“અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના આપણા સપના અને મહત્વાકાંક્ષાઓને સાકાર કરવામાં ભારતના શ્રમબળની ભૂમિકા ખૂબ જ વિશાળ છે”
“ભારતને ફરી એકવાર સૌથી ઝડપથી વિકસતા દેશો પૈકી એક બનાવવા બદલ ઘણો મોટો શ્રેય આપણા કામદારોને જાય છે”
“છેલ્લા આઠ વર્ષમાં, સરકારે ગુલામીના સમયમાં લાગુ કરાયેલા અને ગુલામીની માનસિકતાને પ્રતિબિંબિત કરતા કાયદાઓને નાબૂદ કરવાની પહેલ હાથ ધરી છે”
“શ્રમ મંત્રાલય અમૃતકાળમાં વર્ષ 2047 માટે પોતાનું વિઝન તૈયાર કરી રહ્યું છે”
“અનુકૂળ કાર્યસ્થળો, ઘરેથી કામ કરવાની ઇકોસિસ્ટમ અને કામના કલાકોમાં આપવામાં આવતી અનુકૂલનતા, એ બધુ ભવિષ્યની જરૂરિયાત છે”
“આપણે અનુકૂળ કાર્યસ્થળો જેવી પ્રણાલીઓનો ઉપયોગ મહિલા શ્રમ દળની સહભાગીતા માટેના અવસરો તરીકે કરી શકીએ છીએ”
“નિર્માણ અને બાંધકામ ક્ષેત્રના કામદારો માટે ‘સેસ’નો સંપૂર્ણ ઉપયોગ આવશ્યક છે. રાજ્યો દ્વારા રૂ.38000 કરોડ કરતાં વધુ રકમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી”

નમસ્કાર,
ચંદીગઢના વહીવટદાર શ્રીમાન બનવારી લાલ પુરોહિતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, શ્રી રામેશ્વર તેલીજી, તમામ રાજ્યોના આદરણીય શ્રમ મંત્રી ગણ, શ્રમ સચિવ ગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો, સૌ પ્રથમ હું ભગવાન તિરુપતિ બાલાજીના ચરણોમાં વંદન કરું છું. જે પવિત્ર સ્થાન પર આપ સૌ ઉપસ્થિત છો તે ભારતના શ્રમ અને સામર્થ્યનું સાક્ષી રહ્યું છે. મને વિશ્વાસ છે આ પરિષદમાંથી બહાર આવનારા વિચારો દેશના શ્રમ સામર્થ્યને મજબૂત કરશે. હું આ તમામને ખાસ કરીને શ્રમ મંત્રાલયને આ આયોજન માટે અભિનંદન પાઠવું છું.

સાથીઓ,
આ 15મી ઓગસ્ટે દેશે પોતાના આઝાદીના 75 વર્ષ પૂરા કર્યા છે, આઝાદીના અમૃત મહોત્સવમાં પ્રવેશ કર્યો છે. અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે અમારા જે સપનાઓ છે, જે આકાંક્ષાઓ છે તેને સાકાર કરવા માટે ભારતની શ્રમ શક્તિની ઘણી મોટી ભૂમિકા છે. આ જ વિચાર સાથે દેશ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા કરોડો શ્રમિક સાથીઓ માટે સતત કામ કરી રહ્યો છે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જેવા અનેક પ્રયાસોએ શ્રમિકોને એક પ્રકારે સુરક્ષા કવચ આપેલું છે. આવી યોજનાને કારણે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના મનમાં એવી લાગણી પેદા થઈ છે કે દેશ તેમના શ્રમનું પણ એટલું જ સન્માન કરે છે. આપણે કેન્દ્ર તથા રાજ્યોના આવા તમામ પ્રયાસોને સંપૂર્ણ સંવેદનશીલતાથી એક સાથે લાવવાના રહેશે જેથી શ્રમિકોને તેનો વધુમાં વધુ લાભ મળે.

સાથીઓ,
દેશના આ પ્રયાસોનો જેટલો પ્રભાવ આપણી અર્થવ્યવસ્થા પર પડ્યો છે તેના સાક્ષી આપણે કોરોનાકાળમાં પણ બન્યા છીએ. ‘ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી યોજના’ તેને કારણે લાખો નાના ઉદ્યોગોને મદદ મળી છે. એક અભ્યાસ મુજબ આ યોજનાને કારણે લગભગ દોઢ કરોડ લોકોનો રોજગાર જવાનો હતો તે ગયો નથી. તે રોજગાર બચી ગયો છે. કારોબારના સમયમાં ઇપીએફઓના તમામ કર્મચારીને મોટી મદદ મળી, હજારો કરોડ રૂપિયા કર્મચારીઓને એડવાન્સ તરીકે આપવામાં આવ્યા હતા. અને સાથીઓ, આજે આપણે જોઈ રહ્યા છીએ કે જેમ જરૂરિયાતના સમયે દેશે પોતાના શ્રમિકોનો સાથ આપ્યો તેવી જ રીતે આ મહામારીમાંથી બહાર આવવા માટે શ્રમિકોએ પણ પોતાની સંપૂર્ણ શક્તિ લગાડી દીધી હતી. આજે ભારત ફરીથી દુનિયાની સૌથી ઝડપથી આગળ ધપી રહેલી અર્થવ્યવસ્થા બન્યું છે તો તેનો ઘણો મોટો શ્રેય આપણા શ્રમિકોને ફાળે જાય છે.
 

સાથીઓ,
દેશના દરેક શ્રમિકને સામાજિક સુરક્ષાના આવરણમાં લાવવા માટે કેવી રીતે કામ થઈ રહ્યું છે તેનું એક ઉદાહરણ ‘ઇ-શ્રમ પોર્ટલ’ છે. આ પોર્ટલ ગયા વર્ષે શરૂ કરાયું હતું જેથી અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આદાર સાથે સંકળાયેલો નેશનલ ડેટા બેઝ બની શકે. મને આનંદ છે કે આ એક વર્ષમાં જ આ પોર્ટલ સાથે 400 અલગ અલગ ક્ષેત્રમાં કામ કરનારા લગભગ 28 કરોડ શ્રમિક જોડાઈ ચૂક્યા છે. ખાસ કરીને તેનો લાભ બાંધકામ કામદારોને, પ્રવાસી મજૂરોને તથા ડોમેસ્ટિક કામદારોને મળી રહ્યો છે. હવે આ લોકોને પણ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન)નો લાભ મળી રહ્યો છે. શ્રમિકોમાં રોજગારની તકો વધારવા માટે ઇ-શ્રમ પોર્ટલને નેશનલ કેરિયર સર્વિસ, અસીમ પોર્ટલ અને ઉદ્યમ પોર્ટલ સાથે પણ જોડવામાં આવી રહ્યું છે.

આ કોન્ફરન્સમાં ઉપસ્થિત આપ સૌને મારો આગ્રહ છે કે નેશનલ  પોર્ટલ્સના ઇન્ટિગ્રેશનની સાથે સાથે અમે રાજ્યના પોર્ટલને પણ સાથે જોડવાના કાર્ય પર ચોક્કસ કામ કરીશું. તેનાથી દેશના તમામ શ્રમિકો માટે નવી તકો ખુલશે, તમામ રાજ્યોને દેશની શ્રમશક્તિ વઘુ પ્રભાવશાળી લાભ મળશે.

સાથીઓ,
આપ સૌ સારી રીતે જાણો છો કે આપણા દેશમાં એવા ઘણા શ્રમ કાનૂન રહ્યા છે જે અંગ્રેજોના સમયથી ચાલ્યા આવતા હતા. છેલ્લા આઠ વર્ષમાં અમે દેશમાં ગુલામીના સમયના અને ગુલામીની માનસિકતા ધરાવતા કાનૂનો ખત્મ કરવાનું બીડું ઝડપ્યું છે. દેશ હવે એવા શ્રમ કાનૂનને બદલી રહ્યો છે, સુધારા કરી રહ્યો છે, તેને સરળ બનાવી રહ્યો છે. આ જ વિચાર સાથે 29 લેબર કાનૂને ચાર સરળ લેબર કોડમાં પરિવર્તિત કરાયા છે. તેમાં આપણા શ્રમિક ભાઈ-બહેનોને ન્યૂનતમ પગાર, રોજગારની સુરક્ષા, સામાજિક સુરક્ષા તથા આરોગ્ય સુરક્ષા જેવા વિષયો પર વધુ સશક્ત બનાવશે. નવા લેબર કોડ્સમાં આંતર રાજય પ્રવાસી શ્રમિકની પરિભાષાને સુધારવામાં આવી છે. આપણા પ્રવાસી શ્રમિક ભાઈ બહેનને ‘વન નેશન, વન રાશન કાર્ડ’ જેવી યોજનાઓથી ઘણી મદદ મળી રહી છે.

સાથીઓ,
આપણે અન્ય એક વાત યાદ રાખવાની છે. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. જો આપણે આપણી જાતને ઝડપથી સજ્જ નહી કરીએ તો પાછળ રહી જવાનું જોખમ રહેશે. બીજી અને ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિનો લાભ ઉઠાવવામાં ભારત પાછળ રહી ગયું હતું. હવે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના સમયે ભારતે ઝડપથી નિર્ણય લેવાના રહેશે અને તેને ઝડપથી લાગું પણ કરવાનું રહેશે. બદલાઈ રહેલા સમયની સાથે જે રીતે જોબની પ્રકૃત્તિ બદલાઈ રહી છે તે આપ જોઈ રહ્યા છો.

આજે દુનિયા ડિજિટલ યુગમાં પ્રવેશ કરી રહી છે સમદ્ર વૈશ્વિક વલણ ઝડપથી બદલાઈ રહ્યું છે. આજે આપણે સૌ જીઆઇજી અને પ્લેટફોર્મ ઇકોનોમીના રૂપમાં રોજગારીના એક નવા આયામના સાક્ષી બની રહ્યા છીએ. ઓનલાઇન ખરીદી હોય, ઓનલાઇન આરોગ્ય સેવા હોય, ઓનલાઇન ટેક્સી અને ફૂડની ડિલિવરી હોય આ બાબત આજે શહેરી જીવનનો હિસ્સો બની ગઈ છે. લાખો યુવાનો આ સેવાને, આ નવા બજારને ગતિ આપી રહ્યા છે. આ નવી સંભાવનાઓ માટે આપણી યોગ્ય નીતિ અને યોગ્ય પ્રયાસ આ ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક નેતા બનાવવામાં મદદ કરશે.

સાથીઓ,
દેશનું શ્રમ મંત્રાલય અમૃતકાળમાં વર્ષ 2047 માટે પોતાનું વિઝન તૈયાર કરી રહ્યું છે. ભવિષ્યની જરૂરિયાત છે – સાનુકૂળ કાર્ય સ્થળ. આપણે આ સાનુકૂળ કાર્ય સ્થળ જેવી વ્યવસ્થાઓ મહિલા શ્રમશક્તિની ભાગીદારી માટે એક અવસરના રૂપમાં ઉપયોગ કરી શકીએ છીએ.

આ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી મેં દેશની નારી શક્તિની સંપૂર્ણ ભાગીદારીનું આહવાન કર્યું છે. નારી શક્તિનો યોગ્ય ઉપયોગ કરતાં કરતાં ભારત પોતાના લક્ષ્યાંકોને વધુ ઝડપથી પ્રાપ્ત કરી શકે તેમ છે. દેશમાં નવા ઉભરી રહેલા ક્ષેત્રમાં મહિલાઓ માટે શું કરી શકીએ છીએ તે દિશામાં આપણે વિચારવુ પડશે.

સાથીઓ,
21મી સદીમાં ભારતની સફળતા એ વાત પર આધાર રાખે છે કે આપણે આપણા ડેમોગ્રાફિક ડિવિડન્ડનો કેટલી સફળતાથી ઉપયોગ કરીએ છીએ. આપણે ઉચ્ચ ગુણવત્તાસભર સ્કીલ વર્કફોર્સ પેદા કરીને વૈશ્વિક તકોનો લાભ લઈ શકીએ છીએ. ભારત દુનિયાના ઘણા દેશોની સાથે માઇગ્રેશન એન્ડ મોબિલીટી પાર્ટનરશિપ કરાર પર હસ્તાક્ષર કરી રહ્યું છે. દેશના તમામ રાજ્યોને આ અવસરોનો લાભ મળે તેના માટે આપણે પ્રયાસ વધારવા પડશે, એકબીજા પાસેથી શીખવું પડશે.

સાથીઓ,
આજે જ્યારે આવડા મોટા પ્રસંગે આપણે તમામ એકત્રિત થયા છીએ તો હું તમામ રાજ્યો પાસેથી, આપ તમામ પાસેથી કાંઇક વધારે આગ્રહ કરવા માગું છું. તમે સૌ જાણો છો કે આપણા બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન કામદારો, આપણા વર્કફોર્સનું અવિભાજ્ય અંગ છે. તેમના માટે ‘સેસ’ની વ્યવસ્થા કરવામાં આવી છે તેનો સંપૂર્ણ ઉપયોગ જરૂરી છે.

મને કહેવામાં આવ્યું છે કે આ સેસમાં લગભગ 38 હજાર કરોડ રૂપિયા હજી પણ રાજ્યો દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યા નથી. ઇએસઆઇસી, આયુષ્માન ભારત યોજનાની સાથે મળીને કેવી તે વધુમાં વધુ શ્રમિકોને લાભ પહોંચાડી શકાય છે તે વિશે પણ આપણે ધ્યાન આપવાનું છે.

મને વિશ્વાસ છે કે આપણા આ સામૂહિક પ્રયાસ દેશના વાસ્તવિક સામર્થ્યને સામે લાવવામાં મહત્વની ભૂમિકા અદા કરશે. આ જ વિશ્વાસની સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને મને વિશ્વાસ છે કે આ બે દિવસીય ચર્ચા સત્રમાં આપ નવા સંકલ્પની સાથે, નવા ભરોસાની સાથે દેશની શ્રમ શક્તિના સામર્થ્યને વધારવામાં સફળ થશો.
ખૂબ ખૂબ ધન્યવાદ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Railways' financial health improves in last 10 yrs, surplus revenue after meeting cost: Ashwini Vaishnaw

Media Coverage

Railways' financial health improves in last 10 yrs, surplus revenue after meeting cost: Ashwini Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 ફેબ્રુઆરી 2026
February 07, 2026

Empowering the Nation: Trade Deals, Tech Innovations, and Rural Revival Under PM Modi