ગુજરાતના ભવિષ્ય સાથે 3 અત્યંત સંતોષકારક દિવસો

પ્રિય મિત્રો,

આગામી ત્રણ દિવસો માટે સમસ્ત ટીમ ગુજરાત રાજ્યભરની શાળાઓમાં જશે! હા, વરિષ્ઠ મંત્રીઓ, અધિકારીઓ અને ખુદ હું પણ આગામી ત્રણ દિવસો માટે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સમય પસાર કરીશ. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન 2013-2014 અંતર્ગત ગામોમાં જઈને માતા-પિતાને તેમના બાળકોને શિક્ષણ પુરૂં પાડવા વિનંતી કરીશું. અમે 13-14-15 જૂન દરમ્યાન ગ્રામીણ વિસ્તારોમાં અને 20-21-22 જૂન દરમ્યાન શહેરી વિસ્તારોમાં જઈશું.

મને બરાબર યાદ છે કે જ્યારે મેં મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો તે સમયે એક અધિકારી મારી સમક્ષ આપણી પ્રાથમિક શાળાઓમાં ડ્રોપઆઉટ દરની ચર્ચા કરવા આવ્યા હતાં. મારી સમક્ષ મૂકવામાં આવેલા આંકડાઓથી હું ચોંકી ઉઠ્યો! આવા વાઇબ્રન્ટ રાજ્યમાં આ પ્રકારનો ડ્રોપઆઉટ દર શા માટે? પ્રાથમિક શિક્ષણની બાબતે કન્યાઓ પાછળ શા માટે? અમે તુર્ત જ આ જોખમ સામે બાથ ભીડવાનું નક્કી કર્યું અને તે રીતે કન્યા કેળવણી અભિયાન અસ્તિત્વમાં આવ્યું.

આગઝરતી ગરમી કે તીવ્ર વરસાદ હોવા છતાં, મારા કેબિનેટ સાથીઓ, અધિકારીઓ અને હું ગામોમાં જઈએ છીએ, અમે માતા-પિતાને વિનંતી કરીએ છીએ કે, અમને આપનું બાળક આપો જેથી કરીને અમે તેને શાળાએ લઈ જઈએ. નાનકડા ભુલકાઓને આંગળી પકડી શાળાએ લઈ જવું તે મારા અનેક વર્ષોના જાહેર જીવનની સૌથી વધુ આત્મસંતોષ આપનારી ક્ષણો છે તેમ હું ચોક્કસપણે કહી શકું. આ માસુમ બાળકોના સશક્ત ભવિષ્ય માટે મજબૂત પાયો પુરો પાડવાથી વધુ આનંદ બીજો કોઇ નથી.

સતત એક દાયકા સુધી આ અભિયાન ચલાવ્યા બાદ, મને આપને જણાવતા આનંદ થાય છે કે અમારા આ પ્રયત્નોને પ્રચંડ સફળતા સાંપડી છે. વર્ષ 2003-2004માં ધોરણ 1-5 અને ધોરણ 1-7ના ડ્રોપઆઉટ દરો જે અનુક્રમે 17.83% અને 33.73% હતાં તે વર્ષ 2012-2013માં ઘટીને 2.04% અને 7.08% પર પહોંચી ગયાં છે. કન્યા કેળવણી અભિયાનના પણ સુંદર પરિણામો જોવા મળ્યા છે. છેલ્લા એક દાયકામાં મહિલા સાક્ષરતા દર 57.80% થી વધીને આજે 70.73% પર પહોંચી ગયો છે.

આ પરિણામો ઘણાં ઉત્સાહવર્ધક છે, છતાં આપણે અહીં અટકીશું નહીં અને હજી વધુ સુધાર લાવવા પ્રયત્નશીલ રહીશું. જ્યારે પણ ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થાય, તે સમયે સમાચારપત્રોમાં છોકરાઓની સરખામણીમાં કન્યાઓએ ફરી એક વાર મેદાન મારી લીધું છે તેવા સમાચારો આપણે સહુએ વાંચ્યા જ હશે. તે દર્શાવે છે કે જો આપણે સ્ત્રીઓને યોગ્ય તક પુરી પાડીએ, તો તેઓ આશ્ચર્યકારક પરિણામો લાવી શકે છે. કન્યા કેળવણી અભિયાન અને શાળા પ્રવેશોત્સવ અભિયાન પાછળનો આપણો હેતુ આ જ છે. અમને ખ્યાલ આવ્યો કે કન્યાઓના ઉંચા ડ્રોપઆઉટ દર પાછળનું એક મુખ્ય કારણ શૌચાલયની અપુરતી સગવડ હતી. જેથી, અમે 71,000 જેટલા સ્વચ્છતા સંકુલોનું નિર્માણ કર્યું. તે જ રીતે, અમે જોયું કે આપણા બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તે માટે શાળાઓમાં પુરતા ઓરડાઓ ન હતાં. આથી છેલ્લા દશકમાં 1,04,000 જેટલા ઓરડાઓનું નિર્માણ કરવામાં આવ્યું. અમે આટલેથી અટક્યાં નહીં.

આજના યુગમાં જ્યારે ટેકનોલોજી સતત વિશ્વનું સ્વરૂપ બદલી રહી છે, ત્યારે આપણા બાળકોને આ આધુનિક સુવિધાઓથી દૂર રાખવા એ એક ગુનો જ ગણાય. આથી, રાજ્યની 20,000થી વધુ શાળાઓને કોમ્પ્યુટર સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. મિત્રો, આવો આપણે સહુ પ્રત્યેક વ્યક્તિને શિક્ષણ મળી રહે તે દિશાના પ્રયત્નોમાં સહભાગી બનીએ. તમારી આસપાસ કે કાર્યાલયમાં નજર નાંખો. તમારા કામદારોને પુછો કે શું તેઓ તેમના બાળકોને શાળાએ મોકલે છે? અને જો ન મોકલતાં હોય, તો તેમને આમ કરવાનું પ્રોત્સાહન આપો. શિક્ષણથી રોજગારી ઉપરાંત અન્ય અનેક અવસરો મળી રહે છે. બાળકોને શિક્ષણ પુરૂં પાડવાથી આપણે ન માત્ર તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવીએ છીએ, પરંતુ ગુજરાતના ભવિષ્યને પણ વધુ ઉજ્જવળ બનાવીએ છીએ. બાળકોને શિક્ષણ આપવા દ્વારા આપણે એક એવા બીજનું વાવેતર કરીએ છીએ, જે ભવિષ્યમાં દેશની મોટી સેવારૂપ સાબિત થશે, કારણકે આ જ બાળકો મોટા થઈને પોતાની બૌદ્ધિક સંપદાથી દેશને પ્રગતિના પંથે અગ્રેસર બનાવશે.

આપનો,

નરેન્દ્ર મોદી

Shri Narendra Modi's audio message at the start of Kanya Kelavani and Shala Praveshotsav 2013-14

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indonesia To Dubai, IITs And IIMs Are Going Global: The Strategy Behind India's Overseas Campuses

Media Coverage

Indonesia To Dubai, IITs And IIMs Are Going Global: The Strategy Behind India's Overseas Campuses
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.