જાપાનમાં જે 'ઝેન' છે એ ભારતમાં 'ધ્યાન' છે: પ્રધાનમંત્રી
બાહ્ય પ્રગતિ અને વિકાસની સાથે આંતરિક શાંતિ એ બેઉ સંસ્કૃતિઓની ગુણવત્તાની નિશાની છે: પ્રધાનમંત્રી
કેન્દ્ર સરકારના ઘણા વિભાગો, સંસ્થાઓ અને યોજનાઓમાં કૈઝનનો ઉપયોગ થાય છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ ગુજરાતમાં મિનિ-જાપાન સર્જવાના એમના વિઝનની છણાવટ કરી
ઑટોમોબાઇલ, બૅન્કિંગથી લઈને બાંધકામ અને ફાર્મા સહિતની 135થી વધુ કંપનીઓએ ગુજરાતને એમનું મથક બનાવ્યું છે: પ્રધાનમંત્રી
આપણી પાસે સદીઓ જૂનાં સાંસ્કૃતિક સંબંધોનો આત્મવિશ્વાસ છે અને ભવિષ્ય માટેનું સમાન વિઝન પણ છે: પ્રધાનમંત્રી
પીએમઓમાં જાપાન પ્લસની અમે વિશેષ વ્યવસ્થા કરી છે: પ્રધાનમંત્રી
મહામારી દરમ્યાન ભારત-જાપાન મૈત્રી વશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે વધારે અગત્યની બની છે: પ્રધાનમંત્રી
ટોકિયો ઑલિમ્પિક માટે પ્રધાનમંત્રીએ જાપાન અને જાપાનના લોકોને શુભકામનાઓ પાઠવી

નમસ્કાર,
કોન્નીચોવા,
કેમ છો


ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીના લોકાર્પણનો આ અવસર ભારત અને જાપાન વચ્ચેના સંબંધોની સાહજિકતા અને આધુનિકતાનું પ્રતીક છે. મને વિશ્વાસ છે કે જાપાનીઝ ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીની આ સ્થાપના ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે અને આપણા નાગરિકોને વધુ નજીક લાવશે. આ સમયે ખાસ કરીને હું હ્યોગો પ્રિ-ફેકચરના નેતાઓ, મારા અભિન્ન મિત્ર શ્રીમાન ઇદો તોશીજોનુ વિશેષરૂપથી અભિવાદન કરું છું. ગવર્નર ઇદો 2017માં સ્વંયરૂપે જ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીની સ્થાપનામાં તેમનું તથા હ્યોગો ઇન્ટરનેશનલ એસોસિયેશનનું બહૂમૂલ્ય યોગદાન રહ્યું છે.  આ પ્રસંગે હું ઇન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિયેશન ઓફ ગુજરાતના સહયોગીઓને અભિનંદન પાઠવું છું. તેમણે ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને નવી ઊર્જા આપવામાં સતત ઉલ્લેખનીય કામગીરી બજાવી છે. જાપાન ઇન્ફર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર પણ આ બાબતનું એક ઉદાહરણ છે.

સાથીઓ,
ભારત અને જાપાન જેટલા બાહ્ય પ્રગતિ અને ઉન્નતિને સમર્પિત રહ્યા છે તેટલું જ આંતરિક શાંતિ અને પ્રગતિને અમે મહત્વ આપ્યું છે. જાપાનીઝ ઝેન ગાર્ડન શાંતિની આ શોધની એક સુંદર અભિવ્યક્તિ છે. ભારતના લોકોએ સદીઓથી જે શાંતિ, સહજતા અને સરળતાતી યોગ અને આધ્યાત્મ મારફતે શીખ્યા અને સમજ્યા છે તેની એક ઝલક તેમને અહી જોવા મળશે. અને આમેય જાપાનમાં જે ‘ઝેન’ છે તે જ ભારતમાં ‘ધ્યાન’ છે. ભગવાન બુદ્ધે આ જ ધ્યાન અને બુદ્ધત્વ સંસારને પ્રદાન કર્યું હતું. અને જ્યાં એક કાઇઝેનની સંકલ્પના છે તે વર્તમાનમાં આપણા ઇરાદાની મજબૂતી, સતત આગળ ધપવાની આપણી ઇચ્છાશક્તિનો જીવતો જાગતો પુરાવો છે.


તમારામાંથી ઘણા લોકો જાણે છે કે કાઇઝેનનું સાચો અર્થ થાય છે સુધારો (Improvement) પરંતુ તેનો આંતરિક અર્થ ઘણો વ્યાપક છે. તે માત્ર સુધારાની નહીં પરંત સતત સુધારા પર ભાર આપે છે

.
સાથીઓ,
જ્યારે હું મુખ્યમંત્રી બન્યો તો તેના થોડા સમય બાદ જ કાઇઝેન અંગે ગુજરાતમાં પહેલી વાર ગંભીરતાપૂર્વક પ્રયાસો શરૂ થયા હતા. અમે કાઇઝેનનું યોગ્ય દિશામાં અધ્યયન કરાવ્યું હતું તેને લાગુ કરાવ્યો હતો અને 2004નો સમય હતો જ્યારે પહેલી વાર વહીવટી તાલીમ દરમિયાન કાઇઝેન પર આટલો ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યાર પછીના વર્ષે 2005માં ગુજરાતના મોખરાના સિવિલ સર્વન્ટ સાથે ચિંતન શિબિર યોજાઈ હતી ત્યારે અમે તમામને કાઇઝેનની તાલીમ આપી હતી. ત્યાર પછી તો અમે તેને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધી લઈ ગયા હતા. અનેક સરકારી કચેરીઓ સુધી લઈ ગયા હતા. હું જે સતત સુધારાની વાત કરી રહ્યો હતો તે તો સતત જારી જ હતો. અમે સરકારી કચેરીઓમાંથી ટ્રકો ભરી ભરીને બિનજરૂરી સામાન બહાર કર્યો, પ્રક્રિયાઓમાં સુધારો કર્યો અને તેને સરળ બનાવી દીધી.
આ જ રીતે આરોગ્ય વિભાગમાં પણ કાઇઝેનની પ્રેરણાથી મોટા મોટા સુધારા કરવામાં આવ્યા હતા. હજારો ડોકટરો, નર્સો, હોસ્પિટલ સ્ટાફને આ કાઇઝેનના મોડેલની તાલીમ આપવામાં આવી. અમે અલગ અલગ વિભાગમાં ફિઝિકલ વર્કશોપ પર કામ કર્યું. પ્રક્રિયા પર કામ કર્યું, લોકોને વ્યસ્ત કર્યા અને તેની સાથે સાંકળી લીધા. આ તમામનો ઘણો મોટો સકારાત્મક પ્રભાવ શાસન પ્રક્રિયા પર પડ્યો.


સાથીઓ,
આપણે સૌ જાણીએ છીએ કે પ્રગતિ, વિકાસમાં શાસન અત્યંત મહત્વપૂર્ણ હોય છે. પછી તે કોઈ વ્યક્તિના વિકાસની વાત હોય. સંસ્થાના વિકાસની વાત હોય, સમાજ કે દેશના વિકાસની વાત હોય પણ શાસન પ્રક્રિયા ઘણું મહત્વનું પાસું છે. અને તેથી જ જ્યારે હું ગુજરાતથી અહીં દિલ્હી આવ્યો ત્યારે કાઇઝેનથી મળેલા અનુભવોને પણ મારી સાથે લાવ્યો હતો. અમે પીએમઓ અને કેન્દ્ર સરકારના અન્ય વિભાગોમાં પણ તેનો પ્રારંભ કરાવ્યો. આ જ કારણસર ઘણી બધી પ્રક્રિયાઓ સાવ આસાન બની ગઈ. ઓફિસની ઘણી સારી જગ્યાઓનો અમે ઉપયોગ કર્યો. આજે પણ કેન્દ્ર સરકારના કેટલાક નવા વિભાગોમાં, સંસ્થાઓમાં, યોજનાઓમાં કાઇઝેનને અપનાવવામાં આવી રહ્યું છે.


સાથીઓ,
આ કાર્યક્રમ સાથે સંકળાયેલા જાપાનના આપણા અતિથિઓ જાણે છે કે મારો અંગત રીતે જાપાન સાથે કેટલો લગાવ છે. જાપાનના લોકોનો સ્નેહ, જાપાનના લોકોની કાર્યશૈલી, તેમનું કૌશલ્ય, તેમની શિસ્ત હંમેશાંથી પ્રભાવિત કરનારા છે. અને તેથી જ મેં જ્યારે પણ કહ્યું કે હું ગુજરાતમાં મિનિ જાપાન રચવા માગું છું તો તેની પાછળ મારો મૂળ આશય એ હતો કે જ્યારે પણ જાપાનના લોકો ગુજરાત આવે તો તેમને એવી જ હુંફ મળે જેવી તેમને જાપાનમાં મળે છે. મને યાદ છે કે વાયબ્રન્ટ ગુજરાત સમિતના પ્રારંભથી જ જાપાન એક ભાગીદાર દેશ તરીકે તેની સાથે સંકળાયેલો છે. આજે પણ વાયબ્રન્ટ ગુજરાત સમિતમાં જે સૌથી મોટું પ્રતિનિધિમંડળ આવે છે જે જાપાનનું જ હોય છે. અને જાપાને ગુજરાતની ધરતી પર, અહીંના લોકોની તાકાત પર જે ભરોસો વ્યક્ત કર્યો છે તેને જોઈને અમને તમામને ખૂબ સંતોષ થાય છે.
જાપાનની એકથી એક ચડિયાતી કંપનીઓ  આજે ગુજરાતમાં કામ કરી રહી છે. મને કહેવામાં આવ્યું છે કે તેની સંખ્યા લગભગ 135થી વધુ છે. ઓટોમોબાઈલથી લઇને બેંકિંગ સુધી, કન્સ્ટ્રક્શનથી લઈને ફાર્મા સુધી, દરેક સેક્ટરમાં જાપાની કંપની ગુજરાતમાં પોતાના પાયા નાખી ચૂકી છે. સુઝુકી મોટર્સ હોય, હોન્ડા  મોટરસાઇકલ હોય, મિત્સુબિસી હોય, ટોયોટા હોય, હિટાચી હોય કે ગમે તે જાપાની કંપની હોય આવી ઘણી કંપનીઓ  ગુજરાતમાં પોતાનું ઉત્પાદન કરી રહી છે. અને એક સારી બાબત એ છે કે આ કંપનીઓ ગુજરાતના યુવાનોને તેમની કૌશલ્યનો વિકાસ કરવામાં ઘણી મદદ કરી રહી છે. ગુજરાતમાં ત્રણ જાપાન-ભારત ઇન્સ્ટિટ્યૂટ ફોર મેન્યુફેક્ચરિંગ દર વર્ષે સેંકડો યુવાનોને કૌશલ્ય (સ્કીલ) તાલીમ આપે છે. ઘણી કંપનીઓનું ગુજરાતમાં ટેકનિકલ યુનિવર્સિટી અને આઇઆઇટી સાથે ટાઇ-અપ છે.

સાથીઓ,
જાપાન અને ગુજરાતના સંબંધો અંગે કહેવા માટે એટલું બધું છે કે સમય ઓછો પડે.  સંબંધ આત્મીયતા, સ્નેહ અને એકબીજાની ભાવનાઓને, એકબીજાની જરૂરિયાતો સમજવાને કારણે વધુ મજબૂત બન્યા છે. ગુજરાતે હંમેશાં જાપાનને ખાસ મહત્વ આપ્યું છે. હવે જે રીતે  JETROએ આ અમદાવાદ બિઝનેસ સપોર્ટ સેન્ટર શરૂ કર્યું છે તેમાં એક સાથે પાંચ કંપનીઓને પ્લગ એન્ડ પ્લે વર્કપ્લેસ સવલત આપવાની સુવિધા છે. જાપાનની ઘણી બધી કંપનીઓએ તેનો લાભ ઉઠાવ્યો છે. હું ઘણી વાર એ ભૂતકાળના દિવસો વિશે વિચારું છું તો લાગે છે કે ગુજરાતના લોકોએ પણ કેટલી નાની નાની બારીક ચીજો પર ધ્યાન આપ્યું છે. મને યાદ છે કે મુખ્યમંત્રી તરીકે એક વાર હું જાપાની પ્રતિનિધિમંડળ સાથે વાત કરી રહ્યો હતો તો એક અનૌપચારિક વિષય પર વાત થઈ. આ વિષય ઘણો રસપ્રદ હતો. જાપાનના લોકોને ગોલ્ફ રમવું પસંદ છે પરંતુ ગુજરાતમાં એ વખતે ગોલ્ફ ક્લબનું એટલું બધું ચલણ ન હતું. આ બેઠક બાદ ખાસ પ્રયાસ કરવામાં આવ્યો કે ગુજરાતમાં ગોલ્ફ કોર્સનો વ્યાપ વધારવામાં આવે. મને આનંદ છે કે આજે ગુજરાતમાં ઘણા બધા ગોલ્ફ કોર્સ છે. ઘણી રેસ્ટોરન્ટ પણ એવી છે જેની વિશેષતા જાપાની ફૂડ છે.  ટૂંકમાં એક એવો પ્રયાસ રહ્યો છે કે જાપાની લોકોને ગુજરાતમાં તેમના ઘર જેવી અનુભૂતિ કરાવવામાં આવે. અમે લોકોએ એ વાત પર પણ ખાસ કામ કર્યું છે કે ગુજરાતમાં જાપાની ભાષા બોલનારાની સંખ્યા વધે. આજે ગુજરાતના પ્રોફેશનલ ક્ષેત્રમાં એવા ઘણા લોકો છે જે એકદમ સરળતાથી જાપાની ભાષા બોલી શકે છે.  મને માહિતી આપવામાં આવી છે કે ગુજરાતમાં એક યુનિવર્સિટી ખાસ જાપાની ભાષાના કોર્સનો પ્રારંભ કરવા જઈ રહી છે. આ એક સારી પહેલ હશે.


હું તો ઇચ્છીશ કે ગુજરાતમાં જાપાની સ્કૂલ સિસ્ટમનું એક મોડેલ બનાવવામાં આવે.
જાપાનમાં સ્કૂલ સિસ્ટમમાં, ત્યાં જે રીતે આધુનિકતા અને નૈતિક મૂલ્યો પર ભાર મૂકવામાં આવે છે તેનો હું પ્રશંસક છું. જાપાનની તાઇમેઇ સ્કૂલમાં જવાનો મને મોકો મળ્યો હતો અને ત્યાં વીતાવેલી થોડી પળો મારા જીવનમાં યાદગાર પળ છે એ સ્કૂલમાં બાળકો સાથે વાત કરવાની તકને આજે પણ હું અનમોલ તક માની રહ્યો છું.

સાથીઓ,
આપણી પાસે સદીઓ પુરાણા સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા માટેનો એક વિશ્વાસ પણ છે અને ભવિષ્ય માટે એક કોમન વિઝન પણ છે. આ જ આધાર પર છેલ્લા ઘણા વર્ષોથી અમે આપણી વિશેષ રણનીતિ અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરી રહ્યા છીએ.  તેના માટે પીએમઓમાં અમે જાપાન પ્લસની એક વિશેષ વ્યવસ્થા કરી છે. જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને મારા મિત્ર શ્રીમાન શિંજો અબે જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે ભારત અને જાપાનના સંબંધોને નવો વેગ મળ્યો હતો. બુલેટ ટ્રેનનું કામ શરૂ થવા બદલ તેઓ અત્યંત ખુશ હતા. આજે પણ તેમની સાથે વાત થાય છે તો તેઓ પોતાના ગુજરાતના પ્રવાસને ખાસ યાદ કરે છે. જાપાનના વર્તમાન પ્રધાનમંત્રી શ્રી યોશિહિડે સુગા પણ સમજદાર વ્યક્તિત્વ ધરાવે છે. પ્રધાનમંત્રી શ્રી સુગા અને મને વિશ્વાસ છે કે કોવિડ19ની આ મહામારીમાં ભારત અને જાપાન વચ્ચેની મિત્રતા, આપણી ભાગીદારી, વૈશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે ઘણી પ્રાસંગિક બની ગઈ છે. આજે આપણી સામે ઘણા બધા વૈશ્વિક પડકારો છે ત્યારે આપણી આ મિત્રતા, આપણા સંબંધો, દિવસે દિવસે મજબૂત થતાં જાય તે સમયની માંગ છે. અને ખાસ કરીને કાઇઝેન એકેડમી જેવા પ્રયાસો તેનું સુંદર પ્રતિબિંબ છે.

હું ઇચ્છીશ કે કાઇઝેન એકેડમી જાપાનની કાર્યપ્રણાલિનો ભારતમાં પ્રચાર અને પ્રસાર કરે, જાપાન અને ભારત વચ્ચેના વેપારી સંબંધોની આપ-લે આગળ ધપાવે. આ દિશામાં અગાઉ જે પ્રયાસો ચાલી રહ્યા છે તેને પણ આપણે નવી  પ્રદાન કરવાની છે. જેવી રીતે ગુજરાત યુનિવર્સિટી અને ઓસાકાની ઓતેમોન ગાકુઇન યુનિવર્સિટી વચ્ચે ઇન્ડો-જાપાન સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ પાંચ દાયકાથી આપણા સંબંધોને મજબૂતી પ્રદાન કરી રહ્યો છે. તેનો હજુ પણ વ્યાપ વધારી શકાય છે. બંને દેશો વચ્ચે તથા અન્ય સંસ્થાનો વચ્ચે પણ આ પ્રકારની ભાગીદારી કરી શકાય છે.

મને ભરોસો છે કે આપણા આ પ્રયાસો આવી જ રીતે સતત આગળ ધપતા રહેશે અને ભારત અને જાપાન મળીને વિકાસની નવી ઉંચાઈઓ હાંસલ કરશે. હું આજે આ કાર્યક્રમના માધ્યમથી જાપાનને, જાપાનના લોકોને ટોક્યો ઓલિમ્પિક્સના આયોજન માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.


તમારા તમામનો ખૂબ ખૂભ આભાર.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Bhogapuram airport begins commercial operations with first IndiGo flight

Media Coverage

Bhogapuram airport begins commercial operations with first IndiGo flight
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the importance of self-respect, courage and steadfastness
August 18, 2026

The Prime Minister, Shri Narendra Modi has shared a Sanskrit Subhashitam highlighting the importance of living with self-respect, courage and dignity. He emphasised that true valour and strength lie in remaining steadfast in one’s principles and values, without compromising them under any circumstances.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“उद्यच्छेदेव न नमेदुद्यमो ह्येव पौरुषम्।
अप्यपर्वणि भज्येत न नमत्वेव कस्यचित्॥”

The Subhashitam conveys that a person should always live with self-respect, courage and dignity. True valor and strength lie in never compromising one's principles and values under any circumstances, but remaining steadfast in one's ideals with truth, patience and self-pride.

The Prime Minister wrote on X;

“उद्यच्छेदेव न नमेदुद्यमो ह्येव पौरुषम्।

अप्यपर्वणि भज्येत न नमत्वेव कस्यचित्॥”