આણંદ-તા.૪થી જાન્યુઆરી, ૨૦૧૦ (સોમવાર) :: મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે વલ્લભવિદ્યાનગર ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં આણંદ, ઉમરેઠ, બોરસદ અને આંકલાવ તાલુકાના ૪૭ હજાર ઉપરાંત લાભાર્થીઓને રૂ. ૯૦ કરોડ ઉપરાંતના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આણંદ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન સમાજ સુરક્ષા વિભાગની વિકલાંગ લાભાર્થીઓને ટ્રાયસિકલના વિતરણ તથા સ્વરોજગારીના સાધનોના વિતરણ સમયે મુખ્ય મંચ પરથી નીચે ઉતરી આવીને પરફોમન્સ સ્ટેજ પર આવ્યા હતા. ટ્રાયસિકલની સહાય મેળવવા આવેલો યુવાન ચાલી પણ શકતો ન હોય તેના સ્વજને તેને નવજાત શિશુની જેમ ગોદમાં ઉપાડીને ગુજરાતના કોમનમેન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અપાયેલી ટ્રાયસિકલમાં બેસાડવામાં આવ્યો હતો. તેને મુખ્ય મંત્રીશ્રીએ સ્વરોજગારીના સાધનો આપતા માનવ મહેરામણથી છલકાતો સામિયાણો સ્તબ્ધ થઇ જતાં હૃદયદાવક દ્રશ્યો સર્જાયા હતા.
વંચિતોના વિકાસને વરેલા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાભાર્થીઓ સાથે કોમનમેનની જેમ વાત કરી વિકલાંગોને સધિયારો આપ્યો હતો, તો વિકલાંગો ભાઇ-બહેનોને કંઇ મળ્યાનો આનંદ પણ જોવા મળ્યો હતો.
માહિતી બ્યુરો, ગુજરાત સરકાર


