પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના અંદાજે ₹23,437 કરોડના કુલ ખર્ચ ધરાવતા 03 (ત્રણ) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:
અ) નાગદા – મથુરા ત્રીજી અને ચોથી લાઇન
બ) ગુંટકલ્લ – વાડી ત્રીજી અને ચોથી લાઇન
ક) બુઢવલ – સીતાપુર ત્રીજી અને ચોથી લાઇન
લાઇનની વધેલી ક્ષમતા ગતિશીલતામાં નોંધપાત્ર વધારો કરશે, જેના પરિણામે ભારતીય રેલવે માટે કાર્યક્ષમતા અને સેવાની વિશ્વસનીયતામાં સુધારો થશે. આ મલ્ટિ-ટ્રેકિંગ દરખાસ્તો કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ટ્રાફિકને હળવો કરવા માટે તૈયાર છે. આ પ્રોજેક્ટ્સ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના 'નવા ભારત' ના વિઝનને અનુરૂપ છે, જે આ વિસ્તારમાં વ્યાપક વિકાસ દ્વારા અહીંના લોકોને "આત્મનિર્ભર" બનાવશે અને તેમની રોજગાર/સ્વ-રોજગારની તકોમાં વધારો કરશે.
આ પ્રોજેક્ટ્સનું આયોજન પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન પર કરવામાં આવ્યું છે, જેમાં સંકલિત આયોજન અને હિતધારકોના પરામર્શ દ્વારા મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે અવિરત કનેક્ટિવિટી પૂરી પાડશે.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યોના 19 જિલ્લાઓને આવરી લેતા આ 03 (ત્રણ) પ્રોજેક્ટ્સ ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 901 કિલોમીટરનો વધારો કરશે.
પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ આશરે 4,161 ગામડાઓ સાથે કનેક્ટિવિટી વધારશે, જે આશરે 83 લાખની વસ્તી ધરાવે છે.
પ્રસ્તાવિત ક્ષમતા વધારાથી દેશભરના કેટલાય અગ્રણી પ્રવાસી સ્થળો માટે રેલ કનેક્ટિવિટીમાં સુધારો થશે, જેમાં મહાકાલેશ્વર, રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, કુનો રાષ્ટ્રીય ઉદ્યાન, કેઓલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, મથુરા, વૃંદાવન, મંત્રાલયમ (શ્રી રાઘવેન્દ્ર સ્વામી મઠ), શ્રી નેટ્ટિકંટી અંજનાય સ્વામી વારી મંદિર (કાસાપુરમ), શ્યામનાથ મંદિર, નૈમિષારણ્ય (નીમસાર) વગેરેનો સમાવેશ થાય છે.
પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સ કોલસો, અનાજ, સિમેન્ટ, પીઓએલ (પેટ્રોલિયમ, ઓઇલ અને લુબ્રિકન્ટ્સ), આયર્ન એન્ડ સ્ટીલ, આયર્ન ઓર (લોહ અયસ્ક), કન્ટેનર, ખાતર વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટેના આવશ્યક રૂટ છે. ક્ષમતા વધારવાની આ કામગીરીના પરિણામે 60 MTPA (મિલિયન ટન પ્રતિ વર્ષ) ના પ્રમાણમાં વધારાનો નૂર ટ્રાફિક (ફ્રેઇટ ટ્રાફિક) મળશે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને ઊર્જા કાર્યક્ષમ પરિવહનનું માધ્યમ હોવાથી, દેશના આબોહવા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં, તેલની આયાતમાં ઘટાડો કરવા (37 કરોડ લીટર) અને CO2 ઉત્સર્જન ઘટાડવામાં (185 કરોડ કિલોગ્રામ) મદદ કરશે, જે 07 (સાત) કરોડ વૃક્ષો વાવવા બરાબર છે.


