પ્રધાનમંત્રીએ મહાકુંભ મેળા 2025 માટે વિકાસ કાર્યોની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું
પ્રધાનમંત્રીએ Kumbh Sah’AI’yak ચેટબોટનો શુભારંભ કર્યો
મહાકુંભ એ આપણી આસ્થા, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો દિવ્ય તહેવાર છેઃ પીએમ
પ્રયાગ એક એવું સ્થાન છે જ્યાં દરેક પગથિયે પવિત્ર સ્થાનો, પુણ્યશાળી વિસ્તારો છે: પીએમ
કુંભ એ માણસની આંતરિક ચેતનાનું નામ છેઃ પીએમ
મહાકુંભ એ એકતાનો મહાયજ્ઞ છેઃ પીએમ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો હતો. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સંગમની પાવન ભૂમિ પ્રયાગરાજની ભક્તિને નમન કર્યા હતા અને મહાકુંભમાં ભાગ લેનારા સંતો અને સાધુઓને આદરાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ પોતાની મહેનત અને સમર્પણથી મહાકુંભને ભવ્ય સફળતા અપાવનારા કર્મચારીઓ, શ્રમિકો અને સફાઈ કર્મચારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ મહાકુંભની ભવ્યતા અને વિસ્તાર પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, આ મહાકુંભ દુનિયામાં સૌથી મોટો મેળો છે, જ્યાં 45 દિવસ સુધી ચાલનારા આ મહાયજ્ઞ માટે દરરોજ લાખો શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવામાં આવે છે. આ પ્રસંગે એક સંપૂર્ણ નવું શહેર ઊભું કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "પ્રયાગરાજની ભૂમિ પર એક નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી વર્ષે મહાકુંભનું આયોજન રાષ્ટ્રની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખને નવા શિખરો પર લઈ જશે અને તેમણે કહ્યું હતું કે, એકતાના આ પ્રકારના 'મહાયજ્ઞ'ની ચર્ચા સમગ્ર વિશ્વમાં થશે. તેમણે મહાકુંભના સફળ આયોજન માટે લોકોને શુભકામનાઓ પાઠવી હતી.

શ્રી મોદીએ કહ્યું હતું કે, "ભારત પવિત્ર સ્થળો અને તીર્થસ્થાનોની ભૂમિ છે." તેમણે ઉમેર્યું હતું કે, તે ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા અને અન્ય અનેક નદીઓની ભૂમિ છે. પ્રયાગને આ નદીઓના પવિત્ર પ્રવાહનો સંગમ, સંગ્રહ, મંડળ, સંયોજન, પ્રભાવ અને શક્તિ ઉપરાંત ઘણાં તીર્થસ્થળો ધરાવે છે અને તેની મહાનતા જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રયાગ માત્ર ત્રણ નદીઓનો સંગમ જ નથી, પરંતુ તેનાથી પણ વિશેષ છે. તેનું ધાર્મિક મહત્વ સમજાવતાં તેમણે ટિપ્પણી કરી હતી કે પ્રયાગ વિશે કહેવામાં આવ્યું છે કે આ એક પવિત્ર સમય છે જ્યારે સૂર્ય મકરના ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે તમામ દૈવી શક્તિઓ, અમૃત, ઋષિઓ અને સંતો પ્રયાગમાં નીચે ઉતરે છે. તેમણે ઉમેર્યું કે પ્રયાગ એક એવું સ્થળ છે જેના વિના પુરાણો અધૂરા રહી જશે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે પ્રયાગ એક એવું સ્થળ છે, જેની વેદોના શ્લોકોમાં પ્રશંસા કરવામાં આવી હતી.

શ્રી મોદીએ કહ્યું હતું કે, "પ્રયાગ એક એવું સ્થળ છે, જ્યાં દરેક પગલે પવિત્ર સ્થળો અને સદાચારી વિસ્તારો છે." પ્રયાગરાજના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ સંસ્કૃત શ્લોકનું પઠન કર્યું હતું અને સમજાવ્યું હતું કે, "ત્રિવેણીની અસર, વેણીમાધવનો મહિમા, સોમેશ્વરના આશીર્વાદ, ઋષિ ભરદ્વાજની તપસ્યા ભૂમિ, ભગવાન નાગરાજ વસુજીનું વિશેષ સ્થાન, અક્ષયવડનું અમરત્વ અને ભગવાનની કૃપા – આ જ તો આપણા તીર્થરાજ પ્રયાગને બનાવે છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રયાગરાજ એક એવું સ્થળ છે જ્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય તત્વો ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "પ્રયાગરાજ એ માત્ર જમીનનો ભૌગોલિક ટુકડો નથી, પરંતુ તે આધ્યાત્મિકતાનો અનુભવ કરવા માટેનું સ્થળ છે." પ્રધાનમંત્રીએ પ્રયાગરાજની મુલાકાત લેવા માટે નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે અગાઉના કુંભ દરમિયાન સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવાનું યાદ કર્યું હતું અને આજે તક મળવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. દિવસની શરૂઆતમાં હનુમાન મંદિર અને અક્ષયવડમાં તેના દર્શન અને પૂજા વિશે બોલતા, પ્રધાનમંત્રીએ હનુમાન કોરિડોર અને અક્ષયવટ કોરિડોરના વિકાસ વિશે માહિતી આપી હતી.  જેથી ભક્તો સરળતાથી પહોંચી શકે અને સરસ્વતી કૂપના પુનર્વિકાસ પ્રોજેક્ટ વિશે જાણવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ હજારો કરોડનાં મૂલ્યનાં આજનાં વિકાસ કાર્યો માટે નાગરિકોને અભિનંદન પણ આપ્યાં હતાં.

 

શ્રી મોદીએ કહ્યું હતું કે, "મહાકુંભ આપણી શ્રદ્ધા, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના દિવ્ય તહેવારના વારસાની જીવંત ઓળખ છે." તેમણે ઉમેર્યું હતું કે, દરેક વખતે આ મેગા ઇવેન્ટ ધર્મ, જ્ઞાન, ભક્તિ અને કળાના દિવ્ય મેળાવડાનું પ્રતિક છે. સંસ્કૃત શ્લોકનું પઠન કરતાં પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવી એ કરોડો યાત્રાધામોની મુલાકાત લેવા બરાબર છે. તેમણે ઉમેર્યું કે, પવિત્ર ડૂબકી લેનાર વ્યક્તિ તેના બધા પાપોથી છૂટકારો મેળવે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વિવિધ સમ્રાટો અને રજવાડાઓ દ્વારા શાસન કરવા છતાં અથવા તો અંગ્રેજોના આપખુદ શાસન દરમિયાન પણ વિશ્વાસનો આ શાશ્વત પ્રવાહ ક્યારેય અટક્યો નથી અને તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે કુંભ કોઈ બાહ્ય શક્તિઓ દ્વારા સંચાલિત નથી. તેમણે ઉમેર્યું હતું કે, કુંભ મનુષ્યનાં આંતરિક આત્માની ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે. જે ચેતના અંદરથી આવે છે અને ભારતનાં દરેક ખૂણામાંથી લોકોને સંગમનાં કિનારા સુધી ખેંચી લાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગામડાંઓ, નગરો, શહેરોનાં લોકો પ્રયાગરાજ તરફ પ્રયાણ કરે છે અને આ પ્રકારની મંડળી અને સામૂહિક મેળાવડાની શક્તિ ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, એક વખત કોઈ વ્યક્તિ મહાકુંભમાં આવે એટલે દરેક વ્યક્તિ એક થઈ જાય છે, પછી તે સંતો હોય, ઋષિઓ હોય, શાણા માણસો હોય કે સામાન્ય લોકો હોય અને જ્ઞાતિ અને સંપ્રદાયો વચ્ચેનો તફાવત સમાપ્ત થઈ જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, કરોડો લોકો એક ધ્યેય અને એક વિચાર સાથે જોડાય છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ વખતે મહાકુંભ દરમિયાન વિવિધ રાજ્યોમાંથી વિવિધ ભાષાઓ, જ્ઞાતિઓ, માન્યતાઓ ધરાવતાં કરોડો લોકો સંગમમાં એકત્ર થશે અને એકતામાં જોડાશે. તેમણે ઉમેર્યું હતું કે, તેમની આ માન્યતા છે કે શા માટે મહાકુંભ એકતાનું મહાયજ્ઞ હતો. જ્યાં દરેક પ્રકારના ભેદભાવનું બલિદાન આપવામાં આવે છે અને અહીંનાં સંગમમાં ડૂબકી લગાવનાર દરેક ભારતીય એક ભારત, શ્રેષ્ઠ ભારતની સુંદર તસવીરનું પ્રતિનિધિત્વ કરે છે.

શ્રી મોદીએ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરામાં કુંભના મહત્વ પર ભાર મૂક્યો હતો અને એ બાબત પર ભાર મૂક્યો હતો કે, કેવી રીતે તે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ અને પડકારો અંગે સંતો વચ્ચે ગહન ચર્ચા કરવા માટેનો  એક મંચ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે ભૂતકાળમાં આધુનિક સંચાર ચેનલોનું અસ્તિત્વ નહોતું, ત્યારે કુંભ મહત્ત્વપૂર્ણ સામાજિક પરિવર્તનોનો પાયો બની ગયો હતો.  જ્યાં સંતો અને વિદ્વાનો દેશનાં કલ્યાણની ચર્ચા કરવા એકત્ર થયાં હતાં તથા વર્તમાન અને ભવિષ્યનાં એમ બંને પ્રકારનાં પડકારો પર વિચાર-વિમર્શ કરતા હતા.  જેથી દેશની વિચારપ્રક્રિયાને નવી દિશા અને ઊર્જા પ્રદાન થઈ હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે પણ કુંભ એક એવા મંચ તરીકે પોતાનું મહત્ત્વ જાળવી રાખે છે, જ્યાં આ પ્રકારની ચર્ચાઓ ચાલુ રહે છે.  સમગ્ર દેશમાં સકારાત્મક સંદેશો મોકલે છે અને રાષ્ટ્રીય કલ્યાણ પર સામૂહિક વિચારોને પ્રેરિત કરે છે. આ સમારંભનાં નામ, સીમાચિહ્નો અને માર્ગો બદલાઈ શકે છે, તેમ છતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઉદ્દેશ અને સફર યથાવત્ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કુંભ ચાલુ રાષ્ટ્રીય વાર્તાલાપનું પ્રતિક બની રહ્યો છે અને ભવિષ્યની પ્રગતિ માટે દીવાદાંડી સમાન છે.

 

પ્રધાનમંત્રીએ અગાઉની સરકારો દ્વારા કુંભ અને ધાર્મિક યાત્રાઓની ભૂતકાળમાં કરવામાં આવેલી ઉપેક્ષા તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, આ કાર્યક્રમોનું મહત્ત્વ હોવા છતાં શ્રદ્ધાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેમણે આ માટે ભારતની સંસ્કૃતિ અને આસ્થા સાથે જોડાણના અભાવને જવાબદાર ગણાવી હતી. તેમજ નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય એમ બંને સ્તરે વર્તમાન સરકાર હેઠળ ભારતની પરંપરાઓ અને શ્રદ્ધા પ્રત્યે ઊંડા આદરની ખાતરી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકારો કુંભમાં આવનારા યાત્રાળુઓ માટે સુવિધાઓ પ્રદાન કરવાની જવાબદારી માને છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, વિવિધ પ્રોજેક્ટ માટે હજારો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને સાથે મળીને સુવ્યવસ્થિત તૈયારીઓ કરવા કામ કરી રહી છે. તેમણે અયોધ્યા, વારાણસી, રાયબરેલી અને લખનઉ જેવા શહેરોથી પ્રયાગરાજ સાથેની કનેક્ટિવિટી વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો.  જેથી યાત્રાળુઓને સરળતાપૂર્વક મુસાફરી કરવી સરળ થશે. પ્રધાનમંત્રીએ આ ભવ્ય કાર્યક્રમની તૈયારી માટે વિવિધ સરકારી વિભાગોનાં સહિયારા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને 'સંપૂર્ણ સરકાર'નાં અભિગમને પ્રદર્શિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર ભારતનાં વિકાસ અને વારસાને સમૃદ્ધ બનાવવા એમ બંને પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે સમગ્ર દેશમાં વિકસિત થઈ રહેલી વિવિધ પ્રવાસન સર્કિટનો ઉલ્લેખ કર્યો હતો અને રામાયણ સર્કિટ, કૃષ્ણ સર્કિટ, બૌદ્ધ સર્કિટ અને તીર્થંકર સર્કિટનું ઉદાહરણ આપ્યું હતું. સ્વદેશ દર્શન અને પ્રસાદ જેવી યોજનાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર યાત્રાધામોમાં સુવિધાઓનું વિસ્તરણ કરી રહી છે. તેમણે ભવ્ય રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યાના પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો.  જેણે સમગ્ર શહેરને ઉન્નત કર્યું છે. તેમણે વિશ્વનાથ ધામ અને મહાકાલ મહાલોક જેવા પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો.  જેણે વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રયાગરાજમાં અક્ષયવટ કોરિડોર, હનુમાન મંદિર કોરિડોર અને ભારદ્વાજ ઋષિ આશ્રમ કોરિડોર આ વિઝનને પ્રતિબિંબિત કરે છે. ત્યારે સરસ્વતી કૂપ, પાતાલપુરી, નાગવાસુકી અને દ્વાદસ માધવ મંદિર જેવા સ્થળોને પણ યાત્રાળુઓ માટે પુનરુદ્ધાર કરવામાં આવી રહ્યાં છે.

 

પ્રધાનમંત્રીએ નિષાદરાજની ભૂમિ પ્રયાગરાજે ભગવાન રામની મર્યાદા પુરુષોત્તમ બનવાની સફરમાં મહત્ત્વપૂર્ણ સ્થાન મેળવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ભગવાન રામ અને કેવટનો પ્રસંગ આપણને સતત પ્રેરિત કરે છે.  જ્યાં કેવટે ભગવાન રામનાં ચરણો ધોયા હતા અને ભક્તિ અને મૈત્રીનાં પ્રતીક સ્વરૂપે પોતાની હોડી વડે તેમને નદી પાર કરવામાં મદદ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઘટનાએ સંદેશ આપ્યો છે કે ભગવાન પણ તેમના ભક્તની મદદ લઈ શકે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, શ્રીંગવેરપુર ધામનો વિકાસ આ મૈત્રીનો પુરાવો છે અને ભગવાન રામ અને નિષાદરાજની પ્રતિમાઓ ભવિષ્યની પેઢીઓ સુધી સદ્ભાવનાનો સંદેશ પહોંચાડતી રહેશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભવ્ય કુંભને સફળ બનાવવામાં સ્વચ્છતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, પ્રયાગરાજમાં ઉચિત સ્વચ્છતા અને કચરાનું વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે નમામિ ગંગે કાર્યક્રમને વેગ આપવામાં આવ્યો છે. તેમજ જાગૃતિ ફેલાવવા માટે ગંગાદૂત, ગંગા પ્રહરી અને ગંગા મિત્રની નિમણૂક જેવી પહેલો શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આ વખતે 15,000થી વધારે સફાઈ કામદારો કુંભની સ્વચ્છતા સુનિશ્ચિત કરશે. તેમણે આ કાર્યકર્તાઓનો આગોતરો આભાર વ્યક્ત કર્યો હતો અને કરોડો શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક અને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાના તેમના સમર્પણનો સ્વીકાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભગવાન શ્રીકૃષ્ણની ઉપમા આપી હતી, જેમણે એઠી થાળીઓ ઉપાડી હતી અને દરેક કાર્ય મહત્વપૂર્ણ છે તેવો સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સફાઇ કામદારો પોતાના કાર્યોથી આ કાર્યક્રમની મહાનતામાં વધારો કરશે. તેમણે વર્ષ 2019નાં કુંભમાં સ્વચ્છતા માટે થયેલી પ્રશંસાને યાદ કરી હતી અને કેવી રીતે તેમણે સફાઈ કર્મચારીઓનાં પગ ધોઈને તેમનો આભાર માન્યો હતો, જે તેમનાં માટે એક યાદગાર અનુભવ બની રહ્યો છે.

 

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કુંભ મેળો આર્થિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વિસ્તરણ લાવે છે, જેના પર કોઈનું ધ્યાન જતું નથી. તેમણે ઉમેર્યું હતું કે, કુંભ અગાઉ પણ વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓ ઝડપથી વધી રહી છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સંગમ નદીનાં કિનારે આશરે દોઢ મહિના માટે એક કામચલાઉ શહેર ઊભું કરવામાં આવશે, જેમાં દરરોજ લાખો લોકો આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સમયગાળા દરમિયાન પ્રયાગરાજમાં વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં લોકોની જરૂર પડશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, 6,000થી વધારે નાવિકો, હજારો દુકાનદારો અને ધાર્મિક વિધિઓ અને પવિત્ર ડૂબકીઓ લગાવવામાં મદદ કરનારાઓનાં કામમાં વધારો જોવા મળશે. જેનાથી રોજગારીની અસંખ્ય તકો ઊભી થશે. તેમણે ઉમેર્યું હતું કે, સપ્લાય ચેઇન જાળવવા માટે વેપારીઓએ અન્ય શહેરોમાંથી ચીજવસ્તુઓ લાવવી પડશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કુંભની અસર આસપાસનાં જિલ્લાઓમાં પણ જોવા મળશે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય રાજ્યોમાંથી આવતા યાત્રાળુઓ ટ્રેન અથવા હવાઈ સેવાઓનો ઉપયોગ કરશે, જેનાથી અર્થતંત્રને વધુ વેગ મળશે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કુંભ માત્ર સમાજને જ મજબૂત નહીં કરે, પણ લોકોનાં આર્થિક સશક્તીકરણમાં પણ પ્રદાન કરશે.

શ્રી મોદીએ આગામી મહાકુંભ 2025ને આકાર આપનારી ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિની નોંધ લીધી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે અગાઉના વર્ષોની તુલનામાં, સ્માર્ટફોન વપરાશકારોમાં વધારો થયો છે અને ડેટા 2013 ની તુલનામાં ઘણો સસ્તો છે. તેમણે જણાવ્યું હતું કે, યુઝર-ફ્રેન્ડલી એપ્સ ઉપલબ્ધ હોવાથી મર્યાદિત ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા લોકો પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે, જેનો સંદર્ભ 'કુંભ સહાયક' ચેટબોટના શુભારંભનો છે, જે કુંભ માટે એઆઈ અને ચેટબોટ ટેકનોલોજીનો પ્રથમ ઉપયોગ દર્શાવે છે. જે અગિયાર ભારતીય ભાષાઓમાં વાત કરવા સક્ષમ છે. તેમણે કૌશલ્યને એકતાના પ્રતીક તરીકે ઓળખાવતી ફોટોગ્રાફી સ્પર્ધાઓનું આયોજન કરવા માટે ડેટા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવેલા આ ફોટોગ્રાફ્સ એક વિશાળ વિઝ્યુઅલ કેનવાસ બનાવશે.  જે અસંખ્ય લાગણીઓ અને રંગોનું મિશ્રણ કરશે. આ ઉપરાંત તેમણે આધ્યાત્મિકતા અને પ્રકૃતિ પર કેન્દ્રિત સ્પર્ધાઓનું આયોજન કરવાની દરખાસ્ત પણ રજૂ કરી હતી. જે ખાસ કરીને યુવાનોમાં કુંભની અપીલને વધારે ગાઢ બનાવશે.

 

પ્રધાનમંત્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મહાકુંભમાંથી જે સામૂહિક અને આધ્યાત્મિક ઊર્જાનો ઉદય થઈ રહ્યો છે, તે વિકસિત ભારત પ્રત્યે રાષ્ટ્રનાં સંકલ્પને વધારે મજબૂત કરશે. તેમણે કુંભ સ્નાનને ઐતિહાસિક અને અવિસ્મરણીય ઘટના બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તથા ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ દ્વારા માનવતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તેમણે પોતાની શુભકામનાઓ પાઠવતા પ્રયાગરાજના પવિત્ર શહેરમાં તમામ યાત્રાળુઓનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ, ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી શ્રી કેશવપ્રસાદ મૌર્ય અને શ્રી બ્રજેશ પાઠક સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

પૃષ્ઠ ભૂમિ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજની મુલાકાત લીધી હતી અને સંગમ પર પૂજા અને દર્શન કર્યા હતા અને ત્યારબાદ અક્ષયવટ વૃક્ષમાં પૂજા કરી હતી. ત્યારબાદ હનુમાન મંદિર અને સરસ્વતી કૂપમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી. પ્રધાનમંત્રીએ મહાકુંભ પ્રદર્શન સ્થળનો વોકથ્રુ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ મહાકુંભ 2025 માટે વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. તેમાં વિવિધ રેલ અને રોડ પ્રોજેક્ટ્સ જેવા કે 10 નવા રોડ ઓવર બ્રીજ (આરઓબી) અથવા ફ્લાયઓવર, કાયમી ઘાટ અને રિવરફ્રન્ટ રોડ વગેરેનો સમાવેશ થાય છે.  જે માળખાગત સુવિધાઓને વેગ આપવા અને પ્રયાગરાજમાં અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરે છે.

 

સ્વચ્છ અને નિર્મળ ગંગા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રીએ ગંગા નદી તરફ દોરી જતી નાની ગટરોને અટકાવવા, ટેપીંગ, ડાયવર્ઝન અને ટ્રીટમેન્ટના વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કર્યું હતું, જે સુનિશ્ચિત કરશે કે નદીમાં સ્વચ્છ ન કરાયેલું પાણી છોડવામાં નહીં આવે. તેમણે પીવાના પાણી અને વીજળીને લગતા વિવિધ માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદઘાટન પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ મુખ્ય મંદિર કોરિડોરનું ઉદઘાટન કર્યું હતું.  જેમાં ભારદ્વાજ આશ્રમ કોરિડોર, શ્રીંગેવરપુર ધામ કોરિડોર, અક્ષયવટ કોરિડોર, હનુમાન મંદિર કોરિડોર સામેલ છે. આ વિવિધ પ્રોજેક્ટથી શ્રદ્ધાળુઓની પહોંચમાં સરળતા સુનિશ્ચિત થશે અને આધ્યાત્મિક પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રીએ Kumbh Sah’AI’yak ચેટબોટ લોન્ચ કરી હતી, જે મહાકુંભ મેળા 2025 પર શ્રદ્ધાળુઓને કાર્યક્રમો વિશે માર્ગદર્શન અને અપડેટ આપવા માટે વિગતો પ્રદાન કરશે.

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Scan, withdraw, done: EPFO 3.0 plans instant PF access via ATMs and UPI

Media Coverage

Scan, withdraw, done: EPFO 3.0 plans instant PF access via ATMs and UPI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi meets representatives of Janjati Suraksha Manch
May 28, 2026

The Prime Minister, Shri Narendra Modi met representatives of Janjati Suraksha Manch in New Delhi today.

The Prime Minister appreciated their dedication towards the tribal society.

During the interaction, discussions were held on various issues related to the development and empowerment of tribal communities.

The Prime Minister wrote on X;

“नई दिल्ली में आज जनजाति सुरक्षा मंच के प्रतिनिधियों से मुलाकात का अवसर मिला। आदिवासी समाज के लिए इनका समर्पण भाव बहुत सराहनीय है। इस दौरान जनजातीय समुदायों के विकास और उनके सशक्तिकरण से जुड़े विभिन्न विषयों पर सार्थक चर्चा हुई।”