ભારતે 21 ઑક્ટોબર, 2021ના રોજ 100 કરોડ રસીના ડોઝ આપવાનું સીમાચિન્હ પાર કર્યું છે. દેશમાં રસીકરણ અભિયાન શરૂ થયાના ફક્ત 9 મહિનામાં આ સફળતા હાંસલ થઈ છે. કોવિડ-19 મહામારીનો સામનો કરવાની આ સફર મહત્ત્વપૂર્ણ બની રહી છે. ખાસ કરીને જ્યારે આપણે વર્ષ 2020ની શરૂઆતની સ્થિતિને યાદ કરીએ તો માનવજાત 100 વર્ષ પછી આ પ્રકારની મહામારીનો સામનો કરતી હતી અને કોઈને વાઇરસ વિશે વધારે જાણકારી નહોતી. એ સમયે કેવી અકલ્પનીય સ્થિતિ ઊભી થઈ હતી. આપણે ઝડપથી વૃદ્ધિ કરતા અજાણ્યા અને અદૃશ્ય શત્રુનો સામનો કર્યો હતો. ચિંતાથી શરૂ થયેલી અને સુનિિૃતતા સુધી પહોંચેલી આ સફરમાં આપણો દેશ મજબૂત બનીને બહાર આવ્યો છે. જે માટે આપણા દેશમાં ચાલી રહેલું વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન જવાબદાર છે.

આ ખરા અર્થમાં ભગીરથ પ્રયાસ છે, જેમાં સમાજના વિવિધ વર્ગના લોકો સંકળાયેલા છે. આ અભિયાન કેટલું મોટું છે એનો અંદાજ મેળવવા આટલું વિચારો- રસીનો દરેક ડોઝ આપવામાં આરોગ્યકર્મીઓને ફક્ત 2 મિનિટ લાગે છે. આ રીતે આ સીમાચિન્હ પાર કરવામાં આશરે 41 લાખ માનવદિવસો લાગ્યા છે અથવા અંદાજે 1,100 માનવવર્ષોનો પ્રયાસ થયો છે. કોઈ પણ પ્રયાસ ઝડપ અને વ્યાપ હાંસલ કરે એ માટે તમામ હિતધારકોનો વિશ્વાસ મહત્ત્વપૂર્ણ હોય છે. આ અભિયાનની સફળતા માટે જવાબદાર વિવિધ કારણો પૈકીનું એક કારણ એ ભરોસો હતો. જે અવિશ્વાસ અને ડરનું વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો વચ્ચે પણ લોકોએ રસીમાં અને રસીકરણની પ્રક્રિયામાં મૂક્યો છે.

આપણામાંથી કેટલાક લોકો હજુ પણ વિદેશી બ્રાન્ડમાં જ વિશ્વાસ મૂકે છે, રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પણ જો કે જ્યારે કોવિડ-19 રસી જેવી મહત્ત્વપૂર્ણ બાબતની વાત આવી હતી. ત્યારે ભારતીયોએ એકમતે ‘મેડ ઇન ઇન્ડિયા’ રસીઓ પર ભરોસો મૂક્યો હતો. આ ભારતીયોની માનસિકતામાં ઊડીને આંખે વળગે એવું પરિવર્તન છે.

ભારતનું રસીકરણ અભિયાન ભારતની ક્ષમતાનું આદર્શ ઉદાહરણ છે. જો ભારતના નાગરિકો અને સરકાર જનભાગીદારીના એક સર્વમાન્ય લક્ષ્યાંક માટે એકમંચ પર આવે, તો દેશ એને હાંસલ કરી શકે છે. જ્યારે ભારતમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઈ હતી, ત્યારે ઘણા લોકોએ 130 કરોડ ભારતીયોની ક્ષમતા વિશે શંકા સેવી હતી. કેટલાક લોકોનું કહેવું હતું કે, ભારતને રસીકરણ અભિયાન પૂરું કરતા 3થી 4 વર્ષ લાગશે. અન્ય કેટલાકનું કહેવું હતું કે, લોકો રસી લેવા આગળ નહીં આવે. વળી એવું કહેનારા લોકો પણ હતા કે, રસીકરણની પ્રક્રિયામાં અવ્યવસ્થા અને અરાજકતા ઊભી થશે. અરે, કેટલાક લોકોએ તો એવું પણ કહ્યું હતું કે, ભારત પુરવઠાની સાંકળનું વ્યવસ્થાપન નહીં કરી શકે. પણ જનતા કરફ્યૂ અને પછી લૉકડાઉનની જેમ ભારતીયોએ પુરવાર કર્યું હતું કે, જો તેઓ વિશ્વસનીય ભાગીદાર બને, તો ઉત્કૃષ્ઠ પરિણામો હાંસલ થઈ શકશે.

જ્યારે દરેક વ્યક્તિ પોતીકાપણાની ભાવના અનુભવે છે. ત્યારે કશું અશક્ય નથી. આપણા આરોગ્યકર્મીઓએ લોકોને રસી આપવા દુર્ગમ વિસ્તારોમાં પહોંચવા નદીઓ ઓળંગી હતી અને પર્વતોનું ચઢાણ કર્યું હતું. જ્યારે વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં રસી લેવામાં લોકો ઓછામાં ઓછો ખચકાટ અનુભવે છે. ત્યારે આનો શ્રોય આપણા યુવાનો, સામાજિક કાર્યકર્તાઓ, આરોગ્યકર્મીઓ, સામાજિક અને આધ્યાત્મિક આગેવાનોને જાય છે.

વિવિધ હિત ધરાવતા સમૂહોનું રસીકરણમાં પ્રાથમિક્તા આપવા ઘણું દબાણ હતું. પણ સરકારે સુનિિૃત કર્યું હતું કે, અમારી અન્ય યોજનાઓની જેમ રસીકરણ અભિયાનમાં પણ વીઆઈપી કલ્ચર ઊભું નહીં થાય.

 જ્યારે વર્ષ 2020ની શરૂઆતમાં કોવિડ-19એ દુનિયાભરમાં મોટાપાયે જાનહાનિ કરી હતી, ત્યારે આપણા માટે સ્પષ્ટ થઈ ગયું હતું કે, આ મહામારીનો સામનો રસીની મદદથી જ થઈ શકશે. અમે તાડબતોબ તૈયારી શરૂ કરી હતી. અમે નિષ્ણાતોના જૂથો બનાવ્યાં હતાં અને એપ્રિલ, 2020ની શરૂઆતથી રૂપરેખા બનાવવાની શરૂઆત કરી હતી.

અત્યાર સુધી ગણ્યાગાંઠયાં દેશો તેમની પોતાની રસીઓ બનાવી શક્યા છે. 180થી વધારે દેશો અતિ મર્યાદિત ઉત્પાદકો પર નિર્ભર છે અને ડઝન દેશો હજુ પણ રસીના પુરવઠા માટે રાહ જોઈ રહ્યાં છે. આ સ્થિતિ સંજોગોમાં ભારતે 100 કરોડથી વધારે રસીના ડોઝ આપી દીધા છે ! જો ભારતે પોતાની રસી વિકસાવી ન હોત, તો આપણા દેશમાં કેવી સ્થિતિ સર્જાઈ હોત એનો વિચાર કરો. આટલી મોટી વસતી માટે ભારતને પર્યાપ્ત રસીનોે પુરવઠો કેવી રીતે મળ્યો હોત અને એમાં કેટલાં વર્ષો લાગ્યાં હોત ? આનો શ્રોય ભારતના વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકોને જાય છે, જેેઓ કટોકટીની સ્થિતિમાં મૂઠી ઊંચેરા પુરવાર થયા. તેમની પ્રતિભા અને મહેનતને પરિણામે ભારત રસીની બાબતમાં ખરા અર્થમાં આત્મનિર્ભર બન્યું છે. આપણા રસી ઉત્પાદકોએ આટલી મોટી વસતીની માગને પૂર્ણ કરવા ઉત્પાદનક્ષમતા વધારી દર્શાવ્યું છે કે, તેમના માટે દેશ અને દેશના નાગરિકો સર્વોપરી છે.

સામાન્ય રીતે ભારતમાં સરકારો વિકાસ કે પ્રગતિ આડે અવરોધો ઊભા કરવા માટે જાણીતી છે. પણ અમારી સરકારે વિકાસ કે પ્રગતિ માટે સુવિધાકાર અને પ્રેરકબળની ભૂમિકા અદા કરી છે. સરકારે પહેલાં દિવસથી રસીનિર્માતાઓ સાથે જોડાણ કર્યું હતું અને સંસ્થાગત સહાય, વૈજ્ઞાનિક સંશોધન, ફંડિંગ સ્વરૂપે તેમજ નિયમનકારક પ્રક્રિયાને વેગ આપવા તેમને ટેકો આપ્યો હતો. સરકારના તમામ મંત્રાલયો રસીનિર્માતાઓને સુવિધા આપવા એકમંચ પર આવ્યા હતા અને અમારી સરકારના સંપૂર્ણ અભિગમ સ્વરૂપે કોઈપણ અવરોધને દૂર કર્યો હતો.

ભારત જેવા વિશાળ દેશમાં રસીનું ઉત્પાદન કરવું પર્યાપ્ત નથી. રસીના ઉત્પાદન પછી અંતરિયાળ વિસ્તારોમાં પુરવઠો પહોંચાડવા અને શ્રોષ્ઠ લોજિસ્ટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. એમાં સંકળાયેલા પડકારોને સમજવા રસીની એક શીશીની સફરનો વિચાર કરો. પૂણે કે હૈદરાબાદના પ્લાન્ટમાંથી શીશી કોઈપણ રાજ્યના કેન્દ્રમાં મોકલવામાં આવે છે, ત્યાંથી તેને જિલ્લાના કેન્દ્ર સુધી લઈ જવામાં આવે છે. અહીંથી આ શીશી રસીકરણ કેન્દ્ર સુધી પહોંચે છે. આ પ્રક્રિયામાં ફ્લાઇટ્સ અને ટ્રેનોની હજારો સફર સંકળાયેલી છે. આ સંપૂર્ણ સફરમાં એક ખાસ રેન્જમાં તાપમાન જળવાઈ રહેવું જોઈએ, જેના પર કેન્દ્રીય સ્તરેથી નજર રાખવામાં આવે છે. આ માટે 1 લાખથી વધારે કોલ્ડ-ચેઇન ઉપકરણોનો ઉપયોગ થયો હતો. રાજ્યોને રસીઓના ડિલિવરી શિડયૂલની અગાઉથી જાણકારી આપવામાં આવી હતી, જેથી તેઓ રસીકરણ અભિયાનની શ્રોષ્ઠ યોજના બનાવી શકે અને પૂર્વનિર્ધારિત દિવસોમાં તેમના સુધી રસીઓ પહોંચી શકે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ પ્રયાસ છે.

આ તમામ પ્રયાસોમાં કોવિન ટેક્નોલોજી પ્લેટફોર્મે અસરકારક ભૂમિકા ભજવી હતી. આ પ્લેટફોર્મે સુનિિૃત કર્યું હતું કે, રસીકરણ અભિયાન સમાન અને વ્યાપક ધોરણે, ટ્રેક કરી શકાય અને પારદર્શક રીતે ચાલે. એનાથી ઓળખાણ કે લાગવગનો કોઈ અવકાશ રહ્યો નહોતો. એમાં એ પણ સુનિિૃત થયું હતું કે, એક ગરીબ કામદાર એના ગામમાં પહેલો ડોઝ લઈ શકે અને પર્યાપ્ત સમયના અંતરાલ પછી એ જ રસીનો બીજો ડોઝ શહેરમાં લઈ શકે, જ્યાં તે કામ કરે છે. પારદર્શકતા વધારવા રિયલ-ટાઇમ ડેશબોર્ડ ઉપરાંત ક્યૂઆર-કોડેડ સર્ટિફિકેટથી વેરિફાઈ કરવાની ક્ષમતા સુનિિૃત થઈ હતી. આ પ્રકારના પ્રયાસો ભારતની સાથે દુનિયામાં પણ ભાગ્યે જ જોવા મળ્યા છે.

મેં વર્ષ 2015ના સ્વતંત્રતા દિવસના મારા સંબોધનમાં કહ્યું હતું કે, આપણો દેશ ‘ટીમ ઇન્ડિયા’ને કારણે અગ્રેસર થઈ રહ્યો છે અને ટીમ ઇન્ડિયા આપણા 130 કરોડ ભારતીયોની વિશાળ ટીમ છે. જનભાગીદારી લોકશાહીની સૌથી મોટી તાકાત છે. જો આપણે 130 કરોડ ભારતીય ખભેખભો મિલાવીને દેશ ચલાવીએ, તો આપણો દેશ દરેક ક્ષણે 130 કરોડ સ્ટેપ અગ્રેસર થશે. આપણા રસીકરણ અભિયાને એક વાર ફરી આ ‘ટીમ ઇન્ડિયા’ની ક્ષમતા પુરવાર કરી છે. ભારતની એના રસીકરણ અભિયાનની સફળતાએ દુનિયાને એ પણ દર્શાવ્યું છે કે, લોકશાહી અસરકારક રીતે કામ કરી શકે છે.

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Rural buyers outpace cities as India’s passenger vehicle sales surge 26.6% in December: FADA

Media Coverage

Rural buyers outpace cities as India’s passenger vehicle sales surge 26.6% in December: FADA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોમનાથ સ્વાભિમાન પર્વ - અખંડ આસ્થાના 1000 વર્ષ (1026-2026)
January 05, 2026

સોમનાથ... આ શબ્દ સાંભળતા જ આપણા હૃદય અને મનમાં ગર્વની લાગણી જન્મે છે. તે ભારતની આત્માની શાશ્વત ઘોષણા છે. આ ભવ્ય મંદિર ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતમાં પ્રભાસ પાટણ નામના સ્થળે આવેલું છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં ભારતભરના 12 જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ છે. સ્તોત્રની શરૂઆત "सौराष्ट्र सोमनाथं च.." થી થાય છે, જે પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સોમનાથની સભ્યતા અને આધ્યાત્મિક મહત્વનું પ્રતીક છે.

એમ પણ કહેવાય છે કે:

सोमलिङ्गं नरो दृष्टा सर्वपापैः प्रमुच्यते।
लभते फलं मनोवांछितम मृतः स्वर्ग समाश्रयेत ।।

તેનો અર્થ છે: સોમનાથ શિવલિંગના માત્ર દર્શન કરવાથી મનુષ્ય પાપોમાંથી મુક્ત થાય છે, તેની ધાર્મિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. દુર્ભાગ્યવશ, આ જ સોમનાથ, જે લાખો લોકોની શ્રદ્ધા અને પ્રાર્થનાનું કેન્દ્ર હતું, તેના પર વિદેશી આક્રમણકારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમનો એજન્ડા વિનાશ કરવાનો હતો, ભક્તિ નહીં.

વર્ષ 2026 સોમનાથ મંદિર માટે મહત્ત્વપૂર્ણ છે. આ મહાન મંદિર પર થયેલા પ્રથમ હુમલાને 1,000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જાન્યુઆરી 1026 માં જ ગઝનીના મહમુદે આ મંદિર પર હુમલો કર્યો હતો, જેણે હિંસક અને બર્બર આક્રમણ દ્વારા શ્રદ્ધા અને સભ્યતાના મહાન પ્રતીકને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, એક હજાર વર્ષ પછી પણ, સોમનાથને તેની ભવ્યતામાં પુનઃસ્થાપિત કરવાના અસંખ્ય પ્રયાસોને કારણે મંદિર આજે પણ એટલું જ ભવ્ય છે.

આવો જ એક સીમાચિહ્ન 2026 માં 75 વર્ષ પૂર્ણ કરે છે. 11 મે 1951 ના રોજ એક સમારોહ દરમિયાન, ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં, પુનઃનિર્મિત મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. 1026 માં સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણ, નગરના લોકો પર કરવામાં આવેલી ક્રૂરતા અને મંદિર પર થયેલા વિનાશનું વિવિધ ઐતિહાસિક વૃત્તાંતોમાં વિગતવાર દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે.

જ્યારે તમે તેને વાંચો છો, ત્યારે હૃદય કંપી ઉઠે છે. દરેક પંક્તિ દુઃખ, ક્રૂરતા અને એવી પીડાનો ભાર વહન કરે છે જે સમયની સાથે ભૂંસાતી નથી. ભારત અને લોકોના મનોબળ પર તેની કેવી અસર પડી હશે તેની કલ્પના કરો. સોમનાથનું મોટું આધ્યાત્મિક મહત્વ હતું. તે દરિયાકાંઠે હોવાથી, મહાન આર્થિક પરાક્રમ ધરાવતા સમાજને શક્તિ પણ આપતું હતું, જેના દરિયાઈ વેપારીઓ અને નાવિકો તેની ભવ્યતાની ગાથાઓ દૂર-દૂર સુધી લઈ જતા હતા.

તેમ છતાં, હું નિઃસંકોચપણે ગર્વ સાથે કહી શકું છું કે સોમનાથની વાર્તા, પ્રથમ હુમલાના એક હજાર વર્ષ પછી પણ, વિનાશ દ્વારા વ્યાખ્યાયિત થતી નથી. તે ભારત માતાના કરોડો સંતાનોના અતૂટ સાહસ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. 1026માં શરૂ થયેલી મધ્યકાલીન બર્બરતાએ અન્યોને વારંવાર સોમનાથ પર હુમલો કરવા માટે 'પ્રેરિત' કર્યા હતા. તે આપણા લોકો અને સંસ્કૃતિને ગુલામ બનાવવાનો પ્રયાસ હતો. પરંતુ, દર વખતે જ્યારે મંદિર પર હુમલો થયો, ત્યારે આપણી પાસે એવા મહાન પુરુષો અને સ્ત્રીઓ હતા જેઓ તેના રક્ષણ માટે ઉભા થયા અને સર્વોચ્ચ બલિદાન પણ આપ્યું.

અને દરેક વખતે, પેઢી દર પેઢી, આપણી મહાન સંસ્કૃતિના લોકો બેઠા થયા અને મંદિરનું પુનઃનિર્માણ તેમજ નવજીવન કર્યું. એ જ માટી દ્વારા આપણું પણ પાલન-પોષણ થવું એ આપણું સૌભાગ્ય છે જેણે અહિલ્યાબાઈ હોલકર જેવા મહાનુભાવોને પોષ્યા છે, જેમણે ભક્તો સોમનાથમાં પ્રાર્થના કરી શકે તે માટે ઉમદા પ્રયાસ કર્યો હતો. 1890ના દાયકામાં, સ્વામી વિવેકાનંદે સોમનાથની મુલાકાત લીધી હતી અને તે અનુભવથી તેઓ પ્રભાવિત થયા હતા.

તેમણે 1897 માં ચેન્નાઈમાં એક વ્યાખ્યાન દરમિયાન પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "દક્ષિણ ભારતના આમાંના કેટલાક પ્રાચીન મંદિરો અને ગુજરાતના સોમનાથ જેવા મંદિરો તમને જ્ઞાનના અઢળક પાઠ શીખવશે, કોઈપણ પુસ્તકો કરતાં આ જાતિના ઇતિહાસમાં ઊંડી સમજ આપશે. જુઓ કે આ મંદિરો કેવી રીતે સો હુમલાઓ અને સો જીર્ણોધારન નિશાન ધરાવે છે, જે સતત નાશ પામતા રહ્યા અને ખંડેરોમાંથી સતત બહાર આવતા રહ્યા, નવપલ્લિત અને હંમેશાની જેમ મજબૂત! તે રાષ્ટ્રીય મન છે, તે રાષ્ટ્રીય જીવન-પ્રવાહ છે. તેને અનુસરો અને તે ગૌરવ તરફ દોરી જશે. જો તેને છોડી દેશો તો તમે નાશ પામશો; જે ક્ષણે તમે તે જીવન પ્રવાહની બહાર પગ મૂકશો, મૃત્યુ એ એકમાત્ર પરિણામ હશે, વિનાશ જ એકમાત્ર અસર હશે."

સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરના પુનઃનિર્માણની પવિત્ર ફરજ સરદાર વલ્લભભાઈ પટેલના સમર્થ હાથોમાં આવી. 1947 માં દિવાળીના સમયે એક મુલાકાતે તેમને એટલા પ્રભાવિત કર્યા કે તેમણે ત્યાં મંદિરના પુનઃનિર્માણની જાહેરાત કરી દીધી. અંતે, 11 મે 1951 ના રોજ, સોમનાથમાં એક ભવ્ય મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. મહાન સરદાર સાહેબ આ ઐતિહાસિક દિવસ જોવા જીવિત નહોતા, પરંતુ તેમના સ્વપ્નની પૂર્તિ રાષ્ટ્ર સમક્ષ ગર્વથી ઊભી હતી.

તત્કાલીન પ્રધાનમંત્રી, પંડિત જવાહરલાલ નેહરુ, આ ઘટનાક્રમથી બહુ ઉત્સાહિત નહોતા. તેઓ ઈચ્છતા ન હતા કે માનનીય રાષ્ટ્રપતિ તેમજ મંત્રીઓ આ વિશેષ કાર્યક્રમ સાથે જોડાય. તેમણે કહ્યું હતું કે આ ઘટનાએ ભારતની ખરાબ છાપ ઊભી કરી છે. પરંતુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અડગ રહ્યા અને બાકીનો ઇતિહાસ છે. સોમનાથનો કોઈ પણ ઉલ્લેખ કે. એમ. મુનશીના પ્રયાસોને યાદ કર્યા વિના અધૂરો છે, જેમણે સરદાર પટેલને ખૂબ જ અસરકારક રીતે સાથ આપ્યો હતો. 'સોમનાથ: ધ શ્રાઈન એટર્નલ' પુસ્તક સહિત સોમનાથ પરના તેમના કાર્યો અત્યંત માહિતીપ્રદ અને શિક્ષિત કરનારા છે.

ખરેખર, મુનશીજીના પુસ્તકનું શીર્ષક જણાવે છે તેમ, આપણે એવી સંસ્કૃતિ છીએ જે આત્મા અને વિચારોની શાશ્વતતા વિશે દ્રઢ વિશ્વાસ ધરાવે છે. ગીતાના પ્રખ્યાત શ્લોક “नैनं छिन्दन्ति शस्त्राणि..." માં દર્શાવ્યા મુજબ, જે શાશ્વત છે તે અવિનાશી છે એવું આપણે દ્રઢપણે માનીએ છીએ. આપણી સભ્યતાના અદમ્ય ઉત્સાહનું સોમનાથથી વધુ સારું ઉદાહરણ બીજું કોઈ હોઈ શકે નહીં, જે મુશ્કેલીઓ અને સંઘર્ષો પર વિજય મેળવીને ભવ્ય રીતે ઊભું છે.

આ જ ભાવના આપણા રાષ્ટ્રમાં જોવા મળે છે, જે સદીઓના આક્રમણો અને સંસ્થાનવાદી લૂંટને પાર કરીને વૈશ્વિક વિકાસના તેજસ્વી સ્થળોમાંનું એક છે. આપણી મૂલ્ય પ્રણાલીઓ અને આપણા લોકોના નિશ્ચયે જ ભારતને આજે વૈશ્વિક ધ્યાનનું કેન્દ્ર બનાવ્યું છે. વિશ્વ ભારતને આશા અને આશાવાદ સાથે જોઈ રહ્યું છે. તેઓ આપણા નવયુવાનોમાં રોકાણ કરવા માંગે છે. આપણી કલા, સંસ્કૃતિ, સંગીત અને અનેક તહેવારો વૈશ્વિક સ્તરે જઈ રહ્યા છે. યોગ અને આયુર્વેદ વિશ્વભરમાં પ્રભાવ પાડી રહ્યા છે અને સ્વસ્થ જીવનને પ્રોત્સાહન આપી રહ્યા છે. વિશ્વના કેટલાક સૌથી કપરા પડકારોના ઉકેલો ભારતમાંથી આવી રહ્યા છે.

અનાદિ કાળથી, સોમનાથે જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવ્યા છે. સદીઓ પહેલા, એક આદરણીય જૈન સાધુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સોમનાથ આવ્યા હતા. એવું કહેવાય છે કે ત્યાં પ્રાર્થના કર્યા પછી, તેમણે એક શ્લોક ગાયો હતો, “भवबीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपगता यस्य।।". તેનો અર્થ છે - તે ઈશ્વરને વંદન જેમાં સાંસારિક બનેલા બીજ નાશ પામે છે, જેમાં રાગ અને તમામ ક્લેશો શમી ગયા છે. આજે પણ સોમનાથ મન અને આત્મામાં કંઈક ગહન જાગૃત કરવાની ક્ષમતા ધરાવે છે.

1026 ના પ્રથમ હુમલાના એક હજાર વર્ષ પછી પણ, સોમનાથનો દરિયો આજે પણ એ જ તીવ્રતાથી ગર્જના કરે છે જેવી તે સમયે કરતો હતો. સોમનાથના કિનારાને સ્પર્શતી લહેરો એક વાર્તા કહે છે. ભલે ગમે તે થાય, મોજાંની જેમ તે વારંવાર ઊઠતું રહશે. ભૂતકાળના આક્રમણકારો હવે હવામાં ધૂળ બની ગયા છે, તેમના નામ વિનાશના પર્યાય છે. તેઓ ઇતિહાસના પાનામાં ફૂટનોટ્સ બનીને રહી ગયા છે, જ્યારે સોમનાથ તેજસ્વી રીતે ઉભું છે, જે ક્ષિતિજની પેલે પાર સુધી પ્રકાશ ફેલાવે છે, અને આપણને એ શાશ્વત ભાવનાની યાદ અપાવે છે જે 1026ના હુમલા છતાં પણ અકબંધ રહી હતી. સોમનાથ એ આશાનું ગીત છે જે આપણને કહે છે કે નફરત અને કટ્ટરતા પાસે ભલે એક ક્ષણ માટે નાશ કરવાની શક્તિ હોય, પરંતુ સારપની શક્તિમાં વિશ્વાસ અને દ્રઢતા પાસે અનંતકાળ સુધી સર્જન કરવાની શક્તિ છે.

જો સોમનાથ મંદિર, જેના પર એક હજાર વર્ષ પહેલાં હુમલો થયો હતો અને ત્યારપછી સતત આક્રમણોનો સામનો કરવો પડ્યો હતો, તે ફરીથી અને ફરીથી ઉભું થઈ શકતું હોય, તો આપણે ચોક્કસપણે આપણા મહાન રાષ્ટ્રને તે ગૌરવ અપાવી શકીએ છીએ જે આક્રમણો પહેલા એક હજાર વર્ષ પહેલાં હતું. શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ સાથે, આપણે આગળ વધીએ છીએ...

વિકસિત ભારત બનાવવાના નવા સંકલ્પ સાથે, જ્યાં સભ્યતાનું જ્ઞાન આપણને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કામ કરવા માર્ગદર્શન આપે છે.

જય સોમનાથ!