પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના અમરાવતીમાં 58,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કર્યું કે તેઓ અમરાવતીની પવિત્ર ભૂમિ પર ઉભા રહીને માત્ર એક શહેર જ નહીં પરંતુ એક સ્વપ્ન સાકાર થતું જુએ છે - એક નવી અમરાવતી, એક નવી આંધ્ર. "અમરાવતી એક એવી ભૂમિ છે જ્યાં પરંપરા અને પ્રગતિ એકસાથે ચાલે છે, તેના બૌદ્ધ વારસાની શાંતિ અને વિકસિત ભારતનું નિર્માણ કરવાની ઉર્જા બંનેને સ્વીકારે છે", પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી. તેમણે ઉમેર્યું કે આજે, પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે અને આ પ્રોજેક્ટ્સ ફક્ત કોંક્રિટ માળખાઓ વિશે નથી પરંતુ આંધ્રપ્રદેશની આકાંક્ષાઓ અને વિકાસ માટેના ભારતના દ્રષ્ટિકોણનો મજબૂત પાયો છે. પ્રધાનમંત્રી મોદીએ ભગવાન વીરભદ્ર, ભગવાન અમરાલિંગેશ્વર અને તિરુપતિ બાલાજીને પ્રાર્થના કરીને આંધ્રપ્રદેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
ઇન્દ્ર લોકની રાજધાની એક સમયે અમરાવતી તરીકે ઓળખાતી હતી અને હવે અમરાવતી આંધ્રપ્રદેશની રાજધાની છે તે વાતની નોંધ લઈને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આ માત્ર સંયોગ નથી. પરંતુ 'સ્વર્ણ આંધ્ર' ના નિર્માણ માટે એક સકારાત્મક સંકેત છે. જે ભારતના વિકાસના માર્ગને મજબૂત બનાવશે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે અમરાવતી 'સ્વર્ણ આંધ્ર'ના વિઝનને ઉર્જા આપશે. તેને પ્રગતિ અને પરિવર્તનનું કેન્દ્ર બનાવશે. "અમરાવતી માત્ર એક શહેર નથી, તે એક શક્તિ છે, તે એવી શક્તિ છે જે આંધ્રપ્રદેશને આધુનિક રાજ્યમાં પરિવર્તિત કરશે અને એક એવી શક્તિ છે જે આંધ્રપ્રદેશને એક અદ્યતન રાજ્યમાં પરિવર્તિત કરશે", શ્રી મોદીએ તેલુગુમાં જણાવ્યું હતું.
અમરાવતીને એક એવા શહેર તરીકે કલ્પના કરતા જ્યાં આંધ્રપ્રદેશના યુવાનોના સપના સાકાર થશે, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આગામી વર્ષોમાં, અમરાવતી માહિતી ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા, ગ્રીન એનર્જી, સ્વચ્છ ઉદ્યોગ, શિક્ષણ અને આરોગ્યસંભાળમાં અગ્રણી શહેર તરીકે ઉભરી આવશે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે કેન્દ્ર સરકાર આ ક્ષેત્રોમાં વિકાસને વેગ આપવા માટે જરૂરી માળખાગત સુવિધાઓ ઝડપથી વિકસાવવામાં રાજ્ય સરકારને સંપૂર્ણ સમર્થન આપી રહી છે.

શ્રી મોદીએ શ્રી ચંદ્રાબાબુ નાયડુની ભવિષ્યની ટેકનોલોજીને મોટા પાયે કલ્પના કરવા અને તેને ઝડપથી અમલમાં મૂકવા બદલ તેમની કુશળતાની પ્રશંસા કરી હતી. તેમણે યાદ કર્યું કે 2015 માં, તેમને પ્રજા રાજધાની માટે શિલાન્યાસ કરવાનો સૌભાગ્ય મળ્યું હતું. તેમણે ભાર મૂક્યો કે વર્ષોથી, કેન્દ્ર સરકારે અમરાવતીના વિકાસ માટે વ્યાપક સમર્થન આપ્યું છે. મૂળભૂત માળખાગત સુવિધાઓ માટે તમામ જરૂરી પગલાં સુનિશ્ચિત કર્યા છે. તેમણે ટિપ્પણી કરી કે શ્રી નાયડુના નેતૃત્વમાં, નવી રાજ્ય સરકારે વિકાસના પ્રયાસોને વેગ આપ્યો છે. તેમણે હાઇકોર્ટ, વિધાનસભા, સચિવાલય અને રાજભવન સહિતની મુખ્ય સંસ્થાઓને હવે બાંધકામ માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે તે વાત પર ભાર મૂક્યો હતો.
"એનટીઆર ગારુએ વિકસિત આંધ્રપ્રદેશની કલ્પના કરી હતી", પ્રધાનમંત્રીએ ઉદગાર કાઢ્યો, અમરાવતી અને આંધ્રપ્રદેશને વિકસિત ભારતનું વિકાસ એન્જિન બનાવવા માટે સામૂહિક પ્રયાસોનો આગ્રહ કર્યો, એનટીઆર ગારુના સ્વપ્નને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને સંબોધતા, પ્રધાનમંત્રીએ તેલુગુમાં કહ્યું કે તે આપણી જવાબદારી છે અને આપણે સાથે મળીને હાંસલ કરવું જોઈએ.
છેલ્લા 10 વર્ષોમાં ભારતે ભૌતિક, ડિજિટલ અને સામાજિક માળખાગત સુવિધાઓ પર વ્યાપકપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેના પર ભાર મૂકતા, શ્રી મોદીએ જણાવ્યું કે ભારત હવે વિશ્વના સૌથી ઝડપથી આધુનિક બનતા માળખાગત સુવિધાઓ ધરાવતા દેશોમાંનો એક છે અને આંધ્રપ્રદેશ આ પ્રગતિથી નોંધપાત્ર રીતે લાભ મેળવી રહ્યું છે. તેમણે નોંધ્યું કે આંધ્રપ્રદેશને હજારો કરોડ રૂપિયાના રોડ અને રેલ પ્રોજેક્ટ્સ ફાળવવામાં આવ્યા છે. જેનાથી તેના વિકાસમાં વેગ આવ્યો છે. "આંધ્રપ્રદેશ કનેક્ટિવિટીનો એક નવો યુગ જોઈ રહ્યું છે. જે જિલ્લા-થી-જિલ્લા જોડાણોને વધારશે અને પડોશી રાજ્યો સાથે જોડાણમાં સુધારો કરશે", તેમણે ભાર મૂક્યો કે ખેડૂતોને મોટા બજારો સુધી પહોંચવામાં સરળતા રહેશે અને ઉદ્યોગોને સુધારેલી લોજિસ્ટિકલ કાર્યક્ષમતાથી લાભ થશે. શ્રી મોદીએ એ પણ ભાર મૂક્યો કે પ્રવાસન અને યાત્રાધામ ક્ષેત્રો પણ ગતિ પકડશે. જેનાથી મુખ્ય ધાર્મિક ક્ષેત્રો વધુ સુલભ થશે. તેમણે રેનીગુંટા-નૈદુપેતા હાઇવેનું ઉદાહરણ આપતા કહ્યું કે તે તિરુપતિ બાલાજી મંદિર સુધી પહોંચવામાં નોંધપાત્ર રીતે સરળતા લાવશે. જેનાથી ભક્તો ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન કરી શકશે.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે જે દેશોએ ઝડપથી વિકાસ કર્યો છે તેમણે તેમના રેલ્વે નેટવર્કને ખૂબ મહત્વ આપ્યું છે. તેમણે ભાર મૂક્યો કે છેલ્લો દાયકા ભારતીય રેલ્વે માટે પરિવર્તનનો સમય રહ્યો છે. જેમાં ભારત સરકારે આંધ્રપ્રદેશમાં રેલ્વે વિકાસ માટે રેકોર્ડ ભંડોળ ફાળવ્યું છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે 2009 અને 2014 વચ્ચે, આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે સંયુક્ત રેલ્વે બજેટ ₹900 કરોડથી ઓછું હતું. જ્યારે આજે, એકલા આંધ્રપ્રદેશનું રેલ્વે બજેટ ₹9,000 કરોડથી વધુ છે. જે દસ ગણાથી વધુનો વધારો દર્શાવે છે. "વધારેલા રેલ્વે બજેટ સાથે, આંધ્રપ્રદેશે 100% રેલ્વે વીજળીકરણ પ્રાપ્ત કર્યું છે", એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે રાજ્ય હવે આઠ જોડી આધુનિક વંદે ભારત ટ્રેનો ચલાવે છે. જેમાં અમૃત ભારત ટ્રેન પણ છે, જે આંધ્રપ્રદેશમાંથી પસાર થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 10 વર્ષોમાં રાજ્યભરમાં 750 થી વધુ રેલ ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવામાં આવ્યા છે. વધુમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આંધ્રપ્રદેશમાં 70 થી વધુ રેલ્વે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે, જે મુસાફરો માટે વિશ્વ કક્ષાનું માળખાગત સુવિધા સુનિશ્ચિત કરે છે.
માળખાગત વિકાસના ગુણાત્મક પ્રભાવને રેખાંકિત કરતા, ઉત્પાદન ક્ષેત્ર પર તેની સીધી અસર પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ નોંધ્યું કે સિમેન્ટ, સ્ટીલ અને પરિવહન સેવાઓ જેવા કાચા માલ મોટા પાયે માળખાગત પ્રોજેક્ટ્સથી નોંધપાત્ર રીતે લાભ મેળવે છે. જેનાથી અનેક ઉદ્યોગો મજબૂત બને છે. તેમણે ભાર મૂક્યો કે માળખાગત વિકાસ ભારતના યુવાનોને સીધો ફાયદો પહોંચાડે છે. વધુ રોજગારીની તકો ઉભી કરે છે. તેમણે ટિપ્પણી કરી કે આ ચાલુ માળખાગત પ્રોજેક્ટ્સ દ્વારા આંધ્રપ્રદેશમાં હજારો યુવાનો નવી નોકરીની સંભાવનાઓ મેળવી રહ્યા છે.

"વિકસિત ભારતનો પાયો ચાર મુખ્ય સ્તંભો પર ટકેલો છે - ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલા સશક્તિકરણ", પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરના તેમના ભાષણમાં આપેલા નિવેદનનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ભાર મૂક્યો કે આ સ્તંભો તેમની સરકારની નીતિઓમાં કેન્દ્રસ્થાને રહે છે. જેમાં ખેડૂતોના કલ્યાણને ખાસ પ્રાથમિકતા આપવામાં આવે છે. તેમણે ભાર મૂક્યો કે ખેડૂતો પરનો નાણાકીય બોજ ઘટાડવા માટે, ભારત સરકારે છેલ્લા 10 વર્ષમાં સસ્તા ખાતરો પૂરા પાડવા માટે લગભગ ₹12 લાખ કરોડ ખર્ચ્યા છે. તેમણે ટિપ્પણી કરી કે હજારો નવી અને અદ્યતન બીજ જાતો ખેડૂતોને વિતરણ કરવામાં આવી છે. જેનાથી કૃષિ ઉત્પાદકતામાં વધારો થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે પીએમ ફસલ વીમા યોજના હેઠળ, આંધ્રપ્રદેશના ખેડૂતોને ₹5,500 કરોડના દાવાની પતાવટ મળી છે. વધુમાં, પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ, ₹17,500 કરોડથી વધુની રકમ આંધ્રપ્રદેશના લાખો ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી છે. જે તેમની આજીવિકા માટે નાણાકીય સહાય સુનિશ્ચિત કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ભારત દેશભરમાં સિંચાઈ પ્રોજેક્ટ્સનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે. સાથે સાથે દરેક ખેતર સુધી પાણી પહોંચે અને ખેડૂતોને પાણીની અછતનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા માટે નદી-જોડાણ પહેલ શરૂ કરી રહ્યું છે તેના પર ભાર મૂકતા, શ્રી મોદીએ કહ્યું કે નવી રાજ્ય સરકારની રચના સાથે, પોલાવરમ પ્રોજેક્ટને નવી ગતિ મળી છે. તેમણે જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશના લાખો લોકો આ પ્રોજેક્ટ દ્વારા તેમના જીવનમાં પરિવર્તન જોશે. તેમણે પુનઃપુષ્ટિ કરી કે તેમની સરકાર પોલાવરમ પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારને સંપૂર્ણ સમર્થન આપી રહી છે.
ભારતને દાયકાઓથી અવકાશ મહાસત્તા તરીકે સ્થાપિત કરવામાં આંધ્રપ્રદેશની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રીહરિકોટાથી શરૂ કરાયેલ દરેક મિશન લાખો ભારતીયોને ગર્વથી ભરી દે છે. દેશના યુવાનોને અવકાશ સંશોધન તરફ પ્રેરણા આપે છે. તેમણે ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટા વિકાસની જાહેરાત કરી, એમ કહીને કે એક નવી સંરક્ષણ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે DRDOની નવી મિસાઇલ પરીક્ષણ શ્રેણીનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે નાગાયલંકામાં નવ દુર્ગા પરીક્ષણ શ્રેણી ભારતની સંરક્ષણ ક્ષમતાઓ માટે બળ ગુણક તરીકે સેવા આપશે. જે મા દુર્ગાની દૈવી શક્તિમાંથી શક્તિ મેળવશે. તેમણે આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ માટે દેશના વૈજ્ઞાનિકો અને આંધ્રપ્રદેશના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

"ભારતની શક્તિ ફક્ત તેના શસ્ત્રોમાં જ નહીં પરંતુ તેની એકતામાં રહેલી છે", પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એકતાની આ ભાવનાને દેશભરના શહેરોમાં સ્થાપિત થઈ રહેલા એકતા મોલ્સ દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવી છે. તેમણે જાહેરાત કરી કે વિશાખાપટ્ટનમમાં ટૂંક સમયમાં પોતાનો એકતા મોલ હશે. જ્યાં ભારતભરના કારીગરો અને હસ્ત કલાના કલાકારો તેમના ઉત્પાદનો એક છત નીચે પ્રદર્શિત કરશે. તેમણે નોંધ્યું હતું કે આ મોલ્સ લોકોને ભારતની સમૃદ્ધ વિવિધતા સાથે જોડશે, સાથે સાથે સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને "એક ભારત, શ્રેષ્ઠ ભારત" વિઝનને મજબૂત બનાવશે.
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે આ વર્ષે આંધ્રપ્રદેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન)ની 10મી આવૃત્તિની ઉજવણી કરવામાં આવશે અને તેઓ પણ તેમાં હાજરી આપશે. તેમણે લોકોને આગામી 50 દિવસમાં યોગ પર વધુ પ્રવૃત્તિઓ કરવા અને વિશ્વ વિક્રમ સ્થાપવા વિનંતી કરી હતી. આંધ્રપ્રદેશમાં સ્વપ્ન જોનારાઓ કે સિદ્ધિઓની કમી નથી તે નોંધીને, પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્ય સાચા માર્ગ પર છે અને વિકાસ માટે યોગ્ય ગતિ પકડી છે. તેમણે આંધ્રપ્રદેશની પ્રગતિને વેગ આપવા માટે સતત ગતિ માટે વિનંતી કરી અને તેમના અટલ સમર્થનની ખાતરી આપીને સમાપન કરતા કહ્યું કે તેઓ તેમની સાથે ખભે-ખભો મિલાવીને ઊભા રહેશે.

આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી સૈયદ અબ્દુલ નઝીર, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ સહિત અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
પૃષ્ઠભૂમિ
દેશભરમાં વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશમાં 7 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિવિધ ભાગોને પહોળો કરવા, રોડ ઓવર બ્રિજ અને સબવેનું નિર્માણ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ માર્ગ સલામતીને વધુ વધારશે, રોજગારીની તકો ઉભી કરશે, તિરુપતિ, શ્રીકાલહસ્તી, માલાકોંડા અને ઉદયગિરી કિલ્લા જેવા ધાર્મિક અને પર્યટન સ્થળોને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ કનેક્ટિવિટી વધારવા અને ક્ષમતા વધારવાના હેતુથી રેલ્વે પ્રોજેક્ટ્સ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં બુગનાપલ્લે સિમેન્ટ નગર અને પન્યામ સ્ટેશનો વચ્ચે રેલ લાઇનનું ડબલિંગ, રાયલસીમા અને અમરાવતી વચ્ચે કનેક્ટિવિટી વધારવી અને ન્યૂ વેસ્ટ બ્લોક હટ કેબિન અને વિજયવાડા સ્ટેશનો વચ્ચે ત્રીજી રેલ લાઇનનું નિર્માણ સામેલ છે.
પ્રધાનમંત્રીએ 6 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ અને એક રેલ્વે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિવિધ વિભાગોને પહોળા કરવા, એલિવેટેડ કોરિડોર, હાફ ક્લોવર લીફ અને રોડ ઓવર બ્રિજનું નિર્માણ સામેલ છે. આ પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટી, આંતરરાજ્ય મુસાફરીમાં સુધારો કરશે, ભીડ ઘટાડશે અને એકંદર લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરશે. ગુંટકલ પશ્ચિમ અને મલ્લપ્પા ગેટ સ્ટેશનો વચ્ચે રેલ ઓવર રેલનું નિર્માણ માલવાહક ટ્રેનોને બાયપાસ કરવાનો અને ગુંટકલ જંકશન પર ભીડ ઘટાડવાનો હેતુ ધરાવે છે.
પ્રધાનમંત્રીએ 11240 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિધાનસભા, હાઈકોર્ટ, સચિવાલય, અન્ય વહીવટી ઇમારતો અને 5200થી વધુ પરિવારો માટે રહેઠાણની ઇમારતો સહિત અનેક માળખાકીય પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. તેમાં ટ્રંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પૂર નિવારણ પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થશે. જેમાં 320 કિમીનું વિશ્વ-સ્તરીય પરિવહન નેટવર્ક હશે જેમાં ભૂગર્ભ ઉપયોગિતાઓ અને અદ્યતન પૂર વ્યવસ્થાપન પ્રણાલીઓ હશે. જેની કિંમત 17400 કરોડ રૂપિયાથી વધુ હશે. લેન્ડ પૂલિંગ સ્કીમ માળખાગત પ્રોજેક્ટ્સ રાજધાની અમરાવતીમાં સેન્ટ્રલ મીડિયન, સાયકલ ટ્રેક અને સંકલિત ઉપયોગિતાઓથી સજ્જ 1281 કિમીના રસ્તાઓને આવરી લેશે. જેની કિંમત 29400 કરોડ રૂપિયાથી વધુ હશે.

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના નાગાયલંકા ખાતે લગભગ 1460 કરોડ રૂપિયાની કિંમતના મિસાઇલ ટેસ્ટ રેન્જનો શિલાન્યાસ પણ કર્યો. તેમાં દેશની સંરક્ષણ તૈયારીઓને વધારતા લોન્ચ સેન્ટર, ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સુવિધાઓ, સ્વદેશી રડાર, ટેલિમેટ્રી અને ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ્સનો સમાવેશ થશે.

પ્રધાનમંત્રીએ વિશાખાપટ્ટનમના મધુરવાડામાં પીએમ એકતા મોલનો શિલાન્યાસ પણ કર્યો હતો. રાષ્ટ્રીય એકીકરણને પ્રોત્સાહન આપવા, મેક ઇન ઇન્ડિયા પહેલને ટેકો આપવા, એક જિલ્લો એક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઉભી કરવા, ગ્રામીણ કારીગરોને સશક્ત બનાવવા અને સ્વદેશી ઉત્પાદનોની બજારમાં હાજરી વધારવાના ઉદ્દેશ્ય સાથે તેની કલ્પના કરવામાં આવી છે.
સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો
Amaravati is a land where tradition and progress go hand in hand. pic.twitter.com/WfRcNVXQFH
— PMO India (@PMOIndia) May 2, 2025
NTR Garu envisioned a developed Andhra Pradesh: PM @narendramodi pic.twitter.com/ZdfUl5OehZ
— PMO India (@PMOIndia) May 2, 2025
India is now among the countries where infrastructure is rapidly modernising. pic.twitter.com/irtbPjG3Hp
— PMO India (@PMOIndia) May 2, 2025
The four pillars of Viksit Bharat... pic.twitter.com/LK2dbmdG3f
— PMO India (@PMOIndia) May 2, 2025
Boosting India's defence capabilities. pic.twitter.com/o4vE09LLaq
— PMO India (@PMOIndia) May 2, 2025








