PM Congratulates Shri Harivansh on Historic Third Term as Rajya Sabha Deputy Chairman

આદરણીય સભાપતિજી,

સદન વતી અને મારી તરફથી, હું શ્રીમાન હરિવંશ જીને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પણ પાઠવું છું. રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે સતત ત્રીજી વખત ચૂંટાવું, તે પોતાનામાં જ આ સદનનો તમારા પ્રત્યે જે ઊંડો વિશ્વાસ છે અને વીતેલા સમયગાળામાં તમારા અનુભવનો સદનને જે લાભ મળ્યો છે, સૌને સાથે લઈને ચાલવાનો તમારો જે પ્રયાસ રહ્યો છે, તેના પર એક પ્રકારે સદને આજે મહોર લગાવી દીધી છે અને આ પોતાનામાં જ એક અનુભવનું સન્માન છે, એક સહજ કાર્યશૈલીનું સન્માન છે અને એક સહજ કાર્યશૈલીનો સ્વીકાર પણ છે. આપણે સૌએ હરિવંશ જીના નેતૃત્વમાં સદનની શક્તિને વધુ પ્રભાવી થતી જોઈ છે અને હું કહી શકું છું કે માત્ર સદનની કાર્યવાહીનું સંચાલન જ નહીં, તેઓ પોતાના જીવનના ભૂતકાળના જે અનુભવો છે, તેનો પણ ખૂબ જ સચોટ રીતે સદનને સમૃદ્ધ કરવામાં ઉપયોગ કરે છે. તેમનો આ અનુભવ સમગ્ર કાર્યવાહીને, સંચાલનને અને સદનના માહોલને વધુ પરિપક્વ બનાવે છે. મને વિશ્વાસ છે, ઉપસભાપતિ જીનો નવો કાર્યકાળ એ જ ભાવના, સંતુલન અને સમર્પણ સાથે આગળ વધશે અને આપણા સૌના પ્રયાસોથી સદનની ગરિમાને નવી ઊંચાઈ પ્રાપ્ત થશે.

આદરણીય સભાપતિજી,

હરિવંશ જીનો જન્મ યુપીના ગામમાં થયો અને સહજ રીતે ગ્રામીણ પૃષ્ઠભૂમિને કારણે તેઓ પોતાના ગામના વિકાસમાં વિદ્યાર્થી કાળથી જ કંઈક ને કંઈક કરતા રહ્યા. તેમનું શિક્ષણ-દીક્ષા કાશીમાં થઈ અને આ બધા વિષયો પર મને ભૂતકાળમાં બોલવાની તક મળી હતી, ત્યારે હું ઘણું બધું કહી ચૂક્યો છું. તેથી હું આજે તેનું પુનરાવર્તન કરતો નથી. એક વાતનો ઉલ્લેખ આજે હું જરૂર કરીશ, આજે 17 એપ્રિલ છે અને 17 એપ્રિલ 1927, આપણા પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખર જીની જન્મજયંતિ પણ છે અને વિશેષતા એ છે કે આજે 17 એપ્રિલના રોજ જ્યારે તમે ત્રીજી વખત આ જવાબદારી સંભાળવા જઈ રહ્યા છો અને તે પણ ચંદ્રશેખર જીની જન્મજયંતિ પર અને ચંદ્રશેખરજી સાથે તમારું જોડાણ, તેમના પ્રત્યેનો તમારો લગાવ અને એક પ્રકારે તમે તેમના સહયાત્રી રહ્યા, તેમના સમગ્ર કાર્યકાળમાં, તો આ પોતાનામાં જ એક બહુ મોટો સંયોગ છે. તમે ચંદ્રશેખર જીના જીવન પર પુસ્તકો પણ લખ્યા છે અને ચંદ્રશેખર જીના એક વ્યાપક જીવનને નવી પેઢી સુધી પહોંચાડવાનું બહુ મોટું કામ પણ તમે કર્યું છે અને તેથી તમારા માટે આ એક બહુ મોટો વિશેષ અવસર બની જાય છે કે ચંદ્રશેખર જીની જન્મજયંતિ પર તમારા ત્રીજા કાર્યકાળનો પ્રારંભ થઈ રહ્યો છે. હરિવંશ જીનું સાર્વજનિક જીવન માત્ર સંસદીય કાર્યો પૂરતું મર્યાદિત નથી રહ્યું. પત્રકારત્વના ઉચ્ચ માપદંડો, તે આજે પણ આદર્શ તરીકે રેખાંકિત કરવામાં આવે છે. લાંબુ જીવન પત્રકારત્વનું રહ્યું છે, પરંતુ પત્રકારત્વમાં પણ તેમણે હંમેશા ઉચ્ચ માપદંડોને આધાર માન્યો છે. આપણે સૌ જાણીએ છીએ, તેમની કલમમાં ધાર છે, પરંતુ તેમની વાણીમાં અને વ્યવહારમાં સૌમ્યતા અને શિષ્ટતા ભરેલી રહે છે, આ પોતાનામાં અને જ્યારે હું ગુજરાતમાં હતો, ત્યારે પણ તેમની લેખો વાંચવાની મારી આદત રહી હતી અને હું જોતો હતો કે તેઓ પોતાનો પક્ષ બહુ દૃઢતા સાથે રાખતા હતા અને હું અનુભવતો હતો કે તેમાં ઘણા અભ્યાસ પછી તેનો નિષ્કર્ષ પ્રગટ થતો હતો. પત્રકારત્વમાં પણ છેવાડાના માનવી સુધી પહોંચવાનો તેમનો નિરંતર પ્રયાસ રહ્યો અને એક સફળ પ્રયાસ પણ રહ્યો અને આપણે જોઈએ છીએ, સદનમાં પણ ભલે પોલિસી હોય કે પ્રોસેસ હોય, તે વાતોનો ક્યાંક ને ક્યાંક પડઘો આપણને હંમેશા જોવા મળે છે અને આ આપણા સૌના માટે સુખદ અનુભવ છે. તેઓ સમાજની વાસ્તવિકતાઓ સાથે ઊંડા જોડાણ સાથે કામ કરનાર વ્યક્તિ રહ્યા છે. હું તો કહીશ, ભલે લોકસભા હોય કે રાજ્યસભા હોય, જે નવા સાંસદો આવે છે, તેઓ હરિવંશજી પાસેથી ઘણું બધું શીખી શકે છે, ઘણી બધી વાતો કરીને તેમની પાસેથી જાણી શકે છે, કારણ કે જ્યારે તેઓ પત્રકારત્વમાં હતા, ત્યારે તેમની કોલમ ચાલતી હતી, 'આપણા સાંસદ કેવા હોવા જોઈએ', 'આપણા સંસદ સભ્ય કેવા હોવા જોઈએ', ત્યારે તેમને કદાચ ખબર નહીં હોય કે ક્યારેક તેમને જ ત્યાં બેસવું પડશે. પરંતુ તેઓ લખતા હતા અને તે વાતોમાં બહુ વ્યાપકતા રહેતી હતી. સદનની ગરિમા અને બેસનારા સભ્યની જવાબદારી, હવે તેના આચાર-વિચારને લઈને પણ તેમનો ઊંડો અભ્યાસ રહેતો હતો અને તે વાતોનો ઉપયોગ આજે આપણા સદનના સાથીઓ, તેમની સાથે બેસીને ઘણું બધું જાણી શકે છે, શીખી શકે છે. સમયની પાબંદી એક શિસ્તબદ્ધ જીવનમાં અને પોતાના કર્તવ્યો પ્રત્યે ગંભીરતા, તે તમારી વિશેષતા રહી છે અને કદાચ તેના કારણે જ તમારું સર્વસ્વીકૃત વ્યક્તિત્વ વિકસિત થયું છે. આપણે જોયું હશે જ્યારે તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા છે, હું કહી શકું છું કે તેઓ પૂરો સમય સદનમાં હોય છે. સભાપતિ જીની ગેરહાજરીમાં સદનને સંભાળવાનું કામ તો કરે જ છે, પરંતુ બાકીના સમયે પણ અહીં કમિટીની કોઈ પણ વ્યક્તિ બેઠી હોય, તો પણ તેમની સદનમાં હંમેશા હાજરી રહે છે. દરેક વાતને સાંભળે છે, તે સમયે સદનનું જે સંચાલન કરતા હોય, તેમના કાર્યને પણ જુએ છે અને આની પાછળ તેમને પોતાની જે જવાબદારી છે, તેના પ્રત્યેની તેમની જે પ્રતિબદ્ધતા છે, તેના કારણે આ શક્ય બને છે અને આ આપણા સૌના માટે શીખવા જેવું છે અને મેં જોયું છે કે તેઓ પૂરો સમય આ વસ્તુઓ માટે ફાળવી દે છે.

આદરણીય સભાપતિજી,

ઉપસભાપતિ તરીકે સદનને કેવી રીતે ચલાવ્યું, સદનમાં સભ્ય તરીકે શું યોગદાન આપ્યું, તે વિશે આપણે સ્વાભાવિક રીતે એક સકારાત્મક ચર્ચા કરતા રહીએ છીએ. પરંતુ સદનની બહાર, જનતાની વચ્ચે તેઓ કેવી રીતે પોતાની લોકતાંત્રિક અને સામાજિક જવાબદારીઓ નિભાવે છે, તે પણ આપણે સાર્વજનિક જીવનમાં જે લોકો છીએ, તેમના માટે ખરેખર ધ્યાન ખેંચનારા વિષયો છે અને આપણે તેને જોવું જોઈએ. હું મારા અનુભવથી કહી શકું છું કે કામ પ્રશંસનીય તો છે જ, અનુકરણીય પણ છે. આપણો દેશ યુવા દેશ છે અને મેં જોયું છે કે હરિવંશ જીએ પોતાના સમયનો ઉપયોગ સૌથી વધુ યુવાનોની વચ્ચે વિતાવવાનું પસંદ કર્યું છે. યુવાનોમાં સતત ગંભીર વિષયો પર જાગૃતિ આવે, એક પ્રકારે લોકશિક્ષણનું કામ નિરંતર ચાલતું રહે, તે પોતાની રીતે તેઓ સતત કરતા રહે છે, તે માટે દેશભરમાં તેમનું ભ્રમણ રહે છે. તેમને મીડિયાની નજરોમાં બહુ રહેવાનો શોખ નથી, પરંતુ ભ્રમણ અને કાર્યક્રમોની સંખ્યા તેમની સતત ચાલતી રહે છે. 2018 માં, જ્યારે તેમણે રાજ્યસભાના ઉપસભાપતિની ભૂમિકા નિભાવવાની શરૂ કરી, ત્યાર પછી જે મારી જાણકારી છે, કોલેજો અને યુનિવર્સિટીઓમાં 350 કાર્યક્રમો કર્યા છે. આ એક બહુ મોટું કામ છે. દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 350 થી વધુ કાર્યક્રમો, જવું-આવવું, તેમની સાથે બેસવું, વાતો કરવી, તે માટે વિષયોની તૈયારી કરવી, આ પોતાનામાં બહુ મોટું, એક પ્રકારે તમે વ્યાપક સ્વરૂપે આ કામને કર્યું છે અને યુવાનો સાથે જ જોડાવાના લક્ષ્યને તમે જરા પણ ઓઝલ થવા દીધું નથી. અને વિકસિત ભારતનું સપનું યુવાનો માટે પણ કેમ હોવું જોઈએ, આ મૂળ વિષયને અલગ-અલગ રીતે જેવો વિદ્યાર્થીઓનો મૂડ હોય, તે રીતે તેઓ જણાવતા રહે છે. વિદ્યાર્થીઓમાં, યુવા પેઢીમાં એક આત્મવિશ્વાસ કેવી રીતે પેદા થાય, નિરાશાથી તેઓ હંમેશા બહાર રહે, આ બધા વિષયોની ચર્ચા તેઓ કરે છે. તેઓ કેટલાક ઐતિહાસિક સંદર્ભો સાથે વાત કરે છે કે એવા કયા કારણો છે કે આપણે જેટલી ઝડપથી આગળ વધવું જોઈતું હતું, એટલા આગળ વધી શક્યા નથી, હવે કેવો અવસર આવ્યો છે, બધી વાતો હોય અને દેશ આટલી મોટી છલાંગ લગાવી શકે છે, તેનો આત્મવિશ્વાસ ભરવાનું કામ તેમના દ્વારા થાય છે. આજકાલ દેશમાં લિટરેચર ફેસ્ટિવલનો એક મોટો સિલસિલો ચાલ્યો છે અને હવે તો તે ટીયર-2, ટીયર-3 શહેરો સુધી પણ તે સિલસિલો પહોંચ્યો છે. લિટરેચર ફેસ્ટિવલ્સમાં પણ હરિવંશ જીનું અવારનવાર જવાનું થાય છે અને તે સમાજના, તે વર્ગને પણ તેઓ પોતાના વિચારોથી પ્રભાવિત કરતા રહે છે, પ્રેરિત કરતા રહે છે.

આદરણીય સભાપતિજી,

મેં તેમના જીવનનો એક પ્રસંગ જે સાંભળ્યો છે, કદાચ હોઈ શકે છે, સાર્વજનિક રીતે મારી જાણકારી સચોટ ન પણ હોય. મેં સાંભળ્યું છે કે 1994 માં હરિવંશ જીએ પહેલીવાર વિદેશ યાત્રા કરી અને તેઓ અમેરિકા ગયા. જ્યારે અમેરિકા ગયા, ત્યારે પોતાના તમામ કાર્યક્રમો ઉપરાંત તેમને પૂછવામાં આવ્યું કે તમે બીજે ક્યાંય જવા માંગો છો, કંઈ કરવા માંગો છો? તો તેમણે આગ્રહપૂર્વક કહ્યું કે હું ચોક્કસ આ વિકસિત દેશ છે, તો હું તેની યુનિવર્સિટીઓને જોવા-સમજવા માંગુ છું અને ત્યાંનું એવું કયું શિક્ષણ અને કલ્ચર છે, જેના કારણે આ દેશ આટલો આગળ વધી રહ્યો છે અને તેમણે પોતાના નિર્ધારિત કાર્યક્રમો સિવાયનો ઘણો સમય તેમની પ્રથમ અમેરિકાની મુલાકાત દરમિયાન માત્ર યુનિવર્સિટીઓમાં જ વિતાવ્યો અને તેમના અભ્યાસનું કાર્ય કર્યું. એટલે કે, તેમના મનમાં એવી જિજ્ઞાસા હતી કે વિકસિત દેશોની યુનિવર્સિટીઓમાંથી જે બહાર આવે છે, તેવી જ યુનિવર્સિટીઓ ભારતની પણ બને, જેથી વિકસિત ભારતનું સ્વપ્ન ત્યાંથી જ આકાર લઈ શકે.

 

આદરણીય સભાપતિજી,

સાંસદોને MPLAD ફંડના સંબંધમાં તો ઘણી ચર્ચા રહે છે અને સાંસદોમાં એક મોટો પ્રસંગોચિત વિષય પણ રહે છે અને ક્યારેક તો એ પણ સંઘર્ષ રહે છે કે MPLAD ફંડ આટલું છે અને ત્યાં એમએલએ ફંડ વધારે છે, તેની ચર્ચા રહે છે. પરંતુ એમપી ફંડનો ઉપયોગ કેવી રીતે થાય, MPLAD ફંડની જે વાતો છે, તેમાં હરિવંશ જીના વિચારોને તો મેં પોતે પણ સાંભળ્યા છે, હું તેનાથી પ્રભાવિત છું, પરંતુ આપણી પણ કંઈક મજબૂરી રહી છે. કદાચ આપણે તેમની અપેક્ષા મુજબ તે કરી શક્યા નથી, કારણ કે સૌને આવા વિષયમાં સાથે લેવા જરા કઠિન હોય છે. પરંતુ તેમણે પોતે તે જવાબદારી કેવી રીતે નિભાવી છે, હું સમજું છું કે તે પણ આપણે જોયું, તેમણે આ MPLAD ફંડ હતું, જે પોતાના વિચારો છે, તે વિચારોને જમીન પર ઉતારવા માટે ઉપયોગ કર્યો, શિક્ષણ ક્ષેત્ર અને યુવા પેઢી, આ બધું તેમના કેન્દ્રમાં રહ્યું, MPLAD ફંડ વાપરવા માટે તેમણે એક મિસાલ રજૂ કરી છે. તેમણે વિશ્વવિદ્યાલયો, શિક્ષણ સંસ્થાઓમાં એવા અભ્યાસ કેન્દ્રો સ્થાપ્યા અને તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહેવાનો છે અને તેમાં પણ તેમણે પ્રોજેક્ટ ઓરિએન્ટેડ, સમસ્યાના ઉકેલને કેન્દ્રમાં રાખ્યો. જેમ કે લુપ્ત થતી જતી ભારતીય ભાષાઓ, તેમના સંરક્ષણ માટે તેમણે આઈઆઈટી પટનામાં એક અભ્યાસ કેન્દ્ર માટે MPLAD ફંડનો ઉપયોગ કર્યો, તો તે કામ ત્યાં સતત થઈ રહ્યું છે. એક બીજું તેમણે કામ કર્યું, જે બિહારમાં કેટલાક ક્ષેત્રો છે, જ્યાં ભયાનક ભૂકંપની ઘટનાઓ રોજ ઘટતી રહે છે, નેપાળમાં પણ એક નાનકડો ભૂકંપ આવી જાય, તો પણ તે ક્ષેત્રને પ્રભાવિત કરે છે. આ કામને ધ્યાનમાં રાખીને તેમણે MPLAD ફંડથી સેન્ટર ફોર અર્થક્વેક એન્જિનિયરિંગના રૂપમાં એક સ્ટડી સેન્ટર રિસર્ચ માટે ખોલાવ્યું છે. એટલે કે તે સ્ટડીનું કામ કરવું, રિસર્ચ કરવું, તેના પર સતત કામ થઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે જેવું મેં કહ્યું છે, જય પ્રકાશજીનું ગામ સિતાબ દિયારા હરિવંશજી ત્યાંના જ છે અને ત્યાં ગંગા અને ઘાઘરા બે નદીઓની વચ્ચે એક ગામ છે, તો હંમેશા પાણીને કારણે જે ધોવાણની સમસ્યા રહે છે, તે ગામ પરેશાન રહે છે અને નદીની ધારા પણ બદલાતી રહે છે, તો વિનાશ પણ ઘણો થતો રહે છે. તેને પણ ધ્યાનમાં રાખીને તેમણે MPLAD ફંડથી આના વૈજ્ઞાનિક અભ્યાસ માટે પટનાની આર્યભટ્ટ નોલેજ યુનિવર્સિટીમાં એક નદી અભ્યાસ કેન્દ્ર ખોલાવ્યું છે. પટનાની જ ચંદ્રગુપ્ત મેનેજમેન્ટ સંસ્થામાં તેઓ બિઝનેસ ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટર બનાવી રહ્યા છે. એઆઈ (AI) ના આ યુગમાં મગધ યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર બનાવ્યું છે. એટલે કે MPLAD ફંડનો એક નિર્ધારિત દિશામાં કામ કેવી રીતે કરી શકાય, તેનું એક ઉદાહરણ તમે પ્રસ્તુત કર્યું છે.

આદરણીય સભાપતિજી,

આપણે સૌએ અનુભવ્યું છે કે લોકો જ્યારે પોતાના ગામમાંથી સ્થળાંતર કરે છે, એક બીજા શહેરમાં જાય છે, તો જીવનમાં એક પ્રકારે ગામથી કપાઈ જાય છે. હરિવંશ જીનું જીવન આજે પણ ગામ સાથે જોડાયેલું રહે છે, પોતાના ગામ સાથે જોડાયેલું છે. તેઓ સતત ત્યાંના સુખ-દુઃખના સાથી બનીને પોતાનું જે પણ યોગદાન આપી શકે છે, તે આપતા રહે છે.

આદરણીય સભાપતિજી,

જે સંસદની નવી ઇમારતમાં બેઠા છીએ, તેનું જ્યારે નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, ત્યારે મને તેમની સાથે નજીકથી કામ કરવાની તક મળી હતી. અને હું અનુભવતો હતો કે જે વિચારો મારા મનમાં આવતા હતા, હું હરિવંશજીને કહેતો હતો કે આપણે આવું કરીએ તો કેવું લાગે, બે દિવસમાં તેઓ બરાબર પરફેક્ટ તે લઈને આવતા હતા, ક્યાંક નામકરણ કરવાનું હોય, તેની ઓળખ આ સદનની કેવી રીતે બને, તો ઘણું બધું યોગદાન સદનના નિર્માણમાં, તેની આર્ટ ગેલેરીમાં, વિવિધ દ્વારના નામ રાખવાના હોય, એટલે કે દરેક રીતે મારા એક સાથી તરીકે અમે બંને અને મને બહુ આનંદદાયક રહ્યો તે કામનો અનુભવ.

આદરણીય સભાપતિજી,

હરિવંશજીની સદન ચલાવવાની કુશળતાને તો આપણે સારી રીતે જોઈ છે, પરંતુ સાથે સાથે તેમણે રાજ્યોની વિધાનસભાઓ, વિધાન પરિષદો અને ત્યાં જે પ્રિસાઇડિંગ ઓફિસર્સ છે, તેમને પણ કેવી રીતે મદદરૂપ થવું, તેમના માટે કયા પ્રકારે આવશ્યક તેમની તાલીમ માટે કામ કરવું જોઈએ, તેના માટે પણ ઘણો સમય આપ્યો અને તેમણે સતત તેમના માટે સમય ફાળવ્યો. કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશનમાં પણ તેમણે ભારતની ડેમોક્રેટિક વ્યવસ્થાની છાપ છોડવામાં બહુ મોટી સક્રિય ભૂમિકા ભજવી છે. મને પૂરો વિશ્વાસ છે કે 21મી સદીનો આ બીજો ક્વાર્ટર આ સદનને ઘણું બધું યોગદાન આપશે. દેશને પ્રગતિના પથ પર લઈ જવામાં, વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં, મને વિશ્વાસ છે કે સદન દ્વારા ઘણું બધું થશે અને પરિણામે, બધા અધ્યક્ષોની જવાબદારી ખૂબ મોટી છે. આપણા સૌના વિશ્વાસ સાથે હું કહી શકું છું કે તમામ સાથીઓ તમે જે ઈચ્છતા હશો, તેને પૂરી કરવા માટે સહયોગ આપતા રહેશે અને તમારા કામને મુશ્કેલીઓમાં ન પરિવર્તિત કરે તેના માટે, જેથી તમે વધારે આઉટકમ આપી શકો અને મને વિશ્વાસ છે સૌ લોકો આ કરશે અને મેં પહેલા પણ કહ્યું હતું કે હરિ કૃપા પર છે બધું અને હરિ તો અહીંના પણ છે, હરિ ત્યાંના પણ છે અને હરિ અહીં જ બેસશે. તો હરિ કૃપા બની રહેશે. એ જ એક અપેક્ષા સાથે મારી તમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ છે.

ખૂબ-ખૂબ ધન્યવાદ!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s power sector set for strong FY27 growth on rising demand, capacity additions: Report

Media Coverage

India’s power sector set for strong FY27 growth on rising demand, capacity additions: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Mr. Andy Burnham on assuming office as Prime Minister of the United Kingdom
July 21, 2026

Prime Minister Shri Narendra Modi today extended congratulations to Mr. Andy Burnham on assuming office as Prime Minister of the United Kingdom.

Shri Modi noted that India and the UK are bound by shared democratic values and enjoy wide-ranging cooperation across trade, investment, technology, defence, and people-to-people relations. With CETA entering into force this month, the Prime Minister pointed out that the bilateral partnership is poised to grow even stronger.

The Prime Minister stated that he looks forward to working closely with him to further deepen the India-UK Comprehensive Strategic Partnership and advance their shared Vision 2035.

In a post on X, the Prime Minister shared:

"Warmest congratulations to Mr. Andy Burnham on assuming office as Prime Minister of the United Kingdom.

India and the UK are bound by shared democratic values and enjoy wide-ranging cooperation across trade, investment, technology, defence and people-to-people relations. With CETA entering into force this month, our bilateral partnership is poised to grow even stronger.

I look forward to working closely with you to further deepen the India-UK Comprehensive Strategic Partnership and advance our shared Vision 2035.

@andyburnham"