપ સૌને યાદ અપાવવા માંગું છુ કે, સિંધિયા શાળા એ માત્ર કોઇ એક સંસ્થા નથી પરંતુ એક વારસો છે. મહારાજ માધવરાવજીના સંકલ્પોને આ શાળાએ આઝાદી મળી તેની પહેલાં અને પછી સતત આગળ વધાર્યા છે. હવે તેનો ધ્વજ તમારા હાથામાં છે. હું ફરી એકવાર યુવા સાથીઓને અભિનંદન આપું છું, જેમને થોડા સમય પહેલાં પુરસ્કાર મળ્યો હતો. ફરી એકવાર, સિંધિયા સ્કૂલ અને તમામ યુવા સાથીઓને સારા ભવિષ્ય માટે ઘણી શુભેચ્છાઓ.

આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
On Puri’s Grand Road, a devotee’s submission

Media Coverage

On Puri’s Grand Road, a devotee’s submission
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister speaks with the Amir of Qatar
July 16, 2026
PM conveys heartfelt condolences on the passing of the Father Amir of Qatar
PM recalls the Father Amir’s visionary leadership and his contribution to strengthening India-Qatar relations
The two leaders reaffirm their resolve to carry forward the Father Amir’s legacy

Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with the Amir of the State of Qatar, H.H. Sheikh Tamim bin Hamad Al Thani.

Prime Minister conveyed his heartfelt condolences on the passing of H.H. Sheikh Hamad bin Khalifa Al Thani, the Father Amir of Qatar.

Recalling the Father Amir’s significant contributions as the chief architect of modern Qatar, Prime Minister paid tribute to his visionary leadership, and recalled his pivotal role in strengthening India-Qatar relations over the years as well as his deep affection for India and the Indian community in Qatar.

The Amir of Qatar thanked Prime Minister for his call and conveyed his appreciation for the words of support in this difficult hour.

The two leaders reaffirmed their resolve to carry forward the Father Amir’s legacy and further strengthen the India-Qatar Strategic Partnership and people-to-people ties.

They agreed to remain in close touch.