પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં 8,800 કરોડ રૂપિયાના વિઝિંજામ આંતરરાષ્ટ્રીય ડીપવોટર બહુહેતુક દરિયાઈ બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું. ભગવાન આદિ શંકરાચાર્યની જન્મજયંતીના શુભ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ત્રણ વર્ષ પહેલાં, સપ્ટેમ્બરમાં, તેમને આદિ શંકરાચાર્યના પૂજનીય જન્મસ્થળની મુલાકાત લેવાનો લહાવો મળ્યો હતો. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે તેમના સંસદીય મતવિસ્તાર, કાશીમાં વિશ્વનાથ ધામ સંકુલમાં આદિ શંકરાચાર્યની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તેમણે ભાર મૂક્યો કે આ સ્થાપના આદિ શંકરાચાર્યના અપાર આધ્યાત્મિક જ્ઞાન અને ઉપદેશોને શ્રદ્ધાંજલિ તરીકે છે. તેમણે વધુમાં ભાર મૂક્યો કે તેમને ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામમાં આદિ શંકરાચાર્યની દિવ્ય પ્રતિમાનું અનાવરણ કરવાનું પણ સન્માન મળ્યું છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આજે વધુ એક ખાસ પ્રસંગ છે કારણ કે કેદારનાથ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ભાર મૂક્યો કે કેરળથી ઉદભવેલા આદિ શંકરાચાર્યે દેશના વિવિધ ખૂણામાં મઠો સ્થાપ્યા હતા અને રાષ્ટ્રની ચેતનાને જાગૃત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમના પ્રયાસોએ એકીકૃત અને આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ ભારતનો પાયો નાખ્યો છે.
શ્રી મોદીએ જણાવ્યું કે એક તરફ વિશાળ સમુદ્ર, અપાર શક્યતાઓથી સમૃદ્ધ ઉભો છે. જ્યારે બીજી તરફ, પ્રકૃતિનું મનમોહક સૌંદર્ય ભવ્યતામાં વધારો કરે છે. આ બધા વચ્ચે, તેમણે ભાર મૂક્યો કે વિઝિંજામ ડીપ-વોટર સી પોર્ટ હવે નવા યુગના વિકાસના પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે. તેમણે આ નોંધપાત્ર સિદ્ધિ પર કેરળના લોકો અને સમગ્ર રાષ્ટ્રને અભિનંદન પાઠવ્યા.
વિઝિંજામ ડીપ-વોટર સી પોર્ટ ₹8,800 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે તે વાત પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે આગામી વર્ષોમાં આ ટ્રાન્સશિપમેન્ટ હબની ક્ષમતા ત્રણ ગણી થશે. જેનાથી વિશ્વના કેટલાક સૌથી મોટા કાર્ગો જહાજોનું સરળ આગમન શક્ય બનશે. તેમણે ધ્યાન દોર્યું કે ભારતના 75% ટ્રાન્સશિપમેન્ટ કામગીરી અગાઉ વિદેશી બંદરો પર કરવામાં આવતી હતી. જેના કારણે દેશને નોંધપાત્ર આવકનું નુકસાન થયું હતું. આ પરિસ્થિતિ હવે બદલાવાની તૈયારીમાં છે તેના પર ભાર મૂકતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતનું નાણું હવે ભારતની સેવા કરશે. એક સમયે દેશની બહાર વહેતું ભંડોળ હવે કેરળ અને વિઝિંજામના લોકો માટે નવી આર્થિક તકો ઉભી કરશે.

શ્રી મોદીએ ટિપ્પણી કરી કે વસાહતી શાસન પહેલાં, ભારતે સદીઓથી સમૃદ્ધિ જોઈ હતી. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે એક સમયે, ભારતનો વૈશ્વિક GDPમાં મોટો હિસ્સો હતો. તેમણે કહ્યું કે તે યુગ દરમિયાન ભારતને અન્ય રાષ્ટ્રોથી અલગ પાડતી બાબત તેની દરિયાઈ ક્ષમતા અને તેના બંદર શહેરોની આર્થિક પ્રવૃત્તિ હતી. આ દરિયાઈ શક્તિ અને આર્થિક વિકાસમાં કેરળની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને, તેમણે દરિયાઈ વેપારમાં કેરળની ઐતિહાસિક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, તેમણે ભાર પૂર્વક જણાવ્યું કે અરબી સમુદ્ર દ્વારા, ભારત અનેક રાષ્ટ્રો સાથે વેપાર સંબંધો જાળવી રાખતું હતું. તેમણે નોંધ્યું કે કેરળથી જહાજો વિવિધ દેશોમાં માલ લઈ જાય છે, જે તેને વૈશ્વિક વાણિજ્ય માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવે છે. "આજે, ભારત સરકાર આર્થિક શક્તિના આ માર્ગને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે." તેમણે ઉમેર્યું કે, "ભારતના દરિયાકાંઠાના રાજ્યો અને બંદર શહેરો વિકસિત ભારતના વિકાસ માટે મુખ્ય કેન્દ્રો બનશે".
"જ્યારે માળખાગત સુવિધાઓ અને વ્યવસાય કરવાની સરળતાને એકસાથે પ્રોત્સાહન આપવામાં આવે છે. ત્યારે બંદર અર્થવ્યવસ્થા તેની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચે છે", પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો અને કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં, આ ભારત સરકારની બંદર અને જળમાર્ગ નીતિની બ્લ્યુ પ્રિન્ટ રહી છે. તેમણે ભાર મૂક્યો કે સરકારે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને રાજ્યોના સર્વાંગી વિકાસ માટે પ્રયાસોને ઝડપી બનાવ્યા છે. તેમણે વધુમાં ટિપ્પણી કરી કે ભારત સરકારે રાજ્ય સરકારો સાથે મળીને સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ બંદર માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરી છે અને બંદર જોડાણને મજબૂત બનાવ્યું છે. તેમણે નોંધ્યું કે પીએમ ગતિ શક્તિ હેઠળ, જળમાર્ગો, રેલવે, હાઇવે અને હવાઈ માર્ગોને સીમલેસ કનેક્ટિવિટી માટે ઝડપથી સંકલિત કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે વ્યવસાય કરવાની સરળતામાં આ સુધારાઓથી બંદરો અને માળખાગત ક્ષેત્રોમાં વધુ રોકાણ થયું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત સરકારે ભારતીય નાવિકોને લગતા નિયમોમાં પણ સુધારો કર્યો છે. જેના નોંધપાત્ર પરિણામો મળ્યા છે. તેમણે ધ્યાન દોર્યું કે 2014માં, ભારતીય નાવિકોની સંખ્યા 1.25 લાખથી ઓછી હતી. આજે, આ આંકડો 3.25 લાખથી વધુ વધી ગયો છે. તેમણે ભાર મૂક્યો કે ભારત હવે નાવિકોની સંખ્યાના સંદર્ભમાં વૈશ્વિક સ્તરે ટોચના ત્રણ દેશોમાં સ્થાન ધરાવે છે.

એક દાયકા પહેલા બંદરો પર જહાજોને લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી. જેના કારણે માલ ઉતારવાની કામગીરીમાં નોંધપાત્ર વિલંબ થતો હતો તે વાત પર ભાર મૂકતા, શ્રી મોદીએ નોંધ્યું કે આ મંદીના કારણે વ્યવસાયો, ઉદ્યોગો અને એકંદર અર્થતંત્ર પર અસર પડી હતી. તેમણે કહ્યું કે પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે અને છેલ્લા 10 વર્ષોમાં, ભારતના મુખ્ય બંદરોએ જહાજના ટર્ન-અરાઉન્ડ સમયમાં 30% ઘટાડો કર્યો છે. જેનાથી કામગીરીની કાર્યક્ષમતામાં સુધારો થયો છે. તેમણે ટિપ્પણી કરી કે બંદર કાર્યક્ષમતામાં વધારો થવાને કારણે, ભારત હવે ટૂંકા ગાળામાં વધુ કાર્ગો વોલ્યુમનું સંચાલન કરી રહ્યું છે. જે દેશની લોજિસ્ટિક્સ અને વેપાર ક્ષમતાઓને મજબૂત બનાવે છે.
"ભારતની દરિયાઈ સફળતા એક દાયકાના વિઝન અને પ્રયાસનું પરિણામ છે", પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં, ભારતે તેના બંદરોની ક્ષમતા બમણી કરી છે અને તેના રાષ્ટ્રીય જળમાર્ગોનો આઠ ગણો વિસ્તાર કર્યો છે. તેમણે નોંધ્યું કે આજે, બે ભારતીય બંદરો વૈશ્વિક ટોચના 30 બંદરોમાં સામેલ છે. જ્યારે લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ પણ સુધર્યું છે. વધુમાં, તેમણે નિર્દેશ કર્યો કે ભારત હવે વૈશ્વિક જહાજ નિર્માણમાં ટોચના 20 દેશોમાં સામેલ છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશના મૂળભૂત માળખાને મજબૂત બનાવ્યા પછી, હવે ધ્યાન વૈશ્વિક વેપારમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ તરફ કેન્દ્રિત થયું છે. તેમણે મેરીટાઇમ અમૃત કાલ વિઝનના લોન્ચની જાહેરાત કરી, જે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારતની દરિયાઈ વ્યૂહરચનાનું રૂપરેખા આપે છે. તેમણે G-20 સમિટને યાદ કરી, જ્યાં ભારતે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર સ્થાપિત કરવા માટે ઘણા મુખ્ય દેશો સાથે સહયોગ કર્યો હતો. આ કોરિડોરમાં કેરળની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું કે રાજ્યને આ પહેલથી ઘણો ફાયદો થશે.
ભારતના દરિયાઈ ઉદ્યોગને નવી ઊંચાઈએ પહોંચાડવામાં ખાનગી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું કે જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ, છેલ્લા 10 વર્ષોમાં હજારો કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ સહયોગથી ભારતના બંદરોને માત્ર વૈશ્વિક ધોરણો સુધી અપગ્રેડ કરવામાં આવ્યા નથી, પરંતુ તેમને ભવિષ્ય માટે તૈયાર પણ બનાવ્યા છે. તેમણે નોંધ્યું કે ખાનગી ક્ષેત્રની ભાગીદારીએ નવીનતા અને કાર્યક્ષમતામાં વધારો કર્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત કોચીમાં જહાજ નિર્માણ અને સમારકામ ક્લસ્ટરની સ્થાપના તરફ આગળ વધી રહ્યું છે. એકવાર પૂર્ણ થયા પછી, આ ક્લસ્ટર અસંખ્ય નવી રોજગારીની તકો ઉભી કરશે. જે કેરળની સ્થાનિક પ્રતિભા અને યુવાનોને વિકાસ માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરશે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે ભારત હવે તેની જહાજ નિર્માણ ક્ષમતાઓને મજબૂત કરવા માટે મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરી રહ્યું છે. તેમણે નોંધ્યું કે આ વર્ષના કેન્દ્રીય બજેટમાં ભારતમાં મોટા જહાજોના નિર્માણને પ્રોત્સાહન આપવા માટે એક નવી નીતિ રજૂ કરવામાં આવી છે. જે ઉત્પાદન ક્ષેત્રને નોંધપાત્ર રીતે વેગ આપશે ઉપરાંત આ પહેલ MSMEs ને સીધા લાભો મળશે. જેનાથી દેશભરમાં મોટી સંખ્યામાં રોજગાર અને ઉદ્યોગસાહસિકતાની તકો ઉભી થશે.
"સાચો વિકાસ ત્યારે થાય છે, જ્યારે માળખાગત સુવિધાઓનું નિર્માણ થાય છે. વેપારનો વિકાસ થાય છે અને સામાન્ય લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ થાય છે", એમ પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે કેરળના લોકોએ છેલ્લા 10 વર્ષોમાં ફક્ત બંદર માળખાગત સુવિધાઓમાં જ નહીં, પરંતુ હાઇવે, રેલવે અને એરપોર્ટમાં પણ ઝડપી પ્રગતિ જોઈ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોલ્લમ બાયપાસ અને અલાપ્પુઝા બાયપાસ જેવા પ્રોજેક્ટ્સ, જે વર્ષોથી અટકેલા હતા. તેને ભારત સરકાર દ્વારા આગળ વધારવામાં આવ્યા છે. તેમણે એ પણ નોંધ્યું હતું કે કેરળને આધુનિક વંદે ભારત ટ્રેનો પૂરી પાડવામાં આવી છે. જેનાથી તેના પરિવહન નેટવર્ક અને કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે ભારત સરકાર એ સિદ્ધાંતમાં દ્રઢપણે માને છે કે કેરળનો વિકાસ ભારતના એકંદર વિકાસમાં ફાળો આપે છે. તેમણે ટિપ્પણી કરી હતી કે સરકાર સહકારી સંઘવાદની ભાવના સાથે કાર્ય કરે છે. જે છેલ્લા દાયકામાં મુખ્ય સામાજિક પરિમાણોમાં કેરળની પ્રગતિ સુનિશ્ચિત કરે છે. તેમણે અનેક પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. જેનાથી કેરળના લોકોને ફાયદો થયો છે, જેમાં જળ જીવન મિશન, ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત અને પ્રધાનમંત્રી સૂર્યગઢ મફત વીજળી યોજનાનો સમાવેશ થાય છે.

માછીમારોના કલ્યાણને ટોચની પ્રાથમિકતા આપવાનો પુનરોચ્ચાર કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું કે બ્લુ રિવોલ્યુશન અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ, કેરળ માટે સેંકડો કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. તેમણે પોન્નાની અને પુથિયાપ્પા સહિતના માછીમારી બંદરોના આધુનિકીકરણ પર પણ પ્રકાશ પાડ્યો. વધુમાં, તેમણે ટિપ્પણી કરી કે કેરળમાં હજારો માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ પૂરા પાડવામાં આવ્યા છે, જેનાથી તેઓ સેંકડો કરોડની નાણાકીય સહાય મેળવી શકે છે.
કેરળ હંમેશા સંવાદિતા અને સહિષ્ણુતાની ભૂમિ રહી છે તે વાત પર ભાર મૂકતા, શ્રી મોદીએ ભાર મૂક્યો કે સદીઓ પહેલા, વિશ્વના સૌથી જૂના ચર્ચોમાંના એક, સેન્ટ થોમસ ચર્ચ અહીં સ્થાપિત થયું હતું. તેમણે તાજેતરમાં થોડા દિવસો પહેલા પોપ ફ્રાન્સિસના અવસાન પછી સમગ્ર વિશ્વના લોકોને દુઃખની ક્ષણનો સ્વીકાર કર્યો. જે એક ગહન વારસો છોડીને ગયા. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, રાષ્ટ્ર વતી શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ ફરી એકવાર કેરળની પવિત્ર ભૂમિ પરથી આ નુકસાન પર શોક વ્યક્ત કરનારા તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપતા, તેમની સેવાની ભાવના અને ખ્રિસ્તી પરંપરાઓમાં સમાવેશ સુનિશ્ચિત કરવાના તેમના પ્રયાસોને સ્વીકારતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે વિશ્વ હંમેશા તેમના યોગદાનને યાદ રાખશે. તેમણે પોતાના અંગત અનુભવો શેર કર્યા. પોપ ફ્રાન્સિસને મળવાની અનેક તકો મળી તે બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી. તેમણે નોંધ્યું કે તેમને તેમની પાસેથી ખાસ હૂંફ મળી અને માનવતા, સેવા અને શાંતિ પરની તેમની ચર્ચાઓની કદર કરી, જે તેમને પ્રેરણા આપતી રહેશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવતા, શ્રી મોદીએ કેરળને વૈશ્વિક દરિયાઈ વેપાર માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે કલ્પના કરી, જેનાથી હજારો નવી નોકરીઓનું સર્જન થશે. તેમણે આ લક્ષ્યને આગળ વધારવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરવાની ભારત સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી. શ્રી મોદીએ કેરળના લોકોની ક્ષમતાઓમાં વિશ્વાસ વ્યક્ત કરીને સમાપન કર્યું અને કહ્યું, "ભારતનું દરિયાઈ ક્ષેત્ર નવી ઊંચાઈએ પહોંચશે".
કેરળના રાજ્યપાલ, શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, કેરળના મુખ્યમંત્રી, શ્રી પિનરાઈ વિજયન, કેન્દ્રીય મંત્રીઓ, શ્રી સુરેશ પ્રભુ, શ્રી જ્યોર્જ કુરિયન આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો સહિત ઉપસ્થિત રહ્યા હતા.
પૃષ્ઠભૂમિ
8,800 કરોડ રૂપિયાનું વિઝિંજામ ઇન્ટરનેશનલ ડીપવોટર મલ્ટીપર્પઝ સીપોર્ટ દેશનું પ્રથમ સમર્પિત કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે. જે વિકાસ ભારતના એકીકૃત વિઝનના ભાગ રૂપે ભારતના દરિયાઈ ક્ષેત્રમાં થઈ રહેલી પરિવર્તનશીલ પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે.
વ્યૂહાત્મક મહત્વ ધરાવતા વિઝિંજામ બંદરને એક મુખ્ય પ્રાથમિકતા પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવ્યું છે. જે વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિ મજબૂત કરવામાં, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવામાં અને કાર્ગો ટ્રાન્સશિપમેન્ટ માટે વિદેશી બંદરો પર નિર્ભરતા ઘટાડવામાં ફાળો આપશે. તેનો લગભગ 20 મીટરનો કુદરતી ઊંડા ડ્રાફ્ટ અને વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગોમાંથી એકની નજીકનું સ્થાન વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો
Tribute to the great Adi Shankaracharya. pic.twitter.com/HjtH1v0GG4
— PMO India (@PMOIndia) May 2, 2025
India's coastal states and our port cities will become key centres of growth for a Viksit Bharat. pic.twitter.com/HuDnlbeLiI
— PMO India (@PMOIndia) May 2, 2025
Boosting multi-modal connectivity. pic.twitter.com/SZqAkOMCTN
— PMO India (@PMOIndia) May 2, 2025
The world will always remember Pope Francis for his spirit of service: PM @narendramodi pic.twitter.com/NaIi6W9MCf
— PMO India (@PMOIndia) May 2, 2025


