આજે ભારત નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે; હવે ભારત પડકારોનો સીધો સામનો કરે છે: પ્રધાનમંત્રી
ખાડી દેશોથી લઈને ગ્લોબલ વેસ્ટ સુધી અને ગ્લોબલ સાઉથથી લઈને પડોશી દેશો સુધી, ભારત દરેક માટે વિશ્વાસપાત્ર ભાગીદાર છે: પ્રધાનમંત્રી
જેનું માપન થાય છે તેમાં સુધારો થાય છે અને અંતે તેનું પરિવર્તન થાય છે: પ્રધાનમંત્રી
આ નવું ભારત છે, તે વિકાસ માટે કોઈ કસર છોડી રહ્યું નથી: પ્રધાનમંત્રી

નમસ્કાર!

છેલ્લા કેટલાક સમયમાં મને એક-બે વાર ટીવી9 ભારતવર્ષ ભાગ લેવાની તક મળી છે. સામાન્ય રીતે પણ યુદ્ધો અને મિસાઇલો પર તમારું ઘણું ફોકસ હોય છે અને આજકાલ તો તમને કન્ટેન્ટનું ઓવરફીડિંગ થઈ રહ્યું છે. મોટા-મોટા દેશો ટીવી9 ને આટલું બધું કન્ટેન્ટ આપવા પર ઉતરી આવ્યા છે, પરંતુ On a Serious Note, આજે વિશ્વ જે ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે, તે અભૂતપૂર્વ છે અને અત્યંત ગંભીર છે. અને આ સ્થિતિઓ વચ્ચે, આજે ટીવી-9 નેટવર્કે વિચારોનું એક અત્યંત મહત્વપૂર્ણ મંચ બનાવ્યું છે. આજે આ સમિટમાં તમે બધા India and the world, આ વિષય પર ચર્ચા કરી રહ્યા છો. હું આપ સૌને અભિનંદન આપું છું. આ સમિટ માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું. તમામ અતિથિઓનું અભિનંદન કરું છું.

સાથીઓ, આજે જ્યારે દુનિયા, conflicts (સંઘર્ષો) ને કારણે ગૂંચવાયેલી છે, જ્યારે આ સંઘર્ષોની દુષ્પ્રેરણા આખી દુનિયા પર દેખાઈ રહી છે, ત્યારે India and the world ની વાત કરવી ખૂબ જ પ્રાસંગિક છે. ભારત આજે એ દેશ છે, જેની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. 2014 પહેલાની સ્થિતિઓને પાછળ છોડીને આજે ભારત એક નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. હવે ભારત પડકારોને ટાળતું નથી પરંતુ પડકારો સામે ટકરાય છે. તમે છેલ્લા 5-6 વર્ષમાં જુઓ, કોરોનાની મહામારી પછી પડકારો એક પછી એક વધતા જ ગયા છે. એવું કોઈ વર્ષ નથી, જેણે ભારતની, ભારતીયોની પરીક્ષા ન લીધી હોય. પરંતુ 140 કરોડ દેશવાસીઓના એકજૂટ પ્રયાસથી ભારત દરેક આપત્તિનો સામનો કરતા આગળ વધી રહ્યું છે. આ સમયે યુદ્ધની પરિસ્થિતિઓમાં પણ ભારતની નીતિ અને વ્યૂહરચના જોઈને, ભારતનું સામર્થ્ય જોઈને દુનિયાના અનેક દેશો હેરાન છે. આપણે ત્યાં કહેવત છે, સાંચ કો આંચ નહીં. 28 ફેબ્રુઆરીથી દુનિયામાં જે ઉથલપાથલ મચી છે, આ કઠોર વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભારત પ્રગતિના, વિકાસના, વિશ્વાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આ 23 દિવસોમાં ભારતે પોતાની Relationship Building Capacity બતાવી છે, Decision Making Capacity બતાવી છે અને Crisis Management Capacity બતાવી છે.

 

સાથીઓ, આજે જ્યારે દુનિયા આટલા બધા ખેમાઓમાં વહેંચાયેલી છે, ભારતે અભૂતપૂર્વ અને અકલ્પનીય સેતુઓ (bridges) બનાવ્યા છે. ગલ્ફથી લઈને ગ્લોબલ વેસ્ટ સુધી, ગ્લોબલ સાઉથથી લઈને પડોશી દેશો સુધી ભારત તમામનો trusted partner છે. કેટલાક લોકો પૂછે છે, આપણે કોની સાથે છીએ? તો તેમને મારો જવાબ એ જ છે કે આપણે ભારતની સાથે છીએ, આપણે ભારતના હિતોની સાથે છીએ, શાંતિની સાથે છીએ, સંવાદની સાથે છીએ.

સાથીઓ, સંકટના આ જ સમયમાં જ્યારે global supply chains ડગમગી રહી છે, ભારતે diversification અને resilience નું મોડેલ રજૂ કર્યું છે. ઊર્જા હોય, ખાતર હોય કે આવશ્યક ચીજવસ્તુઓ (essential goods), પોતાના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે, તે માટે ભારતે નિરંતર પ્રયાસ કર્યો છે અને આજે પણ કરી રહ્યા છીએ.

સાથીઓ, જ્યારે રાષ્ટ્રનીતિ જ રાજનીતિનો મુખ્ય આધાર હોય, ત્યારે દેશનું ભવિષ્ય સર્વોપરી હોય છે. પરંતુ જ્યારે રાજનીતિમાં વ્યક્તિગત સ્વાર્થ હાવી થઈ જાય છે, ત્યારે લોકો દેશના ફ્યુચરના બદલે પોતાના ફ્યુચર વિશે વિચારે છે. તમે જરા યાદ કરો 2004 થી 2010 ની વચ્ચે શું થયું હતું? ત્યારે કોંગ્રેસ સરકારના સમયે પેટ્રોલ-ડીઝલ અને ગેસની કિંમતોનું સંકટ આવ્યું હતું અને ત્યારે કોંગ્રેસે દેશની નહીં પણ પોતાની સત્તાની ચિંતા કરી. તે સમયે કોંગ્રેસે એક લાખ અડતાલીસ હજાર કરોડ રૂપિયાના ઓઈલ બોન્ડ જારી કર્યા હતા અને પ્રધાનમંત્રી મનમોહન સિંહ જીએ પોતે કહ્યું હતું કે તેઓ આવનારી પેઢી પર દેવાનો બોજ નાખી રહ્યા છે. એ જાણતા હોવા છતાં કે ઓઈલ બોન્ડનો નિર્ણય ખોટો છે, જેઓ રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવી રહ્યા હતા, તે લોકોએ પોતાની સત્તા બચાવવા માટે આ ખોટો નિર્ણય કર્યો કારણ કે જવાબદેહી તે સમયે થવાની નહોતી, તે બોન્ડ પર રી-પેમેન્ટ 2020 પછી થવાનું હતું.

સાથીઓ, વીતેલા 5-6 વર્ષોમાં અમારી સરકારે કોંગ્રેસ સરકારના તે પાપને ધોવાનું કામ કર્યું છે, અને આ ધોલાઈનો ખર્ચ ઓછો નથી આવ્યો, આવી લોન્ડ્રી તમે જોઈ નહીં હોય. 1 લાખ 48 હજાર કરોડ રૂપિયાની જગ્યાએ, દેશને 3 લાખ કરોડ રૂપિયાથી વધુનું પેમેન્ટ કરવું પડ્યું કારણ કે આમાં વ્યાજ પણ જોડાઈ ગયું હતું. એટલે કે આપણે લગભગ બમણી રકમ ચૂકવવા માટે મજબૂર થયા. આજકાલ કોંગ્રેસના જે નેતાઓ નિવેદનોની મિસાઇલો દાગી રહ્યા છે, મિસાઇલ આવી તો ટીવી9 ને મજા આવશે, તેમની આ વિષયનો ઉલ્લેખ આવતા જ બોલતી બંધ થઈ જાય છે.

 

સાથીઓ, પશ્ચિમ એશિયામાં બનેલી પરિસ્થિતિઓ પર મેં આજે લોકસભામાં મારું વક્તવ્ય આપ્યું છે. દુનિયામાં જ્યાં પણ યુદ્ધ થઈ રહ્યા છે, તે ભારતની સીમાથી દૂર છે. પરંતુ આજની વ્યવસ્થાઓમાં કોઈ પણ દેશ યુદ્ધોના દુષ્પ્રભાવથી દૂર રહે, તે શક્ય હોતું નથી. અનેક દેશોમાં તો સ્થિતિ બહુ ગંભીર બની ચૂકી છે. અને આ સંજોગોમાં આપણે જોઈ રહ્યા છીએ કે રાજકીય સ્વાર્થથી ભરેલા કેટલાક લોકો, કેટલાક પક્ષો, સંકટના આ સમયમાં પણ પોતાના માટે રાજકીય અવસર શોધી રહ્યા છે. તેથી હું ટીવી9 ના મંચ પરથી ફરી કહીશ, આ સમય સંયમનો છે, સંવેદનશીલતાનો છે. આપણે કોરોના મહાસંકટ દરમિયાન પણ જોયું છે, જ્યારે દેશવાસીઓ એકજૂટ થઈને સંકટનો સામનો કરે છે, તો કેટલા સાર્થક પરિણામો આવે છે. આ જ ભાવ સાથે આપણે આ યુદ્ધથી બનેલી પરિસ્થિતિઓનો સામનો કરવાનો છે.

સાથીઓ, દુનિયાની દરેક ઉથલપાથલ વચ્ચે, ભારતે પોતાની પ્રગતિની ગતિને પણ જાળવી રાખી છે. જો હું 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછી, વીતેલા 23 દિવસોનો જ અહેવાલ આપું, તો પૂર્વથી પશ્ચિમ સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી દેશમાં હજારો કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનું કામ થયું છે. દિલ્હી મેટ્રો રેલના મહત્વપૂર્ણ કોરિડોરનું લોકાર્પણ, સિલ્ચરના હાઈ સ્પીડ કોરિડોરનો શિલાન્યાસ, કોટામાં નવા એરપોર્ટનો શિલાન્યાસ, મદુરાઈ એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવો, આવા અનેક કામો વીતેલા 23 દિવસોમાં જ થયા છે. વીતેલા એક મહિના દરમિયાન જ ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા માટે ભવ્ય સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ હેઠળ દેશભરમાં 100 plug-and-play industrial parks વિકસિત કરવામાં આવશે. દેશમાં Small Hydro Power Development Scheme ને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આનાથી આવનારા વર્ષોમાં 1,500 મેગાવોટ નવી hydro power capacity જોડવામાં આવશે. આ જ સમયગાળા દરમિયાન જલ જીવન મિશનને વર્ષ 2028 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોના હિતમાં પણ અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. વીતેલા એક મહિનામાં જ પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 18 હજાર કરોડ રૂપિયાથી વધુ સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અને જે આપણા MSMEs છે, જે આપણા નિકાસકારો છે, તેમના માટે પણ આશરે 500 કરોડ રૂપિયાના રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. આ તમામ પગલાં એ વાતનો પુરાવો છે કે વિકસિત ભારત બનાવવા માટે દેશ કેટલી ઝડપી ગતિએ કામ કરી રહ્યો છે.

સાથીઓ, મેનેજમેન્ટની દુનિયામાં એક સિદ્ધાંત કહેવાય છે - What gets measured, gets managed. પરંતુ હું આમાં એક વાત વધુ જોડવા માંગુ છું, What gets measured, gets improved અને ultimately, gets transformed. કારણ કે આકલન જાગરૂકતા પેદા કરે છે. આકલન જવાબદેહી નક્કી કરે છે અને સૌથી મહત્વનું આકલન શક્યતાઓને જન્મ આપે છે.

સાથીઓ, જો તમે 2014 પહેલાના 10-11 વર્ષ અને 2014 પછીના 10-11 વર્ષનું આકલન કરશો, તો એ જ પામશો કે કેવી રીતે આ જ સિદ્ધાંત પર ચાલતા, ભારતે દરેક સેક્ટરને Transform કર્યું છે. જેમ કે પહેલા હાઈવે બનતા હતા, આશરે 11-12 કિલોમીટર પ્રતિ દિવસની ઝડપે, આજે ભારત આશરે 30 કિલોમીટર પ્રતિ દિવસની સ્પીડથી હાઈવે બનાવી રહ્યું છે. પહેલા પોર્ટ્સ પર શિપનો Turnaround Time, 5-6 દિવસનો હતો. આજે એ જ કામ, આશરે 2 દિવસથી પણ ઓછા સમયમાં પૂરું થઈ રહ્યું છે. પહેલા Startup Culture વિશે ચર્ચા જ નહોતી થતી. 2014 પહેલા, આપણા દેશમાં 400-500 સ્ટાર્ટ અપ્સ જ હતા. આજે ભારતમાં 2 લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ્સ છે. પહેલા મેડિકલ શિક્ષણમાં સીટો પણ મર્યાદિત હતી, આશરે 50-55 હજાર MBBS સીટ હતી, આજે તે વધીને સવા લાખથી વધુ થઈ ચૂકી છે. પહેલા દેશની બેંકિંગ સિસ્ટમથી પણ કરોડો લોકો બહાર હતા. દેશમાં ફક્ત 25 કરોડની આસપાસ જ બેંક એકાઉન્ટ હતા. જ્યારે જનધન યોજનાના માધ્યમથી 55 કરોડથી વધુ બેંક એકાઉન્ટ ખુલ્યા છે. પહેલા આપણા દેશમાં એરપોર્ટ્સ ની સંખ્યા પણ 70 થી ઓછી હતી. આજે એરપોર્ટની સંખ્યા પણ વધીને 160 થી વધુ થઈ ચૂકી છે.

સાથીઓ, પહેલા પણ યોજનાઓ તો બનતી હતી, પરંતુ આજે ફરક છે, આજે પરિણામો દેખાય છે. પહેલા ગતિ ધીમી હતી, આજે ભારત ફાસ્ટ્રેક પર છે. પહેલા શક્યતાઓ પણ અંધકારમાં હતી, આજે સંકલ્પ સિદ્ધિઓમાં બદલાઈ રહ્યા છે. તેથી દુનિયાને પણ એ સંદેશ મળી રહ્યો છે કે આ નવું ભારત છે. આ પોતાના વિકાસ માટે કોઈ કસર બાકી નથી છોડી રહ્યું.

સાથીઓ, આજે અમારો પ્રયાસ છે કે ભૂતકાળમાં વિકાસનું જે અસંતુલન પેદા થઈ ગયું હતું, તેને અવસરોમાં બદલવામાં આવે. હવે જેમ કે આપણું પૂર્વી ભારત છે. આપણું પૂર્વી ભારત સંસાધનોથી સમૃદ્ધ છે, દાયકાઓ સુધી ત્યાં જેમણે સરકારો ચલાવી છે, તેમની ઉપેક્ષાએ પૂર્વી ભારતના વિકાસ પર બ્રેક લગાવી દીધી હતી. હવે હાલાત બદલાઈ રહ્યા છે. જે આસામમાં ક્યારેક ગોળીઓનો અવાજ સંભળાતો હતો, આજે ત્યાં સેમિકન્ડક્ટર યુનિટ બની રહ્યું છે. ઓડિશામાં સેમિકન્ડક્ટરથી લઈને પેટ્રોકેમિકલ્સ સુધી અનેક નવા-નવા સેક્ટરનો વિકાસ થઈ રહ્યો છે. જે બિહારમાં 6-7 દાયકામાં ગંગા જી પર એક મોટો પુલ બની શક્યો હતો એક, તે બિહારમાં છેલ્લા એક દાયકામાં 5 થી વધુ નવા પુલ બનાવવામાં આવ્યા છે. યુપીમાં ક્યારેક કટ્ટા (ગેરકાયદે પિસ્તોલ) મેન્યુફેક્ચરિંગની વાર્તાઓ કહેવામાં આવતી હતી, આજે યુપી, મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગમાં દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહ્યું છે.

 

સાથીઓ, પૂર્વી ભારતનું એક બીજું મોટું રાજ્ય પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળ, એક સમયમાં ભારતના કલ્ચર, એજ્યુકેશન, ઈન્ડસ્ટ્રી અને ટ્રેડનું હબ હતું. વીતેલા 11 વર્ષોમાં કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના વિકાસ માટે મોટી માત્રામાં રોકાણ કર્યું છે. પરંતુ દુર્ભાગ્યવશ, આજે ત્યાં એક એવી નિર્મમ સરકાર છે, જે વિકાસ પર બ્રેક લગાવીને બેઠી છે. ટીવી9 બાંગ્લાના જે દર્શકો છે, તે જાણે છે કે બંગાળમાં આયુષ્માન યોજના પર નિર્મમ સરકારે બ્રેક લગાવેલી છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના પર બ્રેક લગાવેલી છે. પીએમ આવાસ યોજના પર બ્રેક લગાવેલી છે. ચાના બગીચાના શ્રમિકો માટે શરૂ થયેલી યોજના પર બ્રેક લગાવેલી છે. એટલે કે વિકાસ અને જનકલ્યાણ કરતા વધુ પ્રાથમિકતા નિર્મમ સરકાર પોતાના રાજકીય સ્વાર્થને આપી રહી છે.

સાથીઓ, દેશમાં આ પ્રકારની રાજનીતિની શરૂઆત જે પક્ષે કરી છે, તે પોતાના ગુનાઓથી બચી શકતી નથી અને તે પાર્ટી છે - કોંગ્રેસ. કોંગ્રેસ પાર્ટીની રાજનીતિનું એક જ લક્ષ્ય રહ્યું છે, કોઈ પણ રીતે વિકાસનો વિરોધ અને કોંગ્રેસ આ ત્યારે થી કરી રહી છે, જ્યારે હું ગુજરાતમાં હતો. ગુજરાતમાં વર્ષો સુધી જનતાએ આપણને આશીર્વાદ આપ્યા, તો કોંગ્રેસે તે જનાદેશનો સ્વીકાર ન કર્યો. તેમણે ગુજરાતની છબી પર સવાલો ઉઠાવ્યા, તેની પ્રગતિને કઠેડામાં ઉભી કરી અને જ્યારે આ જ વિશ્વાસ આખા દેશમાં દેખાયો, તો કોંગ્રેસનો વિરોધ પણ રીજનલથી નેશનલ થઈ ગયો.

સાથીઓ, જ્યારે રાજનીતિમાં વિરોધ, વિકાસના વિરોધમાં બદલાઈ જાય, જ્યારે આલોચના દેશની સિદ્ધિઓ પર સવાલ ઉઠાવવા લાગે, ત્યારે આ ફક્ત સરકારનો વિરોધ નથી રહેતો, આ દેશની પ્રગતિથી અસહજ થવાની માનસિકતા બની જાય છે. આજે કોંગ્રેસ આ જ માનસિકતાની ગુલામ બની ચૂકી છે. આજે સ્થિતિ એવી છે કે દેશની દરેક સફળતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે, દરેક સિદ્ધિમાં ખામી શોધવામાં આવે છે અને દરેક પ્રયાસના નિષ્ફળ થવાની કામના કરવામાં આવે છે. કોવિડના સમયે, દેશે પોતાની વેક્સિન બનાવી, તો કોંગ્રેસે તેના પર પણ શંકા વ્યક્ત કરી. Make in India ની વાત થઈ, તો કહેવામાં આવ્યું કે આ સફળ નહીં થાય, બબ્બર શેર કહીને આની મજાક ઉડાવવામાં આવી. જ્યારે દેશમાં ડિજિટલ ઇન્ડિયા અભિયાન શરૂ થયું, તો તેની મજાક ઉડાવવામાં આવી. પરંતુ દર વખતે આ કોંગ્રેસનું દુર્ભાગ્ય અને દેશનું સૌભાગ્ય રહ્યું કે ભારતે દરેક પડકારને સફળતામાં બદલ્યો. આજે ભારત દુનિયાની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઈવનું ઉદાહરણ છે. ભારત ડિજિટલ પેમેન્ટ્સમાં દુનિયાનો અગ્રણી દેશ છે. ભારત મેન્યુફેક્ચરિંગ અને સ્ટાર્ટઅપ્સમાં નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે.

 

સાથીઓ, લોકશાહીમાં વિરોધ જરૂરી હોય છે. પરંતુ વિરોધ અને વિદ્વેષ વચ્ચે એક રેખા હોય છે. સરકારનો વિરોધ કરવો એ લોકશાહી અધિકાર છે. પરંતુ દેશને બદનામ કરવો, આ કોંગ્રેસની દાનત પર સવાલ ઉભો કરે છે. જ્યારે વિરોધ આ સ્તર સુધી પહોંચી જાય કે દેશની સિદ્ધિઓ પણ અસહજ કરવા લાગે, તો આ રાજનીતિ નથી, આ દ્રષ્ટિકોણની સમસ્યા છે. હમણાં આપણે ગ્લોબલ AI સમિટમાં પણ જોયું છે. જ્યારે આખી દુનિયા ભારતમાં એકઠી થઈ હતી, તો કોંગ્રેસના લોકો કપડાં ફાડવા ત્યાં પહોંચી ગયા હતા. આ લોકોને દેશની ઇજ્જતની કેટલી પરવા છે, તે આના પરથી જ ખબર પડે છે. તેથી આજે આવશ્યકતા છે કે દેશહિતને, પક્ષહિતથી ઉપર રાખવામાં આવે કારણ કે અંતે રાજનીતિથી ઉપર, રાષ્ટ્ર હોય છે, રાષ્ટ્રનો વિકાસ હોય છે.

સાથીઓ, આજનો આ દિવસ પણ આપણને આ જ પ્રેરણા આપે છે. આજના જ દિવસે શહીદ ભગત સિંહ, શહીદ રાજગુરુ અને શહીદ સુખદેવે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આજે જ, સમાજવાદી આંદોલનના પ્રખર આદર્શ ડૉ. રામ મનોહર લોહિયા જીની જયંતિ પણ છે. આ એ પ્રેરણાઓ છે, જેમણે દેશને હંમેશા સ્વ થી ઉપર રાખ્યો છે. દેશહિતને સૌથી ઉપર રાખવાની આ જ પ્રેરણા, ભારતને વિકસિત ભારત બનાવશે. આ જ પ્રેરણા ભારતને આત્મનિર્ભર બનાવશે. મને પૂરો વિશ્વાસ છે કે ટીવી9 ની આ સમિટ પણ ભારતના આત્મવિશ્વાસ અને દુનિયાના ભરોસા પર, ભારતીયો પર જે ભરોસો છે, તે ભરોસાને વધુ સશક્ત કરશે. આપ સૌને મારી તરફથી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ છે અને તમારી વચ્ચે આવવાની તક આપી, આપ સૌને મળવાની તક મળી, તે માટે ખૂબ-ખૂબ ધન્યવાદ!

નમસ્કાર!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi Leads International Yoga Day Event In Kolkata, Says It Has Become 'World's Biggest Festival'

Media Coverage

PM Modi Leads International Yoga Day Event In Kolkata, Says It Has Become 'World's Biggest Festival'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses grief over loss of lives in mishap in Tiruvallur district of Tamil Nadu
June 21, 2026

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a mishap in Tiruvallur district of Tamil Nadu.

The Prime Minister conveyed his condolences to those who have lost their loved ones.

Shri Modi also prayed for the speedy recovery of the injured.

The Prime Minister’s Office posted on X;

“Deeply pained to hear about the loss of lives due to a mishap in Tiruvallur district of Tamil Nadu. My condolences to those who have lost their loved ones. Praying for the speedy recovery of the injured: PM @narendramodi”