અમારી સરકાર દેશના નીતિ-નિર્માણમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે: PM
વિકસિત ભારતના નિર્માણનું મિશન અવિરત ચાલુ છે; અને જ્યારે હું વિકસિત ભારતની વાત કરું છું, ત્યારે તેનો સૌથી મજબૂત સ્તંભ ભારતની નારી શક્તિ છે: PM
કાશીના સાંસદ અને દેશના પ્રધાનમંત્રી તરીકે, હું રાષ્ટ્રીય હિતના એક મહત્વપૂર્ણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારા આશીર્વાદ માંગુ છું અને આ મુખ્ય લક્ષ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલા અનામતનો અમલ કરવાનું છે: PM
અમારી સરકારની નીતિઓએ મહિલા કલ્યાણને હંમેશા સર્વોચ્ચ અગ્રિમતા આપી છે: PM
સુવિધા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે, અમે મહિલાઓની આર્થિક ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો છે: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં એક વિશાળ મહિલા સંમેલનને સંબોધિત કર્યું હતું, જ્યાં તેમણે હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

આ અવસરના મહત્વનું વર્ણન કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે કાશી એ માતા શ્રૃંગાર ગૌરી, માતા અન્નપૂર્ણા, માતા વિશાલાક્ષી, માતા સંકઠા અને માતા ગંગા સહિતની દૈવી શક્તિઓની ભૂમિ છે. બહેનો અને દીકરીઓના વિશાળ મેળાવડાએ આ કાર્યક્રમને ખરેખર પવિત્ર બનાવી દીધો છે. શ્રી મોદીએ કહ્યું, "કાશીની આ ધરતી પર, હું કાશીની તમામ માતાઓ, બહેનો અને દીકરીઓને નમન કરું છું."

આ અવસર નારી શક્તિ અને વિકાસ બંનેની ઉજવણી હોવાનું જણાવતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે કાશીમાં દરેક પ્રકારના વિકાસને આવરી લેતા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, સાથે જ કાશી અને અયોધ્યા વચ્ચેની કનેક્ટિવિટી વધારતા કાર્યો પણ સંપન્ન થયા છે. કાશીથી પુણે અને અયોધ્યાથી મુંબઈ સુધીની બે 'અમૃત ભારત' ટ્રેનોને લીલી ઝંડી બતાવવામાં આવી હતી, જે મહારાષ્ટ્રના લોકોને આ પવિત્ર શહેરો સુધી પહોંચવા માટે આધુનિક વિકલ્પો પૂરા પાડશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "આનાથી યુપી અને મહારાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટી વધુ સુધરશે અને લોકોને અયોધ્યા ધામ અને કાશી વિશ્વનાથ ધામ પહોંચવા માટે વધુ એક આધુનિક વિકલ્પ મળશે."

રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓની મહત્વની ભૂમિકા પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ નારી શક્તિને વિકસિત ભારતનો સૌથી મજબૂત સ્તંભ ગણાવ્યો હતો. તેમણે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે અનામત લાગુ કરવાના મુખ્ય રાષ્ટ્રીય લક્ષ્યને હાંસલ કરવા માટે ઉપસ્થિત જનમેદનીના આશીર્વાદ માંગ્યા હતા. શ્રી મોદીએ વિશ્વાસ અપાવ્યો હતો કે, "હું તમને ખાતરી આપું છું કે તમારો અનામતનો અધિકાર હકીકત બને તે સુનિશ્ચિત કરવામાં હું કોઈ કસર બાકી રાખીશ નહીં."

 

મહિલા સશક્તિકરણની પરિવર્તનકારી શક્તિ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે જ્યારે ઘરની મહિલા સશક્ત બને છે ત્યારે આખો પરિવાર મજબૂત બને છે, જે બદલામાં સમાજ અને દેશને મજબૂત બનાવે છે. ભારતીય મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા ઐતિહાસિક અવરોધોને યાદ કરતા પ્રધાનમંત્રીએ ક્ષમતા, જરૂરિયાત અને મર્યાદા વિશે પૂછવામાં આવતા નકારાત્મક પ્રશ્નોનો ઉલ્લેખ કર્યો જે પેઢીઓથી દીકરીઓએ સહન કર્યા છે. તેમણે સ્વીકાર્યું કે આવો ભેદભાવ માત્ર કાશી પૂરતો સીમિત નથી પણ સમગ્ર દેશમાં પ્રવર્તતો હતો અને સમાજે આ અન્યાયને સામાન્ય માની લીધો હતો. શ્રી મોદીએ ભારપૂર્વક કહ્યું, "આ અવરોધોને કુદરતી વ્યવસ્થા તરીકે સ્વીકારી લેવામાં આવ્યા હતા, અને આ હવે બદલાવું જ જોઈએ."

પછાત માનસિકતાને તોડવાની તેમની પ્રતિબદ્ધતાને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 25 વર્ષ પહેલા જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે દીકરીઓ માટે બે અગ્રણી યોજનાઓ શરૂ કરી હતી: વધુમાં વધુ કન્યાઓ શાળાએ જાય તે માટે 'શાળા પ્રવેશોત્સવ' અને તેમની ફીમાં મદદ કરવા માટે 'મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ'. શ્રી મોદીએ નોંધ્યું, "ત્યારથી આજ સુધી, અમારી સરકારની નીતિઓમાં મહિલા કલ્યાણને સતત સર્વોચ્ચ અગ્રિમતા આપવામાં આવી છે."

2014 થી ચાલી રહેલી સર્વગ્રાહી કલ્યાણકારી પહેલોની વિગતો આપતા પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું કે 12 કરોડથી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા, 30 કરોડથી વધુ બહેનોના બેંક ખાતા ખોલવામાં આવ્યા, 2.5 કરોડથી વધુ ઘરોમાં વીજળી કનેક્શન આપવામાં આવ્યા અને 12 કરોડથી વધુ ઘરો સુધી નળનું પાણી પહોંચ્યું. સુકન્યા સમૃદ્ધિ યોજના, મુદ્રા યોજના, માતૃ વંદના યોજના અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ દ્વારા બહેનો અને દીકરીઓને રાષ્ટ્રીય વિકાસના કેન્દ્રમાં રાખવામાં આવી છે.

કાશીમાં એક સફળ અભિયાનને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બે વર્ષ પહેલા માત્ર એક મહિનામાં 27,000 છોકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા હતા. આ યોજનાએ કન્યાઓના શિક્ષણને મજબૂત બનાવ્યું છે જ્યારે મુદ્રા યોજનાએ તેમની કમાણી સુનિશ્ચિત કરી છે. પીએમ આવાસ યોજના દ્વારા પ્રથમ વખત કરોડો બહેનોના નામે મિલકત નોંધણી થઈ છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી, "આજે અમારી માતાઓ અને બહેનો ખરેખર તેમના ઘરની માલિક બની રહી છે."

સુવિધા અને સુરક્ષાને સશક્તિકરણનો પાયો ગણાવતા પ્રધાનમંત્રીએ યુપીની વર્તમાન પરિસ્થિતિની ભૂતકાળ સાથે સરખામણી કરી જ્યારે છોકરીઓ માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હતું. 'ભારતીય ન્યાય સંહિતા'એ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં ઝડપી નિર્ણયો સાથે નવો વિશ્વાસ પૂરો પાડ્યો છે, જ્યારે મહિલા પોલીસ સ્ટેશનો અને કાઉન્સેલિંગ સેન્ટરોનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું, "દીકરીઓ પ્રત્યે ખોટી દાનત રાખનાર કોઈપણ હવે સારી રીતે જાણે છે કે તેમના નસીબમાં શું લખ્યું છે."

 

આર્થિક સશક્તિકરણના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ નોંધ્યું કે છેલ્લા 11 વર્ષમાં લગભગ 10 કરોડ મહિલાઓ સ્વ-સહાય જૂથો (SHG) સાથે જોડાઈ છે, જેમાં કાશીની લગભગ 1.25 લાખ બહેનો સામેલ છે. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે અત્યાર સુધીમાં 3 કરોડ બહેનો 'લખપતિ દીદી' બની છે, જેમાં બનારસની હજારો બહેનોનો સમાવેશ થાય છે.

ડેરી ક્ષેત્રના યોગદાન વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ બનાસ ડેરી સાથે સંકળાયેલી લાખો બહેનોને અભિનંદન આપ્યા જેમને આજે સીધા બોનસ તરીકે ₹106 કરોડ મળ્યા છે. તેમણે બેન્કિંગ સખી, ઇન્શ્યોરન્સ સખી, કૃષિ સખી અને 'નમો ડ્રોન દીદી' જેવી પહેલો દ્વારા મહિલાઓને પરિવર્તન લાવનાર (change-makers) ગણાવી હતી. આ ઉપરાંત સેના, નૌકાદળ, વાયુસેના અને સૈનિક શાળાઓમાં દીકરીઓ માટે નવા માર્ગો ખુલ્યા છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે નવા સંસદ ભવનનું નિર્માણ કરવા પાછળનું એક મુખ્ય કારણ બહેનોની ભાગીદારી વધારવાનો વિચાર હતો. નવી સંસદ બન્યા પછીનું પ્રથમ કાર્ય 2023 માં 'નારી શક્તિ વંદન અધિનિયમ' પસાર કરવાનું હતું, જે 40 વર્ષથી અટવાયેલા મહિલાઓ માટેના 33 ટકા અનામતની જોગવાઈ કરે છે. શ્રી મોદીએ કહ્યું, "હવે એ જરૂરી છે કે આ કાયદો વહેલી તકે અમલમાં આવે."

 

તાજેતરની સંસદીય કાર્યવાહી અંગે નિરાશા વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું કે વધુ મહિલાઓને વિધાનસભા અને સંસદમાં પહોંચવા માટે સક્ષમ બનાવવા માટે બંધારણીય સુધારો લાવવામાં આવ્યો હતો. તેમણે આસામ, કેરળ, પુડુચેરી, બંગાળ અને તમિલનાડુમાં મહિલાઓ દ્વારા થયેલા રેકોર્ડ મતદાન તરફ પણ ઈશારો કર્યો હતો.

"નાગરિક દેવો ભવ" ના મંત્ર સાથે પ્રધાનમંત્રીએ શિક્ષણ, કમાણી, આરોગ્ય સંભાળ, સિંચાઈ અને ફરિયાદ નિવારણને ટોચની અગ્રિમતા ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે ગંગા પર બની રહેલો 'સિગ્નેચર બ્રિજ' પૂર્વાંચલની કનેક્ટિવિટીને મજબૂત બનાવશે. ઉત્તર અને પૂર્વ ભારત માટે કાશીના હેલ્થ હબ તરીકેના ઉદભવ વિશે વાત કરતા તેમણે 500 બેડની મલ્ટી-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને 100 બેડના ક્રિટિકલ કેર બ્લોકનો ઉલ્લેખ કર્યો હતો.

 

કાશીના સર્વગ્રાહી વિકાસની યાદી આપતા પ્રધાનમંત્રીએ ગંગાની સફાઈ, ઘાટોનો વિકાસ, ખેડૂતો માટે સંગ્રહ સુવિધાઓ, વૃદ્ધાશ્રમ અને મહિલા હોસ્ટેલ જેવી પહેલો ગણાવી હતી. તેમણે સંત કબીર સ્થલીના વિકાસ અને નગવા ખાતે સંત રવિદાસ પાર્કના પુનઃસંગ્રહને વારસાની જાળવણીના અભિયાનના અભિન્ન અંગ ગણાવ્યા હતા.

 

કાશીની શાશ્વત પ્રકૃતિ અને ચાલી રહેલા વિકાસ અભિયાન વચ્ચે સામ્યતા દર્શાવતા પ્રધાનમંત્રીએ તેમના સંબોધનના અંતે આશીર્વાદ બદલ જનમેદનીનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ ભારપૂર્વક કહ્યું, "આપણી કાશી અવિનાશી છે અને સતત ચાલતી રહે છે, તેવી જ રીતે વિકાસનું આ અભિયાન પણ સતત ગતિશીલ છે."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
‘Modi Govt’s 12 years are transformational for industry’

Media Coverage

‘Modi Govt’s 12 years are transformational for industry’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 જૂન 2026
June 12, 2026

Breaking Barriers, Building Bharat: PM Modi’s Historic Push for Gender Equality and Inclusive Growth