પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી માર્ચે બપોરે 12 વાગ્યાની આસપાસ દિલ્હીમાં અંદાજે ₹33,500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત પણ કરશે. કાર્યક્રમ પહેલા, પ્રધાનમંત્રી સરોજિની નગરમાં GPRA ટાઇપ-5 ક્વાર્ટરની મુલાકાત લેશે અને મહિલા ફાળવણીકારોને ચાવીઓ સોંપશે.
પ્રધાનમંત્રી અંદાજે ₹18,300 કરોડના દિલ્હી મેટ્રો પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી દિલ્હી મેટ્રોના બે નવા કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આમાં અંદાજે 12.3 કિમીનો મજલિસ પાર્ક-મોજપુર બાબરપુર (પિંક લાઇન) કોરિડોર અને અંદાજે 9.9 કિમીનો દીપાલી ચોક-મજલિસ પાર્ક (મેજેન્ટા લાઇન) કોરિડોર સામેલ છે. આ નવી કનેક્ટિવિટીથી દિલ્હીના બુરારી, જગતપુર-વઝીરાબાદ, ખજૂરી ખાસ, ભજનપુરા, યમુના વિહાર, મધુબન ચોક, હૈદરપુર બદલી મોડ, ભલસ્વા, મજલિસ પાર્ક સહિતના અનેક વિસ્તારોને ફાયદો થશે.
પ્રધાનમંત્રી દિલ્હી મેટ્રોના ફેઝ V-A હેઠળ અંદાજે 16.10 કિમીની લંબાઈ ધરાવતા ત્રણ નવા કોરિડોર માટે શિલાન્યાસ પણ કરશે. આ ત્રણ નવા કોરિડોર આર.કે. આશ્રમ માર્ગથી ઇન્દ્રપ્રસ્થ, એરોસિટીથી ઇન્દિરા ગાંધી એરપોર્ટ ટર્મિનલ-1 અને તુગલકાબાદથી કાલિંદી કુંજ છે. આ કોરિડોર રાષ્ટ્રીય રાજધાનીના અનેક મહત્વના સ્થળોને સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે અને નોઈડા, દક્ષિણ દિલ્હી અને એરપોર્ટ વચ્ચે મુસાફરી કરતા રહેવાસીઓ માટે સંપર્ક સુધારશે.
પ્રધાનમંત્રી જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન (GPRA) રિડેવલપમેન્ટ પ્લાન હેઠળ ₹15,200 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. સરોજિની નગર, નેતાજી નગર, કસ્તુરબા નગર અને શ્રીનિવાસપુરી જેવા મુખ્ય સ્થળો પર ફેલાયેલા આ પ્રોજેક્ટ્સ GPRA વસાહતોને આધુનિક બનાવવા અને સરકારી કર્મચારીઓ અને વહીવટી કચેરીઓ માટે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના સરકારના મહત્વાકાંક્ષી કાર્યક્રમનો એક ભાગ છે.
આ પ્રોજેક્ટ્સને એક નવીન સેલ્ફ-સસ્ટેનેબલ ફાઇનાન્શિયલ મોડલ (સ્વ-નિર્ભર નાણાકીય મોડેલ) દ્વારા પુનઃવિકાસ કરવામાં આવ્યા છે જે સુનિશ્ચિત કરે છે કે જાહેર તિજોરી પર બોજ નાખ્યા વિના પુનઃવિકાસ હાથ ધરવામાં આવે. આ મોડેલ હેઠળ, સરકાર સમગ્ર પ્રોજેક્ટ માટે નાણાં પૂરા પાડવા માટે પ્રોજેક્ટ વિસ્તારના મર્યાદિત ભાગને વ્યાપારી અને રહેણાંક જગ્યા માટે વિકસાવી રહી છે અને તેને મોનેટાઇઝ કરી રહી છે. તેમાંથી જે આવક પેદા થાય છે તેનો ઉપયોગ આધુનિક સરકારી આવાસ, સહાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુવિધાઓના પુનઃવિકાસ માટે કરવામાં આવી રહ્યો છે.
આ પુનઃવિકાસ યોજના સરકારી કર્મચારીઓ માટે 9,350 થી વધુ આધુનિક ફ્લેટ પ્રદાન કરશે અને સાથે સાથે અંદાજે 48 લાખ સ્ક્વેર ફૂટ ઓફિસ સ્પેસનું નિર્માણ કરશે, જે વહીવટી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને મોનેટાઇઝેશન (નાણાકીય મૂલ્ય) ની સંભાવના પણ ઊભી કરશે.


