ડૉ. લોહિયાની યાદમાં...

Published By : Admin | March 26, 2019 | 03:06 IST

આજનો દિવસ દેશના મહાન ક્રાંતિકારીઓના સન્માનનો દિવસ છે.

મા ભારતીના અમર સપૂતો વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના સર્વોચ્ચ બલિદાન માટે દેશ શ્રધ્ધાંજલી અર્પિત કરે છે. 

સાથે અદ્વિતિય વિચારક, ક્રાંતિકારી અને અપ્રતિમ દેશભક્ત ડૉ. રામમનોહર લોહિયાને તેમની જયંતિ પર સાદર પ્રણામ. 

પ્રખર બુધ્ધિમાન ડૉ. લોહિયાને જનકલ્યાણની રાજનીતિમાં ઉંડી આસ્થા હતી. 

જ્યારે ભારત છોડો આંદોલન દરમ્યાન વરિષ્ઠ નેતાઓની ધરપકડ કરવામાં આવી ત્યારે યુવાન લોહિયાએ આંદોલનની કમાન સંભાળી અને અડગ રહ્યા, તેમને ભૂગર્ભમાં રહીને અંડર ગ્રાઉન્ડ રેડિયો સેવા શરૂ કરી જેથી આંદોલનની ગતિ ધીમી ન પડે. 

ગોવામુક્તિ આંદોલનના ઇતિહાસમાં ડૉ. લોહિયાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે. 

જ્યાં પણ ગરીબો, શોષિતો કે વંચિતોને મદદની જરૂર પડતી ત્યાં ડૉ. લોહિયાની ઉપસ્થિતિ રહેતી. 

ડૉ. લોહિયાના વિચારો આજે પણ આપણને પ્રેરણા આપે છે. તેમણે ખેતીને આધુનિક બનાવવા તથા અન્નદાતાઓના સશક્તિકરણ માટે ઘણું લખ્યુ છે. તેમના આ વિચારોને અનુરૂપ એનડીએ સરકારમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, કૃષિ સિંચાઇ યોજના, ઇનામ, સોઇલ હેલ્થકાર્ડ અને અન્ય યોજનાઓના માધ્યમથી સરકાર ખેડુતોના હિત માટે કામ કરી રહી છે.

ડૉ. લોહિયા સમાજમાં વ્યાપ્ત જાતિ વ્યવસ્થા અને મહિલાઓ તથા પુરુષોની અસમાનતાથી ખૂબજ દુઃખી થતા હતા. ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ નો અમારો મંત્ર તથા પાંચ વર્ષનો અમારો ટ્રેક રેકર્ડ તે જ દર્શાવે છે કે ડૉ. લોહિયાના વિઝનને સાકાર કરવા તરફ અમને મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઇ છે, જો આજે તેઓ હયાત હોત તો એનડીએ સરકારના કાર્યોને જોઇને તેઓને નિશ્ચિંત રૂપથી ગર્વની અનુભૂતિ થઇ હોત. 

જ્યારે પણ ડૉ. લોહિયા સંસદમાં અને સંસદની બહાર સંબોધન કરતાં ત્યારે કોંગ્રેસમાં તેનો ભય  સ્પષ્ટ દેખાઇ આવતો હતો. 

દેશને માટે કોંગ્રેસ કેટલી ઘાતક થઇ ચૂકી છે, તે ડૉ. લોહિયા સારી રીતે જાણતા હતા. ૧૯૬૨માં તેમને કહ્યું હતું કે, ‘‘કોંગ્રેસ શાસનમાં કૃષિ ક્ષેત્ર હોય કે ઉદ્યોગ કે પછી સેના,  કોઇપણ ક્ષેત્રમાં કંઇપણ સુધાર થયો નથી’’. 

તેમના આ શબ્દો ત્યારબાદની કોંગ્રેસ સરકારોને પણ શબ્દશઃ લાગુ પડે છે. ત્યાર પછીના કોંગ્રેસ શાસનકાળમાં પણ ખેડુતોને પરેશાન કરવામાં આવ્યા, ઉદ્યોગોને નિરૂત્સાહી કર્યા (ફક્ત કોંગ્રેસના નેતાઓના મિત્રો અને સગા-સંબંધીઓના ઉદ્યોગોને છોડીને) તથા રાષ્ટ્રીય સુરક્ષાની પણ અનદેખી કરવામાં આવી. 

કોંગ્રેસ વાદનો વિરોધ ડૉ. લોહિયાના હદયમાં વસ્યો હતો. તેમના પ્રયત્નોથી જ ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં સર્વસાધન સંપન્ન અને શક્તિશાળી કોંગ્રેસને બરોબરનો ઝટકો લાગ્યો હતો. તે સમયે અટલજીએ કહ્યું હતું કે, ડૉ. લોહિયાના પ્રયત્નોના પરિણામે જ હાવડા-અમૃતસર મેલની સંપૂર્ણ યાત્રા કોંગ્રેસના શાસન વગરના રાજ્યોમાંથી પસાર થઇ શકતી. 

દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે, આજે રાજનીતિમાં એવી ઘટનાઓ સામે આવી રહી છે કે, તેને જોઇને ડૉ. લોહિયા ખૂબ જ વ્યથિત અને દુઃખી થઇ જાત. 

એવા પક્ષો કે જે, ડૉ. લોહિયાને પોતાના આદર્શ માનતા થાકતા નથી, તેઓએ તેમના સિધ્ધાંતોને સંપૂર્ણ તિલાંજલી આપી દીધી છે. હદ તો ત્યાં થઇ કે, તેઓ ડૉ. લોહિયાને અપમાનિત કરવાનો કોઇપણ મોકો છોડતા નથી. 

ઓરિસ્સાના વરિષ્ઠ સમાજવાદી નેતા શ્રી સુરેન્દ્રનાથ દ્રિવેદીએ કહ્યું હતું કે, ‘‘ડૉ. લોહિયા અંગ્રેજોના શાસનકાળમાં જેટલીવાર જેલમાં ગયા હતા તેના કરતા અનેક ગણી વખત કોંગ્રેસની સરકારોએ તેમને જેલમાં ધકેલ્યા હતા’’. 

આજે એ જ કોંગ્રેસની સાથે તથાકથિત લોહિયાવાદી પક્ષો, અવસરવાદી-મહામીલાવટી ગઠબંધન બનાવવા બેચેન છે. આ ઘટના હાસ્યાસ્પદ અને નિંદનીય છે. 

ડૉ. લોહિયા વંશવાદી રાજનીતિને લોકતંત્ર માટે હંમેશા ઘાતક માનતા હતા. આજે તેમના જ અનુયાયીઓ માટે પોતાના પરીવારોનું હિત દેશહિતથી પણ ઉપર છે, આ જોઇને તેઓ જરૂર દુઃખી અને પરેશાન થયા હોત. 

ડૉ. લોહિયા એવું માનતા કે, જે વ્યક્તિ ‘‘સમતા, સમાનતા અને સમત્વ’’ ભાવથી કાર્ય કરે તે યોગી છે. દુઃખની બાબત એ છે કે, પોતાને લોહિયાવાદી પાર્ટી કહેનારાઓ પોતે જ આ સિધ્ધાંતોને ભુલાવી દીધા. તેઓ સત્તા, સ્વાર્થ અને શોષણમાં વિશ્વાસ કરે છે. આવા પક્ષોએ ગમે તેમ કરીને સત્તા કબ્જે કરવી, જનતાની ધન-સં૫ત્તિ લુંટવી અને શોષણ કરવામાં મહારત પ્રાપ્ત કરેલી છે. 

ગરીબ, દલીત, પછાત અને વંચિત સમુદાયના લોકોની સાથે સાથે મહિલાઓ પણ તેમના શાસનમાં પોતાને સુરક્ષિત માનતી નથી કારણ કે, આવા પક્ષોએ અપરાધી અને અસામાજીક તત્વોને ખુલ્લી છુટ આપવાનું કામ કર્યુ છે. 

ડૉ.લોહિયા જીવનના દરેક ક્ષેત્રમાં મહિલા અને પુરુષોના સમાંતર હિતના પક્ષમાં રહ્યા હતા, પરંતુ મતબેંકની રાજનીતિમાં ડુબેલા પક્ષોના આચરણ તેામથી જુદા રહ્યા. આજ કારણે તથાકથિત લોહિયાવાદી વિચારધારાવાળા પક્ષોએ ત્રણ તલાકની અમાનવીય પ્રથાને ખતમ કરવા માટેના એનડીએ સરકારના પ્રયત્નોનો વિરોધ કર્યો હતો. 

આવા પક્ષોએ સ્પ્ષ્ટ કરવું જોઇએ કે, તેમના માટે ડૉ. લોહિયાના વિચારો અને આદર્શો મોટા છે કે મતબેંકની રાજનીતિ ? 

આજે ૧૩૦ કરોડ ભારતીયો સામે પ્રશ્ન ઉભો છે કે, જે લોકોએ ડૉ. લોહિયાનો વિશ્વાસધાત કર્યો છે તેમની પાસેથી દેશસેવાની આશા કેવી રીતે રાખી શકીએ ? 

સ્વાભાવિક છે કે, જે લોકોએ ડૉ. લોહિયાના સિધ્ધાંતો સાથે છળ-કપટ કર્યું છે તેવા લોકો દેશવાસીઓ સાથે પણ છળ-કપટ જ કરશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Patience over pressure: A resolution for parents

Media Coverage

Patience over pressure: A resolution for parents
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોમનાથ સ્વાભિમાન પર્વ - અખંડ આસ્થાના 1000 વર્ષ (1026-2026)
January 05, 2026

સોમનાથ... આ શબ્દ સાંભળતા જ આપણા હૃદય અને મનમાં ગર્વની લાગણી જન્મે છે. તે ભારતની આત્માની શાશ્વત ઘોષણા છે. આ ભવ્ય મંદિર ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતમાં પ્રભાસ પાટણ નામના સ્થળે આવેલું છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં ભારતભરના 12 જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ છે. સ્તોત્રની શરૂઆત "सौराष्ट्र सोमनाथं च.." થી થાય છે, જે પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સોમનાથની સભ્યતા અને આધ્યાત્મિક મહત્વનું પ્રતીક છે.

એમ પણ કહેવાય છે કે:

सोमलिङ्गं नरो दृष्टा सर्वपापैः प्रमुच्यते।
लभते फलं मनोवांछितम मृतः स्वर्ग समाश्रयेत ।।

તેનો અર્થ છે: સોમનાથ શિવલિંગના માત્ર દર્શન કરવાથી મનુષ્ય પાપોમાંથી મુક્ત થાય છે, તેની ધાર્મિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. દુર્ભાગ્યવશ, આ જ સોમનાથ, જે લાખો લોકોની શ્રદ્ધા અને પ્રાર્થનાનું કેન્દ્ર હતું, તેના પર વિદેશી આક્રમણકારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમનો એજન્ડા વિનાશ કરવાનો હતો, ભક્તિ નહીં.

વર્ષ 2026 સોમનાથ મંદિર માટે મહત્ત્વપૂર્ણ છે. આ મહાન મંદિર પર થયેલા પ્રથમ હુમલાને 1,000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જાન્યુઆરી 1026 માં જ ગઝનીના મહમુદે આ મંદિર પર હુમલો કર્યો હતો, જેણે હિંસક અને બર્બર આક્રમણ દ્વારા શ્રદ્ધા અને સભ્યતાના મહાન પ્રતીકને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, એક હજાર વર્ષ પછી પણ, સોમનાથને તેની ભવ્યતામાં પુનઃસ્થાપિત કરવાના અસંખ્ય પ્રયાસોને કારણે મંદિર આજે પણ એટલું જ ભવ્ય છે.

આવો જ એક સીમાચિહ્ન 2026 માં 75 વર્ષ પૂર્ણ કરે છે. 11 મે 1951 ના રોજ એક સમારોહ દરમિયાન, ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં, પુનઃનિર્મિત મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. 1026 માં સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણ, નગરના લોકો પર કરવામાં આવેલી ક્રૂરતા અને મંદિર પર થયેલા વિનાશનું વિવિધ ઐતિહાસિક વૃત્તાંતોમાં વિગતવાર દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે.

જ્યારે તમે તેને વાંચો છો, ત્યારે હૃદય કંપી ઉઠે છે. દરેક પંક્તિ દુઃખ, ક્રૂરતા અને એવી પીડાનો ભાર વહન કરે છે જે સમયની સાથે ભૂંસાતી નથી. ભારત અને લોકોના મનોબળ પર તેની કેવી અસર પડી હશે તેની કલ્પના કરો. સોમનાથનું મોટું આધ્યાત્મિક મહત્વ હતું. તે દરિયાકાંઠે હોવાથી, મહાન આર્થિક પરાક્રમ ધરાવતા સમાજને શક્તિ પણ આપતું હતું, જેના દરિયાઈ વેપારીઓ અને નાવિકો તેની ભવ્યતાની ગાથાઓ દૂર-દૂર સુધી લઈ જતા હતા.

તેમ છતાં, હું નિઃસંકોચપણે ગર્વ સાથે કહી શકું છું કે સોમનાથની વાર્તા, પ્રથમ હુમલાના એક હજાર વર્ષ પછી પણ, વિનાશ દ્વારા વ્યાખ્યાયિત થતી નથી. તે ભારત માતાના કરોડો સંતાનોના અતૂટ સાહસ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. 1026માં શરૂ થયેલી મધ્યકાલીન બર્બરતાએ અન્યોને વારંવાર સોમનાથ પર હુમલો કરવા માટે 'પ્રેરિત' કર્યા હતા. તે આપણા લોકો અને સંસ્કૃતિને ગુલામ બનાવવાનો પ્રયાસ હતો. પરંતુ, દર વખતે જ્યારે મંદિર પર હુમલો થયો, ત્યારે આપણી પાસે એવા મહાન પુરુષો અને સ્ત્રીઓ હતા જેઓ તેના રક્ષણ માટે ઉભા થયા અને સર્વોચ્ચ બલિદાન પણ આપ્યું.

અને દરેક વખતે, પેઢી દર પેઢી, આપણી મહાન સંસ્કૃતિના લોકો બેઠા થયા અને મંદિરનું પુનઃનિર્માણ તેમજ નવજીવન કર્યું. એ જ માટી દ્વારા આપણું પણ પાલન-પોષણ થવું એ આપણું સૌભાગ્ય છે જેણે અહિલ્યાબાઈ હોલકર જેવા મહાનુભાવોને પોષ્યા છે, જેમણે ભક્તો સોમનાથમાં પ્રાર્થના કરી શકે તે માટે ઉમદા પ્રયાસ કર્યો હતો. 1890ના દાયકામાં, સ્વામી વિવેકાનંદે સોમનાથની મુલાકાત લીધી હતી અને તે અનુભવથી તેઓ પ્રભાવિત થયા હતા.

તેમણે 1897 માં ચેન્નાઈમાં એક વ્યાખ્યાન દરમિયાન પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "દક્ષિણ ભારતના આમાંના કેટલાક પ્રાચીન મંદિરો અને ગુજરાતના સોમનાથ જેવા મંદિરો તમને જ્ઞાનના અઢળક પાઠ શીખવશે, કોઈપણ પુસ્તકો કરતાં આ જાતિના ઇતિહાસમાં ઊંડી સમજ આપશે. જુઓ કે આ મંદિરો કેવી રીતે સો હુમલાઓ અને સો જીર્ણોધારન નિશાન ધરાવે છે, જે સતત નાશ પામતા રહ્યા અને ખંડેરોમાંથી સતત બહાર આવતા રહ્યા, નવપલ્લિત અને હંમેશાની જેમ મજબૂત! તે રાષ્ટ્રીય મન છે, તે રાષ્ટ્રીય જીવન-પ્રવાહ છે. તેને અનુસરો અને તે ગૌરવ તરફ દોરી જશે. જો તેને છોડી દેશો તો તમે નાશ પામશો; જે ક્ષણે તમે તે જીવન પ્રવાહની બહાર પગ મૂકશો, મૃત્યુ એ એકમાત્ર પરિણામ હશે, વિનાશ જ એકમાત્ર અસર હશે."

સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરના પુનઃનિર્માણની પવિત્ર ફરજ સરદાર વલ્લભભાઈ પટેલના સમર્થ હાથોમાં આવી. 1947 માં દિવાળીના સમયે એક મુલાકાતે તેમને એટલા પ્રભાવિત કર્યા કે તેમણે ત્યાં મંદિરના પુનઃનિર્માણની જાહેરાત કરી દીધી. અંતે, 11 મે 1951 ના રોજ, સોમનાથમાં એક ભવ્ય મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. મહાન સરદાર સાહેબ આ ઐતિહાસિક દિવસ જોવા જીવિત નહોતા, પરંતુ તેમના સ્વપ્નની પૂર્તિ રાષ્ટ્ર સમક્ષ ગર્વથી ઊભી હતી.

તત્કાલીન પ્રધાનમંત્રી, પંડિત જવાહરલાલ નેહરુ, આ ઘટનાક્રમથી બહુ ઉત્સાહિત નહોતા. તેઓ ઈચ્છતા ન હતા કે માનનીય રાષ્ટ્રપતિ તેમજ મંત્રીઓ આ વિશેષ કાર્યક્રમ સાથે જોડાય. તેમણે કહ્યું હતું કે આ ઘટનાએ ભારતની ખરાબ છાપ ઊભી કરી છે. પરંતુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અડગ રહ્યા અને બાકીનો ઇતિહાસ છે. સોમનાથનો કોઈ પણ ઉલ્લેખ કે. એમ. મુનશીના પ્રયાસોને યાદ કર્યા વિના અધૂરો છે, જેમણે સરદાર પટેલને ખૂબ જ અસરકારક રીતે સાથ આપ્યો હતો. 'સોમનાથ: ધ શ્રાઈન એટર્નલ' પુસ્તક સહિત સોમનાથ પરના તેમના કાર્યો અત્યંત માહિતીપ્રદ અને શિક્ષિત કરનારા છે.

ખરેખર, મુનશીજીના પુસ્તકનું શીર્ષક જણાવે છે તેમ, આપણે એવી સંસ્કૃતિ છીએ જે આત્મા અને વિચારોની શાશ્વતતા વિશે દ્રઢ વિશ્વાસ ધરાવે છે. ગીતાના પ્રખ્યાત શ્લોક “नैनं छिन्दन्ति शस्त्राणि..." માં દર્શાવ્યા મુજબ, જે શાશ્વત છે તે અવિનાશી છે એવું આપણે દ્રઢપણે માનીએ છીએ. આપણી સભ્યતાના અદમ્ય ઉત્સાહનું સોમનાથથી વધુ સારું ઉદાહરણ બીજું કોઈ હોઈ શકે નહીં, જે મુશ્કેલીઓ અને સંઘર્ષો પર વિજય મેળવીને ભવ્ય રીતે ઊભું છે.

આ જ ભાવના આપણા રાષ્ટ્રમાં જોવા મળે છે, જે સદીઓના આક્રમણો અને સંસ્થાનવાદી લૂંટને પાર કરીને વૈશ્વિક વિકાસના તેજસ્વી સ્થળોમાંનું એક છે. આપણી મૂલ્ય પ્રણાલીઓ અને આપણા લોકોના નિશ્ચયે જ ભારતને આજે વૈશ્વિક ધ્યાનનું કેન્દ્ર બનાવ્યું છે. વિશ્વ ભારતને આશા અને આશાવાદ સાથે જોઈ રહ્યું છે. તેઓ આપણા નવયુવાનોમાં રોકાણ કરવા માંગે છે. આપણી કલા, સંસ્કૃતિ, સંગીત અને અનેક તહેવારો વૈશ્વિક સ્તરે જઈ રહ્યા છે. યોગ અને આયુર્વેદ વિશ્વભરમાં પ્રભાવ પાડી રહ્યા છે અને સ્વસ્થ જીવનને પ્રોત્સાહન આપી રહ્યા છે. વિશ્વના કેટલાક સૌથી કપરા પડકારોના ઉકેલો ભારતમાંથી આવી રહ્યા છે.

અનાદિ કાળથી, સોમનાથે જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવ્યા છે. સદીઓ પહેલા, એક આદરણીય જૈન સાધુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સોમનાથ આવ્યા હતા. એવું કહેવાય છે કે ત્યાં પ્રાર્થના કર્યા પછી, તેમણે એક શ્લોક ગાયો હતો, “भवबीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपगता यस्य।।". તેનો અર્થ છે - તે ઈશ્વરને વંદન જેમાં સાંસારિક બનેલા બીજ નાશ પામે છે, જેમાં રાગ અને તમામ ક્લેશો શમી ગયા છે. આજે પણ સોમનાથ મન અને આત્મામાં કંઈક ગહન જાગૃત કરવાની ક્ષમતા ધરાવે છે.

1026 ના પ્રથમ હુમલાના એક હજાર વર્ષ પછી પણ, સોમનાથનો દરિયો આજે પણ એ જ તીવ્રતાથી ગર્જના કરે છે જેવી તે સમયે કરતો હતો. સોમનાથના કિનારાને સ્પર્શતી લહેરો એક વાર્તા કહે છે. ભલે ગમે તે થાય, મોજાંની જેમ તે વારંવાર ઊઠતું રહશે. ભૂતકાળના આક્રમણકારો હવે હવામાં ધૂળ બની ગયા છે, તેમના નામ વિનાશના પર્યાય છે. તેઓ ઇતિહાસના પાનામાં ફૂટનોટ્સ બનીને રહી ગયા છે, જ્યારે સોમનાથ તેજસ્વી રીતે ઉભું છે, જે ક્ષિતિજની પેલે પાર સુધી પ્રકાશ ફેલાવે છે, અને આપણને એ શાશ્વત ભાવનાની યાદ અપાવે છે જે 1026ના હુમલા છતાં પણ અકબંધ રહી હતી. સોમનાથ એ આશાનું ગીત છે જે આપણને કહે છે કે નફરત અને કટ્ટરતા પાસે ભલે એક ક્ષણ માટે નાશ કરવાની શક્તિ હોય, પરંતુ સારપની શક્તિમાં વિશ્વાસ અને દ્રઢતા પાસે અનંતકાળ સુધી સર્જન કરવાની શક્તિ છે.

જો સોમનાથ મંદિર, જેના પર એક હજાર વર્ષ પહેલાં હુમલો થયો હતો અને ત્યારપછી સતત આક્રમણોનો સામનો કરવો પડ્યો હતો, તે ફરીથી અને ફરીથી ઉભું થઈ શકતું હોય, તો આપણે ચોક્કસપણે આપણા મહાન રાષ્ટ્રને તે ગૌરવ અપાવી શકીએ છીએ જે આક્રમણો પહેલા એક હજાર વર્ષ પહેલાં હતું. શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ સાથે, આપણે આગળ વધીએ છીએ...

વિકસિત ભારત બનાવવાના નવા સંકલ્પ સાથે, જ્યાં સભ્યતાનું જ્ઞાન આપણને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કામ કરવા માર્ગદર્શન આપે છે.

જય સોમનાથ!