સાન્તાક્રૂઝ ચેમ્બુર લિન્ક રોડ અને કુરાર અંડરપાસ પ્રોજેક્ટ એમ બે રોડ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા
"મહારાષ્ટ્રમાં રેલવે અને કનેક્ટિવિટી માટે મોટો દિવસ, કારણ કે એક જ દિવસે બે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી છે"
"આ વંદે ભારત ટ્રેનો આર્થિક કેન્દ્રોને આસ્થાનાં કેન્દ્રો સાથે જોડશે"
"વંદે ભારત ટ્રેન આધુનિક ભારતની ભવ્ય તસવીર છે"
"વંદે ભારત ટ્રેનો ભારતની ગતિ અને વ્યાપનું પ્રતિબિંબ છે"
"આ વર્ષનાં બજેટથી મધ્યમ વર્ગને મજબૂત બનાવવામાં આવ્યો છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે બે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ બે ટ્રેન મુંબઈ-સોલાપુર વંદે ભારત અને મુંબઈ-સાઈનગર શિરડી વંદે ભારત છે. તેમણે રાષ્ટ્રને બે રોડ પ્રોજેક્ટ્સ – સાંતાક્રૂઝ ચેમ્બુર લિન્ક રોડ અને કુરાર અંડરપાસ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કર્યું હતું, જેનો ઉદ્દેશ મુંબઈમાં માર્ગો પર ટ્રાફિકની ગીચતાને હળવી કરવાનો અને વાહનોની અવરજવરને સુવ્યવસ્થિત કરવાનો છે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસનાં પ્લેટફોર્મ નંબર 18 પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીએ મુંબઈ-સાઈનગર શિરડી વંદે ભારતનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ટ્રેનના ક્રૂ અને કૉચની અંદર બાળકો સાથે પણ વાતચીત કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં રેલવે માટે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં અદ્યતન કનેક્ટિવિટી માટે આ બહુ મોટો દિવસ છે, કારણ કે આ પહેલી વખત છે, જ્યારે એક જ દિવસે બે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વંદે ભારત ટ્રેનો મુંબઈ અને પૂણે જેવાં આર્થિક કેન્દ્રોને આસ્થાનાં કેન્દ્રો સાથે જોડશે, જેથી કૉલેજ, ઓફિસ, વ્યવસાય, યાત્રાધામ અને કૃષિલક્ષી ઉદ્દેશો માટે મુસાફરી કરતા લોકોને લાભ થશે. તેમણે જણાવ્યું હતું કે, શિરડી, નાસિક, ત્ર્યંબકેશ્વર અને પંચવટી જેવાં પવિત્ર સ્થળોની યાત્રા નવી વંદે ભારત ટ્રેનોથી સરળ બનશે, જે પ્રવાસન અને યાત્રાને વેગ આપશે. તેમણે જણાવ્યું હતું કે, "પંઢરપુર, સોલાપુર, અક્કલકોટ અને તુળજાપુરની યાત્રાઓને સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ સાથે વધુ સુલભ બનાવવામાં આવશે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વંદે ભારત ટ્રેન આધુનિક ભારતની ભવ્ય તસવીર છે. "આ ભારતની ઝડપ અને વ્યાપનું પ્રતિબિંબ છે." વંદે ભારત ટ્રેનની શરૂઆતની ગતિ અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં 10 વંદે ભારત  ટ્રેનો શરૂ થઈ ગઈ છે, જે દેશનાં 17 રાજ્યોના 108 જિલ્લાઓને જોડે છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, આજે શરૂ થયેલી એવી ઘણી પરિયોજનાઓ છે, જે ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતાને વધારશે.  તેમણે જણાવ્યું હતું કે, એલિવેટેડ રોડ પૂર્વ અને પશ્ચિમ ઉપનગરીય વિસ્તારોને જોડશે તથા અંડરપાસ મહત્ત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ 21મી સદીના ભારત માટે જાહેર પરિવહનમાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, કારણ કે તેનાથી નાગરિકોનું જીવન મોટા પાયે સરળ બનશે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, આધુનિક ટ્રેનો શરૂ કરવા, મેટ્રોનું વિસ્તરણ અને નવાં એરપોર્ટ્સ અને બંદરો પાછળ આ વિચારસરણી છે. બજેટ આ વિચારસરણીને પણ મજબૂત બનાવે છે, કારણ કે પહેલી વાર માત્ર માળખાગત વિકાસ માટે જ 10 લાખ કરોડ ફાળવવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આમાં રેલવેનો હિસ્સો 2.5 લાખ કરોડ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર માટેનાં રેલવે બજેટમાં પણ અભૂતપૂર્વ વધારો થયો છે અને તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ડબલ એન્જિન ધરાવતી સરકારના પ્રયાસોથી મહારાષ્ટ્રમાં કનેક્ટિવિટી ઝડપથી આગળ વધશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આ બજેટમાં મધ્યમ વર્ગને મજબૂત કરવામાં આવ્યો છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પગારદાર વર્ગ અને વેપાર-વાણિજ્યની માલિકી ધરાવતાં લોકો એમ બંનેની જરૂરિયાતોને આ વર્ષનાં બજેટમાં પૂર્ણ કરવામાં આવી છે. તેમણે નોંધ્યું હતું કે, 2 લાખ રૂપિયાથી વધારે આવક ધરાવતાં લોકો પર વર્ષ 2014 પહેલાં ટેક્સ લાગતો હતો, પરંતુ વર્તમાન સરકારે જ શરૂઆતમાં તેને વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી હતી અને હવે આ વર્ષે બજેટમાં તે વધીને 7 લાખ રૂપિયા થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જેમણે યુપીએ સરકારમાં 20 ટકા કરવેરો ભર્યો છે, તેઓ આજે શૂન્ય કરવેરાની ચુકવણી કરે છે." તેમણે એમ પણ પ્રકાશિત કર્યું કે નવી નોકરી ધરાવતા લોકો પાસે હવે વધુ બચત કરવાની તક છે.

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 'સબ કા વિકાસ સબ કા પ્રયાસો'ની ભાવનાને પ્રોત્સાહન આપતું આ બજેટ દરેક પરિવારને તાકાત આપશે અને દરેકને વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે પ્રોત્સાહિત કરશે, એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું.

આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશ્યારી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી નારાયણ રાણે, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રીઓ શ્રી રામદાસ આઠવલે અને શ્રી કપિલ મોરેશ્વર પાટીલ તથા મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

મુંબઈ-સોલાપુર વંદે ભારત ટ્રેન અને મુંબઈ-સાઈનગર શિરડી વંદે ભારત ટ્રેન એ બે ટ્રેનો છે જેને પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ ખાતે લીલી ઝંડી આપી હતી. નવા ભારત માટે બહેતર, વધારે કાર્યદક્ષ અને મુસાફરોને અનુકૂળ પરિવહન માળખું ઊભું કરવાના પ્રધાનમંત્રીનાં સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે.

મુંબઈ-સોલાપુર વંદે ભારત ટ્રેન દેશની 9મી વંદે ભારત ટ્રેન હશે. નવી વૈશ્વિક કક્ષાની ટ્રેન મુંબઈ અને સોલાપુર વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને સોલાપુરમાં સિદ્ધેશ્વર, અક્કલકોટ, તુલજાપુર, સોલાપુર નજીક પંઢરપુર અને પૂણે નજીક આલંડી જેવા મહત્વપૂર્ણ યાત્રાધામોની મુસાફરીની સુવિધા પણ આપશે.

મુંબઈ-સાઈનગર શિરડી વંદે ભારત, દેશની 10મી વંદે ભારત ટ્રેન નાસિક, ત્ર્યંબકેશ્વર, સાઈનગર શિરડી અને શનિ સિંગણાપુર જેવાં મહારાષ્ટ્રનાં મહત્વપૂર્ણ તીર્થસ્થાનો સાથે કનેક્ટિવિટીમાં સુધારો કરશે.

મુંબઈમાં માર્ગો પરની ટ્રાફિકની ગીચતાને હળવી કરવા અને વાહનોની અવરજવરને સુવ્યવસ્થિત કરવા માટે પ્રધાનમંત્રીએ સાંતાક્રૂઝ ચેમ્બુર લિન્ક રોડ (એસસીએલઆર) અને કુરાર અંડરપાસ સમર્પિત કર્યા હતા. કુર્લાથી વાકોલા અને એમટીએનએલ જંકશન, બીકેસીથી કુર્લા ખાતે એલબીએસ ફ્લાયઓવર સુધી નવનિર્મિત એલિવેટેડ કોરિડોર શહેરમાં અતિ આવશ્યક ઇસ્ટ-વેસ્ટ કનેક્ટિવિટીમાં વધારો કરશે.

આ રસ્તા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે જોડે છે, જેથી પૂર્વીય અને પશ્ચિમ ઉપનગરોને અસરકારક રીતે જોડે છે. ડબલ્યુઇએચની મલાડ અને કુરાર બાજુઓને જોડતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (ડબલ્યુઇએચ) પર ટ્રાફિકને સરળ બનાવવા માટે કુરાર અંડરપાસ મહત્ત્વપૂર્ણ છે. તે લોકોને સરળતા સાથે રસ્તો પાર કરવાની મંજૂરી આપે છે અને વાહનોને ડબ્લ્યુઇએચ પર ભારે ટ્રાફિકમાં પડ્યા વિના આગળ વધવાની છૂટ આપે છે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
The Bill to replace MGNREGS simultaneously furthers the cause of asset creation and providing a strong safety net

Media Coverage

The Bill to replace MGNREGS simultaneously furthers the cause of asset creation and providing a strong safety net
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 ડિસેમ્બર 2025
December 22, 2025

Aatmanirbhar Triumphs: PM Modi's Initiatives Driving India's Global Ascent