ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોરનાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન- સોનનગર રેલવે લાઇનનું ઉદ્‌ઘાટન કર્યું
રાષ્ટ્રીય રાજમાર્ગ – 56ના ચાર લેનમાં પહોળો કરાયેલા વારાણસી-જૌનપુર સેક્શનનું લોકાર્પણ કર્યું
વારાણસીમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કર્યું
મણિકર્ણિકા ઘાટ અને હરિશ્ચંદ્ર ઘાટના પુનર્વિકાસ માટે શિલારોપણ કર્યું
કરસરામાં સીપેટ કૅમ્પસમાં સ્ટુડન્ટ્સ હૉસ્ટેલનો શિલાન્યાસ કર્યો
પીએમ સ્વનિધિની લોનનું, પીએમએવાય ગ્રામીણ મકાનોની ચાવીઓનું અને લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ્સનું વિતરણ કર્યું
"આજની આ પરિયોજનાઓ કાશીના પ્રાચીન આત્માને જાળવી રાખવાની સાથે-સાથે તેને એક નવું શરીર પ્રદાન કરવાના અમારા સંકલ્પનું વિસ્તરણ છે"
"સરકારે લાભાર્થીઓ સાથે સંવાદ અને વાતચીતની નવી પરંપરા શરૂ કરી છે, જેનો અર્થ 'સીધો લાભ તેમજ સીધો પ્રતિસાદ' એવો થાય છે”
"લાભાર્થી વર્ગ સામાજિક ન્યાય અને બિનસાંપ્રદાયિકતાનાં સૌથી સાચાં સ્વરૂપનું ઉદાહરણ બની ગયો છે"
"પીએમ આવાસ અને આયુષ્માન જેવી યોજનાઓ અનેક પેઢીઓને અસર કરે છે"
"ગરીબો માટે સ્વાભિમાન એ મોદીની ગૅરન્ટી છે"
જેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો એવી આશરે રૂ. 12,000 કરોડનાં મૂલ્યની પરિયોજનાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "તે કાશીના પ્રાચીન આત્માને જાળવી રાખીને તેને નવું શરીર પ્રદાન કરવાના અમારા સંકલ્પનું વિસ્તરણ છે." તેમણે આ પ્રોજેક્ટ્સ માટે લોકોને અભિનંદન આપ્યાં હતાં.

ભારત માતા કી જય,

ભારત માતા કી જય,

ભારત માતા કી જય,

હર હર મહાદેવ!

માતા અન્નપૂર્ણા કી જય!

ગંગા મૈયા કી જય!

ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીગણ, યુપી સરકારના તમામ મંત્રીગણ, સાંસદ અને ધારાસભ્યો, અલગ અલગ યોજનાઓના સૌ લાભાર્થીઓ અને કાશીનાં મારાં વ્હાલાં ભાઇઓ અને બહેનો.

શ્રાવણ મહિનાની શરૂઆત હોય... બાબા વિશ્વનાથ અને મા ગંગાના આશીર્વાદ હોય અને બનારસના લોકોનો સાથ હોય, પછી તો જીવન એકદમ ધન્ય બની જાય. હું જાણું છું કે આજકાલ તમે કાશીના લોકો ખૂબ વ્યસ્ત છો, કાશીમાં રોનક થોડી વધારે જ થઈ રહી છે આજકાલ. દેશ-દુનિયામાંથી હજારો શિવભક્તો દરરોજ બાબાને જળ ચઢાવવા માટે અહીં પહોંચી રહ્યા છે અને આ વખતે તો શ્રાવણનો સમયગાળો પણ થોડો વધારે છે. આવી સ્થિતિમાં, આ વખતે બાબાનાં દર્શન માટે ભક્તોનું રેકોર્ડ સંખ્યામાં આવવાનું નિશ્ચિત છે.પણ આ બધાની સાથે બીજી એક વાત ચોક્કસ છે. અબ જે ભી બનારસ આઇ, ત ખુશ હોકે હી જાઇ! મને એટલી ચિંતા નથી કે આટલા બધા લોકો આવશે, બનારસમાં બધું કેવી રીતે મેનેજ થશે. કાશીના લોકો તો મને શીખવી દે છે, હું તેમને કંઈ શીખવી શકતો નથી. હાલમાં જ જી-20 માટે દુનિયાભરમાંથી ઘણા લોકો બનારસ આવ્યા હતા. કાશીના લોકોએ તેમનું એવું ભવ્ય સ્વાગત કર્યું, એવી સારી વ્યવસ્થા કરી કે આજે આખી દુનિયામાં તમારી અને કાશીની વાહવાહ થઈ રહી છે.અને તેથી જ મને ખબર છે કે કાશીના લોકો બધું સંભાળી લેશે. તમે લોકોએ કાશી વિશ્વનાથ ધામ અને આખાં સંકુલને એટલું ભવ્ય બનાવ્યું છે કે અહીં આવનાર વ્યક્તિ ગદ્‌ગદ્ થઈને જાય છે. તે બાબાની ઈચ્છા જ હતી કે આપણે તેને પૂરી કરવાનું નિમિત્ત બની શક્યા. આ આપણા સૌનું સૌભાગ્ય છે.

ભાઇઓ અને બહેનો,

આજે કાશી સહિત ઉત્તર પ્રદેશને લગભગ 12,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ભેટમાં મળ્યા છે. કાશીના આત્માને જાળવીને અમે નૂતન કાયા માટે જે સંકલ્પ લીધો છે તેનું આ વિસ્તરણ છે. આમાં રેલ, રોડ, પાણી, શિક્ષણ, પર્યટન સાથે સંબંધિત પ્રોજેક્ટ છે, ઘાટોના પુનર્વિકાસને લગતા પ્રોજેક્ટ્સ છે. આ વિકાસ કાર્યો માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

સાથીઓ,

થોડા સમય પહેલા, મેં પ્રધાનમંત્રી આવાસ યોજના અને આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. અગાઉની સરકારો પ્રત્યે લોકોને સૌથી મોટી ફરિયાદ એ હતી કે તે એરકન્ડિશન્ડ રૂમમાં બેસીને યોજનાઓ બનાવતી હતી. તત્કાલીન સરકારોને એ ખબર જ નહોતી પડતી કે તે યોજનાઓની જમીન પર શું અસર થઈ રહી છે. પરંતુ ભાજપ સરકારે લાભાર્થીઓ સાથે વાતચીત કરીને, સંવાદ કરીને અને તેમને મળવાની નવી પરંપરા શરૂ કરી છે. એટલે કે બેનિફિટ પણ ડાયરેક્ટ ફીડબેક પણ ડાયરેક્ટ. આનો ફાયદો એ થયો કે દરેક સરકારી વિભાગ, દરેક અધિકારી પોતાની જવાબદારી સમજવા લાગ્યા. હવે કોઈ માટે ગુણા-ગણિતની કોઈ તક જ બચી નથી.

સાથીઓ,

ભૂતકાળમાં જે પક્ષોએ ભ્રષ્ટ અને નિષ્ફળ સરકારો ચલાવી, આજે તેઓ લાભાર્થીનું નામ સાંભળીને ચોંકી જાય છે. આઝાદીનાં આટલાં વર્ષો પછી, લોકશાહીનો સાચો લાભ હવે સાચા અર્થમાં યોગ્ય લોકો સુધી પહોંચ્યો છે. નહીંતર અગાઉ લોકશાહીનાં નામે માત્ર અમુક ગણ્યાં-ગાંઠ્યા લોકોનું હિત જ સાધવામાં આવતું હતું, ગરીબને તો કોઇ પૂછતું જ નહોતું. ભાજપ સરકારમાં લાભાર્થી વર્ગ સાચા સામાજિક ન્યાય અને સાચી બિનસાંપ્રદાયિકતાનું ઉદાહરણ બની ગયો છે.અમે દરેક યોજનાના છેલ્લા લાભાર્થીને શોધવા, તેમના સુધી પહોંચવા અને તેમને યોજનાનો લાભ આપવા માટે અમારા તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. શું તમે જાણો છો કે આનો સૌથી મોટો ફાયદો શું થઈ રહ્યો છે? ભાઈ, જ્યારે સરકાર પોતે જ પહોંચી રહી છે, તો પછી શું થઈ રહ્યું છે? કમિશન લેનારાઓની દુકાન….બંધ. દલાલી ખાનારાની દુકાન... બંધ. કૌભાંડ કરનારાઓની દુકાન...બંધ. મતલબ કે કોઈ ભેદભાવ નહીં અને કોઇ ભ્રષ્ટાચાર નહીં.

સાથીઓ,

છેલ્લાં9 વર્ષમાં અમે માત્ર એક પરિવાર અને એક પેઢી માટે જ યોજનાઓ નથી બનાવી પરંતુ આવનારી પેઢીઓનું ભવિષ્ય પણ સુધરે તેને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. હવે જેમ કે ગરીબોનાં ઘરની યોજના છે. પીએમ આવાસ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ પરિવારોને પાકાં મકાનો મળ્યાં છે. આજે પણ યુપીના સાડા ચાર લાખ ગરીબ પરિવારોને અહીં પાકાં મકાનો સોંપવામાં આવ્યાં છે. શ્રાવણ મહિનામાં મહાદેવની આ કેટલી મોટી કૃપા થઈ છે.

સાથીઓ,

જે ગરીબોને આ મકાનો મળ્યાં છે તેમની એક બહુ  મોટી ચિંતા ખતમ થઈ જાય છે, તેમની અંદર સુરક્ષાની ભાવના આવે છે. જેમને આ ઘર મળે છે, તેમનામાં એક નવું સ્વાભિમાન જાગે છે, નવી ઊર્જા આવે છે. જ્યારે બાળક આવાં ઘરમાં ઉછરે છે, મોટું થાય છે ત્યારે તેની આકાંક્ષાઓ પણ અલગ હોય છે. અને ચાલો હું તમને એક વાત વારંવાર યાદ કરાવું. પીએમ આવાસ યોજનાનાં આમાંથી મોટાભાગનાં ઘરો મહિલાઓનાં નામે મળી રહ્યાં છે.આજે આ મકાનોની કિંમત લાખો રૂપિયા થઈ ગઈ છે. કરોડો બહેનો તો એવી છે જેમનાં નામે પહેલીવાર કોઇ પ્રોપર્ટી નોંધાઈ છે. આનાથી ગરીબ પરિવારની બહેનોને આર્થિક સુરક્ષાની જે ગૅરંટી મળી છે, તે માત્ર તે જ જાણે છે.

સાથીઓ,

આયુષ્માન ભારત યોજના પણ માત્ર 5 લાખ રૂપિયાની મફત સારવાર પુરતી જ મર્યાદિત નથી. તેની અસર ઘણી પેઢીઓ સુધી રહે છે. જ્યારે કોઈ ગરીબ પરિવારમાં કોઈ ગંભીર રીતે બીમાર પડે છે, ત્યારે કોઈનું ભણવાનું ચૂકી જાય છે, કોઈને નાની ઉંમરે નોકરી પર જવું પડે છે. પત્નીએ પણ રોજીરોટી માટે નીકળવું પડે છે. એક ગંભીર બીમારી આવી કે ઘણાં વર્ષો સુધી માતા-પિતા બાળકો મોટાંથઈ જાય પરંતુ લગ્ન લઈ શકતા નથી. કારણ કે બીમારીનાં કારણે આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે.અને ગરીબો પાસે બે જ વિકલ્પ હોય છે. કાં તો તે તેની આંખો સામે તેના પોતીકાંને જીવન માટે સંઘર્ષ કરતા જુએ, અથવા તેનું ઘર અને ખેતર વેચી દે, સારવાર માટે કોઈની પાસેથી ઉધાર લે. જ્યારે મિલકત વેચવામાં આવે છે, દેવાનો બોજ વધે છે, ત્યારે આવનારી ઘણી પેઢીઓને અસર કરે છે. આયુષ્માન ભારત યોજના આજે આ સંકટમાંથી ગરીબોને બચાવી રહી છે. તેથી જ હું મિશન મોડ પર લાભાર્થીઓ સુધી આયુષ્માન કાર્ડ્સ પહોંચાડવા માટે આટલા વધારે પ્રયત્ન કરી રહ્યો છું. આજે પણ અહીંથી એક કરોડ 60 લાખ લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડનું વિતરણ શરૂ થઈ ગયું છે.

ભાઇઓ અને બહેનો,

દેશનાં સંસાધનો પર વંચિત, ગરીબોનો સૌથી મોટો અધિકાર હોય છે. પહેલા માત્ર શ્રીમંત લોકો જ બૅન્કોમાં પ્રવેશ મેળવતા હતા. ગરીબો માટે તો એવું માનવામાં આવતું હતું કે પૈસા જ નથી, તો બૅન્ક ખાતાનું શું કરશે? કેટલાક લોકો વિચારતા હતા કે ગૅરંટી આપનાર કોઈ નહીં હોય તો બૅન્ક લોન કેવી રીતે મળશે. છેલ્લાં9 વર્ષમાં આ વિચારસરણી પણ ભાજપ સરકારે બદલી નાખી. અમે દરેક માટે બૅન્કોના દરવાજા ખોલી દીધા.અમે લગભગ 50 કરોડ જનધન બૅન્ક ખાતાં ખોલાવ્યાં. મુદ્રા યોજના હેઠળ ગૅરંટી વિના 50 હજારથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન આપી. અહીં યુપીમાં પણ કરોડો લાભાર્થીઓએ મુદ્રા યોજનાનો લાભ લઈને પોતાનું કામ શરૂ કર્યું છે. જેમાં ગરીબ, દલિત, પછાત, આદિવાસી, લઘુમતી પરિવારો અને મહિલા ઉદ્યોગ સાહસિકોને સૌથી વધુ લાભ થયો છે. આ જ સામાજિક ન્યાય છે, જેની ગૅરન્ટી ભાજપ સરકાર આપી રહી છે.

સાથીઓ,

શેરી-પાથરણાં-પાટા-ફૂટપાથ પર નાનો-મોટો ધંધો કરતા આપણા મોટાભાગના સાથીઓ પણ વંચિત સમાજમાંથી જ આવે છે. પરંતુ અગાઉની સરકારોએ આ સાથીઓને અપમાન અને હેરાનગતિ સિવાય કશું આપ્યું ન હતું. તે શેરી-પાથરણાં-પાટા-ફૂટપાથ પરના દુકાન ચલાવનારાનેધુત્કારે છે, અપશબ્દો બોલીને જતો રહે છે. પરંતુ ગરીબ માતાનોદીકરો મોદી,તેમનું આ અપમાન સહન કરી શકતો નથી. એટલા માટે મેં શેરી-પાથરણાં-પાટા-ફૂટપાથ પર દુકાનો ચલાવનારાઓ માટે પીએમ-સ્વનિધિ યોજના બનાવી છે. અમે પીએમ સ્વનિધિ યોજના હેઠળ તેમને સન્માન પણ આપ્યું છે અને બૅન્કોને તેમને મદદ કરવા કહ્યું છે. બૅન્કો શેરી વિક્રેતાઓને જે પૈસા આપે છે તેની ગૅરંટી સરકાર પોતે જ લઈ રહી છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 35 લાખથી વધુ સાથીઓને મદદ મંજૂર કરવામાં આવી છે. અહીં બનારસમાં પણ આજે સ્વનિધિ યોજના હેઠળ 1.25 લાખથી વધુ લાભાર્થીઓને લોન આપવામાં આવી છે. આ લોનથી તે પોતાનું કામ આગળ વધારશે અને પોતાની દુકાનનો વિસ્તાર કરશે. હવે કોઈ તેમને ગાળો આપી શકશે નહીં, તેમનેનીચા દેખાડી શકશે નહીં. ગરીબોને સ્વાભિમાન, આ છે મોદીની ગૅરંટી.

સાથીઓ,

જે લોકોએ દેશ પર દાયકાઓ સુધી શાસન કર્યું, તેમનાં શાસનનાં મૂળમાં જ બેઇમાની રહી. અને જ્યારે આવું થાય છે, ત્યારે ગમે તેટલુંધન ભેગું કરવામાં આવે, તે ઓછું જ પડે છે. 2014 પહેલા આ પ્રકારનો જ કારભાર ભ્રષ્ટાચારી અને પરિવારવાદીઓની સરકારો દરમિયાન ચાલતો હતો. જ્યારે પણ બજેટની વાત આવતી ત્યારે ખોટનું, નુકસાનનું જ બહાનું હોય. આજે ગરીબ કલ્યાણ હોય કે પછી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બજેટની કોઈ કમી નથી. એ જ કરદાતા, એ જ સિસ્ટમ. પરંતુ સરકાર બદલાઈ છે, ઈરાદો બદલાયો છે, તેથી પરિણામો પણ બદલાયેલાં દેખાઈ રહ્યાં છે. પહેલા અખબારો ભ્રષ્ટાચાર અને કાળાબજારીના સમાચારોથી ભરેલાં રહેતાં. હવે અખબારોમાં શિલાન્યાસ અને નવા પ્રોજેક્ટનાં ઉદ્‌ટનના સમાચારો છવાયેલા રહે છે. છેલ્લાં 9 વર્ષમાં આવેલાં પરિવર્તનનું સૌથી મોટું ઉદાહરણ ભારતીય રેલ છે.ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર, એટલે કે માલગાડીઓ માટે ખાસ ટ્રેકની યોજના 2006માં શરૂ થઈ હતી. પરંતુ 2014 સુધી 1 કિલોમીટરનો ટ્રેક પણ નાંખી શકાયો ન હતો. એક કિલોમીટર પણ નહીં. છેલ્લાં 9 વર્ષમાં તેનો એક બહુ મોટો ભાગ પૂર્ણ થઇચૂક્યો છે. આના પર ગુડ્સ ટ્રેનો દોડવા લાગી છે. આજે પણ દીનદયાલ ઉપાધ્યાય જંકશનથી નવા સોનનગર સેક્શનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આનાથી માલગાડીઓની ગતિમાં વધારો થશે એટલું જ નહીં, પરંતુ પૂર્વાંચલ અને પૂર્વ ભારતમાં રોજગારની ઘણી નવી તકો ઊભી થશે.

સાથીઓ,

જ્યારે ઇરાદો સ્પષ્ટ હોય છે ત્યારે કેવી રીતે કામ થાય છે તેનું વધુ એક ઉદાહરણ આપું. દેશ હંમેશા ઈચ્છતો હતો કે દેશમાં હાઈ સ્પીડ ટ્રેનો દોડે. આ માટે લગભગ 50 વર્ષ પહેલા દેશમાં પહેલીવાર રાજધાની એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. રાજધાની એક્સપ્રેસ ચલાવવામાં આવી હતી. પરંતુ આટલાં વર્ષોમાં પણ આ રાજધાની એક્સપ્રેસ માત્ર 16 રૂટ પર દોડી શકી છે.50 વર્ષમાં માત્ર સોળ રૂટ એવી જ રીતે 30-35 વર્ષ પહેલા શતાબ્દી એક્સપ્રેસ પણ શરૂ થઈ હતી. પરંતુ શતાબ્દી ટ્રેન પણ 30-35 વર્ષમાં અત્યાર સુધી માત્ર 19 રૂટ પર જ સેવા આપી રહી છે. આ ટ્રેનોથી અલગ એક વંદે ભારત એક્સપ્રેસ છે. અને બનારસને તો દેશની પ્રથમ વંદે ભારતનોખિતાબ મળ્યો છે. 4 વર્ષમાં આ ટ્રેન 25 રૂટ્સ પર દોડવા લાગી છે. આજે પણ બે નવી વંદે ભારત એક્સપ્રેસને ગોરખપુરથી લીલી ઝંડી બતાવવામાં આવી છે.એક ટ્રેન ગોરખપુરથી લખનૌ અને બીજી અમદાવાદથી જોધપુર રૂટ પર દોડી છે. દેશના મધ્યમ વર્ગમાં આ વંદે ભારત એટલી સુપરહિટ બની છે કે દરેક ખૂણેથી તેના માટે માગ આવી રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે વંદે ભારત દેશના ખૂણેખૂણાને જોડશે.

ભાઇઓ અને બહેનો,

છેલ્લાં9 વર્ષોમાં કાશીની કનેક્ટિવિટી પણ વધુ સારી બનાવવા માટે અભૂતપૂર્વ કામ કરવામાં આવ્યું છે. અહીં જે વિકાસ કામો થઈ રહ્યાં છે તેનાથી રોજગારીની ઘણી નવી તકો પણ ઊભી થઈ રહી છે. હવે જેમ કે ગયાં વર્ષે કાશીમાં7 કરોડથી વધુ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવ્યા હતા. માત્ર એક વર્ષમાં કાશી આવતા પ્રવાસીઓની સંખ્યામાં 12 ગણો વધારો થયો છે. પ્રવાસીઓ 12 ગણો વધ્યા છે, તેથી તેનો સીધો લાભ અહીંના રિક્ષાચાલકોને થયો છે, દુકાનદારોને થયો છે, ઢાબા-હૉટેલ ચલાવવાવાળા સાથીઓને થયો છે.બનારસી સાડીઓનું કામ કરનારા હોય કે બનારસી પાનવાળા મારા ભાઈ, તમામને આનો ઘણો ફાયદો થઈ રહ્યો છે. પ્રવાસીઓમાં વધારો થવાથી આપણા બોટવાળા સાથીઓને ઘણો ફાયદો થયો છે. સાંજે ગંગા આરતી વખતે હોડીઓમાં કેટલી ભીડ હોય છે તે જોઈને હું પણ આશ્ચર્યચકિત થઈ જાઉં છું. તમે લોકો આવી જ રીતે બનારસની સંભાળ રાખતા રહો.

સાથીઓ,

બાબાના આશીર્વાદથી વારાણસીના ઝડપી વિકાસની આ યાત્રા ચાલતી રહેશે. અને આ વખતે હું કાશીના લોકોનો વધુ આભાર માનવા માગું છું. તાજેતરમાં કાશીમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. તમે બધાએ વિકાસની યાત્રાને ટેકો આપ્યો, વિકાસમાં વિશ્વાસ કરનારાઓને જીતાડીને મોકલ્યા અને કાશીમાં સારી વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં તમે લોકોએ જે સહકાર આપ્યો છે ત્યારે કાશીના સાંસદ તરીકે હું તમારી વચ્ચે આવ્યો છું, તો હું તમારો હ્રદયથી આભાર વ્યક્ત કરું છું. ફરી એકવાર વિકાસનાં કાર્યો માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હર-હર મહાદેવ!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India-UK social security pact to benefit 90-95% of Indian professionals working in Britain

Media Coverage

India-UK social security pact to benefit 90-95% of Indian professionals working in Britain
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister highlights growing global engagement and investment in India
June 19, 2026

The Prime Minister, Shri Narendra Modi today highlighted India’s readiness to contribute towards a better planet and noted that the world is engaging with and investing in India with hope and enthusiasm.

The Prime Minister stated that thanks to the 140 crore people of India, the world looks at India with hope and enthusiasm. He added that this is also why the world is engaging with India and investing in India.

The Prime Minister highlighted these observations under #12YearsOfIndiaFirst.

The Prime Minister wrote on X;

“India is always ready to do whatever is possible to contribute towards a better planet. At the same time, thanks to the 140 crore people of India, the world looks at India with hope and enthusiasm. That is also why the world is engaging with India and investing in India.

#12YearsOfIndiaFirst”