"દેશમાં વંદે ભારત ટ્રેનોના આધુનિકીકરણ અને વિસ્તરણ સાથે રાષ્ટ્ર વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે."
"વિકસિત ભારતના લક્ષ્યને પૂર્ણ કરવા માટે દક્ષિણના રાજ્યોનો ઝડપી વિકાસ અનિવાર્ય છે"
"રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર) આધુનિક ટ્રેનો, એક્સપ્રેસવેના નેટવર્ક અને હવાઈ સેવાઓના વિસ્તરણ સાથે દેશના માળખાગત સુવિધાને બદલવાના પ્રધાનમંત્રી ગતિશક્તિના વિઝનનું ઉદાહરણ બની રહ્યું છે"
"વંદે ભારત ભારતીય રેલવેના આધુનિકીકરણનો નવો ચહેરો છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પ્રધાનમંત્રીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરીને અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ મેરઠ- લખનઉ, મદુરાઈ- બેંગલુરુ અને ચેન્નાઈ-નાગરકોઇલ એમ ત્રણ માર્ગો પર કનેક્ટિવિટીમાં સુધારો કરશે. આ ટ્રેનોથી ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં કનેક્ટિવિટીને વેગ મળશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની ઉત્તરથી દક્ષિણ સુધીની વિકાસયાત્રામાં એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે, કારણ કે મદુરાઈ – બેંગાલુરુ, ચેન્નાઈ– નાગરકોઈલ અને મેરઠ – લખનઉ વંદે ભારત ટ્રેનોને આજે લીલી ઝંડી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં વંદે ભારત ટ્રેનોનાં આધુનિકીકરણ અને વિસ્તરણ સાથે દેશ વિકસિત ભારતનાં લક્ષ્યાંક તરફ આગેકૂચ કરી રહ્યો છે. આજે ત્રણ નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી રહી છે તેનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ટ્રેનોએ દેશનાં મહત્ત્વપૂર્ણ શહેરો અને ઐતિહાસિક શહેરોને કનેક્ટિવિટી પ્રદાન કરી છે. "ટેમ્પલ સિટી મદુરાઇ હવે આઇટી સિટી બેંગલુરુ સાથે જોડાઈ ગયું છે." પીએમ મોદીએ કહ્યું કે, આનાથી કનેક્ટિવિટી સરળ થશે, ખાસ કરીને સપ્તાહના અંતે અથવા તહેવારોના સમયગાળા દરમિયાન, પરંતુ યાત્રાળુઓ માટે પણ ખૂબ ફાયદાકારક રહેશે. ચેન્નાઈ-નાગરકોઈલ માર્ગથી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને આઈટી વ્યાવસાયિકોને ભારે લાભ થશે. શ્રી મોદીએ વંદે ભારત ટ્રેન સાથે જોડાયેલાં સ્થળોમાં પ્રવાસનની વૃદ્ધિની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, આ ક્ષેત્રમાં વેપાર-વાણિજ્ય અને રોજગારીની તકોમાં વૃદ્ધિ સૂચવે છે. તેમણે ત્રણ નવી વંદે ભારત ટ્રેનો પર નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકસિત ભારતનાં લક્ષ્યાંકને હાંસલ કરવા દક્ષિણનાં રાજ્યોનો ઝડપી વિકાસ અતિ આવશ્યક છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, "દક્ષિણ ભારત અપાર પ્રતિભા, સંસાધનો અને તકોની ભૂમિ છે." તેમણે નોંધ્યું હતું કે, સમગ્ર દક્ષિણ ભારતની સાથે તમિલનાડુનો વિકાસ સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે રેલવેની વિકાસ યાત્રા સરકારની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. તેમણે માહિતી આપી હતી કે, આ વર્ષે તમિલનાડુનાં રેલવે બજેટ માટે રૂ. 6000 કરોડથી વધારેની ફાળવણી કરવામાં આવી છે, જે વર્ષ 2014ની સરખામણીએ 7 ગણી વધારે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તમિલનાડુમાં વંદે ભારત ટ્રેનોની કુલ સંખ્યા આજથી 8 થઈ જશે. એ જ રીતે આ વર્ષના બજેટમાં કર્ણાટક માટે 7000 કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે જે 2014ની સરખામણીએ 9 ગણું વધારે છે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે 8 વંદે ભારત ટ્રેનો કર્ણાટકને જોડે છે.

 

પ્રધાનમંત્રીએ ભૂતકાળનાં અંદાજપત્રો સાથે સમાનતાઓ દોરી હતી અને કહ્યું હતું કે, અનેક ગણો વધારો થવાથી તમિલનાડુ અને કર્ણાટક સહિત દક્ષિણ ભારતનાં રાજ્યોમાં રેલવે ટ્રાફિક વધારે મજબૂત થયો છે. તેમણે જણાવ્યું હતું કે, રેલવે ટ્રેકમાં સુધારો થઈ રહ્યો છે, રેલવે ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન થઈ રહ્યું છે અને રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ થઈ રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેનાથી લોકોનાં જીવનની સરળતામાં વધારો થયો છે અને વેપાર-વાણિજ્યની સરળતાનો માર્ગ પણ બન્યો છે.

મેરઠ-લખનઉ રુટ પર નવી વંદે ભારત ટ્રેન શરૂ થવા પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ પશ્ચિમ ઉત્તરપ્રદેશનાં લોકોને આ માટે અભિનંદન આપ્યાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે, ક્રાંતિની ભૂમિ મેરઠ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશનાં વિસ્તારમાં આજે વિકાસની નવી ક્રાંતિ જોવા મળી રહી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે આરઆરટીએસએ મેરઠને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી સાથે જોડવામાં મદદ કરી છે, ત્યારે હવે વંદે ભારત શરૂ થવાની સાથે રાજ્યની રાજધાની લખનઉનું અંતર પણ ઓછું થઈ ગયું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી ગતિશક્તિનું વિઝન આધુનિક ટ્રેનો, એક્સપ્રેસવેનું નેટવર્ક અને હવાઈ સેવાઓનાં વિસ્તરણ સાથે દેશનાં માળખાગત સુવિધામાં કેવી રીતે પરિવર્તન લાવશે એનું ઉદાહરણ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર) બની રહ્યું છે."

પીએમ મોદીએ કહ્યું, "વંદે ભારત ભારતીય રેલવેના આધુનિકીકરણનો નવો ચહેરો છે." તેમણે દરેક શહેર અને દરેક રૂટ પર વંદે ભારતની માંગ પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, હાઈ-સ્પીડ ટ્રેનોના આગમનથી લોકોમાં તેમના વ્યવસાય અને રોજગાર અને તેમના સપનાને વિસ્તૃત કરવાનો વિશ્વાસ પેદા થયો છે. તેમણે માહિતી આપી હતી કે, "આજે દેશભરમાં 102 વંદે ભારત રેલ સેવાઓનું સંચાલન થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં આ ટ્રેનોમાં 3 કરોડથી વધારે લોકોએ મુસાફરી કરી છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સંખ્યા વંદે ભારત ટ્રેનની સફળતાનો પુરાવો હોવાની સાથે ભારતની આકાંક્ષાઓ અને સ્વપ્નોનું પ્રતીક પણ છે.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આધુનિક રેલવે માળખું વિકસિત ભારતનાં વિઝનનો મજબૂત આધારસ્તંભ છે. આ ક્ષેત્રમાં ઝડપી પ્રગતિની રૂપરેખા આપતા પ્રધાનમંત્રીએ રેલવે લાઇનોને બમણી કરવા અને ઇલેક્ટ્રિફિકેશન કરવા, નવી ટ્રેનો દોડાવવા અને નવા રૂટના નિર્માણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે આ વર્ષના બજેટમાં રેલવેને 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી છે અને સરકાર તેની જૂની છબીને બદલવા માટે ભારતીય રેલવેને હાઇટેક સેવાઓ સાથે જોડી રહી છે. વિસ્તરણ યોજનાઓ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વંદે ભારતની સાથે અમૃત ભારત ટ્રેનોનું પણ વિસ્તરણ થઈ રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વંદે ભારતના સ્લીપર વર્ઝનને ખૂબ જ ટૂંક સમયમાં ફ્લેગ ઓફ કરવામાં આવનાર છે. તેમણે લોકોની સુવિધા માટે નમો ભારત ટ્રેનો દોડાવવાની વાત પણ કરી હતી અને શહેરોમાં ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવા માટે ટૂંક સમયમાં વંદે મેટ્રો શરૂ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતીય શહેરોની ઓળખ હંમેશા તેમનાં રેલવે સ્ટેશનો દ્વારા કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, અમૃત ભારત સ્ટેશન યોજના સાથે રેલવે સ્ટેશનોમાં સુધારો થયો છે, ત્યારે શહેરોને નવી ઓળખ મળી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "દેશમાં 1300થી વધારે રેલવે સ્ટેશનોનું નવીનીકરણ થઈ રહ્યું છે, જેમાંથી કેટલાંકનું એરપોર્ટ જેવું નિર્માણ થઈ રહ્યું છે." વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નાનામાં નાના સ્ટેશનોને પણ અત્યાધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ઈઝ ઓફ ટ્રાવેલમાં વધારો થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે રેલવે, રોડવેઝ અને જળમાર્ગો જેવી કનેક્ટિવિટી માળખાગત સુવિધાઓ મજબૂત થાય છે, ત્યારે દેશ મજબૂત થાય છે." પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, તેનાથી દેશનાં સામાન્ય નાગરિકોને લાભ થાય છે, પછી તે ગરીબ હોય કે મધ્યમ વર્ગ. તેમણે નોંધ્યું હતું કે, અત્યારે દેશમાં આધુનિક માળખાગત સુવિધાનાં વિકાસનો સાક્ષી છે, ત્યારે ગરીબો અને મધ્યમ વર્ગને સશક્ત કરવામાં આવી રહ્યો છે. તેમણે રોજગારીની તકોમાં વધારો અને માળખાગત સુવિધાઓના વિસ્તરણ સાથે ગામડાઓ સુધી પહોંચવાની નવી તકોનું ઉદાહરણ આપ્યું હતું. પીએમ મોદીએ ગામડાઓમાં નવી સંભાવનાઓના આગમન માટે સસ્તા ડેટા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શ્રેય પણ આપ્યો હતો. "જ્યારે હોસ્પિટલો, શૌચાલયો અને પાકા મકાનો રેકોર્ડ સંખ્યામાં બનાવવામાં આવે છે, ત્યારે ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ દેશના વિકાસનો લાભ મળે છે. જ્યારે કોલેજો, યુનિવર્સિટીઓ અને ઉદ્યોગ જેવી માળખાગત સુવિધાઓનો વિકાસ થાય છે, ત્યારે તે યુવાનોની પ્રગતિની સંભાવનામાં પણ વધારો કરે છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આવા અનેક પ્રયાસોને કારણે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી શક્યા છે.

 

સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રેલવેએ વર્ષોથી દાયકાઓ જૂની સમસ્યાઓનું સમાધાન કરવાની આશા વ્યક્ત કરવા સખત મહેનત કરી છે. તેમણે સ્વીકાર્યું કે ભારતે આ દિશામાં આગળ વધવા માટે લાંબી મજલ કાપવાની છે અને વચન આપ્યું હતું કે જ્યાં સુધી ભારતીય રેલવે ગરીબ હોય કે મધ્યમ વર્ગ દરેક માટે આરામદાયક મુસાફરીની ખાતરી નહીં આપે ત્યાં સુધી તે અટકશે નહીં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દેશમાં માળખાગત વિકાસ ગરીબી નાબૂદ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. શ્રી મોદીએ અંતમાં જણાવ્યું હતું કે, "હું ફરી એક વખત તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશનાં લોકોને ત્રણ નવી વંદે ભારત ટ્રેનો માટે અભિનંદન આપું છું."

આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદી બેન પટેલ, તમિલનાડુનાં રાજ્યપાલ શ્રી આર એન રવિ અને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ સહિત અન્યો વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યાં હતાં.

પાર્શ્વ ભાગ

મેરઠ સિટી - લખનઉ વંદે ભારત બંને શહેરો વચ્ચે હાલની સૌથી ઝડપી ટ્રેનની તુલનામાં મુસાફરોને લગભગ 1 કલાકની બચત કરવામાં મદદ કરશે. એ જ રીતે, ચેન્નાઈ એગમોર - નાગરકોઇલ વંદે ભારત અને મદુરાઈ - બેંગલુરુ વંદે ભારત ટ્રેનો અનુક્રમે 2 કલાકથી વધુ અને લગભગ 1 કલાક 30 મિનિટની મુસાફરીને આવરી લેશે.

આ નવી વંદે ભારત ટ્રેનો આ ક્ષેત્રના લોકોને ઝડપ અને આરામ સાથે મુસાફરી કરવા માટે વૈશ્વિક કક્ષાનાં માધ્યમો પ્રદાન કરશે તથા ત્રણ રાજ્યો – ઉત્તરપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકને સેવા પૂરી પાડશે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવાથી રેલવે સેવાના એક નવા માપદંડની શરૂઆત થશે, જે નિયમિત પ્રવાસીઓ, વ્યાવસાયિકો, વ્યવસાયિકો અને વિદ્યાર્થી સમુદાયોની જરૂરિયાતોને પૂર્ણ કરશે.

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Reform, perform, transform will go on: PM Modi hails 7.7% GDP growth

Media Coverage

Reform, perform, transform will go on: PM Modi hails 7.7% GDP growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi congratulates people of Assam on commendable environmental feat
June 05, 2026

Prime Minister Shri Narendra Modi today extended his heartiest congratulations to the people of Assam, especially the state’s Nari Shakti, for achieving a commendable feat in environmental conservation. The Prime Minister remarked that the state's Nari Shakti has taken a lead in this significant effort, which is aimed at building a sustainable planet.

The Prime Minister posted on X:

"Commendable feat. Congratulations to the people of Assam, especially the state’s Nari Shakti for taking the lead in this effort aimed at building a sustainable planet"