2047માં જ્યારે ભારત તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતું હશે ત્યારે દેશની સ્થિતિ નક્કી કરવામાં આપણી ખેતી અને આપણા ખેડૂતોની ભૂમિકા ખૂબ જ મોટી રહેશે: પ્રધાનમંત્રી
લઘુતમ ટેકાના ભાવે કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી ખરીદીના કારણે ડાંગરના ખેડૂતોના ખાતામાં સીધા જ રૂપિયા 1,70,000 કરોડ અને ઘઉંના ખેડૂતોના ખાતામાં અંદાજે રૂપિયા 85,000 કરોડ પહોંચ્યા છે: પ્રધાનમંત્રી
ખેડૂતોએ તેમની વાત સાંભળી અને છેલ્લા 6 વર્ષમાં કઠોળના ઉત્પાદનમાં વધારો કર્યો તે બદલ આભાર માન્યો
રાષ્ટ્રીય ખાદ્યતેલ મિશન – ઓઇલ પામ એટલે કે NMEO-OP સાથે દેશે ખાદ્યતેલમાં આત્મનિર્ભર થવાનો સંકલ્પ કર્યો છે, રૂ. 11,000 કરોડ કરતાં વધારે રકમનું રોકાણ ખાદ્યતેલ ઇકોસિસ્ટમમાં કરવામાં આવશે: પ્રધાનમંત્રી
રાષ્ટ્રીય ખાદ્યતેલ મિશન – ઓઇલ પામ એટલે કે NMEO-OP સાથે દેશે ખાદ્યતેલમાં આત્મનિર્ભર થવાનો સંકલ્પ કર્યો છે, રૂ. 11,000 કરોડ કરતાં વધારે રકમનું રોકાણ ખાદ્યતેલ ઇકોસિસ્ટમમાં કરવામાં આવશે: પ્રધાનમંત્રી
પ્રથમ વખત, ભારત કૃષિ નિકાસના સંદર્ભમાં સમગ્ર દુનિયામાં ટોચના 10 દેશોમાં સ્થાન મેળવી શક્યું છે: પ્રધાનમંત્રી
હવે, દેશની કૃષિ નીતિઓ અંતર્ગત નાના ખેડૂતોને સૌથી વધારે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે: પ્રધાનમંત્રી

નમસ્કાર જી,

છેલ્લા કેટલાક દિવસોથી હું સરકારની જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યો છું. સરકારે જે યોજનાઓ બનાવી છે, તેનો લાભ લોકો સુધી કઈ રીતે પહોંચી રહ્યો છે, તે વધુ સારી રીતે આપણને ખબર પડે છે. જનતા જનાર્દન સાથે સીધા સંપર્કનો આ જ ફાયદો હોય છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગી ગણ, દેશભરના અનેક રાજયોમાંથી ઉપસ્થિત આદરણીય મુખ્યમંત્રી ગણ, લેફ્ટનન્ટ ગવર્નર અને ઉપ-મુખ્યમંત્રી ગણ, રાજ્ય સરકારોના મંત્રી, અન્ય મહાનુભવો, દેશભરમાંથી જોડાયેલા ખેડૂતો અને ભાઈઓ તથા બહેનો,

આજે દેશના લગભગ 10 કરોડ ખેડૂતોના બેંક ખાતાઓમાં 19 હજાર 500 કરોડ રૂપિયા કરતાં પણ વધુની આ રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ છે. અને હું જોઈ રહ્યો છું કે કેટલાય લોકો પોતાના મોબાઈલમાં ચેક કરી રહ્યા છે કે આવ્યા છે કે નહીં? અને પછી એકબીજાને તાળી આપી રહ્યા છે. આજે જ્યારે વરસાદનો સમય છે અને વાવણી પણ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આ રકમ નાના ખેડૂતોને ઘણી કામમાં આવશે. આજે 1 લાખ કરોડ રૂપિયાના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રકચર ભંડોળને પણ 1 વર્ષ પૂરું થઈ ગયું છે. તેના માધ્યમથી હજારો ખેડૂત સંગઠનોને મદદ મળી રહી છે.

ભાઈઓ અને બહેનો,

સરકાર ખેડૂતોને વધારાની આવકના સાધનો આપવા માટે, નવા નવા પાકોને પ્રોત્સાહિત કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. મિશન હની બી આવું જ એક અભિયાન છે. મિશન હની બી અંતર્ગત વિતેલા વર્ષમાં અમે લગભગ 700 કરોડ રૂપિયાના મધની નિકાસ કરી છે, જેનાથી ખેડૂતોને આ વધારાની આવક થઈ છે. જમ્મુ કાશ્મીરનું કેસર તો આમ પણ વિશ્વ પ્રસિદ્ધ છે. હવે સરકારે એ નિર્ણય લીધો છે કે જમ્મુ કાશ્મીરનું કેસર દેશભરમાં ‘નાફેડ’ની દુકાનો પર ઉપલબ્ધ રહેશે. તેનાથી જમ્મુ કાશ્મીરમાં કેસરની ખેતીને ઘણું પ્રોત્સાહન મળવાનું છે.

ભાઈઓ અને બહેનો,

આપ સૌ સાથે આ સંવાદ એવા સમયમાં થઈ રહ્યો છે, જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. હવેથી કેટલાક દિવસો પછી જ 15 ઓગસ્ટ આવવાની છે. આ વખતે દેશ પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ પડાવ આપણી માટે ગૌરવનો તો છે જ, પરંતુ તે નવા સંકલ્પો, નવા લક્ષ્યોનો પણ એક બહુ મોટો અવસર છે.

આ અવસર પર આપણે એ નક્કી કરવાનું છે કે આવનારા 25 વર્ષોમાં આપણે ભારતને ક્યાં જોવા માંગીએ છીએ. દેશ જ્યારે આઝાદીના 100 વર્ષ પૂરા કરશે 2047 માં, ત્યારે ભારતની સ્થિતિ શું હશે, એ નક્કી કરવામાં આપણી કૃષિ, આપણાં ગામડાઓ, આપણાં ખેડૂતોની બહુ મોટી ભૂમિકા છે. આ સમય ભારતની કૃષિને એક એવી દિશા આપવા માટેનો છે કે જે નવા પડકારોનો સામનો કરી શકે અને નવા અવસરોનો ભરપૂર લાભ ઉઠાવી શકે.

ભાઈઓ અને બહેનો,

આ સમયમાં ખૂબ ઝડપથી થઈ રહેલા પરિવર્તનોના આપણે સૌ સાક્ષી છીએ. પછી તે ઋતુ અને પ્રકૃતિ સાથે જોડાયેલા પરિવર્તનો હોય, ખાણી પીણી સાથે જોડાયેલા પરિવર્તનો હોય કે પછી મહામારીના કારણે આખી દુનિયામાં થઈ રહેલા પરિવર્તનો હોય. આપણે વિતેલા દોઢ વર્ષમાં કોરોના મહામારી દરમિયાન તેનો અનુભવ પણ કર્યો છે. આ કાલખંડમાં દેશમાં જ ખાણી પીણીની આદતોને લઈને ખૂબ જાગૃતિ આવી છે. અનાજ ધાનની, શાકભાજી અને ફળોની, મસાલાઓની, ઓર્ગેનિક ઉત્પાદનોની માંગ હવે ઝડપથી વધી રહી છે. એટલા માટે ભારતીય કૃષિને પણ હવે આ જ બદલાતી જરૂરિયાતો અને બદલાતી માંગ અનુસાર બદલવી જ પડશે. અને મને હંમેશથી વિશ્વાસ છે કે આપણાં દેશના ખેડૂતો આ પરિવર્તનોને જરૂરથી આત્મસાત કરશે.

સાથીઓ,

આ મહામારી દરમિયાન પણ આપણે ભારતના ખેડૂતોનું સામર્થ્ય જોયું છે. રેકોર્ડ ઉત્પાદનની વચ્ચે સરકારે પણ પ્રયાસ કર્યો છે કે ખેડૂતોની મુશ્કેલી ઓછામાં ઓછી થાય. સરકારે ખેતી અને તેની સાથે જોડાયેલ દરેક ક્ષેત્રને બિયારણ, ખાતરથી લઈને પોતાના પાકને બજાર સુધી પહોંચાડવા માટે દરેક શક્ય પ્રયાસો કર્યા, ઉપાયો કર્યા. યુરિયાનો પુરવઠો નિર્બાધ રાખ્યો. ડીએપી, જેના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં આ કોરોનાના પગલે અનેક ગણા વધી ગયા, તેનો બોજ પણ અમારી સરકારે ખેડૂતો પર પડવા નથી દીધો. સરકારે તરત જ તેની માટે 12 હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી.

સાથીઓ,

સરકારે ખરીફ હોય કે રવિ સિઝન, ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવ પર અત્યાર સુધીની સૌથી મોટી ખરીદી કરી છે. તેનાથી અનાજ પકવતા ખેડૂતોના ખાતામાં લગભગ 1 લાખ 70 હજાર કરોડ રૂપિયા અને ઘઉં પકવતા ખેડૂતોના ખાતામાં લગભગ 85 હજાર કરોડ રૂપિયા સીધા પહોંચ્યા છે. ખેડૂત અને સરકારની આ જ ભાગીદારીના કારણે આજે ભારતના અન્ન ભંડારો ભરેલા પડ્યા છે. પરંતુ સાથીઓ, આપણે જોયું છે કે માત્ર ઘઉં, ચોખા, ખાંડમાં જ આત્મનિર્ભરતા પૂરતી નથી પરંતુ દાળ અને તેલમાં પણ આત્મનિર્ભરતા ખૂબ જરૂરી છે. અને ભારતના ખેડૂતો આમ કરીને બતાવી શકે છે. મને યાદ છે કે કેટલાક વર્ષો પહેલા જ્યારે દેશમાં દાળની બહુ અછત થઈ ગઈ હતી તો મેં દેશના ખેડૂતોને દાળનું ઉત્પાદન વધારવાનો આગ્રહ કર્યો હતો. મારા તે આગ્રહને દેશના ખેડૂતોએ સ્વીકાર કર્યો. પરિણામ એ આવ્યું કે વિતેલા 6 વર્ષોમાં દેશમાં દાળના ઉત્પાદનમાં લગભગ 50 ટકાની વૃદ્ધિ થઈ છે. જે કામ અમે કઠોળમાં કર્યું અથવા ભૂતકાળમાં ઘઉં અનાજને લઈને કર્યું, હવે આપણે તે જ સંકલ્પ ખાવાના તેલના ઉત્પાદનની માટે પણ લેવાનો છે. આ ખાદ્ય તેલમાં આપણો દેશ આત્મનિર્ભર થાય તેની માટે આપણે ખૂબ ઝડપથી કામ કરવાનું છે.

ભાઈઓ અને બહેનો,

ખાવાના તેલમાં આત્મનિર્ભરતા માટે હવે રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન ઓઇલ પામનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આજે દેશ ભારત છોડો આંદોલનને યાદ કરી રહ્યો છે, તો આ ઐતિહાસિક દિવસે આ સંકલ્પ આપણને નવી ઊર્જાથી ભરી દે છે. આ મિશનના માધ્યમથી ખાવાના તેલની સાથે જોડાયેલ ઇકો સિસ્ટમ પર 11 હજાર કરોડ રૂપિયા કરતાં વધુનું રોકાણ કરવામાં આવશે. સરકાર એ બાબતની ખાતરી કરશે કે ખેડૂતોને શ્રેષ્ઠતમ બિયારણથી લઈને ટેકનોલોજી, તેની દરેક સુવિધા મળે. આ મિશન અંતર્ગત ઓઇલ પામની ખેતીને પ્રોત્સાહન આપવાની સાથે જ આપણાં જે અન્ય પરંપરાગત તેલીબિયાંના પાકો છે, તેમની ખેતીને પણ વિસ્તાર આપવામાં આવશે.

સાથીઓ,

આજે ભારત કૃષિ નિકાસની બાબતમાં સૌપ્રથમ વખત દુનિયાના ટોચના 10 દેશોમાં પહોંચી ગયો છે. કોરોના કાળમાં જ દેશે કૃષિ નિકાસના નવા રેકોર્ડ બનાવ્યા છે. આજે જ્યારે ભારતની ઓળખ એક મોટા કૃષિ નિકાસ દેશની બની રહી છે ત્યારે આપણે ખાદ્ય તેલની આપણી જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર રહીએ, એ બિલકુલ પણ યોગ્ય નથી. તેમાં પણ આયાત કરેલ ઓઇલ પામનો ભાગ 55 ટકા કરતાં વધુ છે. આ સ્થિતિને આપણે બદલવાની છે. ખાવાનું તેલ ખરીદવા માટે આપણે જે હજારો કરોડો રૂપિયા વિદેશમાં અન્ય લોકોને આપવા પડે છે, તે દેશના ખેડૂતોને જ મળવા જોઈએ. ભારતમાં પામ ઓઇલની ખેતી માટે દરેક જરૂરી સંભાવનાઓ છે. ઉત્તર પૂર્વ અને અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં ખાસ કરીને તેને ખૂબ વધારી શકાય છે. આ તે ક્ષેત્ર છે કે જ્યાં સરળતાથી પામની ખેતી થઈ શકે છે. પામ ઓઇલનું ઉત્પાદન થઈ શકે છે.

સાથીઓ,

ખાવાના તેલમાં આત્મનિર્ભરતાના આ મિશનના અનેક લાભ છે. તેનાથી ખેડૂતોને તો સીધો લાભ મળશે જ, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સસ્તું અને સારી ગુણવત્તાવાળું તેલ પણ મળશે. એટલું જ નહિ, આ મિશન મોટા પાયા પર રોજગારનું નિર્માણ કરશે, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપશે. ખાસ કરીને ફ્રેશ ફ્રૂટ બંચ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ઉદ્યોગોનું વિસ્તૃતિકરણ થશે. જે રાજ્યોમાં પામ ઓઇલની ખેતી થશે, ત્યાં ટ્રાન્સપોર્ટથી લઈને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સમાં યુવાનોને અનેક રોજગારી મળશે.

ભાઈઓ અને બહેનો,

ઓઇલ પામની ખેતીનો બહુ મોટો લાભ દેશના નાના ખેડૂતોને મળશે. ઓઇલ પામનું હેક્ટર દીઠ ઉત્પાદન બાકી તેલીબિયાંના પાકોની સરખામણીએ ઘણું વધારે થાય છે. એટલે કે ઓઇલ પામ મિશન વડે ખૂબ નાનકડી જગ્યામાં વધુ પાક લઈને નાના ખેડૂતો મોટો નફો કમાઈ શકે છે.

સાથીઓ,

તે તમે ખૂબ સારી રીતે જાણો છો કે દેશના 80 ટકા કરતાં વધુ ખેડૂતોની પાસે 2 હેક્ટર સુધીની જ જમીન છે. આવનાર 25 વર્ષોમાં દેશની કૃષિને સમૃદ્ધ કરવામાં આ નાના ખેડૂતોની બહુ મોટી ભૂમિકા રહેવાની છે. એટલા માટે હવે દેશની કૃષિ નીતિઓમાં આ નાના ખેડૂતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ જ ભાવના સાથે વિતેલા વર્ષોમાં નાના ખેડૂતોને સુવિધા અને સુરક્ષા આપવાનો એક ગંભીર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગત અત્યાર સુધી 1 લાખ 60 હજાર કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવ્યા છે. તેમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયા તો કોરોનાના મુશ્કેલ સમયમાં જ નાના ખેડૂતો સુધી પહોંચ્યા છે. એટલું જ નહિ, કોરોના કાળમાં જ 2 કરોડ કરતાં વધુ કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી મોટા ભાગના નાના ખેડૂતો છે. તેના માધ્યમથી ખેડૂતો દ્વારા હજારો કરોડ રૂપિયાનું ધિરાણ પણ લેવામાં આવ્યું છે. કલ્પના કરો જો આ મદદ નાના ખેડૂતોને ના મળી હોત તો 100 વર્ષની આ સૌથી મોટી આપત્તિમાં તેમની શું સ્થિતિ થઈ હોત? તેમને નાની નાની જરૂરિયાતો માટે ક્યાં ક્યાં ના ભટકવું પડત?

ભાઈઓ અને બહેનો,

આજે જે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રકચર બની રહ્યું છે, જે સંપર્ક ઇન્ફ્રાસ્ટ્રકચર બની રહ્યું છે અથવા તો પછી જે મોટા મોટા ફૂડ પાર્ક લાગી રહ્યા છે, તેનો બહુ મોટો લાભ નાના ખેડૂતોને થઈ રહ્યો છે. આજે દેશમાં વિશેષ ખેડૂત રેલવે ચાલી રહી છે. આ ટ્રેનો વડે હજારો ખેડૂતોએ પોતાનું ઉત્પાદન ઓછી કિંમતમાં વાહનવ્યવહારનો ખર્ચો બહુ ઓછો, દેશના મોટા મોટા બજારો સુધી પહોંચાડીને વધુ કિંમતે માલ વેચ્યો છે. એ જ રીતે જે વિશેષ ઇન્ફ્રાસ્ટ્રકચર ભંડોળ છે, તે અંતર્ગત પણ નાના ખેડૂતો માટે આધુનિક સંગ્રહ સ્થાનોની સુવિધાઓ તૈયાર થઈ રહી છે. વિતેલા વર્ષોમાં સાડા 6 હજારથી વધુ પ્રોજેક્ટ્સ મંજૂરી મેળવી ચૂક્યા છે. આ પ્રોજેક્ટ્સ જેમને મળ્યા છે તેમાં ખેડૂતો પણ છે, ખેડૂતોની સોસાયટી અને ખેડૂત ઉત્પાદક સંઘ પણ છે, સ્વ સહાય જૂથો પણ છે અને સ્ટાર્ટ અપ્સ પણ છે. હમણાં તાજેતરમાં એક બીજો મોટો નિર્ણય લેતા સરકારે નક્કી કર્યું છે કે જે રાજ્યોમાં અમારી સરકારના બજારો છે તેમને પણ આ ભંડોળમાંથી મદદ મળી શકે. આ ભંડોળનો ઉપયોગ કરીને આપણાં સરકારી બજારો વધુ સારા બનશે, વધુ મજબૂત બનશે, આધુનિક બનશે.

ભાઈઓ અને બહેનો,

ઇન્ફ્રાસ્ટ્રકચર ભંડોળ હોય કે પછી 10 હજાર ખેડૂત ઉત્પાદક સંઘોનું નિર્માણ, પ્રયાસ એ જ છે કે નાના ખેડૂતોણી તાકાતને વધારવામાં આવે. નાના ખેડૂતોની બજાર સુધીની પહોંચ પણ વધુ હોય, અને બજારમાં ભાવતાલ કરવા માટેની તેમની ક્ષમતામાં પણ વૃદ્ધિ થાય. જ્યારે એફપીઓના માધ્યમથી સહકારી તંત્ર વડે, સેંકડો નાના ખેડૂતો એકસાથે ભેગા થશે, તો તેમની તાકાત સેંકડો ગણી વધી જશે. તેનાથી ફૂડ પ્રોસેસિંગ હોય કે પછી નિકાસ તેમ ખેડૂતોની બીજાઓ પર નિર્ભરતા ઓછી થશે. તેઓ પોતે પણ સીધા વિદશી બજારોમાં પોતાનું ઉત્પાદન વેચવા માટે સ્વતંત્ર હશે. બંધનોથી મુક્ત થઈને જ દેશના ખેડૂતો હજી વધારે ઝડપથી આગળ વધી શકશે. એ જ ભાવના સાથે આપણે આવનારા 25 વર્ષોના એક સંકલ્પોને સિદ્ધ કરવાના છે. તેલીબિયાંમાં આત્મનિર્ભરતાના મિશનમાં આપણે અત્યારથી લાગી જવાનું છે. એક વાર ફરી પીએમ કિસાન સમ્માન નિધિના તમામ લાભાર્થીઓને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ! ખૂબ ખૂબ આભાર!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves

Media Coverage

Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 ઓગસ્ટ 2026
August 26, 2026

Accountability Meets Ambition: Record Low NPAs, Record Defence Output, Record Digital Adoption Under the Leadership of PM Modi