પ્રજાસત્તાક દિનના ટેબ્લો અને સાંસ્કૃતિક પ્રદર્શનો સાથે રાષ્ટ્રની સમૃદ્ધ વિવિધતાને પ્રદર્શિત કરવા માટે ભારત પર્વનો શુભારંભ કર્યો
"પરાક્રમ દિવસ પર અમે નેતાજીનાં આદર્શોને પૂર્ણ કરવા અને તેમનાં સ્વપ્નોનાં ભારતનું નિર્માણ કરવા માટે અમારી કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ"
"નેતાજી સુભાષ દેશની સક્ષમ અમૃત પેઢી માટે એક મોટા આદર્શ છે"
નેતાજીનું જીવન માત્ર મહેનતનું જ નહીં પરંતુ બહાદુરીનું પણ શિખર છે
"નેતાજીએ વિશ્વ સમક્ષ લોકશાહીની માતા તરીકેના ભારતના દાવાને બળપૂર્વક પ્રદર્શિત કર્યો હતો"
"નેતાજીએ યુવાનોને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરવા માટે કામ કર્યું"
"આજે ભારતનાં યુવાનો જે રીતે પોતાની સંસ્કૃતિ, તેમનાં મૂલ્યો, તેમનાં ભારતીયપણા પર ગર્વ કરી રહ્યાં છે, તે અભૂતપૂર્વ છે"
"ફક્ત આપણા યુવાનો અને મહિલા શક્તિ જ દેશના રાજકારણને સગાવાદ અને ભ્રષ્ટાચારના દૂષણોથી મુક્ત કરી શકે છે"
"અમારું લક્ષ્ય ભારતને આર્થિક રીતે સમૃદ્ધ, સાંસ્કૃતિક રીતે મજબૂત અને વ્યૂહાત્મક રીતે સક્ષમ બનાવવાનું છે"
અમૃત કાલની દરેક પળનો ઉપયોગ આપણે

મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીદારો કિશન રેડ્ડીજી, અર્જુન રામ મેઘવાલજી, મીનાક્ષી લેખીજી, અજય ભટ્ટજી, બ્રિગેડિયર આર એસ ચિકારાજી, આઇએનએ વેટરન લેફ્ટનન્ટ આર માધવનજી અને મારા વ્હાલા દેશવાસીઓ.

નેતાજી સુભાષચંદ્રની જન્મજયંતિ પર, પરાક્રમ દિવસના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આઝાદ હિંદ ફોજના ક્રાંતિકારીઓનાં સામર્થ્યનો સાક્ષી રહેલો આ લાલ કિલ્લો આજે ફરી નવી ઊર્જાથી ઝળહળી રહ્યો છે. અમૃતકાલનાં શરૂઆતનાં વર્ષો...સમગ્ર દેશમાં સંકલ્પથી સિદ્ધિનો ઉત્સાહ...આ ક્ષણ ખરેખર અભૂતપૂર્વ છે. ગઈકાલે જ સમગ્ર વિશ્વ ભારતની સાંસ્કૃતિક ચેતનાના એક ઐતિહાસિક પડાવનું સાક્ષી બન્યું છે. સમગ્ર વિશ્વએ, સમગ્ર માનવતાએ ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઊર્જાનો, તે ભાવનાઓનો અનુભવ કર્યો છે. અને આજે આપણે નેતા શ્રી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે જોયું છે કે 23મી જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યારથી ગણતંત્ર દિવસનો મહાપર્વ 23મી જાન્યુઆરીથી બાપુની પુણ્યતિથિ 30મી જાન્યુઆરી સુધી સુધી ચાલે છે. હવે પ્રજાસત્તાકના આ મહાન પર્વમાં 22મી જાન્યુઆરીનો આસ્થાનું મહાપર્વ પણ જોડાઈ ગયું છે. જાન્યુઆરી મહિનાના આ છેલ્લા કેટલાક દિવસો આપણી આસ્થા, આપણી સાંસ્કૃતિક ચેતના, આપણા પ્રજાસત્તાક અને આપણી દેશભક્તિ માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યા છે. હું તમને સૌને શુભેચ્છા પાઠવું છું...અભિનંદન પાઠવું છું.

 

સાથીઓ,

આજે અહીં નેતાજીનાં જીવનને દર્શાવતું પ્રદર્શન રજૂ થયું છે. કલાકારોએ એક જ કૅંનવાસ પર નેતાજીનાં જીવનનું નિરૂપણ પણ કર્યું છે. હું આ પ્રયાસ સાથે જોડાયેલા તમામ કલાકારોની પ્રશંસા કરું છું. થોડા સમય પહેલા રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત મારા યુવા સાથીદારો સાથે પણ મારી વાતચીત થઈ હતી. આટલી નાની ઉંમરમાં તેમની હિંમત અને કૌશલ્ય આશ્ચર્યજનક છે. જ્યારે પણ મને ભારતની યુવાશક્તિને મળવાની તક મળે છે, ત્યારે વિકસિત ભારતમાં મારો વિશ્વાસ એટલો જ મજબૂત થતો જાય છે. દેશની આવી સમર્થ અમૃત પેઢી માટે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ એક મોટા રોલ મૉડલ છે.

સાથીઓ,

આજે પરાક્રમ દિવસ પર લાલ કિલ્લા પરથી ભારત પર્વની પણ શરૂઆત થઈ રહી છે. આગામી 9 દિવસોમાં, ભારત પર્વમાં પ્રજાસત્તાક દિવસની ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશની વિવિધતા પ્રદર્શિત કરવામાં આવશે. ભારત પર્વમાં સુભાષચંદ્ર બોઝના આદર્શોનું પ્રતિબિંબ છે. આ પર્વ વોકલ ફોર લોકલને અપનાવવાનું છે. આ પર્વ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે છે. આ પર્વ વિવિધતાના આદરનું છે. આ પર્વ એક ભારત શ્રેષ્ઠ ભારતને નવી ઊંચાઈ આપવાનું છે. હું દરેકને આહ્વાન કરીશ કે આપણે સૌ આ પર્વમાં જોડાઈને દેશની વિવિધતાની ઉજવણી કરીએ.

મારા પરિવારજનો,  

આઝાદ હિંદ ફોજની 75મી વર્ષગાંઠ પર મને આ જ લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવવાનો લહાવો મળ્યો તે દિવસ હું ક્યારેય ભૂલી શકતો નથી. નેતાજીનું જીવન માત્ર પરિશ્રમની જ નહીં પરંતુ પરાક્રમની પણ પરાકાષ્ઠા છે. ભારતની આઝાદી માટે નેતાજીએ પોતાનાં સપના અને આકાંક્ષાઓને તિલાંજલિ આપી દીધી. જો તેઓ ઈચ્છતે તો તેઓ પોતાના માટે સારું જીવન પસંદ કરી શકતા હતા. પરંતુ તેમણે પોતાનાં સપનાઓને ભારતના સંકલ્પ સાથે જોડી દીધાં. નેતાજી દેશના તે મહાન સપૂતોમાંના એક હતા જેમણે માત્ર વિદેશી શાસનનો વિરોધ જ કર્યો ન હતો પરંતુ ભારતીય સભ્યતા પર સવાલ ઉઠાવનારાઓને પણ જવાબ આપ્યો હતો. એ નેતાજી જ હતા જેમણે પૂરી તાકાતથી લોકશાહીની જનની તરીકેની ભારતની ઓળખ વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. જ્યારે વિશ્વના કેટલાક લોકોને ભારતમાં લોકશાહી અંગે શંકા હતી ત્યારે નેતાજીએ તેમને ભારતની લોકશાહી અને તેમના ભૂતકાળની યાદ અપાવી હતી. નેતાજી કહેતા હતા કે લોકશાહી માનવ સંસ્થા છે. અને આ વ્યવસ્થા ભારતનાં વિવિધ સ્થળોએ સેંકડો વર્ષોથી ચાલી આવે છે. આજે જ્યારે ભારત લોકશાહીની જનની તરીકેની ઓળખ પર ગર્વ કરવા લાગ્યું છે ત્યારે તે નેતાજીના વિચારોને પણ મજબૂત બનાવે છે.

 

સાથીઓ,

નેતાજી જાણતા હતા કે ગુલામી માત્ર શાસનની જ નથી હોતી, પણ વિચારો અને વર્તનની પણ છે. તેથી, તેમણે ખાસ કરીને તે સમયની યુવા પેઢીમાં આ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. જો આજના ભારતમાં નેતાજીનું અસ્તિત્વ હોત તો યુવા ભારતમાં જે નવી ચેતના આવી છે તેનાથી તેઓ કેટલા ખુશ થયા હોત તેની કલ્પના કરી શકાય છે. આજે જે રીતે ભારતના યુવાનોને પોતાની સંસ્કૃતિ, પોતાનાં મૂલ્યો અને પોતાની ભારતીયતા પર ગર્વ છે તે અભૂતપૂર્વ છે. આપણે કોઈથી ઓછા નથી, આપણી ક્ષમતાઓ કોઈથી ઓછી નથી, આ આત્મવિશ્વાસ આજે ભારતના દરેક યુવાનોમાં આવી ગયો છે.

 

આપણે ચંદ્ર પર ત્યાં ધ્વજ ફરકાવી શકીએ છીએ જ્યાં કોઈ જઈ શક્યું નથી. આપણે 15 લાખ કિલોમીટરની મુસાફરી કરીને અને સૂર્ય તરફ ગતિ કરીને ત્યાં પહોંચ્યા છીએ, જેના માટે દરેક ભારતીયને ગર્વ થાય છે. સૂર્ય હોય કે સમુદ્રની ઊંડાઈ, કોઈપણ રહસ્ય સુધી પહોંચવું આપણા માટે મુશ્કેલ નથી. આપણે વિશ્વની ટોચની ત્રણ આર્થિક શક્તિઓમાંની એક બની શકીએ છીએ. આપણી પાસે વિશ્વના પડકારોનો ઉકેલ લાવવાનું સામર્થ્ય છે. આ વિશ્વાસ, આ આત્મવિશ્વાસ આજે ભારતના યુવાનોમાં દેખાય રહ્યો છે. ભારતના યુવાનોમાં આવેલી આ જાગૃતિ જ વિકસિત ભારતનાં નિર્માણ માટેની ઊર્જા બની ચૂકી છે. તેથી જ આજે ભારતનો યુવા, પંચ પ્રણને આત્મસાત કરી રહ્યો છે. તેથી આજે ભારતના યુવાનો ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળીને કામ કરી રહ્યા છે.

મારા પરિવારજનો,

નેતાજીનું જીવન અને યોગદાન યુવા ભારત માટે એક પ્રેરણાછે. આ પ્રેરણા હંમેશા આપણી સાથે રહે ડગલે ને પગલે રહે, એ માટે અમે છેલ્લાં 10 વર્ષોમાં સતત પ્રયાસો કર્યા છે. અમે કર્તવ્ય પથ પર નેતાજીની પ્રતિમાને યોગ્ય સ્થાન આપ્યું છે. અમારો ઉદ્દેશ્ય એ છે કે કર્તવ્ય પથ પર આવનાર દરેક દેશવાસીને નેતાજીનાં કર્તવ્ય પ્રત્યેનું સમર્પણને યાદ રહે. જ્યાં આઝાદ હિંદ સરકારે પહેલીવાર ત્રિરંગો ફરકાવ્યો હતો તે આંદામાન અને નિકોબાર ટાપુઓને અમે નેતાજી દ્વારા આપવામાં આવેલાં નામો આપ્યાં હતાં. હવે આંદામાનમાં નેતાજીને સમર્પિત એક સ્મારક પણ બનાવવામાં આવી રહ્યું છે. અમે લાલ કિલ્લામાં જ નેતાજી અને આઝાદ હિંદ ફોજનાં યોગદાન માટે સમર્પિત મ્યુઝિયમ બનાવ્યું છે. પહેલીવાર નેતાજીનાં નામે આપદા પ્રબંધન પુરસ્કાર તરીકે કોઇ રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. આઝાદ હિંદ ફોજને સમર્પિત જેટલું કામ અમારી સરકારે કર્યું છે એટલું સ્વતંત્ર ભારતમાં કોઈ સરકારે કર્યું નથી. અને હું આને મારી સરકારનું સૌભાગ્ય માનું છું.

 

સાથીઓ,

નેતાજી દેશ સામે આવતા પડકારોને સારી રીતે સમજતા હતા અને તેના વિશે બધાને ચેતવણી આપતા હતા. તેમણે કહ્યું હતું કે જો આપણે ભારતને મહાન બનાવવું હોય તો લોકશાહી સમાજના પાયા પર રાજકીય લોકશાહી મજબૂત હોવી જોઈએ. પરંતુ કમનસીબે, આઝાદી પછી તેમના આ વિચાર પર જ આકરા પ્રહારો કરવામાં આવ્યા. આઝાદી પછી, પરિવારવાદ અને ભાઈ-ભત્રીજાવાદ જેવાં ઘણાં દૂષણો ભારતની લોકશાહી પર હાવી થતાં રહ્યાં. આ પણ એક મોટું કારણ છે કે ભારત જે ગતિએ થવું જોઈતું હતું તે ગતિએ વિકાસ કરી શક્યું નહીં. સમાજનો એક મોટો વર્ગ તકોથી વંચિત હતો. તે આર્થિક અને સામાજિક ઉત્થાન માટેનાં સંસાધનોથી દૂર હતો. રાજકીય અને આર્થિક નિર્ણયો અને નીતિ ઘડતર પર માત્ર થોડા પરિવારોનો જ કબજો રહ્યો. આ સ્થિતિથી સૌથી વધુ નુકસાન જો કોઈને થયું હોય તો તે દેશની યુવા શક્તિ અને દેશની નારીશક્તિને થયું. યુવાનોને ડગલે ને પગલે ભેદભાવ કરતી વ્યવસ્થાનો સામનો કરવો પડતો હતો. મહિલાઓને તેમની નાની નાની જરૂરિયાતો માટે પણ લાંબો સમય રાહ જોવી પડતી હતી. આવી પરિસ્થિતિઓ સાથે કોઈ દેશ વિકાસ કરી શકતો ન હતો અને એવું જ ભારત સાથે પણ થયું.

તેથી, 2014માં સરકારમાં આવ્યા પછી, અમે સબકા સાથ, સબકા વિકાસની ભાવના સાથે આગળ વધ્યા. આજે દેશ જોઈ રહ્યો છે કે 10 વર્ષમાં પરિસ્થિતિ કેવી બદલાઈ રહી છે. સ્વતંત્ર ભારત માટે નેતાજીએ જે સપનું જોયું હતું તે હવે પૂરું થઈ રહ્યું છે. આજે ગરીબમાં ગરીબ પરિવારનાં દીકરા-દીકરીઓ પણ માને છે કે તેમની પાસે આગળ વધવા માટે તકોની કોઈ કમી નથી. આજે દેશની નારીશક્તિને પણ વિશ્વાસ મળ્યો છે કે સરકાર તેમની નાનામાં નાની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે. વર્ષોની રાહ જોયા બાદ નારીશક્તિ વંદન કાયદો પણ બની ચૂક્યો છે... હું દેશના દરેક યુવાનો, દરેક બહેન અને દીકરીને કહીશ કે અમૃત કાલ તમારા માટે પરાક્રમ બતાવવાની તક લઈને આવ્યો છે. તમારી પાસે દેશનાં રાજકીય ભવિષ્યનાં નવ નિર્માણની બહુ મોટી તક છે. તમે વિકસિત ભારતની રાજનીતિને પરિવર્તન કરવામાં મોટી ભૂમિકા ભજવી શકો છો. આપણી યુવા શક્તિ અને નારીશક્તિ જ દેશની રાજનીતિને પરિવારવાદ અને ભ્રષ્ટાચારનાં દૂષણોમાંથી બહાર કાઢી શકે છે. આપણે રાજનીતિમાંથી પણ આ દૂષણોને ખતમ કરવાનું પરાક્રમ બતાવવું જ પડશે, આપણે તેને પરાસ્ત કરવા જ પડશે.

 

મારા પરિવારજનો,

ગઈ કાલે મેં અયોધ્યામાં કહ્યું હતું કે રામકાજમાંથી રાષ્ટ્રકાજમાં લાગી જવાનો આ સમય છે. તે રામ ભક્તિથી દેશભક્તિના ભાવને સશક્ત કરવાનો સમય છે. આજે દુનિયા ભારતનાં દરેક પગલાં અને દરેક કાર્યને જોઈ રહી છે. આજે આપણે શું કરીએ છીએ, શું હાંસલ કરીએ છીએ, દુનિયા તે આતુરતાથી જાણવા માગે છે. અમારું લક્ષ્ય વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. અમારું લક્ષ્ય ભારતને આર્થિક રીતે સમૃદ્ધ, સાંસ્કૃતિક રીતે સશક્ત અને વ્યૂહાત્મક રીતે સમર્થ બનાવવાનું છે. આ માટે મહત્વનું છે કે આવનારાં 5 વર્ષમાં આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનીએ. અને આ લક્ષ્ય આપણી પહોંચથી દૂર નથી. છેલ્લાં 10 વર્ષમાં આપણે નંબર 10થી 5મા નંબરની આર્થિક તાકાત બની ગયા છીએ. છેલ્લાં 10 વર્ષમાં સમગ્ર દેશના પ્રયાસો અને પ્રોત્સાહનને કારણે લગભગ 25 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ભારત આજે એવાં લક્ષ્યો હાંસલ કરી રહ્યું છે જે અગાઉ હાંસલ કરવાની કલ્પના પણ ન હતી.

મારા પરિવારજનો,

છેલ્લાં 10 વર્ષમાં ભારતે પોતાનાં વ્યૂહાત્મક સામર્થ્યને મજબૂત કરવા માટે પણ એક નવો રસ્તો પસંદ કર્યો છે. લાંબા સમય સુધી ભારત પોતાની રક્ષા અને સુરક્ષા જરૂરિયાતો માટે વિદેશી દેશો પર નિર્ભર રહ્યું છે. પરંતુ હવે અમે આ સ્થિતિ બદલી રહ્યા છીએ. અમે ભારતની સેનાઓને આત્મનિર્ભર બનાવવા માટે લાગેલા છીએ. એવાં સેંકડો શસ્ત્રો અને સાધનો છે, જેની આયાત દેશની સેનાએ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. આજે દેશભરમાં વાઇબ્રન્ટ ડિફેન્સ ઈન્ડસ્ટ્રીનું નિર્માણ કરાઈ રહ્યું છે. ભારત, જે એક સમયે વિશ્વનું સૌથી મોટું સંરક્ષણ આયાતકાર હતું, તે હવે વિશ્વના સૌથી મોટા સંરક્ષણ નિકાસકાર તરીકે સામેલ થઈ રહ્યું છે.

સાથીઓ,

આજનું ભારત વિશ્વ મિત્ર તરીકે સમગ્ર વિશ્વને જોડવામાં વ્યસ્ત છે. આજે આપણે વિશ્વના પડકારોનો ઉકેલ આપવા માટે આગળ પડીને કામ કરી રહ્યા છીએ. એક તરફ આપણે વિશ્વને યુદ્ધમાંથી શાંતિ તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બીજી તરફ આપણાં હિતોની રક્ષા માટે પણ સંપૂર્ણ રીતે તત્પર છીએ.

સાથીઓ,

આગામી 25 વર્ષ ભારત માટે, ભારતના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે અમૃતકાળની દરેક ક્ષણનો ઉપયોગ રાષ્ટ્રીય હિતમાં કરવાનો છે. આપણે પરિશ્રમ કરવો પડશે, આપણે પરાક્રમ બતાવવું પડશે. વિકસિત ભારતનાં નિર્માણ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દર વર્ષે પરાક્રમ દિવસ આપણને આ સંકલ્પની યાદ અપાવતો રહેશે. ફરી એકવાર, સમગ્ર દેશને પરાક્રમ દિવસ પર ખૂબ ખૂબ અભિનંદન. નેતાજી સુભાષચંદ બોઝનું પૂણ્ય સ્મરણ કરતા હું તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. મારી સાથે બોલો –

ભારત માતા કી જય.

ભારત માતા કી જય.

ભારત માતા કી જય.

ખૂબ ખૂબ આભાર.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s GDP growth likely to stay strong at 7-7.2% in FY27 despite global risks: Report

Media Coverage

India’s GDP growth likely to stay strong at 7-7.2% in FY27 despite global risks: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 ઓગસ્ટ 2026
August 30, 2026

Tiranga in Tashkent, Relief in Nepal: Soft Power Meets First Responder

Vocal for Local, Nari Shakti, Real Heroes: Mann Ki Baat’s Atmanirbhar Hour