ભારત માટે, ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો માત્ર કલાકૃતિઓ નથી; તે આપણા પૂજનીય વારસાનો એક ભાગ છે અને આપણી સભ્યતાનો અવિભાજ્ય હિસ્સો છે: PM
ભગવાન બુદ્ધ દ્વારા બતાવવામાં આવેલ જ્ઞાન અને માર્ગ સમગ્ર માનવજાતનો છે: PM
ભગવાન બુદ્ધ દરેકના છે અને આપણને સૌને એક કરે છે: PM
ભારત માત્ર ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું રક્ષક જ નથી, પરંતુ તે કાલાતીત પરંપરાનું જીવંત વાહક પણ છે: PM
ભારતે વિશ્વભરમાં બૌદ્ધ હેરિટેજ સાઇટ્સના વિકાસમાં યોગદાન આપવા માટે સતત પ્રયાસો કર્યા છે: PM
ભગવાન બુદ્ધના ઉપદેશો મૂળ પાલી ભાષામાં છે, અમારો પ્રયાસ પાલીને વ્યાપક પ્રેક્ષકો સુધી લઈ જવાનો છે અને આ માટે પાલીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે: PM

નમો બુદ્ધાય.

કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, ગજેન્દ્ર સિંહ શેખાવતજી, કિરણ રિજિજુજી, રામદાસ અઠાવલેજી, રાવ ઇન્દ્રજીતજી, દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, તેમને નીકળવું પડ્યું અને દિલ્હીના તમામ મંત્રીગણના સાથીઓ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાજી, Excellencies, Diplomatic communityના તમામ માનનીય સભ્યો, Buddhist Scholars, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.

સવા સો વર્ષની પ્રતીક્ષા પછી, ભારતનો વારસો પાછો ફર્યો છે, ભારતની ધરોહર પાછી ફરી છે. આજથી ભારતીય જન-માનસ, ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે, ભગવાન બુદ્ધના આશીર્વાદ લઈ શકશે. હું આ શુભ અવસર પર અહીં ઉપસ્થિત, તમામ અતિથિઓનું સ્વાગત અને અભિનંદન કરું છું. આ પાવન અવસર પર, બૌદ્ધ પરંપરા સાથે જોડાયેલા ભિક્ષુઓ અને ધર્માચાર્યો પણ આપણને આશીર્વાદ આપવા માટે અહીં ઉપસ્થિત છે. હું આપ સૌને વંદન કરું છું. આપ સૌની ઉપસ્થિતિ, આ આયોજનને નવી ઊંચાઈ, નવી ઊર્જા આપી રહી છે. 2026ની શરૂઆતમાં જ આ શુભ ઉત્સવ, ખૂબ જ પ્રેરણાદાયી છે. અને મારા માટે પણ સૌભાગ્ય છે કે 2026નો મારો આ પ્રથમ સાર્વજનિક કાર્યક્રમ છે, જે ભગવાન બુદ્ધના ચરણોથી શરૂ થઈ રહ્યો છે. મારી કામના છે, ભગવાન બુદ્ધના આશીર્વાદથી, 2026, દુનિયા માટે શાંતિ, સમૃદ્ધિ અને સદ્ભાવનાનો નવો દોર લઈને આવે.

સાથીઓ,

જે સ્થાન પર આ પ્રદર્શન લાગ્યું છે, તે પણ પોતાનામાં વિશેષ છે. કિલ્લા રાય પિથોરાનું આ સ્થાન, ભારતના ગૌરવશાળી ઇતિહાસની યશભૂમિ છે, આ ઐતિહાસિક કિલ્લાની આસપાસ, લગભગ એક હજાર વર્ષ પહેલાં, તે સમયના પૂર્વ શાસકોએ, એક દૃઢ અને મજબૂત સુરક્ષિત દીવાલોથી ઘેરાયેલા નગરની સ્થાપના કરી હતી. આજે તે જ ઐતિહાસિક નગર પરિસરમાં, આપણે આપણા ઇતિહાસની એક આધ્યાત્મિક અને પુણ્ય ગાથાને જોડી રહ્યા છીએ.

 

સાથીઓ,

અહીં આવતા પહેલા મેં વિગતવાર આ ઐતિહાસિક પ્રદર્શન જોયું. ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો (રેલિક્સ) ને આપણી વચ્ચે મેળવીને આપણે સૌ ધન્ય છીએ. તેમનું ભારતની બહાર જવું અને ફરીથી ભારત આવવું, આ બંને પડાવ પોતાનામાં એક બહુ મોટો પાઠ છે. પાઠ એ છે કે ગુલામી માત્ર રાજકીય અને આર્થિક નથી હોતી, ગુલામી, આપણા વારસાને પણ તબાહ કરી દે છે. ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ (રેલિક્સ) સાથે પણ આવું જ થયું. ગુલામીના કાલખંડમાં તેમને ભારત પાસેથી છીનવી લેવામાં આવ્યા હતા, અને ત્યારથી લગભગ સવા સો વર્ષ સુધી, તેઓ દેશની બહાર જ રહ્યા. જે લોકો તેમને ભારતથી લઈને ગયા હતા, તેમના વંશજો માટે તો આ માત્ર નિર્જીવ Antique પીસ જ હતા. તેથી તેમણે આ પવિત્ર અવશેષોને આંતરરાષ્ટ્રીય બજારમાં હરાજી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારત માટે તો, આ પવિત્ર અવશેષો (રેલિક્સ) આપણા આરાધ્યનો જ એક અંશ છે, આપણી સભ્યતાનો અભિન્ન અંગ છે. તેથી ભારતે નક્કી કર્યું કે આપણે તેની જાહેર હરાજી થવા દઈશું નહીં. અને હું આજે ગોદરેજ સમૂહનો પણ આભાર વ્યક્ત કરું છું, તેમના સહયોગથી ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા આ પવિત્ર અવશેષો, ભગવાન બુદ્ધની કર્મભૂમિ, તેમની ચિંતનભૂમિ અને તેમની મહાબોધિ ભૂમિ અને તેમની મહા-પરિનિર્વાણ ભૂમિ પર પાછા ફર્યા છે.

સાથીઓ,

ભગવાન બુદ્ધનું જ્ઞાન, તેમનો બતાવેલો માર્ગ, સમગ્ર માનવતાનો છે અને કાલાતીત છે, તે સમયમાં બદલાયેલો નથી. આ ભાવ આપણે વિતેલા કેટલાક મહિનાઓમાં વારંવાર અનુભવ્યો. વિતેલા કેટલાક મહિનાઓમાં, ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા પાવન અવશેષો જે પણ દેશમાં ગયા, ત્યાં આસ્થા અને શ્રદ્ધાની જુવાળ ઉમટી પડી. થાઈલેન્ડમાં અલગ-અલગ સ્થળોએ આવા જ પાવન અવશેષો રાખવામાં આવ્યા હતા. મહિના કરતા પણ ઓછા સમયમાં, ત્યાં 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ તેમના દર્શન કર્યા. વિયેતનામમાં જન-ભાવના એટલી પ્રબળ હતી કે પ્રદર્શનનો સમયગાળો વધારવો પડ્યો. ત્યાંના નવ શહેરોમાં આશરે પોણા બે કરોડ લોકોએ બુદ્ધ અવશેષોને નમન કર્યા. મંગોલિયામાં ગંદન મઠની બહાર, હજારો લોકો કલાકો સુધી પ્રતીક્ષા કરતા રહ્યા. કેટલાય લોકોએ માત્ર એટલા માટે ભારતીય પ્રતિનિધિઓને સ્પર્શવા ઈચ્છ્યા, કારણ કે તેઓ બુદ્ધની ભૂમિ પરથી આવ્યા હતા. રશિયાના કાલ્મિકિયા વિસ્તારમાં, માત્ર એક અઠવાડિયામાં દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર અવશેષો (રેલિક્સ)ના દર્શન કર્યા. આ ત્યાંની અડધાથી પણ વધુ વસ્તી બરાબર છે. વિવિધ દેશોમાં, થયેલા આ આયોજનમાં, શું સામાન્ય જન, શું સરકાર ન વડા બધા એક સમાન શ્રદ્ધાથી જોડાયા. ભગવાન બુદ્ધ સૌના છે, ભગવાન બુદ્ધ સૌને જોડે છે.

 

સાથીઓ,

હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું, કારણ કે ભગવાન બુદ્ધનું મારા જીવનમાં ખૂબ જ ઊંડું સ્થાન રહ્યું છે. મારો જન્મ જે વડનગરમાં થયો, તે બૌદ્ધ શિક્ષણનું બહુ મોટું કેન્દ્ર હતું. જે ભૂમિ પર ભગવાન બુદ્ધે પોતાના પ્રથમ ઉપદેશ આપ્યા, તે સારનાથ આજે મારી કર્મભૂમિ છે. જ્યારે હું સરકારની જવાબદારીઓથી દૂર હતો, ત્યારે પણ હું એક તીર્થયાત્રી તરીકે બૌદ્ધ તીર્થસ્થળોની યાત્રા કરતો રહેતો હતો. પ્રધાનમંત્રી તરીકે તો મને વિશ્વભરમાં બૌદ્ધ તીર્થોમાં જવાનું સૌભાગ્ય મળ્યું છે. નેપાળના લુમ્બિનીમાં, પવિત્ર માયાદેવી મંદિરમાં નતમસ્તક થવું, પોતાનામાં અદભૂત અનુભવ હતો. જાપાનમાં તો-જી મંદિર અને કિન્કાકુ-જીમાં, મેં અનુભવ્યું કે બુદ્ધનો સંદેશ સમયની સીમાઓથી આગળ છે. હું ચીનમાં શીઆનની બિગ વાઈલ્ડ ગૂઝ પેગોડામાં પણ ગયો, જ્યાંથી બૌદ્ધ ગ્રંથો સમગ્ર એશિયામાં પહોંચ્યા, ત્યાં ભારતની ભૂમિકા આજે પણ યાદ કરવામાં આવે છે. હું મંગોલિયાના ગંદન મઠમાં ગયો, તો મેં જોયું કે લોકોની આંખોમાં બુદ્ધના વારસા સાથે કેટલું જોડાણ છે. શ્રીલંકાના અનુરાધાપુરામાં જયા શ્રી મહાબોધિના દર્શન કરવા, તે પરંપરા સાથે જોડાવાનો અહેસાસ હતો, જેના બીજ સમ્રાટ અશોક, ભિક્ખુ મહેન્દ અને સંઘમિત્રા જીએ રોપ્યા હતા. થાઈલેન્ડના વાટ ફો અને સિંગાપોરના બુદ્ધ ટૂથ રેલિક મંદિરની યાત્રાઓએ, ભગવાન બુદ્ધના સંદેશાઓના પ્રભાવ વિશેની મારી સમજને વધુ ઊંડી બનાવી.

સાથીઓ,

હું જ્યાં જ્યાં ગયો, મારો પ્રયાસ રહ્યો કે હું ભગવાન બુદ્ધના વારસાનું એક પ્રતીક ત્યાંના લોકોની વચ્ચે જોડીને પરત ફરું. અને તેથી ચીન, જાપાન, કોરિયા, મંગોલિયા, હું જ્યાં પણ ગયો, બોધિ વૃક્ષના છોડ લઈને ગયો હતો. તમે કલ્પના કરી શકો છો, જે હિરોશિમા પર, તે હિરોશિમા શહેરને એટમ બોમ્બે તબાહ કરી દીધું હતું, ત્યાંના બોટનિકલ ગાર્ડનમાં બોધિ વૃક્ષનું હોવું, માનવતા માટે કેટલો મોટો મેસેજ બન્યો છે.

સાથીઓ,

ભગવાન બુદ્ધનો આપણો આ સહિયારો વારસો, એ વાતનો પણ પુરાવો છે કે, ભારત માત્ર પોલિટિક્સ, ડિપ્લોમસી અને ઈકોનોમીથી જ નથી જોડાતું, પરંતુ આપણું જોડાણ ક્યાંક ઊંડું છે. આપણે મન અને સંવેદનાઓથી જોડાયેલા છીએ, આપણે આસ્થા અને આધ્યાત્મિકતાથી પણ કનેક્ટેડ છીએ.

સાથીઓ,

ભારત માત્ર ભગવાન બુદ્ધના પાવન અવશેષોનું સંરક્ષક નથી, પરંતુ તેમની પરંપરાનું જીવંત વાહક પણ છે. પિપ્રહવા, વૈશાલી, દેવની મોરી અને નાગાર્જુનકોંડાથી પ્રાપ્ત ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા અવશેષો, બુદ્ધના સંદેશની જીવિત ઉપસ્થિતિ છે. ભારતે આ અવશેષોને, સાયન્સ અને આધ્યાત્મિકતા, દરેક સ્વરૂપે સંભાળ્યા છે, જાળવ્યા છે.

 

સાથીઓ,

ભારતનો એ પણ નિરંતર પ્રયાસ રહ્યો છે કે, દુનિયામાં બૌદ્ધ વારસા સાથે જોડાયેલા જે પણ સ્થાનો હોય, તેમના વિકાસ માટે આપણે શક્ય તેટલું યોગદાન આપી શકીએ. જ્યારે નેપાળમાં આવેલા ભીષણ ભૂકંપે પ્રાચીન સ્તૂપોને નુકસાન પહોંચાડ્યું, ત્યારે ભારતે તેના પુનઃનિર્માણમાં સહયોગ આપ્યો. મ્યાનમારના બાગાનમાં આવેલા ભૂકંપ પછી, અમે 11 થી વધુ પેગોડાઓનું સંરક્ષણ કર્યું. આવા અનેક ઉદાહરણો છે. ભારતમાં પણ બૌદ્ધ પરંપરા સાથે જોડાયેલા સ્થાનો અને અવશેષોની શોધ, અને તેમના સંરક્ષણનું કામ નિરંતર ચાલી રહ્યું છે. જેમ મેં તમને પહેલા કહ્યું, મારું જન્મસ્થાન ગુજરાતનું વડનગર, બૌદ્ધ પરંપરાનું એક બહુ મોટું કેન્દ્ર રહ્યું છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે ત્યાં બૌદ્ધ પરંપરા સાથે જોડાયેલા હજારો અવશેષો મળ્યા હતા. આજે અમારી સરકાર તેમના સંરક્ષણ પર પણ ભાર આપી રહી છે, અને આજની પેઢીને તેમની સાથે જોડી પણ રહી છે. ત્યાં એક શાનદાર એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે, જે આશરે 2500 વર્ષના ઇતિહાસનો અનુભવ આપે છે. હમણાં થોડા મહિના પહેલા જ, જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં બૌદ્ધ કાળની પ્રમુખ બુદ્ધિસ્ટ સાઈટની ખબર પડી છે. હવે તેના સંરક્ષણનું કામ તેજ કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ,

છેલ્લા 10–11 વર્ષોમાં ભારતે બૌદ્ધ સ્થળોને આધુનિકતા સાથે જોડવાનો પણ પ્રયાસ કર્યો છે. બોધગયામાં કન્વેન્શન સેન્ટર અને મેડિટેશન અને એક્સપિરિયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. સારનાથમાં ધમેખ સ્તૂપ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો અને બુદ્ધ થીમ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રાવસ્તી, કપિલવસ્તુ અને કુશીનગરમાં, આધુનિક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેલંગાણાના નાલગોંડામાં એક Digital Experience Centre બનાવવામાં આવ્યું છે. સાંચી, નાગાર્જુન સાગર, અમરાવતી, આ તમામ જગ્યાઓ પર તીર્થયાત્રીઓ માટે નવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આજે દેશમાં એક બૌદ્ધ સર્કિટ બનાવવામાં આવી રહી છે, જેથી ભારતના તમામ બૌદ્ધ તીર્થ સ્થળોની અંદરોઅંદર બહેતર કનેક્ટિવિટી હોય, અને વિશ્વભરના તીર્થયાત્રીઓને આસ્થા અને આધ્યાત્મિકતાનો એક શ્રેષ્ઠ અનુભવ મળી શકે.

સાથીઓ,

અમારો પ્રયાસ છે કે બૌદ્ધ વારસો, સહજ રીતે આવનારી પેઢીઓ સુધી પહોંચે. વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન, વૈશાખ અને અષાઢ પૂર્ણિમા જેવા આંતરરાષ્ટ્રીય આયોજનો પાછળ આ જ વિચાર છે. આપ સૌ જાણો છો કે, ભગવાન બુદ્ધના અભિધમ્મ, તેમની વાણી, તેમના શિક્ષણ મૂળ રીતે પાલી ભાષામાં છે. અમારો પ્રયાસ છે કે પાલી ભાષા સામાન્ય જન સુધી પહોંચે. આ માટે પાલીને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. આનાથી ધમ્મને, તેના મૂળ ભાવને સમજવો અને સમજાવવો વધુ સરળ બની જશે. આનાથી બૌદ્ધ પરંપરા સાથે જોડાયેલા રિસર્ચને પણ બળ મળશે.

 

સાથીઓ,

ભગવાન બુદ્ધના જીવન દર્શને સીમાઓ અને ભૌગોલિક ક્ષેત્રોથી આગળ વધીને, દુનિયાને એક નવી રાહ બતાવી છે. "ભવતુ સબ્બ મંગલમ્, રક્ખન્તુ સબ્બ દેવતા, સબ્બ બુદ્ધાનુભાવેન સદા સુત્થિ ભવન્તુ તે." આમાં સમગ્ર વિશ્વના કલ્યાણની જ તો કામના છે. ભગવાન બુદ્ધે સમગ્ર માનવતાને અતિવાદથી બચાવવાનો પ્રયાસ કરતા, પોતાના અનુયાયીઓને કહ્યું- "અત્ત દીપો ભવ ભિક્ખવે! પરીક્ષ્ય ભિક્ષવો ગ્રાહ્યમ્, મદ્ર્વચો ન તુ ગૌરવાત્." અર્થાત્ ભિક્ખુઓ, પોતાનો દીવો સ્વયં બનો. મારા વચનોની પણ પરીક્ષા કરીને તેમનો સ્વીકાર કરો, માત્ર મારા પ્રત્યેના આદરને કારણે નહીં.

સાથીઓ,

બુદ્ધે આપેલો આ સંદેશ દરેક યુગ, દરેક કાલખંડ માટે પ્રાસંગિક છે. આપણે આપણો દીવો સ્વયં બનીએ. આ જ ભાવ તો આત્મસન્માનનો આધાર છે, આ જ ભાવ તો આત્મનિર્ભરતાનું મૂળ છે, "અત્ત દીપો ભવ".

સાથીઓ,

ભગવાન બુદ્ધે દુનિયાને સંઘર્ષ અને પ્રભુત્વના બદલે, સાથે ચાલવાનો રસ્તો બતાવ્યો. અને આ જ ભારતની મૂળ વિચારધારા રહી છે. અમે વિચારોના બળ પર, સંવેદનાઓના ધરાતલ પર, માનવતાના હિતમાં જ વિશ્વ કલ્યાણનો માર્ગ અપનાવ્યો છે. આ જ વિચાર સાથે ભારત, 21મી સદીની દુનિયામાં પોતાનું યોગદાન આપી રહ્યું છે. તેથી, આજે જ્યારે આપણે કહીએ છીએ કે, આ દોર યુદ્ધનો નથી બુદ્ધનો છે, તો ભારતની ભૂમિકા એકદમ સ્પષ્ટ છે, જે માનવતાના દુશ્મન છે, તેમની વિરુદ્ધ શક્તિ આવશ્યક છે. પરંતુ જ્યાં માત્ર વિવાદો છે, ત્યાં સંવાદ અને શાંતિનો માર્ગ જરૂરી છે.

 

સાથીઓ,

ભારત, સર્વજન હિતાય, સર્વજન સુખાય માટે પ્રતિબદ્ધ છે. આ જ ભગવાન બુદ્ધે આપણને શીખવ્યું છે. મને આશા છે કે આ પ્રદર્શનના માધ્યમથી, તેનો દરેક દર્શક પણ, આ જ પ્રેરણાથી જોડાશે.

 

સાથીઓ,

ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા આ પવિત્ર અવશેષો (રેલિક્સ), ભારતનો વારસો છે, શતાબ્દીભરની પ્રતીક્ષા પછી, આ ધરોહરો ફરીથી ભારત પાછી ફરી છે, તેથી હું દેશભરના લોકોને પણ કહીશ કે, તેઓ આ પુણ્ય અવશેષોના દર્શન માટે, ભગવાન બુદ્ધના વિચારો સાથે જોડાવા માટે, એકવાર અહીં ચોક્કસ આવે. આપણા જે શાળાના વિદ્યાર્થીઓ છે, જે કોલેજના સ્ટુડન્ટ્સ છે, જે યુવા સાથીઓ છે, જે દીકરા-દીકરીઓ છે, તેઓ આ પ્રદર્શન ચોક્કસ જુએ. આ પ્રદર્શન, આપણા ભૂતકાળના ગૌરવને, આપણા ભવિષ્યના સપનાઓ સાથે જોડવાનું બહુ મોટું માધ્યમ છે. હું દેશભરના લોકોને આગ્રહ કરીશ કે, તેઓ આ પ્રદર્શનમાં ચોક્કસ સહભાગી થાય. આ જ આગ્રહ સાથે, ફરી એકવાર આપ સૌને, આ આયોજન માટે મારી અઢળક શુભેચ્છાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ!

નમો બુદ્ધાય!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Centre launches Bhavya scheme to set up 100 industrial parks across country

Media Coverage

Centre launches Bhavya scheme to set up 100 industrial parks across country
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in China mining accident
May 23, 2026

Prime Minister Shri Narendra Modi today expressed deep sadness over the tragic loss of lives resulting from a mining accident in the Shanxi Province of China.

On behalf of the people of India, the Prime Minister extended his heartfelt condolences to President Xi Jinping and the people of China. Shri Modi prayed that the bereaved families find strength in this tragic hour, while also wishing for the early and safe recovery of all remaining missing persons.

The Prime Minister posted on X:

"Saddened by the loss of lives in a mining accident in Shanxi Province in China. On behalf of the people of India, my condolences to President Xi Jinping and the people of China. May the bereaved families find strength in this tragic hour. Praying for the early and safe recovery of all remaining missing persons."