દેવભૂમિ ઉત્તરાખંડમાં ફરી એક વખત આવીને ધન્યતા અનુભવી રહ્યો છું: પ્રધાનમંત્રી
આ દાયકો ઉત્તરાખંડનો દાયકો બની રહ્યો છે: પ્રધાનમંત્રી
આપણા પર્યટન ક્ષેત્રને વૈવિધ્યપૂર્ણ બનાવવું, તેને બારમાસી બનાવવું ઉત્તરાખંડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે: પ્રધાનમંત્રી
ઉત્તરાખંડમાં કોઈ ઓફ સીઝન ન હોવી જોઈએ, ઉત્તરાખંડમાં દરેક સિઝનમાં પર્યટન ચાલુ રહેવું જોઈએ: પ્રધાનમંત્રી
ઉત્તરાખંડને વિકસિત રાજ્ય બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય ખાતેની અમારી સરકારો સાથે મળીને કામ કરી રહી છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડનાં હર્ષિલમાં એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી બતાવ્યા પછી વિન્ટર ટૂરિઝમ પ્રોગ્રામમાં સહભાગી થયા હતા. તેમણે મુખવામાં મા ગંગાની શિયાળુ નિવાસ સ્થાન પર પૂજા અને દર્શન પણ કર્યા હતા. જનમેદનીને સંબોધતા તેમણે માના ગામની ગમખ્વાર ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશનાં લોકો કટોકટીના આ સમયમાં એક સાથે ઊભા છે, જેણે અસરગ્રસ્ત પરિવારોને અપાર શક્તિ પ્રદાન કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "ઉત્તરાખંડની ભૂમિ, જે દેવભૂમિ તરીકે ઓળખાય છે તે આધ્યાત્મિક ઊર્જાથી તરબોળ છે અને ચાર ધામ અને અન્ય અસંખ્ય પવિત્ર સ્થળોથી સમૃદ્ધ છે." પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રદેશ જીવનદાતા મા ગંગાના શિયાળુ નિવાસસ્થાન તરીકે સેવા આપે છે. તેમણે ફરી મુલાકાત લેવાની અને લોકો અને તેમના પરિવારજનોને મળવાની તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને તેને આશીર્વાદરૂપ ગણાવી હતી. મા ગંગાની કૃપાથી જ તેમને દાયકાઓ સુધી ઉત્તરાખંડની સેવા કરવાનો લહાવો મળ્યો છે. મા ગંગાના આશીર્વાદ મને કાશી સુધી દોરી ગયા, જ્યાં હું અત્યારે સંસદસભ્ય તરીકે સેવા આપું છું. શ્રી મોદીએ કાશીમાં મા ગંગાએ તેમને બોલાવ્યા હતા એ વિધાનને યાદ કરતાં કહ્યું હતું અને તાજેતરમાં તેમને થયેલા સાક્ષાત્કારને વર્ણવ્યો હતો કે મા ગંગાએ તેમને પોતાના તરીકે અપનાવી લીધા છે. પ્રધાનમંત્રીએ તેને મા ગંગાના પોતાના બાળક પ્રત્યેનો સ્નેહ અને પ્રેમ ગણાવ્યો હતો, જે તેમને મુખવા ગામમાં તેમના માતાના ઘરે લાવ્યો હતો અને તેમને મુખિમઠ-મુખવા ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરવાનું સન્માન મળ્યું હતું. હર્ષિલની ભૂમિ પર પોતાની મુલાકાત દરમિયાન, સ્થાનિક મહિલાઓ, જેમને તેમણે "દીદી-ભુલિયા" તરીકે ઓળખાવ્યા હતા. તેમના દ્વારા દર્શાવવામાં આવેલા સ્નેહની પોતાની મધુર યાદોને વ્યક્ત કરતા શ્રી મોદીએ તેમને હર્ષિલના રાજમા અને અન્ય સ્થાનિક ઉત્પાદનો મોકલવાની તેમના વિચારશીલ ભાવો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉષ્મા, જોડાણ અને ભેટસોગાદો માટે આભાર વ્યક્ત કર્યો હતો.

 

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બાબા કેદારનાથની પોતાની મુલાકાતને યાદ કરી હતી. જ્યાં તેમણે જાહેરાત કરી હતી કે, "આ દાયકો ઉત્તરાખંડનો દાયકો બની રહેશે." તેમણે કહ્યું હતું કે, આ શબ્દોની પાછળ રહેલી તાકાત ખુદ બાબા કેદારનાથથી આવી છે. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, બાબા કેદારનાથનાં આશીર્વાદ સાથે આ વિઝન ધીમે ધીમે વાસ્તવિક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉત્તરાખંડની પ્રગતિ માટે નવા માર્ગો ખુલી રહ્યા છે એ વાત પર ભાર મૂકીને રાજ્યની રચનાની આકાંક્ષાઓ પૂર્ણ કરી રહ્યા છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ઉત્તરાખંડના વિકાસ માટે કરવામાં આવેલી કટિબદ્ધતાઓ સતત ઉપલબ્ધિઓ અને નવા સિમાચિહ્નો મારફતે સાકાર થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "શિયાળુ પ્રવાસન આ દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે, જે ઉત્તરાખંડની આર્થિક સંભવિતતાનો ઉપયોગ કરવામાં મદદ કરે છે." તેમણે ઉત્તરાખંડ સરકારને આ નવીન પ્રયાસ બદલ અભિનંદન આપ્યાં હતાં તથા રાજ્યની પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ઉત્તરાખંડ માટે પર્યટન ક્ષેત્રને એક વર્ષભરની પ્રવૃત્તિમાં વિવિધતા લાવવી અને તેને એક વર્ષભરની પ્રવૃત્તિ બનાવવી મહત્ત્વપૂર્ણ અને આવશ્યક છે. ઉત્તરાખંડમાં કોઈ "ઓફ-સિઝન" ન હોવી જોઈએ અને દરેક ઋતુમાં પ્રવાસન ખીલવું જોઈએ. અત્યારે પર્વતોમાં મોસમી પર્યટન છે, જેમાં માર્ચ, એપ્રિલ, મે અને જૂન દરમિયાન પ્રવાસીઓનો નોંધપાત્ર પ્રવાહ જોવા મળે છે. પછીથી પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થાય છે. જેના કારણે શિયાળા દરમિયાન મોટાભાગની હોટલો, રિસોર્ટ્સ અને હોમસ્ટે ખાલી પડે છે. આ અસંતુલન ઉત્તરાખંડમાં વર્ષના મોટા ભાગ માટે આર્થિક સ્થિરતા તરફ દોરી જાય છે અને પર્યાવરણ માટે પડકારો પણ ઉભા કરે છે."

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "શિયાળા દરમિયાન ઉત્તરાખંડની મુલાકાત લેવાથી દેવભૂમિની દિવ્ય આભાની સાચી ઝાંખી થાય છે." શ્રી મોદીએ આ વિસ્તારમાં શિયાળુ પ્રવાસન પ્રદાન કરે છે તેવી ટ્રેકિંગ અને સ્કીઇંગ જેવી પ્રવૃત્તિઓનો રોમાંચ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં ધાર્મિક યાત્રાઓ માટે શિયાળો વિશેષ મહત્વ ધરાવે છે. જેમાં આ સમય દરમિયાન ઘણાં પવિત્ર સ્થળો વિશિષ્ટ ધાર્મિક વિધિઓનું આયોજન કરે છે. તેમણે મુખવા ગામમાં ધાર્મિક વિધિઓને આ ક્ષેત્રની પ્રાચીન અને નોંધપાત્ર પરંપરાઓના અભિન્ન ભાગ તરીકે ધ્યાન દોર્યું. ઉત્તરાખંડ સરકારનું વર્ષભરનાં પ્રવાસન માટેનું વિઝન લોકોને દૈવી અનુભવો સાથે જોડાવાની તકો પ્રદાન કરશે. આ પહેલથી વર્ષભર રોજગારીની તકોનું સર્જન થશે, જેનાથી ઉત્તરાખંડની સ્થાનિક વસતિ અને યુવાનોને નોંધપાત્ર લાભ થશે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કેન્દ્ર અને રાજ્યની આપણી સરકારો ઉત્તરાખંડને વિકસિત રાજ્ય બનાવવા માટે સાથે મળીને કામ કરી રહી છે." પ્રધાનમંત્રીએ છેલ્લાં દાયકામાં હાંસલ થયેલી નોંધપાત્ર પ્રગતિ પર વાત કરતાં કહ્યું હતું કે, રાજ્યમાં ચાર ધામ ઓલ-વેધર રોડ, આધુનિક એક્સપ્રેસવે અને રેલવે, હવાઈ અને હેલિકોપ્ટર સેવાઓનાં વિસ્તરણનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટ અને હેમકુંડ રોપ-વે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. કેદારનાથ રોપ-વેથી પ્રવાસનો સમય 8થી 9 કલાકથી ઘટીને આશરે 30 મિનિટ થઈ જશે. જે આ પ્રવાસને વધારે સુલભ બનાવશે, ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે. આ રોપ-વે પ્રોજેક્ટ્સમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. તેમણે ઉત્તરાખંડ અને સમગ્ર રાષ્ટ્રને આ પરિવર્તનકારી પહેલો માટે અભિનંદન પાઠવ્યા હતા.

પહાડોમાં ઇકો-લોગ હટ્સ, કન્વેન્શન સેન્ટર્સ અને હેલિપેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકતા શ્રી મોદીએ કહ્યું હતું કે, "ટિમર-સૈન મહાદેવ, માના ગામ અને જાડુંગ ગામ જેવા સ્થળોએ પ્રવાસન માળખાગત સુવિધાઓનો નવો વિકાસ થઈ રહ્યો છે." તેમણે ઉમેર્યું હતું કે, સરકારે વર્ષ 1962માં માના અને જાડુંગ જેવા અગાઉ ખાલી થયેલા ગામડાઓને પુનઃસ્થાપિત કરવા માટે કામ કર્યું છે. આનાં પરિણામે છેલ્લાં એક દાયકામાં ઉત્તરાખંડમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2014 અગાઉ દર વર્ષે સરેરાશ 18 લાખ યાત્રાળુઓ ચાર ધામ યાત્રાની મુલાકાત લેતા હતા, જે હવે વધીને દર વર્ષે આશરે 50 લાખ યાત્રાળુઓ થઈ ગયા છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, ચાલુ વર્ષના અંદાજપત્રમાં 50 પ્રવાસન સ્થળો વિકસાવવાની જોગવાઈઓ સામેલ છે. જેમાં આ સ્થળોએ હોટેલોને માળખાગત સુવિધાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ પહેલથી પ્રવાસીઓ માટે સુવિધાઓ વધશે અને સ્થાનિક રોજગારીની તકોને પ્રોત્સાહન મળશે.

 

ઉત્તરાખંડના સરહદી વિસ્તારોને પણ પ્રવાસનનો લાભ મળે એ સુનિશ્ચિત કરવા માટે સરકારનાં પ્રયાસો પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "એક સમયે જેને "છેવાડાનાં ગામડાંઓ" તરીકે ઓળખવામાં આવતા હતા, તેને હવે દેશનાં "પ્રથમ ગામડાં" કહેવામાં આવે છે. તેમણે તેમના વિકાસ માટે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શરૂ કરવા પર પ્રકાશ પાડ્યો હતો. જે અંતર્ગત આ વિસ્તારના 10 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેલોંગ અને જાડુંગ ગામોને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે તથા અગાઉ આ કાર્યક્રમમાંથી જાડુંગ સુધીની બાઇક રેલીને લીલી ઝંડી દેખાડવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, હોમસ્ટેનું નિર્માણ કરનારાઓને મુદ્રા યોજના હેઠળ લાભ આપવામાં આવશે. શ્રી મોદીએ ઉત્તરાખંડ સરકારનાં રાજ્યમાં હોમસ્ટેને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રશંસા કરી હતી. દાયકાઓથી માળખાગત સુવિધાઓથી વંચિત ગામડાંઓ હવે નવા હોમસ્ટે ખોલવાનાં સાક્ષી બન્યાં છે, જે પ્રવાસનને પ્રોત્સાહન આપી રહ્યાં છે અને સ્થાનિક રહેવાસીઓની આવકમાં વધારો કરી રહ્યાં છે.

દેશના ખૂણેખૂણેથી આવતા લોકોને, ખાસ કરીને યુવાનોને વિશેષ અપીલ કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે દેશના મોટા ભાગના વિસ્તારોમાં શિયાળામાં ધુમ્મસનો અનુભવ થાય છે, ત્યારે પહાડો સૂર્યપ્રકાશમાં સ્નાન કરવાનો આનંદ આપે છે. જેને એક વિશિષ્ટ કાર્યક્રમમાં પરિવર્તિત કરી શકાય છે. તેમણે ગઢવાલીમાં "ગમ તપો ટૂરિઝમ"ની વિભાવના સૂચવી હતી. જેણે શિયાળા દરમિયાન દેશભરના લોકોને ઉત્તરાખંડની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે દેવભૂમિ ઉત્તરાખંડમાં એમઆઇસીઇ ક્ષેત્રની વિશાળ ક્ષમતા પર ભાર મૂકીને આ વિસ્તારમાં બેઠકો, સંમેલનો અને પ્રદર્શનોનું આયોજન કરીને શિયાળુ પ્રવાસનમાં સહભાગી થવા ખાસ કરીને કોર્પોરેટ જગતને અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઉત્તરાખંડ પ્રવાસીઓ માટે યોગ અને આયુર્વેદ મારફતે રિચાર્જ થવાની અને પુનઃ ઊર્જાવાન બનવાની તકો ઉપલબ્ધ કરાવે છે. તેમણે યુનિવર્સિટીઓ, ખાનગી શાળાઓ અને કોલેજોને વિદ્યાર્થીઓની શિયાળુ યાત્રાઓ માટે ઉત્તરાખંડને ધ્યાનમાં લેવાની અપીલ પણ કરી હતી.

હજારો કરોડનાં મૂલ્યનાં લગ્નનાં અર્થતંત્રનાં નોંધપાત્ર પ્રદાન તરફ આંગળી ચીંધીને પ્રધાનમંત્રીએ દેશનાં લોકોને "ભારતમાં લગ્ન કરવા" અપીલનો પુનરોચ્ચાર કર્યો હતો તથા ઉત્તરાખંડને શિયાળુ લગ્નો માટેનાં સ્થળ તરીકે પ્રાથમિકતા આપવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ભારતીય ફિલ્મ ઉદ્યોગ પાસેથી પણ પોતાની અપેક્ષાઓ વ્યક્ત કરી હતી અને નોંધ્યું હતું કે ઉત્તરાખંડને "મોસ્ટ ફિલ્મ-ફ્રેન્ડલી સ્ટેટ"નું બિરુદ આપવામાં આવ્યું છે. તેમણે આ વિસ્તારમાં આધુનિક સુવિધાઓના ઝડપી વિકાસ પર ભાર મૂક્યો હતો, જે ઉત્તરાખંડને શિયાળા દરમિયાન ફિલ્મના શૂટિંગ માટે એક આદર્શ સ્થળ બનાવે છે.

 

શ્રી મોદીએ કેટલાક દેશોમાં શિયાળુ પ્રવાસનની લોકપ્રિયતા પર ભાર મૂક્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ તેના પોતાના શિયાળુ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે તેમના અનુભવોમાંથી શીખી શકે છે. તેમણે ઉત્તરાખંડનાં પ્રવાસન ક્ષેત્રનાં તમામ હિતધારકોને અપીલ કરી હતી, જેમાં હોટેલ્સ અને રિસોર્ટ સામેલ છે, તેઓ આ દેશોનાં મોડલનો અભ્યાસ કરે. તેમણે ઉત્તરાખંડ સરકારને આવા અભ્યાસોમાંથી તારવેલા કાર્યવાહી યોગ્ય મુદ્દાઓને સક્રિયપણે અમલમાં મૂકવા હાકલ કરી છે. તેમણે સ્થાનિક પરંપરાઓ, સંગીત, નૃત્ય અને ભોજનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઉત્તરાખંડનાં ગરમ ઝરણાંઓને વેલનેસ સ્પામાં વિકસાવી શકાય છે અને શાંત, બરફથી આચ્છાદિત વિસ્તારો શિયાળુ યોગ વિરામનું આયોજન કરી શકે છે. તેમણે યોગગુરુઓને ઉત્તરાખંડમાં દર વર્ષે યોગ શિબિરનું આયોજન કરવા અપીલ કરી હતી. તેમણે ઉત્તરાખંડ માટે એક વિશિષ્ટ ઓળખ સ્થાપિત કરવા શિયાળાની રૂતુમાં વિશેષ વન્યપ્રાણી સફારીનું આયોજન કરવાનું સૂચન પણ કર્યું હતું. તેમણે 360 ડિગ્રી અભિગમ અપનાવવા અને આ લક્ષ્યાંકો હાંસલ કરવા દરેક સ્તરે કામ કરવા પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુવિધાઓ વિકસાવવાની સાથે-સાથે જાગૃતિ ફેલાવવી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે તથા તેમણે દેશના યુવાન કન્ટેન્ટ ક્રિએટર્સને ઉત્તરાખંડની શિયાળુ પ્રવાસન પહેલને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અપીલ કરી હતી. પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં કન્ટેન્ટ સર્જકોના નોંધપાત્ર પ્રદાનનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ ઉત્તરાખંડમાં નવા સ્થળોની શોધ કરવા અને લોકો સાથે તેમના અનુભવો વહેંચવા અપીલ કરી હતી. ઉત્તરાખંડમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કન્ટેન્ટ સર્જકો દ્વારા શોર્ટ ફિલ્મો બનાવવાની સ્પર્ધા યોજવા રાજ્ય સરકારને સૂચન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કરીને અંતમાં જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં આ ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિ થશે અને ઉત્તરાખંડને વર્ષભરના પ્રવાસન અભિયાન માટે અભિનંદન પાઠવ્યા હતા.

 

ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી શ્રી અજય ટમ્ટા સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

પાર્શ્વભાગ

ઉત્તરાખંડ સરકારે આ વર્ષે વિન્ટર ટૂરિઝમ પ્રોગ્રામ શરૂ કર્યો છે. ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, અને બદ્રીનાથની શિયાળુ નિવાસ સ્થાન પર હજારો શ્રદ્ધાળુઓ જઈ ચૂક્યા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક અર્થતંત્ર, હોમસ્ટે, પર્યટન વ્યવસાયો વગેરેને વેગ આપવાનો છે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Labour reforms: Govt fully operationalises four new codes by publishing rules

Media Coverage

Labour reforms: Govt fully operationalises four new codes by publishing rules
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister meets Andhra Pradesh Chief Minister Shri N. Chandrababu Naidu and his family in Hyderabad
May 10, 2026

The Prime Minister, Shri Narendra Modi met the Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu, and his family at his residence in Hyderabad today.

The Prime Minister said that it is always a delight to meet Shri Chandrababu Naidu and his family and exchange views on a wide range of subjects and diverse topics.

The Prime Minister wrote on X;

“In Hyderabad, went to Andhra Pradesh Chief Minister Shri Chandrababu Naidu Garu’s residence and met him along with his family. It’s always a delight to meet them and exchange views on so many diverse topics.

@ncbn”