ગીતા આપણને વિચારવંતા થવા, પ્રશ્રો કરીને એનું સમાધાન મેળવવા, ચર્ચા કરવા અને આપણા મનની જડતા દૂર કરવા પ્રેરિત કરે છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતા કિન્ડલ સંસ્કરણનું લોકાર્પણ કર્યું હતું.

સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતા ઇ-બુક સંસ્કરણનું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રીએ ઇ-બુક સંસ્કરણ પ્રસ્તુત કરવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી, કારણ કે આ સંસ્કરણથી ગીતાના ઉમદા અને પ્રેરક વિચારો સાથે વધુ યુવાનોને જોડશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એમાં પરંપરાઓ અને ટેકનોલોજીનો સુભગ સમન્વય થયો છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઇ-બુક શાશ્વત ગીતા અને તમિલ ભાષાના ભવ્ય સાહિત્ય વચ્ચેના જોડાણને વધારે ગાઢ પણ બનાવશે. આ ઇ-બુક દુનિયાભરમાં ફેલાયેલા તમિલ ડાયસ્પોરાને સરળતાપૂર્વક એનો અભ્યાસ કરવા સક્ષમ બનાવશે. તેમણે તમિલ ડાયસ્પોરાની ઘણા ક્ષેત્રોમાં નવી ઊંચાઈ પર પહોંચવા બદલ અને દુનિયામાં તેઓ જ્યાં ગયા ત્યાં તમિલ ભાષાના મહાન સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરવા બદલ પ્રશંસા કરી હતી.

સ્વામી ચિદભવાનંદજીને શ્રદ્ધાસુમન અર્પણ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વામીજીનું મન, શરીર, હૃદય અને આત્મા ભારતના પુનર્જાગરણ પ્રત્યે પ્રતિબદ્ધ હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીએ મદ્રાસમાં આપેલા ભાષણે સ્વામી ચિદભવાનંદજીને રાષ્ટ્રને સર્વોપરી રાખવા અને જનસેવા કરવા પ્રેરિત કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, સ્વામી ચિદભવાનંદજી એક તરફ સ્વામી વિવેકાનંદથી પ્રેરિત થયા હતા, બીજી તરફ તેમણે પોતાના ઉદ્દાત કાર્યો સાથે દુનિયાને પ્રેરિત કરી હતી. તેમણે સામુદાયિક સેવા, હેલ્થકેર, શિક્ષણમાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ તથા સ્વામી ચિદભવાનંદજીના ઉદ્દાત કાર્યોને આગળ વધારવા માટે શ્રી રામકૃષ્ણ મિશનની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ગીતા વિશે કહ્યું હતું કે, ગીતાની સુંદરતા એના ઊંડાણ, એની વિવિધતા અને એની વૈચારિક અનુકૂલનક્ષમતામાં રહેલી છે. તેમણે જણાવ્યું હતું કે, આચાર્ય વિનોબા ભાવેએ ગીતાને માતાનો દરજ્જો આપ્યો હતો. વિનોબાએ કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, જો મને ઠોકર વાગશે, તો ગીતા મૈયા મને એના ખોળામાં ઝીલી લેશે. મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક, મહાકવિ સુબ્રમનિય ભારતી જેવા મહાન આગેવાનોનું પ્રેરકબળ ગીતા હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ગીતા આપણને વિચારવંતા કરે છે, આપણને પ્રશ્રો પૂછીને સમાધાન મેળવવા, ચર્ચા કરવા અને આપણા મનની જડતા દૂર કરવા પ્રેરિત કરે છે. તેમણે કહ્યું હતું કે, જે વ્યક્તિ ગીતાથી પ્રેરિત હોય છે, એ હંમેશા પ્રકૃતિ પ્રત્યે કરુણા ધરાવે છે અને સ્વભાવથી લોકતાંત્રિક હોય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જન્મ સંઘર્ષ અને હતાશા દરમિયાન થયો હતો માનવતા હવે સમાન સંઘર્ષો અને પડકારોમાંથી પસાર થઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ભગવદ્ ગીતા વિચારોનો અક્ષયગ્રંથ છે, જે હતાશામાંથી વિજય સુધીની સફરને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે દુનિયા જીવલેણ વૈશ્વિક રોગચાળા સામે મુશ્કેલ લડાઈ લડી રહી છે તથા દૂરગામી આર્થિક અને સામાજિક અસરનો સામનો કરી રહી છે, ત્યારે પણ શ્રીમદ્ ભગવદ્દ ગીતામાં દર્શાવેલો માર્ગ પ્રસ્તુત છે. તેમણે જણાવ્યું હતું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતા માનવજાતને પડકારો ઝીલીને ફરી વિજય મેળવવા દિશા અને ક્ષમતા પ્રદાન કરી શકે છે. તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કાર્ડિયોલોજીના એક જર્નલમાં પ્રકાશિત સમીક્ષાને ટાંકી હતી, જેમાં કોવિડ રોગચાળાના સમયગાળા દરમિયાન ગીતાની પ્રસ્તુતતા વિશે વિગતવાર વાત કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મુખ્ય સંદેશ કર્મ કરવાનો છે, કારણ કે નિષ્ક્રિયતા કરતાં કર્મઠતા કે સક્રિયતા વધારે સારી. તેમણે ઉમેર્યું હતું કે, એ જ રીતે આત્મનિર્ભર ભારત અભિયાનનું હાર્દ આપણી સાથે બહોળા સમુદાય માટે સંપત્તિ અને મૂલ્યનું સર્જન કરવાનું છે. આપણે માનીએ છીએ કે, આત્મનિર્ભર ભારત દુનિયા માટે સારું છે. આ પ્રસંગે તેમણે આપણા વૈજ્ઞાનિકોની કોવિડ સામે માનવજાતને મદદ કરવા ઝડપથી રસી બનાવવાની પ્રશંસા કરી હતી અને તેમની કામગીરીએ ગીતાના જુસ્સાને જાળવી રાખ્યો હોવાનું જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ લોકોને, ખાસ કરીને યુવા પેઢીને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવા અપીલ કરી હતી, જેમાં અતિ વ્યવહારિક અને પ્રસ્તુત સંદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ગીતા અત્યારના ઝડપી જીવનમાં શાંતિ અને ધૈર્ય પ્રદાન કરશે. ગીતા તમારા મનને નિષ્ફળતાના ડરમાંથી મુક્ત કરશે અને તમારા ચિત્તને તમારા કાર્ય પર એકાગ્ર કરશે. તેમણે જણાવ્યું હતું કે, ગીતાના દરેક અધ્યાયમાં સકારાત્મક મનને કેળવવા કશુંક મળે છે.

 

 

 

 

 

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties

Media Coverage

India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 જાન્યુઆરી 2026
January 14, 2026

Viksit Bharat Rising: Economic Boom, Tech Dominance, and Cultural Renaissance in 2025 Under the Leadership of PM Modi