ડૉ. લોહિયાની યાદમાં...

Published By : Admin | March 26, 2019 | 03:06 IST

આજનો દિવસ દેશના મહાન ક્રાંતિકારીઓના સન્માનનો દિવસ છે.

મા ભારતીના અમર સપૂતો વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના સર્વોચ્ચ બલિદાન માટે દેશ શ્રધ્ધાંજલી અર્પિત કરે છે. 

સાથે અદ્વિતિય વિચારક, ક્રાંતિકારી અને અપ્રતિમ દેશભક્ત ડૉ. રામમનોહર લોહિયાને તેમની જયંતિ પર સાદર પ્રણામ. 

પ્રખર બુધ્ધિમાન ડૉ. લોહિયાને જનકલ્યાણની રાજનીતિમાં ઉંડી આસ્થા હતી. 

જ્યારે ભારત છોડો આંદોલન દરમ્યાન વરિષ્ઠ નેતાઓની ધરપકડ કરવામાં આવી ત્યારે યુવાન લોહિયાએ આંદોલનની કમાન સંભાળી અને અડગ રહ્યા, તેમને ભૂગર્ભમાં રહીને અંડર ગ્રાઉન્ડ રેડિયો સેવા શરૂ કરી જેથી આંદોલનની ગતિ ધીમી ન પડે. 

ગોવામુક્તિ આંદોલનના ઇતિહાસમાં ડૉ. લોહિયાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે. 

જ્યાં પણ ગરીબો, શોષિતો કે વંચિતોને મદદની જરૂર પડતી ત્યાં ડૉ. લોહિયાની ઉપસ્થિતિ રહેતી. 

ડૉ. લોહિયાના વિચારો આજે પણ આપણને પ્રેરણા આપે છે. તેમણે ખેતીને આધુનિક બનાવવા તથા અન્નદાતાઓના સશક્તિકરણ માટે ઘણું લખ્યુ છે. તેમના આ વિચારોને અનુરૂપ એનડીએ સરકારમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, કૃષિ સિંચાઇ યોજના, ઇનામ, સોઇલ હેલ્થકાર્ડ અને અન્ય યોજનાઓના માધ્યમથી સરકાર ખેડુતોના હિત માટે કામ કરી રહી છે.

ડૉ. લોહિયા સમાજમાં વ્યાપ્ત જાતિ વ્યવસ્થા અને મહિલાઓ તથા પુરુષોની અસમાનતાથી ખૂબજ દુઃખી થતા હતા. ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ નો અમારો મંત્ર તથા પાંચ વર્ષનો અમારો ટ્રેક રેકર્ડ તે જ દર્શાવે છે કે ડૉ. લોહિયાના વિઝનને સાકાર કરવા તરફ અમને મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઇ છે, જો આજે તેઓ હયાત હોત તો એનડીએ સરકારના કાર્યોને જોઇને તેઓને નિશ્ચિંત રૂપથી ગર્વની અનુભૂતિ થઇ હોત. 

જ્યારે પણ ડૉ. લોહિયા સંસદમાં અને સંસદની બહાર સંબોધન કરતાં ત્યારે કોંગ્રેસમાં તેનો ભય  સ્પષ્ટ દેખાઇ આવતો હતો. 

દેશને માટે કોંગ્રેસ કેટલી ઘાતક થઇ ચૂકી છે, તે ડૉ. લોહિયા સારી રીતે જાણતા હતા. ૧૯૬૨માં તેમને કહ્યું હતું કે, ‘‘કોંગ્રેસ શાસનમાં કૃષિ ક્ષેત્ર હોય કે ઉદ્યોગ કે પછી સેના,  કોઇપણ ક્ષેત્રમાં કંઇપણ સુધાર થયો નથી’’. 

તેમના આ શબ્દો ત્યારબાદની કોંગ્રેસ સરકારોને પણ શબ્દશઃ લાગુ પડે છે. ત્યાર પછીના કોંગ્રેસ શાસનકાળમાં પણ ખેડુતોને પરેશાન કરવામાં આવ્યા, ઉદ્યોગોને નિરૂત્સાહી કર્યા (ફક્ત કોંગ્રેસના નેતાઓના મિત્રો અને સગા-સંબંધીઓના ઉદ્યોગોને છોડીને) તથા રાષ્ટ્રીય સુરક્ષાની પણ અનદેખી કરવામાં આવી. 

કોંગ્રેસ વાદનો વિરોધ ડૉ. લોહિયાના હદયમાં વસ્યો હતો. તેમના પ્રયત્નોથી જ ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં સર્વસાધન સંપન્ન અને શક્તિશાળી કોંગ્રેસને બરોબરનો ઝટકો લાગ્યો હતો. તે સમયે અટલજીએ કહ્યું હતું કે, ડૉ. લોહિયાના પ્રયત્નોના પરિણામે જ હાવડા-અમૃતસર મેલની સંપૂર્ણ યાત્રા કોંગ્રેસના શાસન વગરના રાજ્યોમાંથી પસાર થઇ શકતી. 

દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે, આજે રાજનીતિમાં એવી ઘટનાઓ સામે આવી રહી છે કે, તેને જોઇને ડૉ. લોહિયા ખૂબ જ વ્યથિત અને દુઃખી થઇ જાત. 

એવા પક્ષો કે જે, ડૉ. લોહિયાને પોતાના આદર્શ માનતા થાકતા નથી, તેઓએ તેમના સિધ્ધાંતોને સંપૂર્ણ તિલાંજલી આપી દીધી છે. હદ તો ત્યાં થઇ કે, તેઓ ડૉ. લોહિયાને અપમાનિત કરવાનો કોઇપણ મોકો છોડતા નથી. 

ઓરિસ્સાના વરિષ્ઠ સમાજવાદી નેતા શ્રી સુરેન્દ્રનાથ દ્રિવેદીએ કહ્યું હતું કે, ‘‘ડૉ. લોહિયા અંગ્રેજોના શાસનકાળમાં જેટલીવાર જેલમાં ગયા હતા તેના કરતા અનેક ગણી વખત કોંગ્રેસની સરકારોએ તેમને જેલમાં ધકેલ્યા હતા’’. 

આજે એ જ કોંગ્રેસની સાથે તથાકથિત લોહિયાવાદી પક્ષો, અવસરવાદી-મહામીલાવટી ગઠબંધન બનાવવા બેચેન છે. આ ઘટના હાસ્યાસ્પદ અને નિંદનીય છે. 

ડૉ. લોહિયા વંશવાદી રાજનીતિને લોકતંત્ર માટે હંમેશા ઘાતક માનતા હતા. આજે તેમના જ અનુયાયીઓ માટે પોતાના પરીવારોનું હિત દેશહિતથી પણ ઉપર છે, આ જોઇને તેઓ જરૂર દુઃખી અને પરેશાન થયા હોત. 

ડૉ. લોહિયા એવું માનતા કે, જે વ્યક્તિ ‘‘સમતા, સમાનતા અને સમત્વ’’ ભાવથી કાર્ય કરે તે યોગી છે. દુઃખની બાબત એ છે કે, પોતાને લોહિયાવાદી પાર્ટી કહેનારાઓ પોતે જ આ સિધ્ધાંતોને ભુલાવી દીધા. તેઓ સત્તા, સ્વાર્થ અને શોષણમાં વિશ્વાસ કરે છે. આવા પક્ષોએ ગમે તેમ કરીને સત્તા કબ્જે કરવી, જનતાની ધન-સં૫ત્તિ લુંટવી અને શોષણ કરવામાં મહારત પ્રાપ્ત કરેલી છે. 

ગરીબ, દલીત, પછાત અને વંચિત સમુદાયના લોકોની સાથે સાથે મહિલાઓ પણ તેમના શાસનમાં પોતાને સુરક્ષિત માનતી નથી કારણ કે, આવા પક્ષોએ અપરાધી અને અસામાજીક તત્વોને ખુલ્લી છુટ આપવાનું કામ કર્યુ છે. 

ડૉ.લોહિયા જીવનના દરેક ક્ષેત્રમાં મહિલા અને પુરુષોના સમાંતર હિતના પક્ષમાં રહ્યા હતા, પરંતુ મતબેંકની રાજનીતિમાં ડુબેલા પક્ષોના આચરણ તેામથી જુદા રહ્યા. આજ કારણે તથાકથિત લોહિયાવાદી વિચારધારાવાળા પક્ષોએ ત્રણ તલાકની અમાનવીય પ્રથાને ખતમ કરવા માટેના એનડીએ સરકારના પ્રયત્નોનો વિરોધ કર્યો હતો. 

આવા પક્ષોએ સ્પ્ષ્ટ કરવું જોઇએ કે, તેમના માટે ડૉ. લોહિયાના વિચારો અને આદર્શો મોટા છે કે મતબેંકની રાજનીતિ ? 

આજે ૧૩૦ કરોડ ભારતીયો સામે પ્રશ્ન ઉભો છે કે, જે લોકોએ ડૉ. લોહિયાનો વિશ્વાસધાત કર્યો છે તેમની પાસેથી દેશસેવાની આશા કેવી રીતે રાખી શકીએ ? 

સ્વાભાવિક છે કે, જે લોકોએ ડૉ. લોહિયાના સિધ્ધાંતો સાથે છળ-કપટ કર્યું છે તેવા લોકો દેશવાસીઓ સાથે પણ છળ-કપટ જ કરશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
21% YoY rise in engineering exports in June shows sector's resilience amid global challenges: EEPC India Chairman

Media Coverage

21% YoY rise in engineering exports in June shows sector's resilience amid global challenges: EEPC India Chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.