માલદિવ્સના લોકોએ ખાતરી રાખી કે દેશમાં લોકશાહી જળવાઇ રહે: વડા પ્રધાન મોદી
તે એક ગંભીર કમનસીબ છે કે લોકો કહેવાતા "સારા" અને "ખરાબ" આતંકવાદીઓ વચ્ચે તફાવત કરે છે: વડા પ્રધાન
માલદિવ્સની શુક્રવાર મસ્જિદના સંરક્ષણમાં ભારત યોગદાન આપશે: વડા પ્રધાન મોદી

માલદીવની મજલિસના સન્માનનીય અધ્યક્ષ,

માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અને મારા મિત્રો મોહમ્મદ નશીદજી,

મજલિસના સન્માનનીય સભ્યો,

 

મહાનુભાવો,
આમંત્રિત માનનીય અતિથિ ગણ,

નમસ્કાર!

આપ સૌને હું મારી અને 130 કરોડ ભારતીયોની શુભેચ્છા પાઠવું છું. ઈદ-ઉલ-ફિત્રના પાવન પર્વનો આનંદ અને ઉત્સાહ હજુ પણ આપણી સાથે છે. આપ સૌને અને માલદીવના તમામ લોકોને હું આ ઉપલક્ષ્યમાં ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

અધ્યક્ષ મહોદય,

માલદીવ – એટલે કે હજારથી વધુ દ્વીપોની માળા – હિન્દ મહાસાગર જ નહીં પરંતુ સમગ્ર દુનિયાનું એક અદભુત રત્ન છે. તેની અસીમ સુંદરતા અને પ્રાકૃતિક સંપદા હજારો વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર રહી છે. પ્રકૃતિની શક્તિ સામે માનવના અદમ્ય સાહસનો આ દેશ એક અનોખા દૃષ્ટાંત સમાન છે. વેપાર, લોકો અને સંસ્કૃતિના અવિરત પ્રવાહનું માલદીવ સાક્ષી છે. અને અહીં આ રાજધાની માલે, વિશાળ આસમાની સમુદ્રનું પ્રવેશદ્વાર જ નથી. સદાકાળ, શાંતિપૂર્ણ અને સમૃદ્ધિશાળી હિન્દ મહાસાગર ક્ષેત્રની આ ચાવી પણ છે.

અધ્યક્ષ મહોદય,

આજે માલદીવમાં અને આ મજલિસમાં આપ સૌ વચ્ચે ઉપસ્થિત રહીને મને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાઇ રહી છે. મજલિસે સર્વસંમતિથી મને નિમંત્રણ આપવાનો નિર્ણય, સન્માનનીય નશીદજી સ્પીકર બન્યા તે પછી પહેલી જ બેઠકમાં લીધો. આપની આ લાગણીની અભિવ્યક્તિએ દરેક ભારતીયોનું દિલ સ્પર્શી લીધું છે અને તેમનું સન્માન તેમજ ગૌરવ વધાર્યું છે. તેના માટે, અધ્યક્ષ મહોદય, હું આપનો અને આપના આ ગરિમાપૂર્ણ સદનના તમામ સન્માનનીય સભ્યોનો મારા વતી અને સમગ્ર ભારત વતી ખૂબ-ખૂબ આભાર માનું છું.

અધ્યક્ષ મહોદય,

આજે હું બીજી વખત માલદીવ આવ્યો છું અને એક પ્રકારે બીજી વખત મજલિસની ઐતિહાસિક કાર્યવાહીનો સાક્ષી બન્યો છું. ગત વર્ષે મેં ખૂબ જ ખુશી અને ગર્વ સાથે રાષ્ટ્રપતિ સોલિહના શપથ ગ્રહણ સમારંભમાં હાજરી આપી હતી. લોકશાહીના વિજયનો આ ઉત્સવ ખુલ્લા સ્ટેડિયમમાં યોજવામાં આવ્યો હતો. ચારે તરફ, હજારો ઉત્સાહિત લોકોની મેદની ઉપસ્થિત હતી. તેમની જ શક્તિ અને વિશ્વાસ, સાહસ અને સંકલ્પ તે વિજયનો આધાર હતા. તે દિવસે માલદીવમાં લોકશાહીની ઊર્જાનો અહેસાસ કરીને મને ખૂબ જ રોમાંચક અનુભવ થઇ રહ્યો હતો. તે દિવસે મેં માલદીવમાં લોકશાહી પ્રત્યે સામાન્ય નાગરિકોનું સમર્પણ અને, અધ્યક્ષ મહોદય, આપના જેવા નેતાઓ પ્રત્યે તેમનો પ્રેમ અને આદર જોયો હતો અને આજે, આ સન્માનનીય સદનમાં, હું લોકશાહીના આપ સૌ પ્રહરીઓને હાથ જોડીને નમન કરું છું.

અધ્યક્ષ મહોદય,

આ સદન, આ મજલિસ, ઇંટ – પથ્થરથી બનેલી માત્ર ઈમારત નથી. આ લોકોનો જમાવડો નથી. આ લોકશાહીની એ ઊર્જા ભૂમિ છે જ્યાં દેશના ધબકારા તમારા વિચારો અને અવાજમાં ગુંજી રહ્યા છે. અહીં આપના માધ્યમથી લોકોનાં સપનાં અને અપેક્ષાઓ સાકાર થાય છે.

 

અહીં અલગ અલગ વિચારધારા અને પક્ષોના સભ્યો દેશમાં લોકશાહી, વિકાસ અને શાંતિ માટે સામુહિક સંકલ્પને સિદ્ધિમાં પરિવર્તિત કરે છે. બરાબર એ પ્રકારે જ, જેમ થોડા મહિના પહેલા માલદીવના લોકોએ એકજૂથ થઇને દુનિયાની સમક્ષ લોકશાહીનું એક દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું. તમારી એ યાત્રા અનેક પડકારો ભરી રહી.

પરંતુ, માલદીવે બતાવી દીધું, તમે બતાવી દીધું, કે વિજય છેવટે જનતાનો જ થાય છે. આ કોઇ સામાન્ય સફળતા નહોતી. તમારી આ સફળતા સમગ્ર દુનિયા માટે એક દૃષ્ટાંત અને પ્રેરણા સમાન છે. અને માલદીવની આ સફળતા પર સૌથી વધુ ગર્વ અને ખુશી કોને થઇ શકે તેમ હતી? ઉત્તર સ્વાભાવિક છે. આપના સૌથી ઘનિષ્ઠ મિત્ર, આપના સૌથી નજીકના પડોશી અને દુનિયાની સૌથી મોટી લોહશાહી – ભારતને. આજે આપ સૌની વચ્ચે હું ભારપૂર્વક કહેવા માગું છું કે, માલદીવમાં લોકશાહીની મજબૂતી માટે ભારત અને ભારતીયો તમારી સાથે હતા અને સાથે જ રહેશે.

અધ્યક્ષ મહોદય,

ભારતે તાજેતરમાં જ માનવ ઇતિહાસની સૌથી મોટી લોકશાહીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. 130 કરોડ ભારતીયો માટે આ માત્ર ચૂંટણી નહીં પરંતુ, લોકશાહીનો મહોત્સવ એટલે કે મેગા ફેસ્ટિવલ હતો. બે તૃત્યાંશથી વધુ એટલે કે 60 કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે વિકાસ અને સ્થિરતાના પક્ષમાં પ્રચંડ જનાદેશ આપ્યો છે.

અધ્યક્ષ મહોદય,

અમારી સરકારનો મૂળ મંત્ર – “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ” માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને અમારી પડોશમાં, મારી સરકારની વિદેશ નીતિનો પણ આધાર છે.

‘પાડોશી પ્રથમ’ અમારી પ્રાથમિકતા છે. અને પડોશની બાબતમાં માલદીવની પ્રાથમિકતા હોવી ખૂબ જ સ્વાભાવિક છે. આથી, આપની વચ્ચે આજે મારી ઉપસ્થિતિ માત્ર એક સંયોગ નથી. ગત ડિસેમ્બરમાં, રાષ્ટ્રપતિ સોલિહે ભારતને પોતાનું પહેલું ગંતવ્ય બનાવ્યું હતું. અને આજે માલદીવનું સ્નેહપૂર્ણ નિમંત્રણ, મને મારા આ કાર્યકાળમાં મારા પહેલા વિદેશ પ્રવાસે માલદીવ લઇને આવ્યું છે. આ પ્રવાસમાં, વિદેશીઓ માટે તમારા દેશનું સર્વોચ્ચ સન્માન મને આપીને મને સન્માનિત કરવામાં આવ્યો છે. મારી પાસે આભાર વ્યક્ત કરવા માટે શબ્દો નથી.

અધ્યક્ષ મહોદય,

ભારત અને માલદીવના સંબંધો ઈતિહાસમાં પણ ખૂબ જૂના છે. અનાદિકાળથી, દરિયાનાં મોજા આપણા બંનેના દેશોના દરિયાકાંઠાને અફળાઇ રહ્યા છે. આ મોજા આપણાં લોકો વચ્ચે મૈત્રીનો સંદેશ પ્રસરાવવાનું કામ કરે છે. આપણી સભ્યતા અને સંસ્કૃતિ આ તરંગોની શક્તિ લઇને ફેલાઇ છે. આપણા સંબંધોને સમુદ્રની ઊંડાઇ અને વિસ્તારના આશીર્વાદ મળ્યા છે. વિશ્વના સૌથી જૂના બંદરોમાંથી એક લોથલ મારા હોમ ટાઉન ગુજરાત રાજ્યમાં હતુ. અઢી હજાર વર્ષથી પણ પહેલા, લોથલ અને તે પછીના સમયમાં સૂરત જેવા શહેરો સાથે માલદીવના વ્યાપારિક સંબંધો રહ્યા છે.

માલદીવની કોડીઓ પણ ભારતના બાળકોને ઘણી પ્રિય રહી છે. સંગીત, વાદ્ય યંત્ર, અને રીત- રિવાજ – આ બધુ જ આપણા સહિયારા વારસાના જ્વલંત દૃષ્ટાંતો છે. દિવેહી ભાષાની જ વાત કરો. ‘Week’ને ભારતમાં સપ્તાહ કહેવાય છે અને દિવેહીમાં પણ એ જ કહેવાય છે. બંનેના નામ જુઓ. ‘Sunday’ને દિવેહીમાં આદીથા કહેવાય છે. આ આદિત્ય એટલે કે સૂરજ સાથે તે સંકળાયેલ છે. સોમવાર એટલે કે મંડેને, દિવેહીમાં હોમા કહેવાય છે. જે સોમ એટલે કે ચંદ્ર સાથે સમાનતા ધરાવે છે.

અને ‘world’ને દિવેહીમાં ‘ધુનિયે’ કહેવાય છે અને ભારતમાં કહેવાય ‘દુનિયા’. માલદીવમાં ‘દુનિયા’ એક પ્રસિદ્ધ નામ પણ છે. દુનિયાની તો વાત જ શું, ભાષાની આ સમાનતા અહીંથી દૂર ‘સ્વર્ગ’ અને ‘નર્ક’ સુધી ફેલાયેલી છે. આથી જ દિવેહીમાં ‘સુવરુગે’ અને ‘નરકા’ શબ્દ છે. લિસ્ટ ઘણું લાંબુ છે, જો બોલતો રહીશ તો આખો શબ્દકોષ બની જશે. પરંતુ ટૂંકમાં કહું તો, દરેક ડગલે એક વાત સ્પષ્ટ છે કે, આપણે એક જ બગીચાના ફુલ છીએ. આથી, માલદીવની સાંસ્કૃતિક ધરોહરના સંવર્ધન, પ્રાચીન લખાણોના સંરક્ષણ અને દિવેહી ભાષાના શબ્દકોષના વિકાસ જેવા પ્રોજેક્ટ્સમાં માલદીવનો સહયોગ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અને આથી જ, શુક્રવારની મસ્જિદની જાળવણીમાં ભારતના સહયોગની જાહેરાત કરતા મને આજે ખૂબ જ ખુશી થઇ રહી છે. કોરલની બનેલી આ ઐતિહાસિક મસ્જિદ જેવી બીજી મસ્જિદ માલદીવની બહાર દુનિયામાં બીજે ક્યાંય નથી. માલદીવના રહેવાસીઓએ સેંકડો વર્ષો પહેલાં સમુદ્રની સંપત્તિમાંથી મસ્જિદના અદ્વિતિય સ્થાપત્યની રચના કરી હતી. તેનાથી પ્રકૃતિ પ્રત્યે તેમના સન્માન અને સામંજસ્યનો ખ્યાલ આવી જાય છે.

અફસોસનો વિષય છે કે આજે સામુદ્રિક સંપદા પર પ્રદૂષણના વાદળો ઘેરાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં, આ વિલક્ષણ મસ્જિદની જાળવણી માત્ર ઇતિહાસ જ નહીં, પરંતુ આપણા પર્યાવરણના સંરક્ષણનો સંદેશ પણ વિશ્વને આપશે.

અધ્યક્ષ મહોદય,

માલદીવમાં સ્વતંત્રતા, લોકશાહી, ખુશહાલી અને શાંતિના સમર્થનમાં ભારત માલદીવ સાથે ખભાથી ખભો મિલાવીને ઉભું છે. પછી ભલે તે 1988ની ઘટના હોય, કે પછી 2004માં આવેલી સુનામી જેવી કુદરતી આપત્તિ હોય કે પછી હાલનું જળસંકટ હોય. અમને ગર્વ છે ભારત દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં, તમારા દરેક પ્રયાસમાં દરેક ક્ષણોમાં તમારી સાથે ઉભું રહ્યું છે, તમારી સાથે ચાલ્યું છે. અને હવે આપણા બંને દેશોમાં વિકાસ, સમૃદ્ધિ અને સ્થિરતાના પક્ષમાં પ્રચંડ જનાદેશથી પારસ્પરિક સહયોગના નવા રસ્તા ખુલ્યા છે.

રાષ્ટ્રપતિ સોલિહના છેલ્લા પ્રવાસમાં 1.4 બિલિયન ડોલરના ઇકોનોમિક પેકેજની સહમતિ થઇ હતી. તેના ક્રિયાન્વયનમાં ઉત્સાહજનક પ્રગતિ થઇ હતી. માલદીવના વિકાસ માટે ભારતના સહયોગનું અટલ ફોકસ છે – માલદીવના લોકોનો સામાજિક – આર્થિક વિકાસ. ભલે પછી દ્વીપોમાં પાણી અને સફાઇનો વિષય હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ હોય. ભલે તે સ્વાસ્થ્ય સેવા હોય કે પછી શિક્ષણ હોય. ભારતના સહયોગનો આધાર હશે લોક-કલ્યાણ અને માલદીવની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ.

અમારા ડઝનબંધ સોશિયલ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ અને અન્ય સહયોગ કાર્યક્રમ માલદીવના લોકોના જીવનને નજીકથી સ્પર્શી રહ્યા છે. અને તેમના જીવનને બહેતર બનાવવાના તમારા પ્રયાસોના પૂરક બની રહ્યા છે. માલદીવમાં લોકશાહી અને સમૃદ્ધિ માટે ભારત એક વિશ્વસનીય, મજબૂત અને અગ્રણી સહયોગી બની રહેશે. અને અમારો આ સહયોગ આપ સૌ જનપ્રતિનિધિઓના હાથ મજબૂત કરશે.

અધ્યક્ષ મહોદય,

દેશોના સંબંધ માત્ર સરકારો વચ્ચે નથી હોતા. લોકો વચ્ચેનો સંપર્ક તેનો પ્રાણ હોય છે. આથી, હું એ તમામ ઉપાયોને વિશેષ મહત્વ આપુ છું જેનાથી લોકોથી લોકો વચ્ચે વિનિમયને પ્રોત્સાહન મળી શકે. આથી જ મને વિશેષ ખુશી છે કે અમે આજે બંને દેશો વચ્ચે ભાડાની સેવાઓ પર સમજૂતી કરી છે. મને એ વાતની પણ ખુશી છે કે શિક્ષણ, સ્વાસ્થ્ય, બિઝનેસ વગેરે માટે ભારત આવનારા માલદીવીઓ માટે વિઝાની સરળતા પર સમજૂતી કરવામાં આવી છે.

અધ્યક્ષ મહોદય,

પારસ્પરિક સહયોગને આગળ વધારતા અમે આજના સંસારની ગહન અનિશ્ચિતતાઓ અને ગંભીર પડકારોને પણ ધ્યાનમાં રાખ્યા છે. ટૅકનોલોજીમાં ભારે પ્રગતિથી ઉત્પન્ન થયેલા ‘વિક્ષેપક’ બહુધ્રુવિય વિશ્વમાં આર્થિક અને સામરિક ધરીઓમાં પરિવર્તન, પ્રતિદ્વંદિતા અને હરિફાઇ, સાઇબર સ્પેસ વગેરે સંબંધિત આમ તો ઘણા વિષયો છે. પરંતુ હું એ ત્રણ પડકારોનો ઉલ્લેખ કરવા માંગું છું જે આપણા બંને દેશો માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે.

અધ્યક્ષ મહોદય,

આતંકવાદ આપણા સમયનો સૌથી મોટો પડકાર છે. આ જોખમ એક દેશ અથવા ક્ષેત્ર પૂરતું નથી, પરંતુ સમગ્ર માનવતા સામે છે. એક પણ દિવસ એવો નથી હોતો જ્યારે આતંકવાદ કોઇપણ જગ્યાએ પોતાનું ભયાનક સ્વરૂપ બતાવીને કોઇ નિર્દોષનો જીવ ના લે. આતંકવાદીઓ પાસે નથી બેંક એકાઉન્ટ હોતું કે નથી ટંકશાળ અને નથી તેમની પાસે હથિયારોની ફેક્ટરી. છતાં પણ તેમને ધન અને હથિયારોની ઉણપ ક્યારેય આવતી નથી.

આ બધુ તેઓ ક્યાંથી મેળવે છે? કોણ આપે છે તેમને આ સુવિધાઓ? આતંકવાદની સ્ટેટ સ્પોન્સરશીપ સૌથી મોટું જોખમ બની ગઇ છે. આ એક ખૂબ દુર્ભાગ્યની વાત છે કે લોકો હજુ પણ સારા આતંકવાદીઓ અને ખરાબ આતંકવાદીઓનો તફાવત કરવાની ભૂલ કરી રહ્યા છે. કૃત્રિમ મતભેદોમાં પડીને આપણે ખૂબ જ સમય વેડફી નાંખ્યો છે. પાણી હવે માથા ઉપર નીકળી ગયું છે. આતંકવાદના પડકારનો સારી રીતે સામનો કરવા માટે તમામ માનવતાવાદી શક્તિઓએ એકજૂથ થવું જરૂરી છે. આતંકવાદ અને કટ્ટરપંથનો સામનો કરવો એ વિશ્વના નેતૃત્ત્વની સૌથી ખરી કસોટી છે.

જે પ્રકારે વિશ્વ સમુદાયે જળવાયુ પરિવર્તનના જોખમ પર સક્રિયરૂપે વિશ્વવ્યાપી પરિસંવાદ અને સંમેલન કર્યા છે તે પ્રકારે આતંકવાદના વિષયમાં શા માટે ના થઇ શકે?

હું વૈશ્વિક સંગઠનો અને તમામ મુખ્ય દેશો પાસેથી અપેક્ષા રાખીશ કે એક વખત સરહદની અંદર આતંકવાદ મુદ્દે વૈશ્વિક પરિષદનું આયોજન કરવામાં આવે છે. જેથી આતંકવાદીઓ અને તેમના સમર્થકો જે છટકબારીઓનો ફાયદો ઉઠાવી રહ્યા છે તેને બંધ કરવા પર સાર્થક વિચાર કરી શકાય. જો આપણે હવે મોડું કરીશું તો આજે અને આજ પછી આવનારી પેઢીઓ આપણને ક્યારેય માફ નહીં કરે.

અધ્યક્ષ મહોદય,

મેં જળવાયુ પરિવર્તનનો ઉલ્લેખ કર્યો. એમાં કોઇ શંકા નથી કે આ સત્ય પર આપણે રોજ જીવી રહ્યા છીએ. સુકાતી નદીઓ અને હવામાનની અનિશ્ચિતતા આપણા ખેડૂતોને પ્રભાવિત કરી રહી છે. પીગળી રહેલા હિમખંડ અને સમુદ્રનું વધતુ સ્તર માલદીવ જેવા દેશો માટે અસ્તિત્વનું જોખમ બની રહ્યા છે. કોરલ દ્વીપો અને સમુદ્ર સાથે સંકળાયેલી રોજગારીઓ પર પ્રદૂષણનો કહેર વધી રહ્યો છે.

અધ્યક્ષ મહોદય, આપણે સમુદ્રની ઊંડાઇમાં વિશ્વની પહેલી કેબિનેટ બેઠક યોજીને તે જોખમો તરફ સંસારનું ધ્યાન ખેંચ્યું હતું. તેને કોણ ભૂલી શકે છે?

માલદીવે સતત વિકાસ માટે બીજી ઘણી પહેલ કરી છે. મને ખુશી છે કે માલદીવ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સામેલ થયું છે. ભારતની આ સંયુક્ત પહેલે પર્યાવરણના સંરક્ષણ માટે દુનિયાના દેશોને એક વ્યાવહારિક મંચ પૂરો પાડ્યો છે. જળવાયુ પરિવર્તનના ઘણા પરિણામોનો ઉકેલ પુનઃપ્રાપ્ય ઊર્જાના સશક્ત વિકલ્પથી શક્ય છે.

વર્ષ 2022 સુધીમાં 175 ગીગા વોટ પુનઃપ્રાપ્ય ઊર્જાના ભારતનાં લક્ષ્ય અને તેને હાંસલ કરવા માટે થયેલી આશાસ્પદ પ્રગતિથી આ સન્માનનીય સદન સારી રીતે પરિચિત છે. અને હવે ભારતના સહયોગથી માલેના માર્ગો અઢી હજાર એલઇડી સ્ટ્રીટ લાઇટ્સના દુધિયા પ્રકાશમાં ન્હાઇ રહ્યા છે. અને 2 લાખ એલઇડી બલ્બ માલદીવ વાસીઓના ઘરો અને દુકાનોમાં ઝગમગવા માટે આવી ગયા છે.

તેનાથી વીજળી બચશે અને ખર્ચ પણ ઘટશે. અને તે પર્યાવરણ માટે અનુકૂળ પણ રહેશે. પર્યાવરણ સંબંધે નાના દ્વીપોની ભારતે વિશેષ ચિંતા કરી છે. તેની વિશિષ્ટ સમસ્યાઓના ઉકેલ માટે અમે માત્ર સહયોગ નથી કર્યો, પણ દુનિયાના તમામ મંચો પર અવાજ પણ ઉઠાવ્યો છે. પરંતુ, સંમિલિત પ્રયાસો હજુ મોટાપાયે કરવાની જરૂરિયાત છે.

જો કોઇ એવું વિચારે કે માત્ર ટૅકનોલોજીથી આ સમસ્યા ઉકેલાઇ જશે તો, આ સાચી વાત નથી. જળવાયુ પરિવર્તનનો પ્રતિકાર મૂલ્યોમાં, વિચારશૈલીમાં, જીવનશૈલીમાં અને સમાજમાં પરિવર્તન લાવ્યા વગર શક્ય નથી. પ્રાચીન ભારતીય દર્શનમાં એવું માનવામાં આવ્યું છે કે, “માતા ભૂમિઃ, પુત્રોહં પૃથ્વીયાઃ”. જો આપણે પૃથ્વીને પોતાની માતા માનીશું, તો આપણા સૌનું સન્માન અને સંરક્ષણ જ કરશે, નુકસાન નહીં કરે. આપણે ધ્યાન રાખવું પડશે કે આ પૃથ્વી, આવનારી પેઢીઓની ધરોહર છે. આપણે તેના માલિક નહીં, માત્ર ટ્રસ્ટી છીએ.

અધ્યક્ષ મહોદય,

ત્રીજો વિષય છે હિન્દ પ્રશાંત (ઇન્ડો-પેસિફિક) વિસ્તાર, જે આપણો સહિયારો વિસ્તાર છે. અહીં દુનિયાની 50% વસ્તી વસી રહી છે. અને ધર્મો, સંસ્કૃતિઓ, ભાષાઓ, ઇતિહાસ તથા રાજકીય અને આર્થિક વ્યવસ્થાઓમાં વિવિધતા છે. પરંતુ, આ ક્ષેત્રમાં સંખ્યાબંધ અનુત્તરિત પ્રશ્નો અને વણઉકેલાયા વિવાદો છે.

ઇન્ડો-પેસિફિક વિસ્તાર આપણી જીવનરેખા છે અને વેપારનો રાજમાર્ગ પણ છે. આ દરેક પ્રકારે આપણા સાહિયારા ભવિષ્યની ચાવી છે. આથી, મેં જૂન 2018માં સિંગાપોરમાં બોલતી વખતે ઇન્ડો-પેસિફિક પ્રાંતમાં સ્વતંત્રતા, એકીકરણ અને સંતુલન જાળવી રાખવા માટે સૌએ સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો હતો. આમ કરવાથી જ રાષ્ટ્રો વચ્ચે વિશ્વાસ વધશે. અને નિયમાનુસાર વ્યવસ્થાઓ તેમજ બહુપક્ષીયવાદ સ્થાપિત થશે.

અધ્યક્ષ મહોદય,

ચાર વર્ષ પહેલા મેં હિન્દ મહાસાગર ક્ષેત્ર માટે સાગરના વિઝન અને પ્રતિબદ્ધતા રેખાંકિત કર્યા હતા. આ શબ્દ સાગર (SAGAR)નો હિન્દીમાં અર્થ સમુદ્ર થાય છે. SAGAR, અર્થાત સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજન આપણા માટે ઇન્ડો-પેસિફિકમાં સહયોગની બ્લ્યુ પ્રિન્ટ છે. સમાવેશિતાના આ સિદ્ધાંત પર આજે હું ફરી ભાર મૂકવા માગું છું. હું એ પણ કહેવા માગું છું કે, ભારત પોતાની શક્તિ અને ક્ષમતાઓનો ઉપયોગ માત્ર પોતાની સમૃદ્ધિ અને સુરક્ષા માટે જ નહીં કરે.

બલ્કે આ ક્ષેત્રમાં અન્ય દેશોની ક્ષમતા અને વિકાસમાં, આપત્તિઓમાં તેની માનવીય સહાયતા માટે, તથા તમામ દેશોની સહિયારી સુરક્ષા, સંપન્નતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે કરશે. સમર્થ, સશક્ત અને સમૃદ્ધ ભારત દક્ષિણ એશિયા અને ઇન્ડો-પેસિફિકમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં શાંતિ, વિકાસ અને સુરક્ષાનો આધાર સ્તંભ હશે.

અધ્યક્ષ મહોદય,

આ વિઝનને સાકાર કરવામાં અને બ્લ્યુ ઇકોનોમીમાં સહયોગ માટે, ભારતને માલદીવથી બહેતર કોઇ ભાગીદાર મળી શકે નહીં. કારણ કે આપણે સામુદ્રિક પડોશીઓ છીએ. કારણ કે આપણે મિત્રો છીએ. અને મિત્રોમાં કોઇ નાનું કે મોટું, નબળું કે શક્તિશાળી હોતું નથી. શાંત અને સમૃદ્ધ પડોશનો પાયો વિશ્વાસ, સદભાવના અને સહયોગ પર ટકેલો હોય છે.

અને આ વિશ્વાસ એવી હૈયાધારણા આપે છે કે આપણે એક-બીજાની ચિંતાઓ અને હિતોનું ધ્યાન રાખીએ છીએ. જેથી આપણે બંને વધુ સમૃદ્ધ થઇ શકીએ, વધુ સુરક્ષિત રહીએ. આવું ત્યારે જ શક્ય છે જ્યારે આપણે સારા સમયમાં અને ખરાબ સમયમાં પણ, પારસ્પરિક વિશ્વાસને વધુ મજબૂત કરીએ.

 

અધ્યક્ષ મહોદય,

અમારી દર્શન અને અમારી નીતિ છે: વસુધૈવ કુટુંબકમ. અર્થાત્ આખી દુનિયા એક પરિવાર છે. યુગપુરષ મહાત્મા ગાંધીએ કહ્યું હતું: “There is no limit to extending our services to our neighbors.” ભારતે પોતાની ઉપલબ્ધિઓને હંમેશા વિશ્વ સાથે અને ખાસ કરીને પડોશીઓ સાથે વહેંચી છે.

આથી, ભારતની વિકાસ ભાગીદારી લોકોને સશક્ત કરવા માટે છે. તેમને નબળા પાડવા માટે નથી કે નથી તેમની નિર્ભરતા વધારવા માટે અથવા તો ભાવિ પેઢીઓના ખભા પર કરજનો અસંભવ ભાર નાખવા માટે.

અધ્યક્ષ મહોદય,

વર્તમાન સમય પડકારોથી ભરેલો એક જટીલ સંક્રાંતિ કાળ છે. પરંતુ, પડકારો તેની સાથે તકો પણ લાવે છે. આજે ભારત અને માલદીવ પાસે તકો છે:

  • પડોશીઓ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોનો આદર્શ બનવાની;
  • પારસ્પરિક સહયોગથી આપણા લોકોની આર્થિક, સામાજિક અને રાજકીય આકાંક્ષાઓ પૂરી કરવાની;
  • આપણા વિસ્તારમાં સ્થાયિત્વ, શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરવાની;
  • વિશ્વની સર્વાધિક મહત્વપૂર્ણ સમુદ્રી લેનને સુરક્ષિત રાખવાની;
  • આતંકવાદને હરાવવાની;
  • આતંકવાદ અને કટ્ટરવાદને પોષતી શક્તિઓને દૂર રાખવાની;
  • અને સ્વસ્થ તથા સ્વચ્છ પરિવેશ તેમજ પર્યાવરણ માટે જરૂરી પરિવર્તનો લાવવાની.

ઇતિહાસને, અને આપણા નાગરિકોને આપણી પાસેથી અપેક્ષા છે કે આપણે આ તકો જવા નહીં દઇએ, તેનો સંપૂર્ણ લાભ ઉઠાવીશું. આ પ્રયાસમાં પૂરે-પૂરો સહયોગ કરવા માટે અને માલદીવ સાથે પોતાની અનમોલ મૈત્રીને વધુ ઘનિષ્ઠ કરવા માટે ભારત દૃઢ પ્રતિજ્ઞ છે.

આ પાવન સંકલ્પ હું આજે આપ સૌની વચ્ચે કહી રહ્યો છું. તમે મને તમારી વચ્ચે આવવાની તક આપી.

ફરી એક વાર આ ભવ્ય સન્માન બદલ આભાર.

તમારી મિત્રતા માટે આભાર.

ખૂબ-ખૂબ ધન્યવાદ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Gyan Bharatam Portal Houses Over 88,800 Manuscripts, Government Informs Lok Sabha

Media Coverage

Gyan Bharatam Portal Houses Over 88,800 Manuscripts, Government Informs Lok Sabha
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses delight as Sarnath is inscribed on the UNESCO World Heritage List
July 25, 2026

Prime Minister Shri Narendra Modi today expressed that it is a proud moment for every Indian, sharing his delight that Sarnath in Uttar Pradesh has been inscribed on the UNESCO World Heritage List.

He noted that Sarnath has a close association with Lord Buddha, whose timeless message of wisdom, compassion and harmony inspires the world.

Shri Modi highlighted that this recognition celebrates India’s profound civilisational and spiritual heritage. The Prime Minister observed that it will also inspire more people across the world to come to Sarnath and connect with the ideals of Lord Buddha.

In a post on X, the Prime Minister shared:

 "A proud moment for every Indian!

Delighted that Sarnath in Uttar Pradesh has been inscribed on the UNESCO World Heritage List.

Sarnath has a close association with Lord Buddha, whose timeless message of wisdom, compassion and harmony inspires the world.

This recognition celebrates India’s profound civilisational and spiritual heritage. It will also inspire more people across the world to come to Sarnath and connect with the ideals of Lord Buddha.

@UNESCO"