અંદાજપત્રમાં જાહેર કરવામાં આવેલા સુધારાઓથી દેશના અર્થતંત્રને વેગ મળશે: પ્રધાનમંત્રી મોદી
અંદાજપત્રમાં દેશના દરેક નાગરિકના આર્થિક સશક્તીકરણનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે: પ્રધાનમંત્રી મોદી
કેન્દ્રીય અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્ર માટે એકીકૃત અભિગમ અપનાવવામાં આવ્યો છે: પ્રધાનમંત્રી મોદી

તેમણે જણાવ્યું કે આ અંદાજપત્ર સમૃદ્ધ નવા દાયકાનો પાયો નાંખશે, અંદાજપત્રમાં રોજગારી નિર્માણના તમામ મોટા ક્ષેત્રો જેમકે કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાપડ ઉદ્યોગ અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય અંદાજપત્ર 2020ને દૂરંદેશીપૂર્ણ અને કાર્યલક્ષી ગણાવ્યું હતું.

કેન્દ્રીય અંદાજપત્રને સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ પ્રધાનમંત્રીએ પોતાની ટીપ્પણીમાં જણાવ્યું હતું કે, “અંદાજપત્રમાં જાહેર કરવામાં આવેલા નવા સુધારાથી અર્થતંત્રને વેગ મળશે તે ઉપરાંત દેશમાં દરેક નાગરિકના આર્થિક સશક્તિકરણનું પણ તેમાં લક્ષ્ય રાખવામાં આવ્યું છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “આ અંદાજપત્રમાં નવા દાયકામાં અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા પર પણ કામ કરવામાં આવ્યું છે.”

રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું:

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અંદાજપત્ર 2020માં રોજગારી નિર્માણના મુખ્ય ક્ષેત્રો જેમ કે કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાપડ ઉદ્યોગ અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, “16 એક્શન પોઇન્ટ્સની મદદથી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ મળશે અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીમાં વધારો થશે.”

તેમણે જણાવ્યું હતું કે, “કેન્દ્રીય અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્ર માટે એકીકૃત અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેમાં વાવેતરના પરંપરાગત માધ્યમો ઉપરાંત બાગાયત, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન ઉદ્યોગને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને તેના કારણે રોજગારીમાં વધારો થશે.”

 “બ્લ્યુ ઇકોનોમીમાં હાથ ધરવામાં આવેલા પ્રયાસોથી ફીશ પ્રોસેસિંગ અને માર્કેટિંગમાં યુવાનો માટે વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.”

કાપડ ઉદ્યોગ

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટેકનિકલ કાપડ ઉદ્યોગમાં નવા યંત્રોનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, કાચી સામગ્રીના કર માળખામાં સુધારા અંગે પણ અંદાજપત્રમાં જાહેરાત કરવામાં આવી છે જેનાથી ભારતમાં માનવસર્જિત રેસાના ઉત્પાદનમાં વધારો થશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 દાયકાથી આ સુધારાની માંગ હતી.

સ્વાસ્થ્ય ક્ષેત્ર

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આયુષ્યમાન ભારત કાર્યક્રમના કારણે દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વિસ્તરણ થયું છે. આ વિસ્તરણના કારણે તબીબો, નર્સ અથવા એટેન્ડેન્ટ સહિત તમામ માનવ સંસાધનો માટે અવકાશ વધ્યો છે, સાથે સાથે દેશમાં તબીબી ઉપકરણોના ઉત્પાદનની જરૂરિયાત પણ વધી છે. ઉપરાંત, સરકારે આ દિશામાં કેટલાક પગલાં લીધા છે.”

ટેકનોલોજી ક્ષેત્ર

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે ટેકનોલોજી ક્ષેત્રમાં રોજગારી નિર્માણમાં સુધારો લાવવા માટે કેટલાક વિશેષ પગલાં લીધા છે. “અમે સ્માર્ટ સિટી, ઇલેક્ટ્રોનિક ઉત્પાદન, ડેટા કેન્દ્ર પાર્ક, બાયો ટેકનોલોજી અને ક્વોન્ટમ ટેકનોલોજી સંદર્ભે કેટલીક નીતિગત પહેલ હાથ ધરી છે. આનાથી ભારત વૈશ્વિક મૂલ્ય સાંકળમાં એક અભિન્ન અંગ બની શકશે.”

તેમણે જણાવ્યું હતું કે, “અંદાજપત્રમાં નવી અને નવીનતમ પહેલ જેમકે ડિગ્રી અભ્યાસક્રમોમાં એપ્રેન્ટિસશીપ, સ્થાનિક સંસ્થાઓમાં ઇન્ટર્નશીપ અને ઑનલાઇન ડિગ્રી અભ્યાસક્રમો દ્વારા યુવાનોના કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.”

MSME અને નિકાસ ક્ષેત્રો રોજગારી નિર્માણ માટે સ્ત્રોતો હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, અંદાજપત્રમાં નાના પાયાની ઉદ્યોગોને ફાઇનાન્સ પૂરું પાડવા ઉપરાંત નિકાસમાં વૃદ્ધિ પર ધ્યાન આપવામાં આવ્યું છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર

તેમણે જણાવ્યું હતું કે, આધુનિક ભારત માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે અને આ ક્ષેત્ર રોજગારી નિર્માણનું ખૂબ મોટું ક્ષેત્ર છે.

તેમણે જણાવ્યું હતું કે, “6500થી વધુ પરિયોજનામાં 100 લાખ કરોડ રૂપિયાથી વધુ રોકાણ કરવામાં આવશે અને ખૂબ જ વિપુલ પ્રમાણમાં રોજગારી નિર્માણની સંભાવનાઓ તેમાં સમાયેલી છે. નેશનલ લોજિસ્ટિક્સ નીતિથી પણ વ્યપાર, વ્યવસાય અને રોજગારીમાં મદદ મળી રહેશે.”

તેમણે જણાવ્યું હતું કે, “100 નવા હવાઇમથકના નિર્માણની જાહેરાતથી દેશમાં પર્યટન ક્ષેત્રને નવો વેગ મળશે અને તેમાં રોજગારી નિર્માણની ખૂબ જ મોટી સંભાવના પણ છે.”

રોકાણ

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રોજગારી માટે રોકાણને મોટું ચાલકબળ માનવામાં આવતું હોવાથી રોકાણને વેગ આપવા માટે અંદાજપત્રમાં કેટલાક ઐતિહાસિક પગલાં લેવામાં આવ્યા છે

 “બોન્ડ માર્કેટને મજબૂત બનાવવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓમાં લાંબાગાળાના ફાઇનાન્સિંગ માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. તેવી જ રીતે લાંભાશ વિતરણ કર (ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેકસ)માં મુક્તિ આપવાથી ભવિષ્યમાં રોકાણ કરવા માટે કંપનીઓના હાથમાં રૂપિયા 25000 કરોડ આવશે.”

તેમણે જણાવ્યું હતું કે, “સીધા વિદેશી રોકાણ (FDI)ને આકર્ષવા માટે પણ કર રાહતોની જાહેરાત કરવામાં આવી છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “તેવી જ રીતે સ્ટાર્ટ અપ અને રીઅલ એસ્ટેટ ક્ષેત્રને પણ કર રાહતો આપવામાં આવી છે.”

કરવેરામાં વિશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરાયું

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર આવકવેરાને લગતા કરવેરામાં કોઇ વિવાદ નહીં પરંતુ વિશ્વાસ વધે તેવા માહોલનું સર્જન કરી રહી છે.

 “કંપની કાયદામાં નાની એવી ભૂલને પણ ફોજદારી ગુનો માનવામાં આવે છે, હવે અમે આવા કાર્યોને ગુનો નહીં ગણવાનો મોટો નિર્ણય લીધો છે.”

 “અમે ટેક્સપેયર ચાર્ટરનો પ્રારંભ કરવા જઇ રહ્યા છીએ, જે કરદાતાઓના અધિકારો જણાવશે.”

“જેમનું વાર્ષિક ટર્નઓવલ રૂપિયા 5 કરોડથી ઓછું હોય તેવા MSME માટે હવે ઓડિટ કરવું ફરજિયાત નથી તેવી જાહેરાત અંદાજપત્રમાં કરવામાં આવી છે.”

તેમણે જણાવ્યું હતું કે, “અગાઉ આ મર્યાદા રૂપિયા 1 કરોડ સુધીની હતી, પરંતુ હવે તેને વધારીને રૂપિયા 5 કરોડ કરી દેવામાં આવી છે.”

સરકારી નોકરીઓ માટે એક જ પરીક્ષા

તેમણે જણાવ્યું હતું કે, “વર્તમાન સ્થિતિમાં દેશના યુવાનોએ વિવિધ સરકારી નોકરીઓ માટે અલગ-અલગ પરીક્ષાઓ આપવી પડે છે. આમા પદ્ધતિસરનું પરિવર્તન લાવતા, હવેથી રાષ્ટ્રીય ભરતી એજન્સી દ્વારા બેન્ક, રેલવે અથવા અન્ય કોઇપણ સરકારી નોકરીઓમાં ભરતી માટે એક સામાન્ય ઑનલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.”

ન્યૂનત્તમ સરકાર, મહત્તમ સુશાસન

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ફેસલેસ અપીલ, સરળ બનાવાયેલા પ્રત્યક્ષ કર, જાહેર સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટને વેગ આપવા માટેના પ્રયાસો, એકીકૃત પ્રાપ્તિ પ્રક્રિયા, સ્વયંસંચાલિત નોંધણી જેવા તમામ પગલાં ન્યૂનતમ સરકાર, મહત્તમ સુશાસનના આશયથી લેવામાં આવ્યા છે.

ઇઝ ઓફ ડુઇંગ અને ઇઝ ઓફ લિવિંગ

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એક લાખ કરતા પણ વધારે ગ્રામ પંચાયતોમાં આંગણવાડી, શાળા, કલ્યાણ કેન્દ્રો અને પોલીસ સ્ટેશનોને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ મારફત જોડવામાં આવશે તેવી અંદાજપત્રમાં જાહેરાત કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, આનાથી “ઇઝ ઓફ ડુઇંગ અને ઇઝ ઓફ લિવિંગ”માં મદદ મળશે.

તેમણે જણાવ્યું હતું કે, “તેનાથી કેટલાક સુદૂરવર્તી વિસ્તારોમાં આવેલા ગામડાને બ્રોડબેન્ડ મારફત જોડવામાં આવશે.”

પ્રધાનમંત્રીએ કેન્દ્રીય અંદાજપત્ર 2020ને આવક અને મૂડી રોકાણ, માંગ અને વપરાશને મજબૂતી આપનારું ગણાવ્યું હતું; તેમણે જણાવ્યું હતું કે, આનાથી આર્થિક વ્યવસ્થા અને ધિરાણની આવકમાં નવી સ્ફૂર્તિ આવશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi hails India’s ‘Mission Drishti’ launch as ‘world’s first OptoSAR satellite’ enters orbit

Media Coverage

PM Modi hails India’s ‘Mission Drishti’ launch as ‘world’s first OptoSAR satellite’ enters orbit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 મે 2026
May 04, 2026

Green Roads, Smart Tolls, Trillion-Dollar Dreams: How PM Modi's Policies are Supercharging a Modern India