મારા મિત્ર, આબે સાન

Published By : Admin | July 8, 2022 | 19:27 IST

શિન્ઝો આબે – જાપાનના એક ઉત્કૃષ્ટ નેતા, મહાન વૈશ્વિક રાજનેતા અને ભારત-જાપાન વચ્ચે મિત્રતાના મહાન ચેમ્પિયન - હવે આપણી વચ્ચે નથી. જાપાન અને વિશ્વએ એક મહાન સ્વપ્નદૃષ્ટા ગુમાવ્યા છે. અને, મેં એક પ્રિય મિત્ર ગુમાવ્યો છે. 

હું 2007માં, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મારી જાપાનની મુલાકાત દરમિયાન તેમને પહેલી વખતે મળ્યો હતો. તેમની સાથે થયેલી પહેલી મુલાકાતથી જ, અમારી મૈત્રી ઓફિસની મર્યાદાઓ અને સત્તાવાર પ્રોટોકોલના બંધનોથી આગળ વધી હતી.

ક્યોટોમાં આવેલા તોજી મંદિરની અમારી મુલાકાત, શિંકનસેન પર અમારી ટ્રેનની મુસાફરી, અમદાવાદમાં સાબરમતી આશ્રમની અમારી મુલાકાત, કાશીમાં ગંગા આરતી, ટોક્યોમાં વિગતવાર ચા સમારંભ, અમારી વચ્ચે થયેલા યાદગાર વાર્તાલાપની યાદી ખરેખર ઘણી લાંબી છે.

 

 

અને, માઉન્ટ ફુજીની તળેટીમાં વસેલા યામાનાશી પ્રાંતમાં તેમના પરિવારિક ઘરે મને આમંત્રિત કરીને તેમણે આપેલા અનોખા સન્માનની હું હંમેશા કદર કરીશ.

તેઓ જ્યારે 2007 થી 2012 દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ન હતા અને તાજેતરમાં 2020 પછી પણ અમારું અંગત જોડાણ હંમેશની જેમ મજબૂત રહ્યું હતું.

આબે સાન સાથેની દરેક મુલાકાત બૌદ્ધિક રીતે ઉત્સાહિત કરી દેનારી હતી. તેઓ હંમેશા શાસન, અર્થતંત્ર, સંસ્કૃતિ, વિદેશ નીતિ અને અન્ય વિવિધ વિષયો પર નવા વિચારો અને અમૂલ્ય આંતરદૃષ્ટિથી ભરેલા રહેતા હતા.

તેમની સલાહથી મને ગુજરાત માટે મારી આર્થિક પસંદગીઓ કરવાની પ્રેરણા મળી હતી. અને, જાપાન સાથે ગુજરાતની વાઇબ્રન્ટ ભાગીદારીનું નિર્માણ કરવામાં તેમનો સહકાર ખૂબ જ મહત્વનો હતો.

પછી તો, ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવવા માટે તેમની સાથે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો એ મારા માટે એક વિશેષાધિકાર હતો. મોટા પ્રમાણમાં સંકુચિત, દ્વિપક્ષીય આર્થિક સંબંધોમાંથી, અબે સાને તેને એક બહોળા, વ્યાપક સંબંધોમાં પરિવર્તિત કરવામાં મદદ કરી હતી, જેમાં માત્ર રાષ્ટ્રીય પ્રયાસોના દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યું ન હતું, પરંતુ તે પરિવર્તન આપણા બંને દેશો અને ક્ષેત્રની સુરક્ષા માટે નિર્ણાયક બન્યું હતું. તેમના મતે, આ સંબંધ આપણા બંને દેશો વચ્ચે અને દુનિયાના લોકો માટે સૌથી વધુ પરિણામદાયક સંબંધોમાંનો એક હતો. તેઓ ભારત સાથેના નાગરિક પરમાણુ કરારને અનુસરવા માટે સંકલ્પબદ્ધ હતા - જે તેમના દેશ માટે સૌથી મુશ્કેલ હતું - અને ભારતમાં હાઇ સ્પીડ રેલ માટે સૌથી ઉદાર શરતો આપવામાં તેઓ નિર્ણાયક ભૂમિકામાં રહ્યા હતા. સ્વતંત્ર ભારતની સફરમાં સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્નો તરીકે, તેમણે ખાતરી આપી હતી કે, નવું ભારત પોતાની વૃદ્ધિને વેગ આપે છે તેથી જાપાન તેની પડખે છે. 

ભારત અને જાપાન વચ્ચેના સંબંધોમાં તેમણે આપેલા યોગદાન બદલ 2021માં તેમને પ્રતિષ્ઠિત પદ્મ વિભૂષણ એનાયત કરીને તેમનું ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું. 

આબે સાન દુનિયામાં થઇ રહેલા જટિલ અને બહુવિધ પરિવર્તનોની ઊંડી સમજ ધરાવતા હતા, રાજનીતિ, સમાજ, અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર સમય કરતાં પહેલા તેનો પ્રભાવ જોવાની તેમની પાસે દીર્ઘદૃષ્ટિ હતી, જે પસંદગીઓ થવાની હતી તે જાણવાનું શાણપણ ધરાવતા હતા, પ્રસ્થાપિત પ્રણાલીઓનો સામનો કરીને પણ સ્પષ્ટ અને હિંમતપૂર્ણ નિર્ણયો લેવાની તેમનામાં ક્ષમતા હતી અને પોતાના લોકો તેમજ દુનિયાને પોતાની સાથે રાખીને આગળ વધવાનું દુર્લભ સામર્થ્ય હતું. તેમની દૂરોગામી નીતિઓ એબેનોમિક્સના કારણે જાપાનનું અર્થતંત્ર પુનર્જીવિત થયું અને તેમના લોકોમાં આવિષ્કાર તેમજ ઉદ્યોગસાહસિકતાની ભાવના ફરીથી પ્રજ્વલિત થઇ હતી.

તેમણે આપણને આપેલી સૌથી મહાન ભેટો અને તેમનો સૌથી સ્થાયી વારસો, અને જેના માટે વિશ્વ હંમેશા ઋણી રહેશે, તે છે બદલાતી ભરતીના મોજાંઓને ઓળખવામાં અને આપણાં સમયના તોફાનને એકત્ર કરવામાં તેમની દૂરંદેશી અને તેની સામે પ્રતિક્રિયા આપવામાં તેમનું નેતૃત્વ. અન્ય લોકોની સરખામણીએ ઘણા પહેલાં, 2007માં તેમણે ભારતીય સંસદમાં પોતાના મુખ્ય ભાષણમાં, સમકાલિન રાજકીય, વ્યૂહાત્મક અને આર્થિક વાસ્તવિકતા તરીકે ઇન્ડો પેસિફિક ક્ષેત્રના ઉદય માટેનો આધાર મૂક્યો હતો – આ એક ક્ષેત્ર છે જે આ સદીમાં વિશ્વને પણ આકાર આપશે.

અને, તેના સ્થિર અને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ભવિષ્ય માટે એક માળખા અને આર્કિટેક્ચરનું નિર્માણ કરવામાં તેમણે અગ્રમોરચેથી નેતૃત્વ સંભાળ્યું હતું, જે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે આદર, આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમોનું પાલન, ઊંડા આર્થિક જોડાણ દ્વારા સમાનતા અને સહિયારી સમૃદ્ધિની ભાવનામાં આંતરરાષ્ટ્રીય સંબંધોના શાંતિપૂર્ણ આચરણ જેવા મૂલ્યોની તેઓ જે ખૂબ જ કદર કરતા હતા તેના પર આધારિત હતું.

ક્વાડ, ASEANની આગેવાની હેઠળની ફોરમ, ઇન્ડો પેસિફિક મહાસાગરોની પહેલ, એશિયા-આફ્રિકા વિકાસ કોરિડોર અને આપદા પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન, આ બધાને તેમના યોગદાનથી ફાયદો થયો છે. શાંતિથી અને મોટા દેખાડા કર્યા વગર, અને વિદેશમાં ખચકાટ અને સંશયને દૂર કરીને, તેમણે સમગ્ર ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સંરક્ષણ, કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉક્ષમતા સહિત જાપાનના વ્યૂહાત્મક જોડાણમાં પરિવર્તન લાવ્યું હતું. તેના માટે, પ્રદેશ તેના ભાગ્ય વિશે વધુ આશાવાદી છે અને વિશ્વ તેના ભવિષ્ય વિશે વધુ વિશ્વાસ ધરાવે છે.

આ વર્ષે મે મહિનામાં મારી જાપાનની મુલાકાત દરમિયાન, મને આબે સાનને મળવાની તક પ્રાપ્ત થઇ હતી, તેમણે એ સમયમાં જ જાપાન-ભારત એસોસિએશનના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ હંમેશની જેમ તેમના સ્વ-ઉર્જાવાન, મનમોહક, પ્રભાવશાળી અને ખૂબ જ વિનોદી મૂડમાં હતા. ભારત અને જાપાનની મિત્રતાને કેવી રીતે વધુ મજબૂત કરવી તે અંગે તેમની પાસે નવીન વિચારો હતા. તે દિવસે જ્યારે મેં તેને અલવિદા કહ્યું, ત્યારે મને જરાય કલ્પના પણ નહોતી કે તે અમારી અંતિમ મુલાકાત હશે.

હું તેમની હૂંફ અને ચતુરાઇ, કૃપા અને ઉદારતા, મિત્રતા અને માર્ગદર્શન માટે હું હંમેશા ઋણી રહીશ અને મને હંમેશા તેમની ખોટ વર્તાશે.

તેમણે અમને ખુલ્લા હૃદયથી સ્વીકાર્યા હતા તેથી તેમના નિધનના કારણે ભારતમાં અમે અમારા આપ્તજનની વિદાય તરીકે શોકાતૂર છીએ. તેઓ જેને સૌથી વધુ પ્રેમ કરતા હતા તે કરતી વખતે એટલે કે લોકોને પ્રેરણા આપતી વખતે મૃત્યુ પામ્યા છે. તેમનું જીવન દુ:ખદ રીતે ટૂંકાઇ ગયું છે, પરંતુ તેમનો વારસો હંમેશ માટે ટકી રહેશે.

હું ભારતના લોકો વતી અને મારા પોતાના વતી જાપાનના લોકો, ખાસ કરીને શ્રીમતી અકી આબે અને તેમના પરિવાર પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
₹10,000-crore scheme puts container manufacturing at the centre of India’s maritime push

Media Coverage

₹10,000-crore scheme puts container manufacturing at the centre of India’s maritime push
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.