- ટેક્સટાઇલ્સ એન્ડ ક્રાફ્ટ્સનું ક્રાફ્ટ રિપોઝિટરી પોર્ટલ- ભારતીય વસ્ત્ર એવમ્‌ શિલ્પ કોષનો શુભારંભ કર્યો
"આજનું ભારત માત્ર 'વોકલ ફોર લોકલ' જ નથી, પરંતુ તેને વિશ્વમાં લઈ જવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે”
"સ્વદેશી વિશે દેશમાં નવી ક્રાંતિ આવી છે"
"વોકલ ફોર લોકલની ભાવના સાથે, નાગરિકો પૂરાં દિલથી સ્વદેશી ઉત્પાદનો ખરીદી રહ્યા છે અને તે એક જન આંદોલન બની ગયું છે"
"મફત રાશન, પાકું ઘર, રૂ. 5 લાખ સુધીની મફત સારવાર - આ છે મોદીની ગૅરંટી"
"સરકારનો સતત પ્રયાસ છે કે વણકરોનું કામ સરળ બને, તેમની ઉત્પાદકતામાં વધારો થાય અને ગુણવત્તા અને ડિઝાઇનમાં સુધારો થાય”
"દરેક રાજ્ય અને જિલ્લામાંથી હૅન્ડલૂમમાંથી બનેલી હસ્તશિલ્પ અને ઉત્પાદનોને એક જ છત હેઠળ પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા રાજ્યોનાં દરેક રાજધાની શહેરમાં એકતા મૉલ વિકસાવાઇ રહ્યા છે"
"સરકાર તેના વણકરોને વિશ્વનું સૌથી મોટું બજાર પૂરું પાડવા માટે સ્પષ્ટ વ્યૂહરચના સાથે કામ કરી રહી છે"
"જે લોકો આત્મનિર્ભર ભારતનું સપનું વણે છે અને મેક ઇન ઇન્ડિયાને શક્તિ પ્રદાન કરે છે, તેઓ ખાદીને માત્ર વસ્ત્ર જ નહીં, પણ શસ્ત્ર માને છે"
"જ્યારે છત પર તિરંગો ફરકાવવામાં આવે છે, ત્યારે તે આપણી અંદર પણ ફરકે છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ્‌ ખાતે રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણીને સંબોધન કર્યું હતું અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નૉલોજી દ્વારા વિકસિત ઇ-પોર્ટલ 'ભારતીય વસ્ત્ર એવમ્‌ શિલ્પ કોશ –  રિપોઝિટરી ઑફ ટેક્સટાઇલ્સ એન્ડ ક્રાફ્ટ્સ'નો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી અને વણકરો સાથે વાતચીત કરી હતી.

અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, ભારત મંડપમ્‌નો ઉદ્‌ઘાટન સમારંભ થયો તે અગાઉ પ્રગતિ મેદાનમાં આયોજિત એક પ્રદર્શનમાં પ્રદર્શકો કેવી રીતે તંબુમાં તેમનાં ઉત્પાદનોનું પ્રદર્શન કરતા હતા. ભારત મંડપમ્‌ની ભવ્યતામાં પ્રધાનમંત્રીએ ભારતના હાથવણાટનાં ઉદ્યોગનાં પ્રદાન પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, જૂના અને નવાના સંગમથી હાલનાં નવા ભારતને પરિભાષિત કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, "આજનું ભારત માત્ર 'વોકલ ફોર લોકલ' જ નથી, પરંતુ તેને વિશ્વ સુધી લઈ જવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પણ પ્રદાન કરે છે." આજના કાર્યક્રમની શરૂઆત અગાઉ વણકરો સાથે તેમની વાતચીત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ આજની ભવ્ય ઉજવણીમાં દેશભરમાંથી વિવિધ હૅન્ડલૂમ ક્લસ્ટર્સની હાજરીની નોંધ લીધી હતી અને તેમને આવકાર્યા હતા.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ઑગસ્ટ એ 'ક્રાંતિ'નો મહિનો છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સમય ભારતની આઝાદી માટે કરવામાં આવેલાં દરેક બલિદાનને યાદ કરવાનો છે. સ્વદેશી ચળવળ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ માત્ર વિદેશી બનાવટનાં કાપડનો બહિષ્કાર કરવા પૂરતું મર્યાદિત ન હતું, પણ ભારતની સ્વતંત્ર અર્થવ્યવસ્થા માટે પ્રેરણાનો સ્ત્રોત હતી. તેમણે કહ્યું હતું કે, આ ચળવળ ભારતનાં વણકરોને લોકો સાથે જોડવાની હતી તથા સરકાર આ દિવસને રાષ્ટ્રીય હાથવણાટ દિવસ તરીકે પસંદ કરે તેની પાછળ આ જ પ્રેરણા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં હાથવણાટના ઉદ્યોગ અને વણકરોનાં વિસ્તરણ માટે અભૂતપૂર્વ કામગીરી થઈ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "સ્વદેશી વિશે દેશમાં નવી ક્રાંતિ આવી છે." તેમણે વણકરોની સિદ્ધિઓ મારફતે ભારતની સફળતા પર ગર્વ વ્યક્ત કર્યો હતો.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વ્યક્તિની ઓળખ તેઓ જે વસ્ત્રો પહેરે છે તેની સાથે સંબંધિત છે તથા આ પ્રસંગે જોવા મળે છે તેવા વિવિધ પ્રકારનાં વસ્ત્રો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ વિવિધ પ્રદેશોનાં વસ્ત્રો મારફતે ભારતની વિવિધતાની ઉજવણી કરવાનો પ્રસંગ પણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારત કપડાંનું સુંદર મેઘધનુષ્ય ધરાવે છે," એમ તેમણે દૂરના વિસ્તારોમાં આદિવાસી સમુદાયથી માંડીને બરફાચ્છાદિત પર્વતોમાં રહેતાં લોકો અને દરિયાકિનારાના વિસ્તારોમાં રહેતાં લોકોથી માંડીને રણમાં રહેતાં લોકો અને ભારતનાં બજારોમાં ઉપલબ્ધ વસ્ત્રોમાં વિવિધતાનું અવલોકન કરતાં કહ્યું હતું. તેમણે ભારતનાં વિવિધ વસ્ત્રોની યાદી અને સંકલન કરવાની જરૂરિયાતને યાદ કરી હતી અને 'ભારતીય વસ્ત્ર એવમ્‌ શિલ્પ કોષ'નાં લોકાર્પણ સાથે આજે તે સાકાર થયું હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

 

પાછલી સદીઓમાં ભારતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સુસ્થાપિત થયો હોવાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું હતું કે, આઝાદી પછી તેને મજબૂત કરવા કોઈ નક્કર પ્રયાસો થયા નહીં. તેમણે કહ્યું હતું કે, "ખાદી પણ મૃતપ્રાય અવસ્થામાં રહી ગઈ હતી." તેમણે ઉમેર્યું હતું કે, ખાદી પહેરનારાઓને નીચા જોવામાં આવતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2014 પછી સરકાર આ સંજોગોમાં પરિવર્તન લાવવા અને તેની પાછળના વિચારોને બદલવા આતુર છે. પ્રધાનમંત્રીએ 'મન કી બાત' કાર્યક્રમના શરૂઆતના તબક્કા દરમિયાન નાગરિકોને ખાદીનાં ઉત્પાદનો ખરીદવાની અપીલ કરી હતી એ યાદ કર્યું હતું, જેનાં પરિણામે છેલ્લાં 9 વર્ષમાં ખાદીનાં ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો થયો છે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે ખાદીનાં વસ્ત્રોનાં વેચાણમાં 5 ગણો વધારો થયો છે અને વિદેશી દેશોમાં પણ તેની માગ વધી રહી છે. શ્રી મોદીએ તેમની પેરિસની મુલાકાત દરમિયાન એક મોટી ફેશન બ્રાન્ડનાં સીઇઓ સાથેની મુલાકાતને પણ યાદ કરી હતી, જેમણે તેમને ખાદી અને ભારતીય હાથવણાટ પ્રત્યે વધી રહેલાં આકર્ષણ વિશે જાણકારી આપી હતી.

 

પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, નવ વર્ષ અગાઉ ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર આશરે રૂ. 25-30 હજાર કરોડ હતું. પરંતુ આજે તે એક લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયાથી પણ વધુ પહોંચી ગયું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વધારાના 1 લાખ કરોડ રૂપિયા ગામડાં અને આદિવાસીઓનાં હૅન્ડલૂમ ક્ષેત્ર સાથે સંકળાયેલાં લોકો સુધી પહોંચી ગયા છે. પ્રધાનમંત્રીએ નીતિ આયોગના અહેવાલને ટાંક્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે અને તેમણે આ માટે વધી રહેલા ટર્નઓવરનાં પ્રદાનને સ્વીકાર્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "વોકલ ફોર લોકલની ભાવના સાથે નાગરિકો હૃદયપૂર્વક સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરી રહ્યાં છે અને તે એક જન આંદોલન બની ગયું છે." તેમણે આગામી રક્ષાબંધન, ગણેશ ઉત્સવ, દશેરા અને દિવાળીના તહેવારોમાં વણકરો અને હસ્તકળાના કારીગરોને ટેકો આપવા માટે સ્વદેશી સંકલ્પનું પુનરાવર્તન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. 

 

પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, ટેક્સટાઇલ ક્ષેત્ર માટે અમલમાં મૂકવામાં આવેલી યોજનાઓ સામાજિક ન્યાયનું મુખ્ય માધ્યમ બની રહી છે, કારણ કે તેમણે ધ્યાન દોર્યું હતું કે, દેશભરનાં ગામડાં અને નગરોમાં લાખો લોકો હાથવણાટનાં કામમાં રોકાયેલાં છે. આમાંના મોટાં ભાગનાં લોકો દલિત, પછાત, પસમંદા અને આદિવાસી સમાજમાંથી આવે છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારના પ્રયાસોથી આવકને વેગ આપવાની સાથે-સાથે મોટી સંખ્યામાં રોજગારીમાં વધારો થયો છે. તેમણે વીજળી, પાણી, ગેસ કનેક્શન, સ્વચ્છ ભારત માટેની યોજનાઓનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે, આ પ્રકારનાં અભિયાનોનો મહત્તમ લાભ તેમને મળ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મફત રાશન, પાકું મકાન, રૂ. 5 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર, આ મોદીની ગૅરન્ટી છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે મૂળભૂત સુવિધાઓ માટે વણકર સમુદાયની દાયકાઓથી ચાલી રહેલી રાહનો અંત આણ્યો છે.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે સંકળાયેલી પરંપરાઓને જીવંત રાખવા આતુર છે એટલું જ નહીં સાથે દુનિયાને પણ નવા અવતારમાં આકર્ષિત કરે છે. તેથી જ, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર આ કાર્ય સાથે સંકળાયેલાં લોકોનાં શિક્ષણ, તાલીમ અને આવક પર ભાર મૂકી રહી છે અને વણકરો અને હસ્તકળાના કારીગરોનાં બાળકોની આકાંક્ષાઓને પાંખો આપી રહી છે. તેમણે વણકરોનાં બાળકોનાં કૌશલ્ય તાલીમ માટે કાપડ સંસ્થાઓમાં 2 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ માહિતી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં 600થી વધારે હૅન્ડલૂમ ક્લસ્ટર વિકસાવવામાં આવ્યાં છે અને હજારો વણકરોને તાલીમ આપવામાં આવી છે. "વણકરોનાં કામને વધુ સરળ બનાવવાં, તેમની ઉત્પાદકતામાં વધારો કરવા અને ગુણવત્તા અને ડિઝાઇનમાં સુધારો કરવા માટે સરકારનો સતત પ્રયાસ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેમને કમ્પ્યૂટરથી સંચાલિત પંચિંગ મશીનો પણ પ્રદાન કરવામાં આવી રહ્યાં છે, જે ઝડપી ગતિએ નવી ડિઝાઇન તૈયાર કરવા સક્ષમ બનાવે છે. "મોટરચાલિત મશીનો સાથે વોર્પ-મેકિંગ પણ સરળ બની રહ્યું છે. આ પ્રકારનાં ઘણાં સાધનો, આ પ્રકારનાં ઘણાં મશીનો વણકરોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે," એમ તેમણે કહ્યું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સરકાર હાથવણાટના વણકરોને યાર્ન જેવો કાચો માલ રાહતદરે પ્રદાન કરી રહી છે અને કાચા માલનાં પરિવહનનો ખર્ચ પણ સહન કરી રહી છે. પ્રધાનમંત્રીએ મુદ્રા યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, હવે વણકરો માટે ગૅરન્ટી વિના લોન મેળવવાનું શક્ય બન્યું છે.

 

પ્રધાનમંત્રીએ ગુજરાતના વણકરો સાથેનાં તેમનાં જોડાણને યાદ કર્યું હતું અને સંપૂર્ણ કાશી ક્ષેત્રનાં હાથવણાટના ઉદ્યોગનાં યોગદાન વિશે પણ વાત કરી હતી, જે એમનો મતવિસ્તાર છે. તેમણે વીવર્સને તેમનાં ઉત્પાદનોનાં વેચાણમાં સપ્લાય ચેન અને માર્કેટિંગના પડકારોનો સામનો કરવો પડે છે તે તરફ ધ્યાન દોર્યું હતું અને જણાવ્યું હતું કે સરકાર ભારત મંડપમ્‌ની જેમ દેશભરમાં પ્રદર્શનો યોજીને હાથથી બનાવેલાં ઉત્પાદનોના માર્કેટિંગ પર ભાર આપી રહી છે. શ્રી મોદીએ માહિતી આપી હતી કે, નિઃશુલ્ક સ્ટૉલની સાથે દૈનિક ભથ્થું પણ પ્રદાન કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ કુટિર ઉદ્યોગો અને હાથવણાટ દ્વારા નિર્મિત ઉત્પાદનો માટે ટેકનિક અને પેટર્ન તેમજ માર્કેટિંગ પદ્ધતિઓમાં નવીનતા લાવનાર ભારતનાં યુવાનો અને સ્ટાર્ટઅપની પ્રશંસા પણ કરી હતી તથા કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ તેનાં ઉજ્જવળ ભવિષ્યના સાક્ષી બની શકે છે. 'એક જિલ્લો, એક ઉત્પાદન' યોજના વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક જિલ્લામાંથી વિશેષ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, "આ પ્રકારનાં ઉત્પાદનોનાં વેચાણ માટે દેશનાં રેલવે સ્ટેશનો પર વિશેષ સ્ટૉલ પણ ઊભા કરવામાં આવી રહ્યા છે." તેમણે દરેક રાજ્ય અને જિલ્લામાંથી હાથવણાટમાંથી બનેલી હસ્તકળા અને ઉત્પાદનોને એક જ છત હેઠળ પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા રાજ્યોનાં દરેક રાજધાની શહેરમાં વિકસાવવામાં આવી રહેલા એકતા મૉલનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેનો લાભ હૅન્ડલૂમ ક્ષેત્ર સાથે સંકળાયેલાં લોકોને મળશે. શ્રી મોદીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે એકતા મૉલ વિશે પણ વાત કરી હતી, જે પ્રવાસીઓને ભારતની એકતાનો અનુભવ કરવાની તક આપે છે અને એક જ છત નીચે કોઈ પણ રાજ્યમાંથી ઉત્પાદનો ખરીદવાની તક આપે છે.

 

પોતાની વિદેશ યાત્રાઓ દરમિયાન પ્રધાનમંત્રીએ મહાનુભાવોને ભેટમાં આપેલી વિવિધ ભેટો વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે, આ ભેટની તે મહાનુભાવોએ પ્રશંસા કરી એટલું જ નહીં સાથે-સાથે તેનું ઉત્પાદન કરતા લોકોની જાણકારી મેળવી, ત્યારે તેની ઊંડી અસર પણ ઊભી થાય છે.

જીઈએમ પોર્ટલ અથવા ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ વિશે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નાનામાં નાના કારીગર, કારીગર કે વણકર પણ તેમની ચીજવસ્તુઓનું સીધું વેચાણ સરકારને કરી શકે છે. તેમણે જાણકારી આપી હતી કે, હૅન્ડલૂમ અને હસ્તકળા સાથે સંબંધિત આશરે 1.75 લાખ સંસ્થાઓ આજે જીઇએમ પોર્ટલ સાથે જોડાયેલી છે. તેમણે ઉમેર્યું હતું કે, "હાથવણાટનાં ક્ષેત્રમાં આપણાં ભાઈઓ અને બહેનોને ડિજિટલ ઇન્ડિયાનો લાભ મળે એ સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલુ છે." 

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સરકાર દુનિયાનું સૌથી મોટું બજાર તેના વણકરોને પ્રદાન કરવા સ્પષ્ટ વ્યૂહરચના સાથે કામ કરી રહી છે." તેમણે જણાવ્યું હતું કે, ભારતના એમએસએમઇ, વણકર, કારીગરો અને ખેડૂતોનાં ઉત્પાદનોને વિશ્વભરનાં બજારોમાં લઈ જવા માટે દુનિયાની મોટી કંપનીઓ આગળ આવી રહી છે. તેમણે આવી અનેક કંપનીઓના નેતાઓ સાથે સીધી ચર્ચા પર પ્રકાશ પાડ્યો હતો, જેમની પાસે વિશ્વભરમાં મોટા સ્ટોર્સ, રિટેલ સપ્લાય ચેન, ઓનલાઇન હાજરી અને દુકાનો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ પ્રકારની કંપનીઓએ હવે ભારતનાં સ્થાનિક ઉત્પાદનોને દુનિયાના દરેક ખૂણે-ખાંચે લઈ જવાનો સંકલ્પ લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, "બાજરી હોય કે હાથવણાટનાં ઉત્પાદનો, આ મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેને દુનિયાભરનાં બજારોમાં લઈ જશે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉત્પાદનો ભારતમાં બનાવવામાં આવશે અને સપ્લાય ચેનનો ઉપયોગ આ મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ ટેક્સટાઇલ ઉદ્યોગ અને ફેશન જગત સાથે સંકળાયેલાં લોકોને પોતાનાં સંબોધનની દિશા આપીને દુનિયામાં ટોચનાં 3 અર્થતંત્રોમાંનું એક બનવા માટે લેવામાં આવેલાં પગલાં ઉપરાંત આપણા વિચારો અને કાર્યનો અવકાશ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનાં હાથવણાટ, ખાદી અને ટેક્સટાઇલ ક્ષેત્રને વિશ્વ ચૅમ્પિયન બનાવવા માટે 'સબ કા પ્રયાસ'ની જરૂર પડશે. તેમણે જણાવ્યું હતું કે, "કામદાર હોય, વણકર હોય, ડિઝાઇનર હોય કે ઉદ્યોગ હોય, દરેકે સમર્પિત પ્રયાસો કરવા પડશે." તેમણે વણકરોનાં કૌશલ્યને સ્કેલ અને ટેક્નૉલોજી સાથે જોડવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ભારતમાં નિયો-મિડલ ક્લાસના ઉદય પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક ઉત્પાદન માટે એક વિશાળ યુવા ઉપભોક્તા વર્ગની રચના થઈ રહી છે અને તે ટેક્સટાઇલ કંપનીઓ માટે એક મોટી તક પ્રસ્તુત કરે છે. એટલે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ કંપનીઓની એ જવાબદારી પણ છે કે, તેઓ સ્થાનિક પુરવઠા શ્રુંખલાને મજબૂત કરે અને તેમાં રોકાણ કરે. જો તૈયાર કપડાં ભારતની બહાર ઉપલબ્ધ હોય તો કાપડની આયાત કરવાના અભિગમને તેમણે વખોડી કાઢ્યો હતો. તેમણે લોકલ સપ્લાય ચેઇનમાં રોકાણ કરવા અને તેને ભવિષ્ય માટે તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, આ સેક્ટરના મોટા ખેલાડીઓએ આટલા ટૂંકા ગાળામાં (શોર્ટ નોટિસ)થી કેવી રીતે થશે તેના બહાના કાઢવા જોઇએ નહીં. "જો આપણે ભવિષ્યમાં લાભ લેવો હોય, તો આપણે આજે સ્થાનિક સપ્લાય ચેનમાં રોકાણ કરવું પડશે. આ એક વિકસિત ભારતનું નિર્માણ કરવાનો અને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાના સ્વપ્નને સાકાર કરવાનો માર્ગ છે," એમ તેમણે કહ્યું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્વદેશી સ્વપ્ન આ માર્ગે ચાલવાથી જ સાકાર થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જે લોકો આત્મનિર્ભર ભારતનું સપનું વણે છે અને 'મેક ઇન ઇન્ડિયા'ને તાકાત પ્રદાન કરે છે, તેઓ ખાદીને માત્ર વસ્ત્ર જ નહીં, પણ શસ્ત્ર માને છે."

 

9મી ઑગસ્ટની પ્રાસંગિકતા વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ તારીખ પૂજ્ય મહાત્મા ગાંધીનાં નેતૃત્વમાં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ – ભારત છોડો આંદોલનની સાક્ષી છે, જેમણે અંગ્રેજોને ભારત છોડોનો સંદેશ આપ્યો હતો. આના થોડા સમય બાદ, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું હતું. પ્રધાનમંત્રીએ આજના સમયની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, કારણ કે દેશ ઇચ્છાશક્તિ સાથે આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ જ મંત્રનો ઉપયોગ કરી શકાય છે, જેનો ઉપયોગ એક સમયે અંગ્રેજોને હાંકી કાઢવા માટે કરવામાં આવતો હતો અને જે રાષ્ટ્ર 'વિકસિત ભારત'નું નિર્માણ કરવાનો સંકલ્પ કરે છે ત્યારે અવરોધરૂપ બની ગયા છે એવા તત્ત્વોને ભગાડવા આ જ મંત્રનો ઉપયોગ કરી શકાય છે. "સમગ્ર ભારત એક અવાજે ગુંજી રહ્યું છે – ભ્રષ્ટાચાર, વંશવાદ, તુષ્ટિકરણે ભારત છોડવું જોઈએ-ક્વિટ ઇન્ડિયા”, એવો ઉદ્‌ઘોષ શ્રી મોદીએ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં આ અનિષ્ટો દેશ માટે મોટો પડકાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દેશ આ અનિષ્ટોને હરાવી દેશે. તેમણે ઉમેર્યું હતું કે, "દેશનો વિજય થશે, ભારતની જનતા વિજયી થશે."

 

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ વર્ષોથી તિરંગો વણવા માટે પોતાની જાતને સમર્પિત કરનારી મહિલાઓ સાથેની તેમની વાતચીત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નાગરિકોને ત્રિરંગો ફરકાવવા અને ફરી એકવાર 'હર ઘર તિરંગા' ઉજવવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "જ્યારે છત પર તિરંગો ફરકાવવામાં આવે છે, ત્યારે તે આપણી અંદર પણ ફરકે છે."

 

આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોશ અને કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી નારાયણ તાટુ રાણે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રી હંમેશાં દેશની કલાત્મકતા અને કારીગરીની સમૃદ્ધ પરંપરાને જીવંત રાખતા કારીગરો અને કસબીઓને પ્રોત્સાહન અને નીતિગત ટેકો આપવાના મક્કમ હિમાયતી રહ્યા છે. આ વિઝનથી પ્રેરિત થઈને સરકારે 7 ઑગસ્ટ, 2015ના રોજ આ પ્રકારની પ્રથમ ઉજવણી સાથે નેશનલ હૅન્ડલૂમ ડેની ઉજવણી શરૂ કરી હતી. આ તારીખને ખાસ કરીને સ્વદેશી ચળવળનાં એક કાવ્ય તરીકે પસંદ કરવામાં આવી હતી, જે 7 મી ઑગસ્ટ 1905ના રોજ શરૂ કરવામાં આવી હતી અને સ્વદેશી ઉદ્યોગો, ખાસ કરીને હૅન્ડલૂમ વણકરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આ વર્ષે 9મો નેશનલ હૅન્ડલૂમ ડે મનાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ ભારતીય વસ્ત્ર એવમ્‌ શિલ્પ કોશનું ઇ-પોર્ટલ લૉન્ચ કર્યું હતું– જે ટેક્સટાઇલ્સ એન્ડ ક્રાફ્ટ્સની રિપોઝિટરી છે, જેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નૉલોજી (એનઆઇએફટી) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં 3000થી વધારે હૅન્ડલૂમ અને ખાદી વણકરો, કારીગરો અને ટેક્સટાઇલ અને એમએસએમઇ ક્ષેત્રના હિતધારકો ઉપસ્થિત રહેશે. તે સમગ્ર ભારતમાં હૅન્ડલૂમ ક્લસ્ટર્સ, નિફ્ટ કૅમ્પસ, વીવર સર્વિસ સેન્ટર્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેન્ડલૂમ ટેક્નૉલોજી કૅમ્પસ, નેશનલ હૅન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન, હૅન્ડલૂમ નિકાસ સંવર્ધન પરિષદ, કેવીઆઇસી સંસ્થાઓ અને વિવિધ રાજ્ય હૅન્ડલૂમ વિભાગોને એક સાથે લાવશે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi inaugurates Micron’s ₹22,516-crore ATMP facility in Gujarat; calls chips ‘Regulator of 21st century’

Media Coverage

PM Modi inaugurates Micron’s ₹22,516-crore ATMP facility in Gujarat; calls chips ‘Regulator of 21st century’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi offers prayers at Arulmigu Subramaniyaswamy Temple, Thirupparankundram in Madurai
March 01, 2026

The Prime Minister, Shri Narendra Modi, visited and offered prayers at the Arulmigu Subramaniyaswamy Temple in Thirupparankundram, Madurai today.

During his visit to the sacred temple, the Prime Minister sought blessings for the peace, prosperity, and well-being of all citizens. The Prime Minister expressed his hope that Lord Murugan would continue to guide us with strength, courage, and wisdom.

The Prime Minister shared his sentiments with the invocation, "Vetrivel Muruganukku Arogara!"

The Prime Minister Shared on X:

"Vetrivel Muruganukku Arogara!

Prayed at the Arulmigu Subramaniyaswamy Temple, Thirupparankundram, Madurai.

Sought blessings for peace, prosperity and the well-being of all. May Lord Murugan always guide us with strength, courage and wisdom."