વિશ્વભરના અનેક જહાજો હોર્મુઝની સામુદ્રધુનીમાં ફસાયેલા છે, તેમાં ભારતીય ક્રૂ મેમ્બર્સની સંખ્યા પણ ઘણી મોટી છે, જે ભારત માટે ચિંતાનો મોટો વિષય છે: PM
આવી ગંભીર પરિસ્થિતિમાં, એ આવશ્યક છે કે ભારતની સંસદના આ ઉચ્ચ સદનમાંથી સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદનો એકજૂથ અવાજ જાય: PM
ખાડી દેશોમાં લગભગ એક કરોડ ભારતીયો રહે છે અને કામ કરે છે, તેમના જીવન અને આજીવિકાની સુરક્ષા પણ ભારત માટે બહુ મોટી ચિંતા છે: PM
પશ્ચિમ એશિયામાં આ યુદ્ધ શરૂ થયાને ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે, આ યુદ્ધે સમગ્ર વિશ્વમાં ગંભીર ઊર્જા સંકટ ઊભું કર્યું છે: PM
વ્યાપારી જહાજો પર હુમલા અને હોર્મુઝની સામુદ્રધુની જેવા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં અવરોધ અસ્વીકાર્ય છે: PM
ભારતે નાગરિકો, નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા તથા પરિવહન સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓની નિંદા કરી છે: PM
યુદ્ધની શરૂઆતથી, મેં પશ્ચિમ એશિયાના મોટાભાગના દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે બે રાઉન્ડ ટેલિફોનિક વાતચીત કરી છે: PM
અમે તમામ ખાડી દેશોના સતત સંપર્કમાં છીએ, અમે ઈરાન, ઈઝરાયેલ અને યુનાઈટેડ સ્ટેટ્સના સંપર્કમાં પણ છીએ: PM
અમારો ધ્યેય સંવાદ અને રાજદ્વારી પ્રયાસો દ્વારા આ ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાનો છે: PM
અમે તેમની સાથે તણાવ ઘટાડવા અને હોર્મુઝની સામુદ્રધુની ફરીથી ખોલવા અંગે પણ ચર્ચા કરી છે: PM
યુદ્ધના આ વાતાવરણમાં પણ ભારતીય જહાજોના સુરક્ષિત આવાગમનને સુનિશ્ચિત કરવા માટે ભારત રાજદ્વારી માધ્યમો દ્વારા સતત પ્રયાસો કરી રહ્યું છે: PM
યુદ્ધ શરૂ થયું ત્યારથી, હોર્મુઝની સામુદ્રધુની દ્વારા જહાજોની અવરજવર ખૂબ જ પડકારજનક બની ગઈ છે, પરંતુ આ પ્રતિકૂળ સંજોગો છતાં, અમારી સરકાર સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા આગળનો રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહી છે: PM
પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે જ્યાંથી શક્ય હોય ત્યાંથી તેલ અને ગેસનો પુરવઠો ભારત પહોંચે, દેશ આવા દરેક પ્રયાસોના પરિણામો જોઈ રહ્યો છે: PM
છેલ્લા કેટલાક દિવસોમાં, વિશ્વના ઘણા દેશોમાંથી ક્રૂડ ઓઈલ અને LPG લઈને જહાજો ભારત આવ્યા છે, આ દિશામાં અમારા પ્રયાસો ચાલુ રહેશે: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભાને સંબોધિત કરી હતી, જેમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષથી ઉદ્ભવેલી પરિસ્થિતિ પર સરકારનું વલણ રજૂ કર્યું હતું. ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધે ભારત માટે અત્યંત ચિંતાજનક અસરો સાથે ગંભીર વૈશ્વિક ઊર્જા સંકટ ઊભું કર્યું છે તે નોંધતા, પીએમ મોદીએ ધ્યાન દોર્યું હતું કે આ સંઘર્ષ ભારતના વેપાર માર્ગોને ખોરવી રહ્યો છે અને પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતર જેવી આવશ્યક ચીજવસ્તુઓના નિયમિત પુરવઠાને અસર કરી રહ્યો છે. ખાડી દેશોમાં લગભગ એક કરોડ ભારતીયો રહે છે અને કામ કરે છે, તેમની સુરક્ષા અને આજીવિકા ગંભીર ચિંતાનો વિષય છે, તેમ પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું હતું, સાથે જ હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજો પર ફસાયેલા મોટી સંખ્યામાં ભારતીય ક્રૂ મેમ્બર્સ તરફ પણ ધ્યાન દોર્યું હતું. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આવા કપરા સંજોગોમાં, એ અનિવાર્ય છે કે ભારતીય સંસદના આ ગરિમામય ઉચ્ચ સદનમાંથી શાંતિ અને સંવાદનો એકજૂથ અવાજ સમગ્ર વિશ્વમાં જાય."

યુદ્ધ ફાટી નીકળ્યા પછી ભારતના જોરદાર રાજદ્વારી સંપર્કની વિગતો આપતા, પ્રધાનમંત્રીએ ગૃહને જાણ કરી કે તેમણે વ્યક્તિગત રીતે પશ્ચિમ એશિયાના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓ સાથે ટેલિફોનિક વાતચીતના બે રાઉન્ડ કર્યા છે અને ભારત તમામ ખાડી દેશો તેમજ ઈરાન, ઈઝરાયેલ અને યુનાઈટેડ સ્ટેટ્સ સાથે સતત સંપર્કમાં છે. તેમણે જણાવ્યું હતું કે, ઉદ્દેશ્ય સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા ક્ષેત્રમાં શાંતિની પુનઃસ્થાપના છે, અને તણાવ ઘટાડવા તથા હોર્મુઝની સામુદ્રધુની ફરીથી ખોલવા અંગેની ચર્ચાઓ ખાસ હાથ ધરવામાં આવી છે. ભારતના મક્કમ વલણ પર ભાર મૂકતા, તેમણે જાહેર કર્યું કે વ્યાપારી જહાજો પરના હુમલા અને હોર્મુઝની સામુદ્રધુની જેવા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં અવરોધ અસ્વીકાર્ય છે, અને ભારતે નાગરિકો, નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા તથા પરિવહન સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના તમામ હુમલાઓનો સ્પષ્ટ વિરોધ કર્યો છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, "આ યુદ્ધમાં માનવ જીવન માટેનો કોઈપણ ખતરો માનવતાના હિતોની વિરુદ્ધ છે, અને તેથી ભારતનો સતત પ્રયાસ તમામ પક્ષોને વહેલી તકે શાંતિપૂર્ણ ઉકેલ તરફ પ્રોત્સાહિત કરવાનો છે."

કટોકટીના સમયે દેશ અને વિદેશમાં ભારતીયોની સુરક્ષા કરવાની સરકારની અટલ પ્રાથમિકતા પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 3,75,000 થી વધુ ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પાછા લાવવામાં આવ્યા છે, જેમાં માત્ર ઈરાનમાંથી જ 1,000 થી વધુનો સમાવેશ થાય છે, જેમાંથી 700 થી વધુ યુવાન તબીબી વિદ્યાર્થીઓ છે. જ્યારે તમામ દેશોએ તેમની ધરતી પર હાજર ભારતીયો માટે સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી છે, ત્યારે પ્રધાનમંત્રીએ હુમલાઓને કારણે ભારતીયોના જાનહાનિ અને ઇજાઓ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો, અને ખાતરી આપી હતી કે સરકાર સંકટના આ સમયગાળામાં સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "અસરગ્રસ્ત પરિવારોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને ઘાયલોને શક્ય તેટલી શ્રેષ્ઠ તબીબી સારવાર સુનિશ્ચિત કરવામાં આવી રહી છે."

વિશ્વના સૌથી મોટા વેપાર માર્ગોમાંના એક તરીકે, ખાસ કરીને ક્રૂડ ઓઈલ, ગેસ અને ખાતરના પરિવહન માટે હોર્મુઝની સામુદ્રધુનીના વ્યૂહાત્મક મહત્વને પ્રકાશિત કરતા, પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું કે યુદ્ધની શરૂઆતથી સામુદ્રધુની દ્વારા જહાજોની અવરજવર અત્યંત પડકારજનક બની ગઈ છે. જો કે, પ્રતિકૂળ સંજોગો છતાં, સરકારે સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા વૈલ્પિક માર્ગો બનાવવાનો પ્રયાસ કર્યો છે, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તેલ અને ગેસનો પુરવઠો જ્યાંથી શક્ય હોય ત્યાંથી ભારત પહોંચે. પ્રધાનમંત્રીએ કહ્યું, "દેશ આવા દરેક પ્રયાસોના પરિણામો જોઈ રહ્યો છે, છેલ્લા કેટલાક દિવસોમાં, વિશ્વના અસંખ્ય દેશોમાંથી ક્રૂડ ઓઈલ અને LPG ભરેલા જહાજો ભારત પહોંચ્યા છે અને આ દિશામાં અમારા પ્રયાસો આગામી દિવસોમાં અવિરત ચાલુ રહેશે."

લાંબા ગાળાના જોખમો તરફ ધ્યાન દોરતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારતનો પ્રયાસ દરેક આવશ્યક ચીજવસ્તુઓ, પછી તે તેલ, ગેસ કે ખાતર હોય, લઈ જતા જહાજોનું સુરક્ષિત આગમન સુનિશ્ચિત કરવાનો છે, પરંતુ આ યુદ્ધને કારણે વૈશ્વિક અવરોધો લાંબા સમય સુધી ચાલુ રહેવાથી અનિવાર્યપણે ગંભીર પરિણામો આવશે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "તેથી ભારત છેલ્લા વર્ષોમાં હાથ ધરવામાં આવેલા તમામ સ્થિતિસ્થાપકતા-નિર્માણના પગલાંને વેગ આપી રહ્યું છે."

ભારતની દાયકા લાંબી વ્યૂહાત્મક સજ્જતા વિશે બોલતા, પ્રધાનમંત્રી મોદીએ અવલોકન કર્યું કે દરેક કટોકટી રાષ્ટ્રના સંકલ્પ અને તેના પ્રયત્નો બંનેની કસોટી કરે છે, અને દેશ આવા પડકારોનો સામનો કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે છેલ્લા અગિયાર વર્ષોમાં સતત અને દૂરંદેશી નિર્ણયો લેવામાં આવ્યા છે. ઊર્જા આયાતના વૈવિધ્યકરણની વિગતો આપતા (ક્રૂડ ઓઈલ, LNG અને LPG માટે અગાઉના 27 દેશોથી આજે 41 દેશો સુધી), તેમણે ગૃહને જાણ કરી કે ભારતે કટોકટીના સમય માટે ક્રૂડ ઓઈલના ભંડાર બનાવવાની પ્રાથમિકતા આપી છે, જેમાં તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક જાળવી રાખે છે. છેલ્લા અગિયાર વર્ષોમાં 53 લાખ મેટ્રિક ટનથી વધુના વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ વિકસાવવામાં આવ્યા છે, અને 65 લાખ મેટ્રિક ટનથી વધુના ભંડાર સ્થાપવાનું કામ ચાલુ છે, સાથે જ ભારતની રિફાઇનિંગ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, "હું આ ગૃહ અને રાષ્ટ્રને ખાતરી આપવા માંગુ છું કે ભારત પાસે ક્રૂડ ઓઈલનો પૂરતો સંગ્રહ અને સતત તથા અવિરત પુરવઠા માટે મજબૂત વ્યવસ્થા છે."

કોઈપણ એક ઇંધણ સ્ત્રોત પર અતિશય નિર્ભરતા ઘટાડવાની સરકારની વ્યૂહરચના વિશે વિગતે જણાવતા, પ્રધાનમંત્રીએ ઘરેલું ગેસ પુરવઠા માટે LPG ની સાથે પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પર આપવામાં આવી રહેલા ભાર પર પ્રકાશ પાડ્યો હતો. છેલ્લા દાયકામાં PNG કનેક્શન પર અભૂતપૂર્વ કામ કરવામાં આવ્યું છે અને તાજેતરના દિવસોમાં આ પ્રયાસ વધુ તેજ કરવામાં આવ્યો છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, "તેની સાથે જ, LPG ના સ્થાનિક ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો કરવા માટે મોટા પાયે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે."

આત્મનિર્ભરતાના ભારતના વિઝનને સમર્થન આપતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારનો સતત પ્રયાસ દરેક ક્ષેત્રમાં અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડવાનો રહ્યો છે. તેમણે નોંધ્યું હતું કે ભારતનું 90 ટકાથી વધુ તેલ હાલમાં વિદેશી ધ્વજવાળા જહાજો પર પરિવહન કરવામાં આવે છે, જે પરિસ્થિતિ કોઈપણ વૈશ્વિક કટોકટી દરમિયાન રાષ્ટ્રની નબળાઈમાં વધારો કરે છે. આને ઉકેલવા માટે, સરકારે મેડ-ઇન-ઇન્ડિયા જહાજો બનાવવા માટે અંદાજે ₹ 70,000 કરોડનું મિશન શરૂ કર્યું છે, જ્યારે શિપ બિલ્ડિંગ, શિપ બ્રેકિંગ અને મેઇન્ટેનન્સ એન્ડ ઓવરહોલિંગ (MRO) માં ઝડપથી ક્ષમતાઓ વિકસાવી રહી છે. તેમણે વધુમાં હાઇલાઇટ કર્યું હતું કે ભારતના સંરક્ષણ ક્ષેત્રને વધુ સ્થિતિસ્થાપક બનાવવામાં આવ્યું છે, દેશ હવે તેના જરૂરી મોટાભાગના શસ્ત્રોનું ઘરેલું ઉત્પાદન કરે છે, અને જીવનરક્ષક દવાઓ માટે ઘરેલું API ઇકોસિસ્ટમ બનાવવા અને રેર અર્થ મિનરલ્સની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરવામાં આવી છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "દરેક નિર્ણાયક ક્ષેત્રમાં વધુ આત્મનિર્ભરતા એ જ એકમાત્ર રસ્તો છે, અને આ દરેક મોરચે મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે."

વર્તમાન કટોકટીની આર્થિક અસરનું મૂલ્યાંકન કરતા, પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું કે આ સંઘર્ષે સમગ્ર વિશ્વના અર્થતંત્રોને હચમચાવી દીધા છે અને પશ્ચિમ એશિયામાં થયેલા નુકસાનમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગશે. તેમણે કહ્યું કે, ભારત પર પ્રતિકૂળ અસર ઘટાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં રાષ્ટ્રના મજબૂત આર્થિક પાયા અને ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર સરકારની ચોવીસે કલાક દેખરેખ રક્ષક (bulwark) તરીકે સેવા આપી રહી છે. આયાત અને નિકાસ સંબંધિત પડકારોનું મૂલ્યાંકન કરવા અને તેને ઉકેલવા માટે નિયમિતપણે મળતા 'ઇન્ટર-મિનિસ્ટ્રિયલ ગ્રુપ' ની રચના અને સપ્લાય ચેઇન, પેટ્રોલ-ડીઝલ, ખાતર, ગેસ અને ફુગાવા પર ઝડપી અને દૂરગામી કાર્યવાહી કરવા માટે, કોવિડ-19 રોગચાળા દરમિયાન રચવામાં આવેલા જૂથોની તર્જ પર સાત નવા 'એમ્પાવર્ડ ગ્રુપ' (સશક્ત જૂથો) ની રચના વિશે ગૃહને જાણ કરતા, પ્રધાનમંત્રીએ સામૂહિક અભિગમમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મને પૂરો વિશ્વાસ છે કે આ વહેંચાયેલ અને સંકલિત પ્રયાસો દ્વારા, અમે આ પરિસ્થિતિઓમાં વધુ અસરકારક રીતે માર્ગ કાઢી શકીશું."

કૃષિ ક્ષેત્ર તરફ વળતા, પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને ખાતરી આપી હતી કે સરકાર આગામી વાવણીની મોસમ દરમિયાન ખેડૂતોને ખાતરનો પૂરતો પુરવઠો મળે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, જેમાં તમામ જરૂરી તૈયારીઓ પહેલેથી જ કરવામાં આવી છે. શ્રી મોદીએ પુષ્ટિ આપી હતી કે, "હું આ દેશના ખેડૂતોને ફરી એકવાર ખાતરી આપવા માંગુ છું કે સરકાર દરેક પડકારના ઉકેલ શોધવામાં તેમની સાથે મજબૂતીથી ઉભી છે, અને તે અમારી અટલ પ્રતિબદ્ધતા છે કે કોઈપણ સંકટનો બોજ તેમના ખભા પર ન પડે."

કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ (રાજ્યોની પરિષદ) તરીકે ગૃહને સંબોધતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આવનારો સમય રાષ્ટ્ર માટે એક મહત્વપૂર્ણ કસોટી સમાન હશે, અને સફળતા માટે રાજ્યોનો સહકાર અનિવાર્ય હશે. તેમણે તમામ રાજ્ય સરકારોને વિનંતી કરી કે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભો લાભાર્થીઓ સુધી સમયસર પહોંચતા રહે તે સુનિશ્ચિત કરે, કારણ કે કટોકટી ગરીબો, મજૂરો અને સ્થળાંતરિત કામદારોને અપ્રમાણસર અસર કરે છે. સ્થળાંતરિત કામદારો દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓને ઉકેલવા માટે સક્રિય પગલાં અને રાજ્ય સરકારો દ્વારા વિશેષ દેખરેખ પદ્ધતિઓ પર ભાર મૂકતા, તેમણે ચેતવણી આપી હતી કે કાળાબજારિયા અને સંગ્રહખોરો આવા સમયે ખૂબ સક્રિય બને છે અને જ્યાં પણ આવી ફરિયાદો ઉઠે ત્યાં તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, "આવશ્યક ચીજવસ્તુઓનો અવિરત પુરવઠો દરેક રાજ્યની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ, અને હું તમામ રાજ્ય સરકારોને આ સુનિશ્ચિત કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવા આગ્રહપૂર્વક અપીલ કરું છું."

સહકારી સંઘવાદની ભાવનાને આહવાન કરતા, પ્રધાનમંત્રીએ તમામ રાજ્ય સરકારોને વિનંતી કરી કે કટોકટીનું સ્તર ગમે તે હોય, ભારતનો મજબૂત વિકાસ પથ જળવાઈ રહે અને દરેક જરૂરી પગલાં તથા દરેક જરૂરી સુધારા ઝડપથી અમલમાં મૂકવામાં આવે તે સુનિશ્ચિત કરે. કોવિડ-19 રોગચાળા દરમિયાન પ્રદર્શિત કરાયેલ અનુકરણીય ટીમ ઇન્ડિયાની ભાવનાને યાદ કરતા, જ્યારે કેન્દ્ર અને રાજ્યોએ અલગ-અલગ રાજકીય પક્ષો દ્વારા શાસિત હોવા છતાં, ટેસ્ટિંગ, રસીકરણ અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર એકીકૃત રીતે સહયોગ કર્યો હતો, પ્રધાનમંત્રીએ કહ્યું કે આ જ ભાવનાએ હવે રાષ્ટ્રને માર્ગદર્શન આપવું જોઈએ. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી, દેશ આ ગંભીર વૈશ્વિક સંકટનો અસરકારક રીતે સામનો કરી શકશે, આપણે એ જ ટીમ ઇન્ડિયાની ભાવનાને આગળ ધપાવવાની છે."

પડકારની અનોખી પ્રકૃતિને વર્ણવતા, પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું કે આ કટોકટી એક અલગ પ્રકારની છે અને તેના માટે તેટલા જ અલગ પ્રકારના ઉકેલોની જરૂર છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "આપણે ધીરજ, સંયમ અને શાંત મનથી દરેક પડકારનો સામનો કરવો જોઈએ."

સંકલ્પ સાથે પોતાના સંબોધનને સમાપ્ત કરતા, પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું કે પરિસ્થિતિ ક્ષણે ક્ષણે બદલાઈ રહી છે અને ભારતના નાગરિકોને દરેક સંભવિત પરિસ્થિતિ માટે તૈયાર રહેવા હાકલ કરી હતી. આ યુદ્ધની પ્રતિકૂળ અસરો લાંબા સમય સુધી ચાલુ રહેવાની સંભાવના છે તેવી ચેતવણી આપતા, તેમણે રાષ્ટ્રને મક્કમ ખાતરી આપી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુષ્ટિ આપી હતી કે, "સરકાર સતર્ક છે, તે તૈયાર છે, અને તે તેની વ્યૂહરચના ઘડી રહી છે અને દરેક નિર્ણય અત્યંત ગંભીરતા સાથે લઈ રહી છે, આ દેશના લોકોનું કલ્યાણ અમારા માટે સર્વોપરી છે; આ જ અમારી ઓળખ છે અને આ જ અમારી શક્તિ છે."

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Labour reforms: Govt fully operationalises four new codes by publishing rules

Media Coverage

Labour reforms: Govt fully operationalises four new codes by publishing rules
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister meets Andhra Pradesh Chief Minister Shri N. Chandrababu Naidu and his family in Hyderabad
May 10, 2026

The Prime Minister, Shri Narendra Modi met the Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu, and his family at his residence in Hyderabad today.

The Prime Minister said that it is always a delight to meet Shri Chandrababu Naidu and his family and exchange views on a wide range of subjects and diverse topics.

The Prime Minister wrote on X;

“In Hyderabad, went to Andhra Pradesh Chief Minister Shri Chandrababu Naidu Garu’s residence and met him along with his family. It’s always a delight to meet them and exchange views on so many diverse topics.

@ncbn”