મારા વ્હાલા દેશવાસીઓ,

હું આખો દિવસ પંજાબમાં હતો અને દિલ્હી પહોંચ્યા પછી મને મન થતુ હતું કે તમારી સાથે પણ કંઇક સંવાદ કરું. આજે સર્વોચ્ચ અદાલતે એક એવા મહત્વપૂર્ણ મામલે ચુકાદો સંભળાવ્યો છે, જેની પાછળ સેંકડો વર્ષોનો ઇતિહાસ છે. સંપૂર્ણ દેશની એવી ઈચ્છા હતી કે આ મામલાની અદાલતમાં દરરોજ સુનાવણી થાય, જે થઇ અને આજે નિર્ણય આવી ચુક્યો છે. દાયકાઓ સુધી ચાલેલી ન્યાયપ્રક્રિયાનું હવે સમાપન થયું છે.

સાથીઓ,

સંપૂર્ણ દુનિયા એ તો માને જ છે કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આજે દુનિયાએ એ પણ જાણી લીધું છે કે, ભારતની લોકશાહી કેટલી જીવંત અને મજબૂત છે. નિર્ણય આવ્યા બાદ જે રીતે દરેક વર્ગે, દરેક સમુદાયે, દરેક પંથના લોકોએ, સંપૂર્ણ દેશે ખુલ્લા દિલે એનો સ્વિકાર કર્યો છે, તે ભારતની પુરાતન સંસ્કૃતિ, પરંપરાઓ અને સદભાવની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

ભાઈઓ અને બહેનો,

ભારત જેના માટે ઓળખાય છે – વિવિધતામાં એકતા, આજે આ મંત્ર પોતાની પૂર્ણતાની સાથે ચરિતાર્થ થતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. હજારો વર્ષો બાદ પણ કોઈને વિવિધતામાં એકતા, ભારતના આ પ્રાણતત્વને સમજવું હશે તો તે આજના ઐતિહાસિક દિવસનો, આજની ઘટનાનો જરૂર ઉલ્લેખ કરશે અને આ ઘટના ઇતિહાસના પાના પરથી લીધેલી નથી સવાસો કરોડ દેશવાસીઓ પોતે આજે એક નવો ઇતિહાસ રચી રહ્યા છે, ઇતિહાસની અંદર એક નવું પાનું જોડી રહ્યાં છે.

સાથીઓ,

ભારતની ન્યાયપાલિકાના ઈતિહાસમાં પણ આજનો આ દિવસ એક સ્વર્ણિમ અધ્યાય જેવો છે. આ વિષય પર સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે બધાને સાંભળ્યા હશે, ખૂબ ધીરજથી સાંભળ્યા અને દેશ માટે એ ખુશીની વાત છે કે આ નિર્ણય સર્વસંમતિથી આપ્યો. એક નાગરિક તરીકે આપણે સૌ જાણીએ છીએ કે પરિવારમાં પણ કોઇ નાની બાબતનો નિર્ણય લેવાનો હોય તો પણ કેટલી સમસ્યા થતી હોય છે. આ સહેલું કાર્ય નથી. સર્વોચ્ચ અદાલતે આ નિર્ણયની પાછળ દૃઢ ઈચ્છાશક્તિ દેખાડી છે. અને એટલા માટે, દેશના ન્યાયાધીશ, ન્યાયાલય અને આપણી ન્યાયિક પ્રણાલી અભિનંદનના અધિકારી છે.

સાથીઓ,

9 નવેમ્બર જ એ તારીખ હતી, જ્યારે બર્લિનની દિવાલ પડી હતી. બે વિપરીત ધારાઓએ એકસાથે મળીને નવો સંકલ્પ લીધો હતો. આજે 9 નવેમ્બરે જ કરતારપુર સાહિબ કૉરીડોરની પણ શરૂઆત થઇ છે. તેમાં ભારતનો પણ સહયોગ રહ્યો છે, પાકિસ્તાનનો પણ. આજે અયોધ્યા પર નિર્ણયની સાથે જ, 9 નવેમ્બરની આ તારીખ આપણને સાથે મળીને આગળ વધવાનો સંદેશ પણ આપી રહી છે. આજના દિવસનો સંદેશ જોડવાનો છે – જોડાવાનો છે અને સાથે મળીને જીવવાનો છે.

આ વિષયને લઈને ક્યાંય પણ, ક્યારેય પણ, કોઈના પણ મનમાં કડવાશ રહી હોય તો આજે તેને તિલાંજલિ આપવાનો પણ દિવસ છે.

સાથીઓ,

સર્વોચ્ચ અદાલતના આજના નિર્ણયે દેશને એ સંદેશ પણ આપ્યો છે કે અઘરામાં અઘરી બાબતનું સમાધાન બંધારણની હદમાં જ આવે છે, કાયદાની મર્યાદામાં જ આવે છે. આપણે, આ નિર્ણયથી શીખવું જોઈએ કે ભલે થોડો સમય લાગે, પરંતુ તેમ છતાં ધીરજ ધરી રાખવી એ જ હંમેશા ઉચિત છે. દરેક પરિસ્થિતિમાં ભારતના બંધારણ, ભારતની ન્યાયિક પ્રણાલી પર આપણો વિશ્વાસ અડગ રહે, તે ખૂબ મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય આપણા માટે એક નવું પ્રભાત લઈને આવ્યો છે. આ વિવાદની ભલે અનેક પેઢીઓ પર અસર થઇ હોય, પરંતુ આ નિર્ણય બાદ આપણે એ સંકલ્પ કરવો પડશે કે હવે નવી પેઢી, નવી રીતે ન્યુ ઇન્ડિયાના નિર્માણમાં લાગશે. આવો એક નવી શરૂઆત કરીએ. હવે નવા ભારતનું નિર્માણ કરીએ. આપણે આપણો વિશ્વાસ અને વિકાસ એ બાબત પર નક્કી કરવાનો છે કે મારી સાથે ચાલનાર ક્યાંક પાછળ તો નથી રહી ગયા. આપણે સૌને સાથે લઈને, સૌનો વિકાસ કરતા અને સૌનો વિશ્વાસ પ્રાપ્ત કરતા આગળ વધવાનું છે.

સાથીઓ,

રામમંદિરના નિર્માણનો ચુકાદો સર્વોચ્ચ અદાલતે આપી દીધો છે. હવે દેશના દરેક નાગરિક પર રાષ્ટ્ર નિર્માણની જવાબદારી વધારે વધી ગઈ છે. તેની સાથે જ, એક નાગરિક તરીકે આપણા સૌને માટે દેશની ન્યાયિક પ્રક્રિયાનું પાલન કરવું, નિયમ કાયદાઓનું સન્માન કરવું, એ જવાબદારી પણ વધી ગઈ છે. હવે સમાજ તરીકે, દરેક ભારતીયોએ પોતાના કર્તવ્ય અને પોતાની ફરજને પ્રાથમિકતા આપીને કામ કરવાનું છે. આપણી વચ્ચેનું સૌહાર્દ, આપણી એકતા, આપણી શાંતિ, દેશના વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આપણે ભવિષ્ય તરફ જોવાનું છે, ભવિષ્યના ભારત માટે કામ કરતા રહેવાનું છે. ભારતની સામે, પડકારો હજુ બીજા પણ છે, લક્ષ્યો બીજા પણ છે, મંજિલો પણ અનેક છે. પ્રત્યેક ભારતીય, સાથે મળીને, સાથે ચાલીને જ આ લક્ષ્યોને પ્રાપ્ત કરશે, મંજિલો સુધી પહોંચશે. હું ફરી એકવાર 9 નવેમ્બરના આ મહત્વપૂર્ણ દિવસને યાદ કરીને, આગળ વધવાનો સંકલ્પ કરીને, આપ સૌને આવનારા તહેવારોની, કાલે ઈદનો પવિત્ર તહેવાર છે, તેની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આભાર

જય હિન્દ!

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Spirituality remains key driver for travel in Asia, India ranks top: Report

Media Coverage

Spirituality remains key driver for travel in Asia, India ranks top: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 માર્ચ 2026
March 26, 2026

India’s Economy, Innovative Spirit and Global Standing Continue to Thrive with the Modi Government