શિક્ષક દિનઃ દેશના ઘડવૈયાઓને પ્રણામ

પ્રિય મિત્રો,

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે દિવસ-રાત સખત મહેનત કરનારા વિશાળ શિક્ષક વર્ગને પ્રણામ કરીને હું પ્રારંભ કરવા માગું છું. આજે આપણે ડો.રાધાક્રિશ્નનને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, જેમનો જન્મ દિવસ દર વર્ષે દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક દિવસ મોટાભાગનાં વિદ્યાર્થીઓ માટે ઘણી બધી યાદો લઈને આવે છે. શિક્ષક દિવસે ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓ પોતે શિક્ષકની ભુમિકા ભજવીને વર્ગનો કાર્યભાર સંભાળતા હોય છે. એક દ્રષ્ટિએ, શિક્ષક દિવસનો અવસર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષણજગત માટે કાંઈક નવીન કરી બતાવવાની તક લઈને આવે છે.

પ્રત્યેક શિક્ષક દિવસે રાજ્યનાં એક કરોડ વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરવાનો મારો અનુક્રમ છે. આધુનિક ટેક્નોલોજીનાં ઉપયોગ થકી હું રાજ્યભરનાં વિદ્યાર્થીઓ અને તેમનાં શિક્ષકો સાથે વાર્તાલાપ કરું છું. આ દરમ્યાન તેઓ મને પ્રશ્નો પૂછે છે અને સમગ્ર વાર્તાલાપ ખૂબ મજેદાર અને જ્ઞાનપૂર્ણ બની રહેતો હોય છે. આ બાળકોની નિર્દોષતા, વધુ જાણવાની તેમની જીજ્ઞાસા અને તેમની વિલક્ષણ બુધ્ધિસંપદા મને ખરેખર આશ્ચર્યચકિત કરી દેતી હોય છે. આ તરુણોને વિવિધ વિષયો પર પ્રશ્નો કરતા જોઈને મને ઘણો આનંદ થાય છે, કે આ યુવા બુધ્ધિધનની પાછળ તેમનાં શિક્ષકોનો પુરુષાર્થ રહેલો છે; કે જેઓ આ બાળકોનાં ઉજ્જવળ ભવિષ્યને લઈને પ્રતિબધ્ધ છે.

તમને ક્યારેય પ્રશ્ન થાય છે કે ભિક્ષુકો કેમ મંદિરની બહાર જ ઉભા રહેતા હોય છે, સિનેમા હોલ કે ફાઈવ-સ્ટાર હોટલની બહાર કેમ નહિ? કારણકે તેમને ખ્યાલ હોય છે કે જે લોકો મંદિરમાં પૂજા માટે આવે છે તેઓ તેમનાં પ્રતિ દયાપૂર્ણ વ્યવહાર રાખશે. એજ રીતે જ્યારે ભારતનાં ભવિષ્ય અંગેનો વિચાર મારા મનમાં આવે છે ત્યારે હું શિક્ષક સમુદાયનાં દરવાજે એક ભિક્ષુક બનીને ઉભો રહી જાઉં છું. શિક્ષકો જ્ઞાનનાં મંદિર છે અને જ્ઞાનદાનની અખૂટ ક્ષમતા તેમનામાં છે.

શિક્ષક સાથે મારે બનેલો એક પ્રસંગ તમને કહું. એકવાર હું એક શિક્ષકને મળ્યો. તેમણે પોતાનો તીવ્ર અણગમો મારી સામે ઠાલવ્યો. તેમણે કહ્યું, લોકો મને ‘માસ્તર’ કહીને વારંવાર મારું ‘અપમાન’ કરે છે. મેં તેમને કહ્યું, મને ખબર નથી કે શિક્ષકને માસ્તર કહેવાની શરૂઆત કેવી રીતે થઈ, પણ હું એટલું જરૂર કહીશ કે શિક્ષક માતાનું જ એક સ્વરૂપ છે અને એટલે જ તેમને મા-સ્તર કહેવા જોઈએ. શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આથી વધુ સારો માર્ગ શું હોય કે આપણે તેમને માતા સમાન માનીએ.

માતાપિતા બાળકને જન્મ આપે છે, જ્યારે શિક્ષક જીવન આપે છે. મને ખાત્રી છે કે દરેકનાં જીવનમાં એકાદ શિક્ષક તો એવા હશે જ કે જેમણે તેનાં મન પર ગહેરી છાપ છોડી હોય. એ કદાચ તમારા પ્રાથમિક શિક્ષક હોય જેમણે તમને કક્કો બારાખડી શીખવાડ્યા હતા, કે પછી હાઈસ્કુલનાં શિક્ષક કે જેમણે તમને બીજગણિતનાં દાખલા ગણવાની ફરજ પાડી હતી, કે પછી કોલેજનાં પ્રોફેસર કે જેમણે પોતાનાં સબજેક્ટનો ચસ્કો તમને લગાડ્યો હતો. તમને જે સબજેક્ટ બહુ ગમતો હોય, તેની પાછળ જઈને જોશો તો મોટેભાગે જણાશે કે જે-તે શિક્ષકે બહુ સરસ રીતે આ સબજેક્ટ તમને શીખવાડ્યો હતો, અને સબજેક્ટને જીવંત બનાવી દીધો હતો. અને શિક્ષણનાં એ વર્ગો દરમ્યાન જ તેમણે આપણું ભવિષ્ય ઘડ્યું હતું.

એ હકીકત છે કે દરેક મહાન માણસની સફળતા પાછળ તેના શિક્ષકની સખત મહેનત અને પ્રતિબધ્ધતા રહેલી હોય છે. પછી તે કૃષ્ણ માટે સાંદિપની હોય, અર્જુન માટે દ્રોણાચાર્ય હોય કે પછી રામ માટે વિશ્વામિત્ર કે વશિષ્ઠ હોય, ગુરુ શિષ્યનાં જીવનમાં કેટલો મોટો ફરક પાડી શકે છે એ જોઈ શકાય છે. મહાન ગ્રીક તત્વચિંતક સોક્રેટીસ, કે જેઓ પ્લેટોનાં ગુરુ હતા, તેમણે કહ્યું હતું કે તેમનાં પિતા શિલ્પકાર હતા અને તેમની માતા દાયણ, પણ તેમને આ બંને કામ કરવા હતા એટલે તેઓ શિક્ષક બની ગયા. કારણકે શિક્ષક આ બંને કામ કરે છે, દાયણની ભુમિકા દ્વારા તે પોતાના શિષ્યને આ દુનિયાદારીમાં પ્રવેશ આપે છે અને શિલ્પીની ભુમિકા દ્વારા તે પોતાના શિષ્યમાં એક ઉત્તમ નાગરિકનું ઘડતર કરે છે.

જ્યારે દુનિયાનો અંત નજીક હતો ત્યારે મનુએ એક જહાજમાં તમામ પ્રકારના પ્રાણીઓ અને માણસોને એકત્રિત કર્યાં, કે જેથી આગળ જતાં આ દુનિયાનું પુનઃનિર્માણ કરી શકાય. આજે જો આપણે એક નવા વિશ્વનું નિર્માણ કરવાની જરૂર પડે તો અન્ય કોઇ કરતાં આપણને શિક્ષકોની સૌથી વધુ જરૂર પડશે. ૨૧મી સદી જ્ઞાનની સદી છે અને સીધી વાત છે કે જ્ઞાન આધારિત આ સદીમાં જો આપણે વિકાસ કરવો હશે તો શિક્ષકોની ભુમિકા કેન્દ્ર સ્થાને રહેશે.

મિત્રો, મને આનંદ છે કે છેલ્લાં દશક દરમિયાન ગુજરાતે પોતાની શિક્ષણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના સક્રિય પ્રયાસો કર્યા છે. શિક્ષકોની ભરતી કરવાનો કાર્યક્રમ આપણે મોટાપાયે હાથ ધર્યો છે, જે દરમિયાન ૧,૩૩,૦૦૦થી વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. નાનાકડા બાળકોને હસતાં મોંઢે શાળાએ આવતા અને પાછા જતાં જોવાથી વિશેષ આનંદની વાત ભાગ્યેજ બીજી કોઇ હોઇ શકે.

પ્રતિવર્ષ જૂન મહિનાના ધોમધખતા તાપમાં મારા મંત્રીમંડળના સાથીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને હું ગુજરાતના ગામેગામ જઇને લોકોને તેમના બાળકોને શિક્ષણ અપાવવાની વિનંતી કરીએ છીએ. આપણા ગુણોત્સવ કાર્યક્રમના કારણે પ્રાથમિક શિક્ષણ પ્રણાલીમાં નવી ચેતના જાગી છે. આ કાર્યક્રમને લીધે આપણે આત્મનિરિક્ષણ કરવા અને વધુ ગુણવત્તાસભર શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં સમર્થ બન્યાં છીએ.

શિક્ષણક્ષેત્રે આપણે કરેલ વિવિધ પહેલોના પરિણામો હવે આપણી સામે છે. એક દશક પહેલાં ધોરણ ૧થી૫માં શાળા પ્રવેશ દર ૭૫ ટકા હતો અને ડ્રોપઆઉટ દર ૨૧ ટકા હતો, જ્યારે આજે શાળા પ્રવેશ દર વધીને ૧૦૦ ટકા સુધી પહોંચી ગયો છે અને ડ્રોપઆઉટ દર ઘટીને માંડ ૨ ટકા જેટલો રહ્યો છે. ૧૦ વર્ષ પહેલાં સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાઓ ૧૨૭ હતી. આ આંકડો વધીને આજે ૭૫૦ થઇ ચૂક્યો છે. ગુજરાતની શાળાઓમાં ટેકનોલોજીનું પ્રમાણ પણ ઘણું ઊંચું આવી ગયું છે. એક દશક પહેલાં આપણી પાસે માત્ર ૪૮૭ કોમ્યુટર લેબ હતી, આ આંકડો આજે વધીને ૨૨,૨૦૦ને વટાવી ચૂક્યો છે.

 

આપણે ખુશનસીબ છીએ કે આપણા ગુજરાત પાસે શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ છે. ગત વર્ષે આપણે પ્રાથમિક શિક્ષણક્ષેત્રે નવીન પ્રયાસો થકી બદલાવ લાવનારા ૨૫ શિક્ષકો અંગેનું એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું. આવા તો અનેક હીરા ગુજરાતમાં પડ્યાં છે. દરેક શિક્ષકને તો કદાચ એવોર્ડ ન મળે પણ જો તેમના વર્ગનો એક વિદ્યાર્થી પણ મોટી સિદ્ધિ હાંસલ કરી બતાવે તો શિક્ષકે પોતાની ભુમિકા કરતાં પણ ઘણું વિરાટ કાર્ય પાર પાડ્યુ ગણાશે.

આવો, પ્રાથમિક શિક્ષણક્ષેત્રે નવીન પ્રયાસો કરનાર શિક્ષકોનાં જીવનમાંથી પ્રેરણા લઈએ

 

ફરી એકવાર, હું શિક્ષણ દિવસના અવસરે શુભકામનાઓ પાઠવું છું અને જે શિક્ષકોએ ભારે તકલીફો વેઠીને અને અનેક બલિદાનો આપીને પોતાના વિદ્યાર્થીઓને સફળ બનાવવામાં અને સમાજ તથા દેશને હકારાત્મક યોગદાન આપવામાં મહત્વની ભુમિકા ભજવી છે તેમના પ્રત્યે આદર વ્યક્ત કરું છું. આપણા દેશના ઉજ્જવળ ભાવિનો તમામ આધાર શિક્ષકો પર છે.

 

આપનો, 

નરેન્દ્ર મોદી

 

Paying tribute to one of the noblest professions

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's food services market to reach USD 150 billion by FY31, online share to rise to 18%: Report

Media Coverage

India's food services market to reach USD 150 billion by FY31, online share to rise to 18%: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.