“આ 140 કરોડ હૃદયના ધબકારા અને ભારતની નવી ઊર્જાના આત્મવિશ્વાસના સામર્થ્યની ક્ષણ છે”
“અમૃતકાળ'ના પ્રથમ પ્રકાશમાં, આ સફળતાની 'અમૃતવર્ષા' છે”
“ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ્યાં વિશ્વનો કોઇ દેશ આજ દિન સુધી પહોંચી શક્યો નથી ત્યાં આપણા વૈજ્ઞાનિકોના સમર્પણ અને પ્રતિભાથી ભારત પહોંચી ગયું છે”
“એ સમય દૂર નથી જ્યારે બાળકો કહેશે 'ચંદા મામા એક ટૂર કે' એટલે કે ચંદ્ર તો માત્ર પ્રવાસ જેટલા અંતરે છે”
“આપણું ચંદ્ર મિશન માનવ-કેન્દ્રિત અભિગમ પર આધારિત છે. તેથી, આ સફળતા સમગ્ર માનવજાતની છે”
“અમે આપણા સૌરમંડળની મર્યાદાઓનું પરીક્ષણ કરીશું અને માણસો માટે બ્રહ્માંડની અનંત શક્યતાઓને સમજવા માટે કામ કરીશું”
“ભારત વારંવાર સાબિત કરી રહ્યું છે કે, આકાશ સીમા નથી”

મારા વ્હાલા પરિવારજનો,

આવો ઇતિહાસ આપણી નજર સમક્ષ બનતો જોઈએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આવી ઐતિહાસિક ઘટનાઓ રાષ્ટ્રનાં જીવનની શાશ્વત ચેતના બની જાય છે. આ ક્ષણ અવિસ્મરણીય છે. આ ક્ષણ અભૂતપૂર્વ છે. આ ક્ષણ વિકસિત ભારતનો વિજય પોકાર છે. આ પળ નવા ભારતની જીત છે. આ ક્ષણ મુશ્કેલીઓના સમુદ્રને પાર કરવાની છે. આ ક્ષણ વિજયના માર્ગ પર ચાલવાની છે. આ ક્ષણ ૧.૪ અબજ ધબકારાનું સામર્થ્ય ધરાવે છે. આ ક્ષણ ભારતમાં નવી ઊર્જા, નવો વિશ્વાસ અને નવી ચેતનાનું પ્રતીક છે. આ ક્ષણ ભારતના ચડતાં ભાગ્યનું આહ્વાન છે. 'અમૃત કાલ'ની પરોઢે સફળતાનો પહેલો પ્રકાશ આ વર્ષે વરસાવ્યો છે. આપણે પૃથ્વી પર એક પ્રતિજ્ઞા લીધી, અને આપણે તેને ચંદ્ર પર સાકાર કરી. અને આપણા વૈજ્ઞાનિક સાથીઓએ પણ કહ્યું હતું કે, "ભારત હવે ચંદ્ર પર છે." આજે આપણે અંતરિક્ષમાં ન્યૂ ઇન્ડિયાની નવી ઉડાનના સાક્ષી બન્યા છીએ.

સાથીઓ,

અત્યારે હું બ્રિક્સ સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકામાં છું. જો કે દરેક દેશવાસીની જેમ મારું દિલ પણ ચંદ્રયાન મિશન પર કેન્દ્રિત હતું. જેમ જેમ એક નવો ઇતિહાસ પ્રગટ થાય છે, તેમ તેમ દરેક ભારતીય ઉજવણીમાં ડૂબી જાય છે, અને દરેક ઘરમાં તહેવારની શરૂઆત થઈ ગઈ છે. દિલથી હું મારા સાથી દેશવાસીઓ અને મારા પરિવારના સભ્યો સાથે પણ ઉત્સાહથી જોડાયેલો છું. હું ટીમ ચંદ્રયાન, ઈસરો અને દેશના એ તમામ વૈજ્ઞાનિકોને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું જેમણે આ ક્ષણ માટે વર્ષો સુધી અથાક મહેનત કરી છે. ઉત્સાહ, ઉમંગ, આનંદ અને લાગણીઓથી ભરેલી આ અદ્‌ભૂત ક્ષણ માટે હું 140 કરોડ દેશવાસીઓને પણ અભિનંદન આપું છું.

મારા પરિવારજનો,

આપણા વૈજ્ઞાનિકોની મહેનત અને પ્રતિભાનાં માધ્યમથી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી ચૂક્યું છે, જ્યાં દુનિયાનો બીજો કોઈ દેશ ક્યારેય પહોંચ્યો નથી. આજથી, ચંદ્ર સાથે સંકળાયેલી દંતકથાઓ બદલાશે, કથાઓ બદલાશે, અને નવી પેઢી માટે કહેવતો પણ બદલાશે. ભારતમાં, આપણે પૃથ્વીને આપણી માતા તરીકે અને ચંદ્રને આપણા 'મામા' તરીકે ઓળખીએ છીએ. એવું કહેવામાં આવતું હતું કે "ચંદા મામા ખૂબ દૂર છે." હવે એક દિવસ એવો આવશે કે જ્યારે બાળકો કહેશે, "ચંદા મામા માત્ર એક 'ટૂર' દૂર છે."

સાથીઓ,

આ આનંદના પ્રસંગે, હું વિશ્વનાં તમામ લોકોને, દરેક દેશનાં અને પ્રદેશનાં લોકોને સંબોધન કરવા માગું છું. ભારતનું સફળ ચંદ્ર મિશન માત્ર ભારતનું જ નથી. આ એક એવું વર્ષ છે, જેમાં દુનિયા ભારતના જી-20નાં પ્રમુખપદની સાક્ષી બની રહી છે. 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય- વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર'નો અમારો અભિગમ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે. આ માનવ-કેન્દ્રિત અભિગમ જેનું આપણે પ્રતિનિધિત્વ કરીએ છીએ તેને સાર્વત્રિક રીતે આવકારવામાં આવ્યો છે. આપણું મૂન મિશન પણ આ જ માનવ-કેન્દ્રિત અભિગમ પર આધારિત છે. તેથી, આ સફળતા સમગ્ર માનવતાની છે. અને તે ભવિષ્યમાં અન્ય દેશો દ્વારા ચંદ્ર મિશનમાં મદદ કરશે. મને વિશ્વાસ છે કે ગ્લોબલ સાઉથના દેશો સહિત વિશ્વના તમામ દેશો આ પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરવા સક્ષમ છે. આપણે બધા ચંદ્ર અને તેનાથી આગળની ઇચ્છા રાખી શકીએ છીએ.

મારા પરિવારજનો,

ચંદ્રયાન મિશનની આ સિદ્ધિ ભારતની ચંદ્રની કક્ષાથી આગળ વધવાની સફરને આગળ ધપાવશે. આપણે આપણાં સૌરમંડળની મર્યાદાઓ ચકાસીશું અને માનવજાત માટે બ્રહ્માંડની અનંત સંભાવનાઓને સાકાર કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. અમે ભવિષ્ય માટે ઘણાં મોટાં અને મહત્વાકાંક્ષી લક્ષ્યો નિર્ધારિત કર્યાં છે. ટૂંક સમયમાં જ ઇસરો સૂર્યના ગહન અભ્યાસ માટે 'આદિત્ય એલ-1' મિશન લૉન્ચ કરશે. તેના પગલે શુક્ર પણ ઈસરોના એજન્ડામાં સામેલ છે. ગગનયાન મિશનનાં માધ્યમથી દેશ પોતાના પ્રથમ માનવ અંતરિક્ષયાન મિશનની તૈયારી કરી રહ્યો છે. ભારત વારંવાર સાબિત કરી રહ્યું છે કે આકાશ એ મર્યાદા નથી.

સાથીઓ,

વિજ્ઞાન અને ટેક્નૉલોજી આપણા રાષ્ટ્ર માટે ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. આથી દેશ આ દિવસને કાયમ માટે યાદ રાખશે. આ દિવસ આપણને સૌને ઉજ્જવળ ભવિષ્યની દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કરશે. આ દિવસ આપણને આપણા સંકલ્પોને પૂર્ણ કરવાનો માર્ગ બતાવશે. આ દિવસ પરાજયમાંથી બોધપાઠ લઈને વિજય કેવી રીતે પ્રાપ્ત થાય છે તેનું પ્રતીક છે. ફરી એકવાર, દેશના તમામ વૈજ્ઞાનિકોને હાર્દિક અભિનંદન અને ભવિષ્યનાં મિશન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ! તમારો ખૂબ ખૂબ આભાર.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Apple overshoots iPhone production target under PLI scheme by 80%

Media Coverage

Apple overshoots iPhone production target under PLI scheme by 80%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi shares a Sanskrit Subhashitam highlights the significance of bravery and courage in influencing the world
March 18, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting the importance of valor and the profound impact a brave individual can have on the entire world.

The Prime Minister remarked that bravery and prowess are the capital through which every difficulty can be faced. Shri Modi affirmed that the courage and self-confidence of India's youth serve as an inspiration in this regard.

The Prime Minister wrote on X;

"वीरता और पराक्रम वो पूंजी है, जिससे हर कठिनाई का सामना किया जा सकता है। भारत के युवाओं का साहस और आत्मविश्वास इसी की प्रेरणा देता है।

एकेनापि हि शूरेण पादाक्रान्तं महीतलम्।
क्रियते भास्करेणेव स्फारस्फुरिततेजसा ॥"

Just as the sun lights the whole earth with its bright rays, in the same way a brave person can influence the whole world with his courage.