પ્રધાનમંત્રીએ આ પ્રસંગે સ્મૃતિ સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડ્યા
“આદરણીય ગુરુઓના ઉપદેશ અનુસાર દેશ આગળ વધી રહ્યો છે”
“સેંકડો વર્ષોની ગુલામીમાંથી ભારતની સ્વતંત્રતાને તેની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સફરથી અલગ કરી શકાય નહીં”
“ઔરંગઝેબની દમનકારી વિચારસરણી સામે ગુરુ તેગ બહાદુરજી ‘હિન્દ કી ચાદર’ તરીકે અડગ ઊભા રહ્યા હતા”
“આપણે ‘નવા ભારત’ની આભામાં સર્વત્ર ગુરુ તેગ બહાદુરજીના આશીર્વાદની અનુભૂતિ કરીએ છીએ”
“ગુરુઓના ચાતુર્ય અને ઉપદેશના રૂપમાં આપણે બધે જ ‘એક ભારત’ જોઇએ છીએ”
“આજે વૈશ્વિક સંઘર્ષો વચ્ચે પણ ભારત સંપૂર્ણ સ્થિરતા સાથે શાંતિના પ્રયાસોમાં આગળ વધી રહ્યું છે અને દેશના સંરક્ષણ તેમજ સુરક્ષા માટે પણ ભારત સમાન રીતે મક્કમ છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે ગુરુ શ્રી તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પરબની ઉજવણીમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ તેગ બહાદુરજીની પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રીએ જ્યારે 400 રાગીએ શબદ/કિર્તન કર્યા ત્યારે પ્રાર્થનામાં લીન થઇ ગયા હતા. આ પ્રસંગે શીખ અગ્રણીઓ દ્વારા પ્રધાનમંત્રીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક સ્મૃતિ સિક્કો અને એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુરુઓની કૃપાથી આજે દેશ આદરણીય ગુરુઓના ઉપદેશ પ્રમાણે આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ગુરુઓના ચરણોમાં વંદન કર્યા હતા. પ્રધાનમંત્રીએ લાલ કિલ્લાના ઐતિહાસિક મહત્વનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો કારણ કે, આ કિલ્લો ગુરુ તેગ બહાદુરજીની શહાદતનો સાક્ષી છે અને તે રાષ્ટ્રના ઇતિહાસ તેમજ આકાંક્ષાઓનું પ્રતિબિંબ પણ છે. તેમણે જણાવ્યું હતું કે, આ પૃષ્ઠભૂમિમાં આ ઐતિહાસિક સ્થળ પરનો આજે યોજવામાં આવેલો કાર્યક્રમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સેંકડો વર્ષોની ગુલામીમાંથી ભારતની સ્વતંત્રતાને તેની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સફરથી અલગ કરી શકાય નહીં. આથી જ, દેશ અત્યારે એક સરખા સંકલ્પ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અને ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પરબની એક સાથે ઉજવણી કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણા ગુરુઓએ હંમેશા સમાજ અને સંસ્કૃતિની જવાબદારી ઉપાડી હતી અને સાથે સાથે જ્ઞાન તેમજ આધ્યાત્મિકતાની પણ જવાબદારી લીધી હતી. તેમણે શક્તિને સેવાનું માધ્યમ બનાવી હતી.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ભારતની આ ભૂમિ માત્ર એક દેશ નથી પરંતુ આ આપણો મહાન વારસો અને આપણી મહાન પરંપરા છે. આપણા ઋષિમુનિઓ અને ગુરુઓએ હજારો વર્ષોની તપસ્યા અને પોતાના વિચારોના સંવર્ધનથી તેનું પોષણ કર્યું છે.” શ્રી મોદીએ વધુમાં કહ્યું હતું કે, નજીકમાં જ ગુરુદ્વારા શેશગંજ સાહિબ આવેલું છે, જે ગુરુ તેગ બહાદુરજીના અમર બલિદાનનું પ્રતિક છે, તે આપણને ગુરુ તેગ બહાદુરજીના બલિદાનની વિશાળતાની યાદ અપાવે છે. પ્રધાનમંત્રીએ તે સમયગાળા દરમિયાન ધર્મના નામે હિંસાનો આશરો લેનારા ધાર્મિક કટ્ટરતા અને ભારે અત્યાચારોને યાદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “તે સમયે, ગુરુ તેગ બહાદુરજીના રૂપમાં ભારત માટે તેની ઓળખ બચાવવા માટે એક મોટી આશા ઉભરી આવી હતી. ઔરંગઝેબની દમનકારી વિચારસરણી સામે ગુરુ તેગ બહાદુરજી, ‘હિન્દ દી ચાદર’ તરીકે તેની સામે ખડકની જેમ ઊભા રહ્યા હતા.” ગુરુ તેગ બહાદુરજીએ આપેલા બલિદાને ભારતની કેટલીય પેઢીઓને તેમની સંસ્કૃતિના સન્માન અને તેમના આદર તેમજ માનનું રક્ષણ કરવા માટે જીવવા અને મરવાની પ્રેરણા આપી છે. તેમણે ઉમેર્યું હતું કે, મોટી શક્તિઓ ક્યાંય અદૃશ્ય થઇ ગઇ છે, મોટાં તોફાનો પણ શાંત પડી ગયા છે, પરંતુ ભારત હજુ પણ અમર છે, આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે વિશ્વ ફરી એકવાર ભારત તરફ આશા અને અપેક્ષા સાથે જોઇ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણે ‘નવા ભારત’ની આભામાં દરેક જગ્યાએ ગુરુ તેગ બહાદુરજીના આશીર્વાદની અનુભૂતિ કરી રહ્યા છીએ.”

દેશના દરેક શેરી- નાકા અને ખૂણે ખૂણામાં ગુરુઓના પ્રભાવ અને તેમના ચાતુર્યના પ્રકાશ પર સૌનું ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગુરુ નાનક દેવજીએ આખા દેશને એક તાતણે બાંધ્યો હતો. ગુરુ તેગ બહાદુરજીના અનુયાયીઓ દરેક જગ્યાએ હતા. પટણામાં પવિત્ર પટના સાહિબ અને દિલ્હીમાં રકાબગંજ સાહિબનો ઉલ્લેખ કરીને, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “આપણે ગુરુઓના ચાતુર્ય અને આશીર્વાદના રૂપમાં સર્વત્ર ‘એક ભારત’ને જોઇ રહ્યા છીએ.” શીખ વારસાની ઉજવણી કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોને સ્પર્શતા પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, ગયા વર્ષે સરકારે પોતે જ 26 ડિસેમ્બરના રોજ શાહિબઝાદાની મહાન શહાદતની સ્મૃતિમાં વીર બાળ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા શીખ પરંપરાના તીર્થસ્થાનોને જોડવાના પ્રયાસો પણ એકધારા કરવામાં આવી રહ્યા છે. કરતાર સાહેબની પ્રતિક્ષા પૂરી થઇ ગઇ છે અને ઘણી સરકારી યોજનાઓની મદદથી આ પવિત્ર સ્થળોની યાત્રાને સરળ અને સુલભ બનાવવામાં આવી છે. સ્વદેશ દર્શન યોજના હેઠળ એક તીર્થધામ સર્કિટની શરૂઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે જેમાં આનંદપુર સાહિબ અને અમૃતસર સાહિબ સહિતના સંખ્યાબંધ મુખ્ય સ્થળોને આવરી લેવામાં આવશે. હેમકુંટ સાહિબ ખાતે રોપ-વેની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. ગુરુ ગ્રંથ સાહિબની કિર્તીને વંદન કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, “શ્રી ગુરુ ગ્રંથ સાહિબજી આપણા માટે આત્મજ્ઞાનની સાથે સાથે ભારતની વિવિધતા અને એકતામાં રહેવા માટેની માર્ગદર્શિકા પણ છે. આથી, અફઘાનિસ્તાનમાં કટોકટીની સ્થિતિ ઊભી થઈ ત્યારે સરકારે કોઇપણ કસર છોડી ન હતી અને ગુરુ ગ્રંથ સાહિબના પવિત્ર ‘સ્વરૂપ’ને પૂરા સન્માન સાથે લાવવામાં આવ્યા હતા.” તેમણે એમ પણ જણાવ્યું હતું કે, નાગરિકતા સંશોધન અધિનિયમ દ્વારા, પડોશી દેશોમાં આવતા શીખો અને લઘુમતીઓ માટે નાગરિકતાનો માર્ગ મોકળો થઇ ગયો છે.

ભારતના તત્વચિંતનના મૂળ અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારત ક્યારેય કોઇ દેશ કે સમાજ માટે જોખમ બનીને ઊભું રહ્યું નથી. આજે પણ આપણે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વિચાર કરીએ છીએ. જ્યારે આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ, ત્યારે આપણે સમગ્ર વિશ્વની પ્રગતિને પણ સૌથી આગળ રાખીએ છીએ. આજનું ભારત વૈશ્વિક સંઘર્ષો વચ્ચે પણ સંપૂર્ણ સ્થિરતા સાથે શાંતિ માટે પ્રયાસો કરી રહ્યું છે અને સાથે સાથે દેશના સંરક્ષણ તેમજ સુરક્ષા માટે પણ ભારત એટલું જ મક્કમ છે.” તેમણે ઉમેર્યું હતું કે, આપણી સમક્ષ ગુરુઓએ આપેલી મહાન શીખ પરંપરા છે.

ગુરુઓએ જુની બીબાઢાળ રૂઢીઓને બાજુમાં મૂકીને આપણને નવા વિચારો આપ્યા છે. આ વિચારોને તેમના શિષ્યોએ અપનાવ્યા અને તેમાંથી શીખ્યા છે. નવી વિચારસરણીનું આ સામાજિક અભિયાન વિચારના સ્તરે એક નવીનતા હતું. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, “નવી વિચારસરણી, સતત સખત પરિશ્રમ અને 100% સમર્પણ, આજે પણ આપણા શીખ સમાજની ઓળખ છે. આઝાદી કા અમૃત મહોત્સવના સમયમાં આજે દેશનો આ સંકલ્પ છે. આપણને આપણી ઓળખ પર ગૌરવ હોવું જોઇએ. આપણે આપણા સ્થાનિક પર ગૌરવ લેવાનું છે, આપણે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું છે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
‘Modi Govt’s 12 years are transformational for industry’

Media Coverage

‘Modi Govt’s 12 years are transformational for industry’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 જૂન 2026
June 12, 2026

Breaking Barriers, Building Bharat: PM Modi’s Historic Push for Gender Equality and Inclusive Growth