ધનતેરસના અવસર પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22મી ઓક્ટોબરે મધ્યપ્રદેશના સતનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણના લગભગ 4.51 લાખ લાભાર્થીઓના ‘ગૃહ પ્રવેશ’માં 22મી ઓક્ટોબરે બપોરે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લેશે. પ્રધાનમંત્રી શ્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.
દેશના દરેક નાગરિકને પોતાનું ઘર તમામ પાયાની સુવિધાઓ સાથે આપવાનો પ્રધાનમંત્રી શ્રીનો સતત પ્રયાસ રહ્યો છે. આ દિશામાં આ વધુ એક પગલું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં લગભગ 38 લાખ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે અને રૂ. 35,000 કરોડ કરતાં વધુના ખર્ચે લગભગ 29 લાખ મકાનોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.


