સ્મારક સ્ટેમ્પ અને સ્મારક સિક્કાનું અનાવરણ કર્યું
કમ્પેન્ડિઅમ ઑફ ઇન્ડિયન મિલેટ (શ્રી અન્ન) સ્ટાર્ટ-અપ્સ અને બુક ઑફ મિલેટ (શ્રી અન્ન) ધારાધોરણોનો ડિજિટલી શુભારંભ કરાવ્યો
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સ રિસર્ચ ઑફ આઇસીએઆરને ગ્લોબલ સેન્ટર ઑફ એક્સેલન્સ તરીકે જાહેર કર્યું
"વૈશ્વિક બાજરી પરિષદ ભારતની વૈશ્વિક ભલાં પ્રત્યેની જવાબદારીઓનું પ્રતીક છે"
"શ્રી અન્ન ભારતમાં સંપૂર્ણ વિકાસનું માધ્યમ બની રહ્યું છે. તે ગાંવ તેમજ ગરીબ (ગામ અને ગરીબ) સાથે જોડાયેલું છે
"વ્યક્તિ દીઠ દર મહિને બાજરીનો ઘરે વપરાશ 3 કિલોગ્રામથી વધીને 14 કિલોગ્રામ થઈ ગયો છે"
"ભારતનું મિલેટ મિશન દેશના 2.5 કરોડ બાજરી ઉત્પાદક ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થશે"
"ભારતે હંમેશા વિશ્વ પ્રત્યે જવાબદારીને પ્રાથમિકતા આપી છે અને માનવતાની સેવા કરવાનો સંકલ્પ કર્યો છે"
"આપણી પાસે ખાદ્ય સુરક્ષાની સાથે સાથે ખાદ્ય આદતોની સમસ્યા પણ છે, શ્રી અન્ન ઉકેલ પૂરો પાડી શકે છે"
"ભારત તેના વારસામાંથી પ્રેરણા લે છે, સમાજમાં પરિવર્તન લાવે છે અને વૈશ્વિક સુખાકારીને આગળ લાવે છે"
"જાડું અનાજ તેમની સાથે અનંત સંભાવનાઓ લાવે છે"

આજની આ પરિષદમાં ઉપસ્થિત મંત્રીમંડળના મારા સહયોગી શ્રી નરેન્દ્ર તોમર જી, મનસુખ માંડવિયા જી, પીયૂષ ગોયેલ જી, શ્રી કૈલાશ ચોધરી જી, વિદેશથી આવેલા કેટલાક મંત્રીગણ, ગુયાના, માલદિવ્સ, મોરેશિયસ, શ્રીલંકા, સુદાના, સુરિનામ અને ગામ્બિયાના તમામ માનનીય મંત્રીગણ, દુનિયાના વિવિધ હિસ્સાઓમાંથી કૃષિ, પોષણ તથા સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કાર્ય કરનારા વૈજ્ઞાનિક તથા નિષ્ણાતો, વિભિન્ન એફપીઓ તથા સ્ટાર્ટ અપ્સના યુવાન સાથીઓ, દેશના ખૂણે ખૂણેથી જોડાયેલા લાખો ખેડૂતો, અન્ય મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.
આપ સૌને વૈશ્વિક મિલેટ્સ કોન્ફરન્સના આયોજન માટે હાર્દિક શુભેચ્છાઓ. આ પ્રકારના આયોજન માત્ર  ગ્લોબલ ગુડ માટે જ જરૂરી નથી પરંતુ ગ્લોબલ ગુડમાં ભારતની વધતી જવાબદારીઓનું પણ પ્રતિક છે.

સાથીઓ,
આપ પણ જાણો છો કે ભારતના પ્રસ્તાવ તથા પ્રયાસો પછી જ સંયુક્ત રાષ્ટ્રએ 2023ને ઇન્ટરનેશનલ મિલેટ્સ વર્ષ જાહેર કર્યું છે. જ્યારે અમે કોઈ સંકલ્પને આગળ ધપાવીએ છીએ  તો તેને સિદ્ધિ સુધી પહોંચાડવાની જવાબદારી પણ મહત્વની હોય છે. મને આનંદ છે કે આજે વિશ્વ જ્યારે ઇન્ટરનેશનલ મિલેટ્સ વર્ષ ઉજવી રહ્યું છે તો ભારત આ અભિયાનની આગેવાની લઈ રહ્યું છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ આ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમાં મિલેટ્સની ખેતી, તેની સાથે સંકળાયેલી અર્થ વ્યવસ્થા, આરોગ્ય પર તેની અસર, ખેડૂતોની આવક, અનેક વિષયો પર તમામ વિદ્વાન તથા અનુભવી લોકો વિચાર વિમર્શ કરનારા છે. તેમાં ગ્રામ પંચાયત, કૃષિ કેન્દ્ર, શાળા કોલેજ તથા કૃષિ યુનિવર્સિટી પણ અમારી સાથે સામેલ છે. ઇન્ડિયન એમ્બેસીથી લઈને ઘણા દેશ આજે અમારી સાથે જોડાયેલા છે. ભારતમાંથી 75 લાખ કરતા વધુ ખેડૂતો આજે વર્ચ્યુલી આપણી સાથે આ સમારંભમાં હાજર છે. તે બાબત પણ આ કોન્ફરન્સનું મહત્વ દર્શાવે છે. હું ફરી એક વાર આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. હમણા જ અહીં મિલેટ્સ પર સ્મારક  ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું છે. અહીં મિલેટ્સના સ્ટાન્ડર્ડ પર એક પુસ્તકને પણ જારી કરવામાં આવ્યું છે. અને તેની સાથે સાથે આઇસીએઆરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ્સ રિસર્ચ અને ગ્લોબલ સેન્ટર ઓફ ગ્લોબલ એક્સેલન્સ જાહેર કરવામાં આવ્યું છે. અને અહીં મંચ પર આવતા અગાઉ હું પ્રદર્શન નિહાળવા ગયો હતો. હું આપ સૌને તથા જે લોકો હાલમાં દિલ્હીમાં છે અથવા તો દિલ્હી આવવાના હોય તે તમામને આગ્રહ કરીશ કે એક જ સ્થાને મિલેટ્સનની સંપૂર્ણ દુનિયાને  સમજવી, તેની ઉપયોગિતાને સમજવી, પર્યાવરણ માટે, પ્રકૃતિ માટે, આરોગ્ય માટે, ખેડૂતોની આવક માટે આ તમામ પાસાંઓને સમજવા માટે પ્રદર્શન નિહાળવું, હું  આપ સૌને આગ્રહ કરીશ કે આપ પ્રદર્શન ચોક્કસ નિહાળો. આપણા યુવાન સાથીઓ કેવી રીતે નવા નવા સ્ટાર્ટ અપ્સને લઇને આ ક્ષેત્રમાં આવ્યા છે  તે પણ એક પ્રભાવિત કરનારું છે.  આ તમામ બાબતો ભારતની વચનબદ્ધતા, ભારતની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે.

મિત્રો,
ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ સાથે સંકળાયેલા વિદેશી મહેમાનો, લાખો ખેડૂતો સમક્ષ હું આજે એક માહિતીનું પુનરાવર્તન કરવા માગું છું. મિલેટ્સની ગ્લોબલ બ્રાન્ડિંગ, કોમન બ્રાન્ડિંગને જોતા ભારતમાં મિલેટ્સ એટલે કે મોટું અનાજને હવે શ્રી અન્નની ઓળખ મળી છે. શ્રી અન્ન માત્ર ખેતી કે ખોરાક પૂરતું મર્યાદિત નથી. જે લોકો ભારતની પરંપરાથી પરિચિત છે તેઓ તે પણ જાણે છે કે અમારે ત્યાં કોઈની આગળ શ્રી એમ જ સંકળાતું નથી. જ્યાં શ્રી હોય છે ત્યાં સમૃદ્ધિ પણ હોય છે અને સમગ્રતા પણ હોય છે. શ્રી અન્ન પણ ભારતના સમગ્ર વિકાસનું એક માધ્યમ બની રહ્યું છે. તેમાં ગામ પણ જોડાયેલા છે અને ગરીબ પણ સંકળાયેલો છે. શ્રી અન્ન એટલે કે દેશના નાના ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર, શ્રી અન્ન એટલે કે દેશના કરોડો લોકોના પોષણનો કર્ણધાર, શ્રી અન્ન એટલે કે દેશના આદિવાસી સમાજનો સત્કાર, શ્રી અન્ન એટલે ઓછા પાણીમાં વધારે પાકની પેદાશ, શ્રી અન્ન એટલે કેમિકલ મુક્ત ખેતીનો મોટો આધાર, શ્રી અન્ન એટલે આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરવામાં મદદગાર.

સાથીઓ,

અમે શ્રી અન્નને વૈશ્વિક ઝુબેશ બનાવવા માટ સતત કામ કર્યું છે. 2018માં અમે મિલેટ્સને ન્યૂટ્રી-સેરિલ્સના રૂપમાં જાહેર કર્યું હતું. આ દિશામાં ખેડૂતોને જાગૃત કરવાથી લઇને બજારમાં તેના વિશે રસ પેદા કરવા સુધી દરેક સ્તરે કામ કરવામાં આવ્યું. આપણે ત્યાં 12 થી 13 રાજ્યમાં પ્રમુખતાથી મિલેટ્સની ખેતી થાય છે. પરંતુ તેમાં સ્થાનિક વપરાશ દર મહિને બેથી ત્રણ કિલોથી વધારે ન હતી. આજે તે વધીને દર મહિને 14 કિલો થઈ ગઈ છે.  એટલે બેથી ત્રણ કિલોથી વધીને 14 કિલો. મિલેટ્સ ફૂડ પ્રોડક્ટના વેચાણમાં પણ લગભગ  30 ટકાનો વધારો થયો છે. હવે ઠેક ઠેકાણે મિલેટ્સ કાફે જોવા મળે છે, મિલેટ્સ સાથે સંકળાયેલી રેસિપીના સોશિયલ મીડિયા ચેનલ બની રહ્યા છે. દેશના 19 જિલ્લામાં મિલેટ્સને એક જિલ્લો એક પ્રોડક્ટ યોજના અંતર્ગત પસંદ કરવામાં આવ્યા છે.

સાથીઓ,
આપણે જાણીએ છીએ કે શ્રી અન્ન ઉગાડનારા મોટા ભાગના ખેડૂતો નાના ખેડૂત છે, માર્જિનલ ખેડૂત છે. અને કેટલાક લોકો એ જાણીને આશ્ચર્યમાં ગરકાવ થઈ જશે કે ભારતમાં મિલેટ્સની પેદાશથી લગભગ લગભગ અઢી કરોડ નાના ખેડૂતો સીધે સીધા જોડાયેલા છે. તેમાંથી મોટા ભાગના પાસે  ખૂબ ઓછી જમીન છે અને તેમને જળવાયુ પરિવર્તનના પડકારોનો પણ સૌથી વધારે સામનો કરવો પડતો હોય છે. ભારતનું મિલેટ્સ મિશન શ્રી અન્ન માટે શરૂ થયેલું આ અભિયાન દેશના આ અઢી કરોડ ખેડૂતો માટે એક વરદાન પુરવાર થવા જઈ રહ્યું છે. આઝાદી બાદ પહેલી વાર મિલેટ્સ પેદા કરનારા અઢી કરોડ નાના ખેડૂતોની કોઈ સરકારે આટલી મોટી માત્રામાં કાળજી લીધી છે. જ્યારે મિલેટ્સ શ્રી અન્નનું માર્કેટ વધશે તો આ અઢી કરોડ નાના ખેડૂતોની આવકમાં વઘારો થશે. તેનાથી ગ્રામીણ અર્થ વ્યવસ્થાને પણ મોટો ફાયદો થશે. પ્રોસેસ્ડ તથા પેકેજ ફૂડ આઇટમ મારફતે મિલેટ્સ હવે સ્ટોર્સ તથા માર્કેટમાં પહોંચી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જ દેશમાં શ્રી અન્ન પર કામ કરનારા 500થી વધારે સ્ટાર્ટ અપ્સ પણ બન્યા છે. મોટી સંખ્યામાં એફપીઓ આ દિશામાં આગળ આવી રહ્યું છે. સ્વયં સહાયતા સમૂહો મારફતે મહિલાઓ પણ મિલેટસના ઉત્પાદનો બનાવી રહી છે. ગામડામાંથી નીકળીને આ પ્રોડક્ટ મોલ અને સુપર માર્કેટ સુધી પહોંચી રહી છે. એટલે કે દેશમાં એક આખી સપ્લાય ચેઇન વિકસીત થઈ રહી છે. તેનાથી યુવાનોને રોજગાર મળી રહ્યો છે અને નાના નાના ખેડૂતોને પણ ઘણી મોટી મદદ મળી રહી છે.

સાથીઓ,
ભારત અત્યારે જી 20નું પ્રમુખ પણ છે. ભારતનો ઉદ્દેશ્ય છે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય સમગ્ર વિશ્વને એક પરિવાર માનવાની આ ભાવના ઇન્ટરનેશનલ મિલેટ્સ વર્ષમાં પણ જોવા મળે છે. વિશ્વ પ્રત્યે કર્તવ્ય ભાવના તથા માનવતાની સેવાનો સંકલ્પ, હંમેશાં ભારતના મનમાં રહ્યો છે. તમે જૂઓ,  જ્યારે અમે યોગને લઈને આગળ ધપ્યા તો અમે એ બાબત પણ સુનિશ્ચિત કરી કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મારફતે સમગ્ર વિશ્વને તેનો લાભ મળે. મને આનંદ છે કે આજે દુનિયાના 100 કરતાં વધારે દેશોમાં યોગને સત્તાવાર રૂપે સારો એવો વેગ મળ્યો છે. આજે દુનિયાના 30થી વધારે દેશ આયુર્વેદને પણ માન્યતા આપી રહ્યા છે. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના રૂપમાં આજે ભારતનો આ પ્રયાસ સસ્ટેનેબલ પ્લેનેટ માટે એક પ્રભાવશાળી મંચનું કામ કરી રહ્યું છે. અને એ પણ ભારત માટે ખુશીની વાત છે કે આઇએસએ સાથે પણ 1100 કરતાં વધારે  દેશ જોડાયા છે. આજે ચાહે તે લાઇફ મિશનની આગેવાની હોય કે આબોહવા પરિવર્તન સાથે સંકળાયેલા લક્ષ્યાકોને સમય કરતાં વહેલા  હાસલ કરવાના હોય, આપણે આપણા વારસામાંથી પ્રેરણા લઈએ છીએ અને સમાજમાં પરિવર્તનનો પ્રારંભ કરીએ છીએ અને તેને વિશ્વ કલ્યાણની ભાવના સુધી લઈ જઈએ છીએ. અને આ જ બાબત આજે ભારતના મિલેટ્સ મિશનમાં પણ જોવા મળી રહી છે. શ્રી અન્ન સદીઓથી ભારતમાં જીવનશૈલીનો હિસ્સો રહ્યું છે. અલગ અલગ ક્ષેત્રોમાં જુવાર, બાજરો, રાગી, સામો, કાંગ્ની, ચીના, કોદો, કુટકી, કુટ્ટુ જેવા કેટલાય શ્રી અન્ન ભારતમાં પ્રચલનમાં છે. આપણે શ્રી અન્ન સાથે સંકળાયેલી આપણી કૃષિ પદ્ધતિઓને, આપણા અનુભવોને વિશ્વની સાથે સાંકળવા માગીએ છીએ. આપણે વિશ્વ પાસે જે નવું છે અન્ય દેશો પાસે જે વિશેષતા છે  તેને પણ શીખવા માગીએ છીએ. શીખવાનો પણ અમારો ઇરાદો છે. તેથી જે મિત્ર દેશોના કૃષિ મંત્રી અહીં ઉપસ્થિત છે, તેમને મારો ખાસ આગ્રહ છે કે આપણે આ દિશામાં એક સ્થાયી મિકેનિઝમ વિકસીત કરીએ. આ મિકેનિઝમથી આગળ જતાં ફિલ્ડથી લઇને માર્કેટ સુધી, એક દેશથી બીજા દેશ સુધી  એક નવી સપ્લાય ચેઇન વિકસીત થાય આ આપણી તમામની સહિયારી જવાબદારી છે.

સાથીઓ,
આજે આ મંચ પર હું, મિલેટ્સની વધુ એક તાકાત પર ભાર આપવા માગું છું. મિલેટ્સની આ તાકાત છે – તેનું આબોહવા સ્થિરતા થવું. અત્યંત કપરી હવામાનની પરિસ્થિતિમાં પણ મિલેટ્સને આસાનીથી ઉત્પાદિત કરી શકાય છે. તેની પેદાશમાં અપેક્ષાકૃત પાણીની પણ ઓછી જરૂર પડે છે. જેને પાણીની અછત ધરાવતા પ્રદેશોમાં પણ એક પસંદગીનો પાક માનવામાં આવે છે. આપ સૌ જાણકાર લોકોને ખબર છે કે મિલેટ્સની એક મોટી ખૂબી એ છે કે તેને કેમિકલ વિના પણ કુદરતી ખેતી દ્વારા ઉગાડી શકાય છે એટલે કે મિલેટ્સ માનવ તથા માટી બંનેના આરોગ્યને સુરક્ષિત રાખવાની ગેરન્ટી આપે છે.

સાથીઓ,
જ્યારે આપણે ફૂડ સુરક્ષાની વાત કરીએ છીએ તો આપણે જાણીએ છીએ કે આજે દુનિયા બે પ્રકારના પડકારોનો સામનો કરી રહી છે. એક તરફ ગ્લોબલ સાઉથ છે જે પોતાના ગરીબોની સુરક્ષાને લઇને ચિંતિત છે. બીજી તરફ ગ્લોબલ નોર્થનો હિસ્સો છે જ્યાં ફૂડની આદતોને લગતી બીમારીઓ એક મોટી સમસ્યા બની રહી છે. અહીં ખરાબ પોષણ એક મોટો પડકાર છે.  એટલે એક તરફ ફૂડ સુરક્ષાની સમસ્યા તો છે તો બીજી તરફ બંને જગ્યાએ ફૂડ આદતોની બીમારી છે આ બાબતને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકમાં મોટા પ્રમાણમાં કેમિકલનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ શ્રી અન્ન આવી તમામ પ્રકારની સમસ્યાનો ઉકેલ પણ આપે છે. મોટા ભાગના મિલેટ્સને ઉગાડવું આસાન હોય છે. તેમાં ખર્ચ પણ ઘણો ઓછો થાય છે. અને અન્ય પાકની સરખામણીએ તે ઝડપથી તૈયાર પણ થઈ જાય છે. તેમાં પોષણ તો વધારે હોય  જ છે અને સાથે સાથે સ્વાદમાં પણ વિશિષ્ટ હોય છે. ગ્લોબલ ફૂડ સુરક્ષા માટે સંઘર્ષ કરી રહેલા વિશ્વમાં શ્રી અન્ન ઘણી મોટી ભેટના સ્વરૂપમાં છે. આ જ રીતે શ્રી અન્નથી ફૂડ આદતોની સમસ્યા પણ યોગ્ય થઈ શકે છે.  હાઈ ફાઇબર ધરાવતા આ ફૂડ્સને શરીર તથા આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેનામાં લાઇફ સ્ટાઇલને કારણે થતી બીમારીઓને રોકવામાં ઘણી મદદ મળે છે. એટલે કે અંગત આરોગ્યથી લઇને વૈશ્વિક આરોગ્ય સુધી આપણી આકરી સમસ્યાઓને ઉકેલવામાં આપણને શ્રી અન્નથી આપણે ચોક્કસ માર્ગ શોધી શકીએ છીએ.

સાથીઓ,
મિલેટ્સના ક્ષેત્રમાં કામ કરવા માટે આપણી સમક્ષ હાલમાં અનંત સંભાવનાઓ ઉપલબ્ધ છે. આજે ભારતમાં નેશનલ ફૂડ બાસ્કેટમાં શ્રી અન્નનું યોગદાન માત્ર પાંચથી છ ટકા છે. ભારતના વૈજ્ઞાનિકોએ, કૃષિ ક્ષેત્રના જાણકારોને મારો આગ્રહ છે કે આપણે તેને વિકસીત કરવા માટે ઝડપથી કામ કરવું પડશે. આપણે દર વર્ષ માટે  અપેક્ષિત લક્ષ્યાંક નક્કી કરવા પડશે. દેશના ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને વેગ આપવા માટે પીએલઆઇ સ્કીમ શરૂ કરવામાં આવી છે.  તેનો મહત્તમ લાભ મિલેટ્સ ક્ષેત્રને મળે, વધુમાં વધુ કંપનીઓ મિલેટ્સ પ્રોડક્ટ બનાવવા માટે આગળ આવે, આ જ દિશાને, આ સ્વપ્નને સિદ્ધ કરવાનું આપણે સુનિશ્ચિત કરવું પડશે. ઘણા રાજ્યોએ પોતાને ત્યાં પીડીએસ સિસ્ટમમાં શ્રી અન્નને સામેલ કર્યું છે. બીજા રાજ્યોમાં પણ આ પ્રકારના પ્રયાસો શરૂ કરી શકાય છે. મધ્યાહ્ન ભોજનમાં પણ શ્રી અન્નને સામેલ કરીને આપણે બાળકોને સારું પોષણ આપી શકીએ છીએ, ખોરાકમાં નવો સ્વાદ અને વિવિધતાનો ઉમેરો કરી શકીએ છીએ. મને વિશ્વાસ છે કે આ તમામ મુદ્દાઓ પર આ કોન્ફરન્સમાં વિસ્તારપૂર્વક ચર્ચા થશે અને તે અમલી બનાવવા માટે રોડમેપ પણ તૈયાર કરવામાં આવશે. આપણા અન્નદાતાના અને આપણા તમામના સહિયારા પ્રયાસોથી શ્રી અન્ન ભારતની તથા વિશ્વની સમૃદ્ધિમાં નવી ચમકનો ઉમેરો કરશે. આ જ શુભકામના સાથે આપ તમામનો હું હહૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા બંને દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષોએ સમય કાઢીને આપણને જે સંદેશ મોકલ્યો તે બંનેનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation

Media Coverage

Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister hosts Commonwealth Games 2026 medal winners
August 09, 2026

The Prime Minister, Shri Narendra Modi today hosted India’s outstanding medal winners from the Commonwealth Games 2026 at 7 Lok Kalyan Marg. Shri Modi interacted with the athletes and heard about their experiences from the Games.

The Prime Minister said that the athletes’ achievements are a source of immense pride for the entire country and will inspire many youngsters to take up sports.

Shri Modi posted on X:

Delighted to host our outstanding medal winners from the Commonwealth Games 2026 at 7, Lok Kalyan Marg. Heard about their experiences from the Games.

Each one of them has made our nation proud through their exceptional performances. Their success will motivate many youngsters.