નરેન્દ્રભાઈ મોદી

છ કરોડ ગુજરાતીઓની સદભાવનાએ જ ગુજરાતને રાજકીય સ્થિરતા આપી છે

૪૦-પ૦ વર્ષ સુધી સરકારી તિજોરીઓના નાણાં વોટબેન્કના રાજકારણ ખેલવા લૂંટી લેનારા આજે વિકાસ માટે નાણાં વપરાય તેનો વિરોધ કરે છે

હિંમતનગરઃ સદભાવના મિશનમાં સમગ્ર સાબરકાંઠામાંથી સમાજશક્તિનું વિરાટ દર્શન

મુખ્ય મંત્રીશ્રીના ઉપવાસ-તપમાં પણ ૭૦૦૦ નાગરિકો અનશનમાં બેઠા

નરેન્દ્રભાઈ મોદીએ અવિરત ઉભા રહીને કર્યું જનતા જનાર્દનનું અભિવાદન

‘‘દશ વર્ષની કાળી મજૂરીને બદલે રાજકીય કાવાદાવા કર્યા હોત તો આ વિકાસની પ્રસંશા થઇ ના હોત’’

ગુજરાતની સદભાવના અને રાજકીય સ્થિરતાથી દેશમાં નવી રાજકીય સંસ્કૃતિનું સર્જન થયું છે

સાબરકાંઠા માટે નવા વિકાસ કામોનું રૂા. ર૩૮૦ કરોડનું આયોજન

હિંમતનગરમાં મેડિકલ કોલેજ કેમ્પસને સૈદ્ધાંતિક મંજૂરી

હિંમતનગર બાયપાસ

ઇડર બાયપાસ

શામળાજુ તીર્થ પ્રવાસન પ્રોજેકટ

બૌદ્ધ વિરાસત દેવની મોરીનો પ્રવાસન વિકાસ

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતના દશ વર્ષના સદભાવના અને રાજકીય સ્થિરતાના વાતાવરણે દેશમાં નવી રાજકીય સંસ્કૃતિનું સર્જન કર્યું છે. ભૂતકાળમાં સરકારોએ વોટબેન્કના રાજકારણ માટે જ માપદંડ નક્કી કરેલા. ‘અમે સૌનો સાથ-સૌનો વિકાસનો મંત્ર લઇને વિકાસ કરી બતાવ્યો અને આખો દેશ ‘‘વિકાસના માપદંડ’’ માટે ગુજરાત-મોડેલને સ્વીકારતો થયો છે.’

વોટબેન્કના રાજકારણ માટે સરકારની તિજોરીમાંથી જનતાના નાણાં સત્તાભૂખ ભોગવવા લૂંટનારા આજે વિકાસની રાજનીતિમાં નાણાં જનતાના હિતમાં વપરાય છે. તેનો કયા મોઢે વિરોધ કરે છે એવો વેધક સવાલ મુખ્ય મંત્રીશ્રીએ ઉઠાવ્યો હતો અને ઉમેર્યું કે, જયાંથી મત મેળવવાના હોય ત્યાં જ વિકાસનો ટૂકડો ફેંકવાનો અને બાકી સરકારી તિજોરીના નાણાં વોટબેન્કના રાજકારણના ખેલ માટે લૂંટી લીધા છે. શું આ વિકાસની અવધારણા છે?

સમગ્ર સાબરકાંઠામાંથી આજે મુખ્ય મંત્રીશ્રીના સદભાવના મિશનના એક દિવસના ઉપવાસમાં વિરાટ સમાજશક્તિનું દર્શન થયું હતું. હિંમતનગરમાં આખો દિવસ જનતા જનાર્દનનો મહેરામણ શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળીને પ્રસન્નતાની અનુભૂતિ કરતો રહ્યો. ૭૦૦૦ જેટલા નાગરિકોએ સ્વેચ્છાએ અનશનનું તપ કર્યું હતું.

આટલો જનતા જનાર્દનનો વિરાટ સદભાવ મને મળ્યો છે તે મારું સદ્ભાગ્ય જ છે અને આ છ કરોડ ગુજરાતીઓના આશીર્વાદ એ જ મારું રક્ષાવચન છે એમ ભાવવિભોર સંવેદનાથી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ વિકાસની ઊંચાઇ કોને કહેવાય તે ગુજરાતે પુરવાર કર્યું છે. પહેલા ૧પ વર્ષ પૂર્વે શાળાના ઓરડાની માંગ થતી અને તેના બજેટના નાણાં વોટબેન્કના રાજકારણને ધ્યાનમાં લઇને ફાળવાતા આજે વિકાસથી એવી જાગૃતિ આવી છે કે જિલ્લે-જિલ્લે મેડીકલ કોલેજની માંગણી સામાન્ય માનવી પણ કરે છે. દશ જ વર્ષમાં ગુજરાતની ૧૧માંથી ૪૧ યુનિવર્સિટી શરૂ કરી દીધી અને ગુજરાતના યુવાનોને ઘરઆંગણે મેડીકલ-ઇજનેરી અને યુનિવર્સિટીઓનું નિર્માણ આ સરકારે કર્યું છે.

દેશમાં બે રાજકીય ચિત્રો ખડાં થયાં છે. એક છે, ‘સમાજમાં ભાગલા પાડોને રાજ કરો’ અને બીજુ રાજકીય શૈલી ગુજરાતે વિકસાવી છે- ‘સૌનો સાથ-સૌનો વિકાસ’.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભૂતકાળમાં પાંચ વર્ષમાં ત્રણ મુખ્ય મંત્રીશ્રીઓ બદલાતા અને ગુજરાત આખું રાજકીય અસ્થિર બની ગયું હતું. રાજકીય અસ્થિરતા ના હોત તો ગુજરાત કેટલો વિકાસ કરી શકયું હોત? પણ ભૂતકાળમાં છ કરોડ ગુજરાતીઓનો આટલો સદભાવ કોઇને મળ્યો જ નહોતો. આજે છેલ્લા દશ વર્ષથી ગુજરાતમાં જનતા જનાર્દનની સદભાવનાથી જ રાજકીય સ્થિરતા છે અને એટલે જ ગુજરાત આટલા વિકાસની ઊંચાઇ ઉપર પહોંચી ગયું છે.

આ એમને એમ નથી થયું. દશ વર્ષની તપસ્યા કરી છે. કાળી મજૂરીનો પરિશ્રમ કર્યો છે. ‘‘રાજકીય કાવાદાવા કર્યા હોત તો આ વિકાસ થયો જ ના હોત’’, એમ તેમણે જણાવ્યું હતું.

દુષ્કાળગ્રસ્ત ગુજરાતમાં આજે કૃષિ વિકાસ દર અગિયાર ટકાએ કેમ પહોેંચી ગયો તેનું રહસ્ય દર્શાવતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, સદભાવનાની શક્તિ અને એકતાના વાતાવરણે જ ગુજરાતને આ સફળતા અપાવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સમાજની સદભાવનાની શક્તિએ જ લાખો ગરીબ સગર્ભા માતાઓને કુપોષણમાંથી બચાવવા ગામેગામ સુખડીના પોષક આહારની સામાજિક જવાબદારી ઉપાડી લીધી છે. સદભાવનાની તાકાતે જ સરકારને સમસ્યામાંથી કાયમી સમાધાન માટેના દાયિત્વની પ્રતીતિ કરાવી છે. સાબરકાંઠાના પ્રાથમિક શિક્ષક સંઘે સંકલ્પ કર્યો છે કે, નબળા બાળકોની ગુણવત્તા ઉંચે લાવીશું તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ શિક્ષકોએ સદભાવનાની તાકાતથી શિક્ષણનું સ્તર ઉંચે લઇ જવાનો નિર્ધાર કર્યો છે.

સદભાવનાની શક્તિનું આ સામાજિક અભિયાન સમાજને ક્રાંતિના માર્ગે લઇ ગયું છે, એમ તેમણે જણાવ્યું હતું.

દેશમાં કુપોષણ એ રાષ્ટ્રની શરમ છે એનો ર૦૦પમાં સર્વે થયેલો પરંતુ વડાપ્રધાનશ્રીને ર૦૧રમાં ખબર પડી એ અંગેનું દુઃખદ આશ્ચર્ય વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, દેશના પ્રધાનમંત્રી એક શાસક તરીકે આટલા સંવેદનહિન કઇ રીતે હોઇ શકે? દેશના બાળકો કુપોષણની સમસ્યાથી પીડાતા હોય એની કોઇને પીડા પણ ના હોય?

મુખ્ય મંત્રીશ્રીએ આ સંદર્ભમાં ગુજરાતનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, સને ર૦૦૧ની વસતિ ગણતરીમાં કુપોષણના આંકડા ર૦૦૪માં આવ્યા ત્યારે જ ગુજરાત સરકારે કુપોષણની પીડામાંથી બાળકોને ઉગારવાનો જંગ સમાજની સંવેદનાને અને સદભાવનાને ઉજાગર કરીને ‘ભગવાનના ભાગ’રૂપે ગામેગામ ડેરીના દૂધમાંથી લાખો ગરીબ બાળકોને પોષણ મળવા લાગ્યું છે એનાથી લાખો બાળકોને પોષણ પુરું પાડયું છે.

‘‘આ દશ વર્ષની તપસ્યાનો સદભાવ છે, જેણે ગુજરાતને વિકાસની ઉંચાઇ ઉપર પહોંચાડયું છે, ’’એમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ વેધક શબ્દોમાં જણાવ્યું ‘‘અહીંના જે લોકો ગુજરાતના વિકાસ માટે, મોદી-મોડેલ માટે છાતી કૂટે છે- એના જ મુખ્ય મંત્રી પંજાબની ચૂંટણીમાં ગુજરાતના ‘મોદી-મોડેલ’ ઉપર જ મત માંગે છે, કયા સીન હૈ...’’

ગુજરાતે જાતિવાદ અને કોમવાદને દેશનિકાલ કરીને એકતા-શાંતિ-ભાઇચારા-સ્થિરતાનું વાતાવરણ સર્જુને વિકાસ કર્યો છે અને જેણે સાચો વિકાસ કરવો હોય તો ગુજરાતની જેમ એકતા-શાંતિ-સદભાવનું વાતાવરણ ઉભું કરવું છે. આ સદભાવના મિશને સામાજિક ક્રાંતિ કરી છે એનો સંદેશ હિન્દુસ્તાનના ખૂણે ખૂણે પહોંચાડવો છે એવો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.

મુખ્ય મંત્રીશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું કે, ‘‘ગુજરાતને બદનામ કરનારા લોકો ઊંચા થઇને પછડાશે પણ અમારું બગાડી શકશે નહીં. ગુજરાતની શાંતિ અને એકતાના વાતાવરણ બગાડવા માંગતા લોકોને છ કરોડ ગુજરાતીઓની સદભાવનાની તાકાત ફાવવા દેવાની નથી અને દિલ્હીની કેન્દ્રીય સલ્તનત પણ સમજુ લે કે ગુજરાત કોઇને છેડતું નથી પણ જે છેડે છેતેને છોડતું પણ નથી.’’

મુખ્ય મંત્રીશ્રીએ સમગ્ર સાબરકાંઠા માટે વિકાસના નવા કામોના રૂા. ર૩૮૦ કરોડના આયોજનની જાહેરાત કરી હતી. જેમાં ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રો માટે સાર્વજનિક જનસુખાકારી-સુવિધાના માળખાકીય વિકાસ ઉપરાંત હિંમતનગરમાં રૂા. રરપ કરોડનો મેડીકલ કોલેજ-હોસ્પિટલ કોમ્પ્લેક્ષ પ્રોજેકટને સૈદ્ધાંતિક મંજૂરી, રૂા. ૧૦૦ કરોડનો દેવની મોરી ખાતે બુદ્ધની વિરાસતના સાંસ્કૃતિક પ્રવાસન વિકાસનો પ્રોજેકટ, હિંમતનગર અને ઇડર હાઇવે બાયપાસના પ્રોજેકટ અને શામળાજુના પ્રવાસન પ્રોજેકટનો પણ સમાવેશ થાય છે.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલા, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન પટેલ, ધારાસભ્યો, જિલ્લા ભાજપાના પ્રમુખશ્રી, સાબર ડેરીના ચેરમેન, અન્ય જિલ્લાના હોદ્ેદારો-પદાધિકારીઓ, જિલ્લાના પ્રભારી સચિવ સુશ્રી જયંતિ રવિ, જિલ્લા કલેકટર શ્રી જયપ્રકાશ શિવહરે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિકુમાર અરોરા, અન્ય ઉચ્ચ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
ശ്രീരാമജന്മഭൂമി ക്ഷേത്രത്തിലെ പതാക ഉയർത്തൽ ഉത്സവത്തിനിടെ പ്രധാനമന്ത്രി നടത്തിയ പ്രസം​ഗം

ജനപ്രിയ പ്രസംഗങ്ങൾ

ശ്രീരാമജന്മഭൂമി ക്ഷേത്രത്തിലെ പതാക ഉയർത്തൽ ഉത്സവത്തിനിടെ പ്രധാനമന്ത്രി നടത്തിയ പ്രസം​ഗം
PM Modi pitches India as stable investment destination amid global turbulence

Media Coverage

PM Modi pitches India as stable investment destination amid global turbulence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
സോഷ്യൽ മീഡിയ കോർണർ 2026 ജനുവരി 12
January 12, 2026

India's Reforms Express Accelerates: Economy Booms, Diplomacy Soars, Heritage Shines Under PM Modi