India has Walked the Talk; country has been identified as one of the top reformers: PM Modi
With GST, we are moving towards a modern tax regime, which is transparent, stable and predictable: PM Modi
We are particularly keen to develop India into a knowledge based, skill supported and technology driven society: PM Modi
Our mantra is reform, perform and transform. We want to do better and better: PM Modi

વિશ્વ બેંકનાં સીઇઓ મિસ ક્રિસ્ટાલિના જ્યોર્જિવા, મંત્રીમંડળમાં મારાં સાથીદારો, વરિષ્ઠ અધિકારીઓ, બિઝનેસ લીડર્સ, દેવીઓ અને સજ્જનો! 

આજે ગુરૂપર્વનો પવિત્ર પ્રસંગ છે. ગુરૂ નાનક દેવજીનું પુણ્ય સ્મરણ દેશની એકતા, સત્યનિષ્ઠા અને સત્યમય જીવન માટે પ્રેરણા આપે છે. બે વર્ષ પછી ગુરૂ નાનક દેવજીનું 550મું પ્રકાશ પર્વ ઉજવવા સંપૂર્ણ માનવજાતિને અવસર મળશે. આવા જગતગુરૂને પ્રણામ કરીને હું તમને બધાને શુભકામનાઓ આપું છું.

 

મને આજે અહીં તમારી વચ્ચે ઉપસ્થિત રહેવાની ખુશી છે. મને અહીં ઉજવણીનો મૂડ જણાય છે. વિશ્વ બેંકે વેપાર-વાણિજ્ય સરળ કરવા આપણે કરેલી કામગીરીને માન્યતા આપી છે. હવે આપણે વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં રેન્કિંગમાં ટોચનાં 100 દેશોમાં સામેલ થઈ ગયા છીએ. ત્રણ વર્ષનાં ટૂંકા ગાળામાં આપણાં રેન્કિંગ કે ક્રમમાં 42 સ્થાનનો સુધારો થયો છે.

 

આ શુભ પ્રસંગે આપણી સાથે જોડાવા બદલ મિસ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાનો હું આભાર માનું છું. આ દર્શાવે છે કે વિશ્વ બેંક વધુ શ્રેષ્ઠ સમાજ અને ઉત્તમ અર્થતંત્રનું નિર્માણ કરવા સુધારા હાથ ધરવા દુનિયાનાં દેશોને પ્રોત્સાહિત કરવા કટિબદ્ધ છે. આજે તેમની હાજરી આપણી ટીમને આગામી દિવસો અને મહિનાઓમાં વધુ સારી કામગીરી કરવા પ્રોત્સાહન પૂરૂ પાડશે.

 

છેલ્લાં ત્રણ વર્ષમાં હું સ્થાનિક અને વિદેશી રોકાણકારોને સતત જણાવું છું કે અમે ભારતમાં વેપાર-વાણિજ્ય સરળ કરવા ગંભીર પ્રયાસો કર્યા છે.

 

અને મિત્રો! ભારતે એ કામગીરી કરી દેખાડી છે.

 

ચાલુ વર્ષે ભારતે રેન્કિંગમાં હરણફાળ ભરી છે. ભારત ટોચનાં સુધારક દેશોમાંનો એક બની ગયો છે. આ માટે કામ કરનાર દરેકને અભિનંદન. તમે દેશને ગર્વ અપાવ્યું છે.

આ સુધારો મહત્ત્વપૂર્ણ છેઃ

  • કારણ કે આ દેશમાં સુશાસનનો સંકેત છે; 
  • કારણ કે આ આપણી સરકારી નીતિઓની ગુણવત્તાનું માપ છે; 
  • કારણ કે આ પારદર્શક પ્રક્રિયાનો બેન્ચમાર્ક છે; 
  • કારણ કે વેપાર-વાણિજ્ય સરળ કરવાથી જીવન પણ સરળ બને છે; 
  • અને છેવટે આ સમાજનાં લોકોની જીવન પદ્ધતિ, કાર્ય પદ્ધતિ અને વ્યવહારોમાં પ્રતિબિંબત થાય છે.

મિત્રો! 

પણ આ તમામ સંબંધિત પક્ષોનાં હિત માટે છે. મારા માટે વિશ્વ બેંકનો રિપોર્ટ એ વાત સૂચવે છે કે, પ્રતિબદ્ધતા, સમર્પણ અને મહેનતથી મોટો ફેરફાર શક્ય છે. સતત પ્રયાસો કરવાથી આપણને વધુ સુધારો કરવામાં મદદ મળી શકે છે.

 

તમે જાણો છો કે મારી પાસે બીજું કાંઈ કામ નથી. એટલે મને તેમાં પણ આગળ કામ જ દેખાય છે. મારો દેશ, મારાં દેશનાં સો કરોડ લોકો, તેમનાં જીવનમાં પરિવર્તન લાવવું અને જે અપેક્ષા દુનિયા આપણી પાસે રાખે છે, તેને પૂરી કરવામાં અમે જરાં પણ પાછી પાની કરવાનાં નથી. એની હું તમને ખાતરી આપું છું.

 

હું તમને આવું કહું છું, કારણ કે ભારત એવી સ્થિતિ પર પહોંચ્યું છે, જ્યાં સુધારો કરવો વધારે સરળ છે. અમારાં પ્રયાસો એ ગતિને આગળ વધારવાનાં છે. મેનેજમેન્ટની દ્રષ્ટિએ આપણે ઝડપથી ઉડાન ભરવા સારી એવી કામગીરી કરી લીધી છે.

 

ઉદાહરણ તરીકે, આ રિપોર્ટમાં વસ્તુ અને સેવા કર કે જીએસટીનાં અમલને ધ્યાનમાં લેવાયો નથી. તમે બધા જાણો છો કે જીએસટી ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી પરોક્ષ કરવેરાનો સૌથી મોટો સુધારો છે. તેની અસર વેપાર-વાણિજ્ય કરવાનાં ઘણાં પાસાંને અસર કરે છે. જીએસટી સાથે અમે આધુનિક કર વ્યવસ્થા તરફ આગળ વધ્યા છીએ, જે પારદર્શક અને સ્થિર છે.

અહીં વેપાર-વાણિજ્યની દુનિયા સાથે સંકળાયેલા અનેક લોકો ઉપસ્થિત છે એટલે આ માધ્યમ થકી હું કહેવા ઇચ્છું છે કે જ્યારે જીએસટીની ચર્ચા થઈ, જ્યારે અમે જીએસટીનો અમલ કરવાનો સંકલ્પ કર્યો, ત્યારે લોકોને તેનાં અમલને લઈને શંકા હતી, એક જુલાઈનાં રોજ અમલ થશે કે નહીં તેને લઈને અવઢવમાં હતાં. પણ જીએસટીનો અમલ થયો. પછી બધાને લાગ્યું કે હવે મરી ગયા. આ મોદી તેમાં કોઈ સુધારાવધારા નહીં કરે. અમે એ સમયે કહ્યું હતું કે, અમને ત્રણ મહિના આપો, જીએસટીનાં અમલ પર વિચાર કરવા દો, કારણ કે હિંદુસ્તાન વિશાળ દેશ છે અને બુદ્ધિજીવીઓ દિલ્હીમાં જ છે એવું નથી.

 

દેશનાં સામાન્ય નાગરિક પાસે પણ સમજણ છે. અમે તેને સમજીશું, શીખીશું, મુશ્કેલીઓનો તાગ મેળવીશું, માર્ગો શોધીશું. હવે ત્રણ મહિનાં પછી જુઓ. જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ. તેમાં ઘણી બાબતો સામે આવી અને તેનું સમાધાન કર્યું. કેટલીક બાબતો પર કાઉન્સિલમાં કેટલાંક રાજ્ય સહમત નથી એટલે અમે રાજ્યોનાં મંત્રીઓ અને અધિકારીઓની સમિતિ બનાવી. મને એ જણાવતાં આનંદ થાય છે કે, શબ્દશઃ રિપોર્ટ હજુ મને મળ્યો નથી, પણ મંત્રીઓની સમિતિ, જીએસટી કાઉન્સિલે જે રિપોર્ટ બનાવ્યો હતો. આ બેઠકની થોડીઘણી જાણકારી મારી પાસે છે, પૂરો રિપોર્ટ નથી. પણ હું કહી શકું કે જેટલી સમસ્યાઓ સામાન્ય વેપારીઓ રજૂ કરી હતી, તેમની પાસેથી જે સૂચનો મળ્યાં હતાં, તેમાંથી લગભગ તમામ વિષયોને  હકારાત્મક રીતે સ્વીકારમાં આવ્યાં છે. અને જીએસટી કાઉન્સિલની નવ અને દસ તારીખની બેઠકોમાં કોઈ રાજ્ય અડચણ પેદા નહીં કરે તો મને ખાતરી છે કે, ભારતનાં વેપારીજગતને ભારતની આર્થિક વ્યવસ્થાને તાકાત આપવા જે આવશ્યક સુધારા હશે તે થઈ જશે. વળી આગળ પણ કોઈ નવી સમસ્યા ઊભી થશે તો તેનું પણ સમાધાન થશે. છેવટે એક નવી વ્યવસ્થાને સ્વીકારવાની હોય છે, વર્ષો જૂની વ્યવસ્થામાંથી બહાર નીકળવાનું હોય છે. એટલે સરકારની સાથે તમામ હિતેચ્છુઓનું મગજ કામ કરે એ જરૂરી છે અને ત્યારે જ શ્રેષ્ઠ પરિણામ મળે છે. જીએસટી તેનું ઉત્તમ ઉદાહરણ છે. તમામની ભાવનાનો આદર કરીને વ્યવસ્થાઓને સરળ કેવી રીતે બનાવી શકાય એ આ જીએસટીની પ્રક્રિયાથી સમજી શકાય છે.

વિશ્વ બેંકનાં આ રિપોર્ટમાં મે, 2017 સુધી રિફોર્મ્સ કાઉન્ટ થયા છે, જ્યારે જીએસટી ત્યાર બાદ જુલાઈ, 2017થી લાગુ થયો છે. એટલે તમે અંદાજ મેળવી શકો છો કે જ્યારે વર્ષ 2018માં ચર્ચા થશે, ત્યારે અમારી આ પહેલની ગણના થવાની છે.

વળી અન્ય ઘણાં સુધારા અત્યારે થઈ ગયા છે, પણ તેને સ્થિર અને પરિપક્વ થવા દેવા માટે સમયની જરૂર છે, વિશ્વ બેંક પછી તેને ધ્યાનમાં લેશે. વળી અન્ય થોડાં સુધારા એવા છે, જેમાં આપણી ટીમ અને વિશ્વ બેંકની ટીમે સામાન્ય બાબતો પર પહોંચવાની જરૂર છે. વધારે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવા અમારી પ્રતિબદ્ધતા સાથે મને ખાતરી થઈ ગઈ છે કે, ભારત આગામી વર્ષે અને એ પછીનાં વર્ષોમાં વિશ્વ બેંકનાં રિપોર્ટમાં વધારે સારું સ્થાન મેળવશે.

 

સમગ્ર દુનિયામાં વેપાર-વાણિજ્ય સરળ બનાવવા વિવિધ દેશો સાથે કામ કરવા બદલ હું વિશ્વ બેંકને અભિનંદન આપું છું. હું ચાલુ વર્ષનાં રિપોર્ટની થીમ – ‘રિફોર્મિંગ ટૂ ક્રિએટ જોબ્સ’ માટે પણ તેમને અભિનંદન પાઠવું છું. તેનો કોઈ ઇનકાર ન કરી શકે કે આપણાં જીવનમાં વેપાર-વાણિજ્ય મહત્ત્વપૂર્ણ પ્રેરક બળ છે. તે વૃદ્ધિ, રોજગારી પેદા કરવાનું, સંપત્તિનું સર્જન કરવા તથા ચીજવસ્તુઓ અને સેવા પ્રદાન કરવાનું એન્જિન છે, જે આપણાં જીવનને અનુકૂળ બનાવે છે.

 

આપણે યુવા રાષ્ટ્ર છીએ ત્યારે રોજગારીનું સર્જન એ તક તેમજ પડકાર પણ છે. એટલે આપણાં યુવાનો માટે ઊર્જાનો ઉપયોગ કરવા આપણે ભારતને સ્ટાર્ટ-અપ, દેશ અને વૈશ્વિક ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાનો છે. આ ઉદ્દેશ પાર પાડવા અમે મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ-અપ ઇન્ડિયા જેવી વિવિધ પહેલો શરૂ કરી છે.

 

ઔપચારિક અર્થતંત્રની ઇકોસિસ્ટમ અને એકીકૃત કરવેરા વ્યવસ્થા સાથે આ પહેલો મારફતે અમે ન્યૂ ઇન્ડિયાનું સર્જન કરવાના પ્રયાસ કરીએ છીએ. આપણે એવા ભારતનું નિર્માણ કરવાનું છે, જ્યાં તકો ઊભી થાય અને જરૂરિયાતમંદોને તેનો લાભ મળે. ખાસ કરીને અમે ભારતને જ્ઞાન આધારિત, કુશળતા ધરાવતા અને ટેકનોલોજીથી પ્રેરિત સમાજ તરીકે વિકસાવવા આતુર છીએ. ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાની પહેલો મારફતે સારી શરૂઆત થઈ ગઈ છે.

 

મિત્રો! 

ભારત ઉજ્જવળ ભવિષ્ય માટે પરિવર્તનનાં પંથે અગ્રેસર છે. હું આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે કરેલી પ્રગતિ વિશે થોડી જાણકારી આપવાં ઇચ્છું છું: 

  • આપણે છેલ્લાં બે વર્ષમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં 32 ક્રમ આગળ વધ્યાં છીએ. આ કોઈ પણ દેશે કરેલી સૌથી વધુ પ્રગતિ છે; 
  • આપણે બે વર્ષમાં ગ્લોબલ ઇન્નોવેશન ઇન્ડેક્સમાં 21 ક્રમની પ્રગતિ કરી છે.
  • આપણે વિશ્વ બેંકનાં લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ ઓફ 2016માં 19 ક્રમની હરણફાળ ભરી છે; 
  • આપણે યુએનસીટીએડીની યાદીમાં સૌથી વધુ એફડીઆઈ મેળવતાં ટોચનાં દેશોમાં સામેલ છીએ.

કેટલાંક લોકોને ભારતનો ક્રમ 142થી 100 થવાની વાત સમજાતી જ નથી. તેમને કોઈ ફરક જ પડતો નથી. તેમાંથી કેટલાંક લોકો તો વિશ્વ બેંકમાં અગાઉ કામ પણ કરી ચૂક્યાં છે. તેઓ આજે પણ ભારતનાં રેન્કિંગ પર પ્રશ્રો ઉઠાવે છે. જો નાદારી માટેની આચારસંહિતા, બેંકરપ્સી કોડ, કમર્શિયલ કોર્ટ જેવા કાયદામાં સુધારો તમારાં શાસનકાળમાં થયો હોત, તો ભારતનું રેન્કિંગ અગાઉ જ સુધરી ગયું હોત. તેનો જશ તમને મળ્યો હતો. દેશની સ્થિતિમાં સુધારો થયો હોત. તમે શા માટે આ ન કર્યુ ? હવે તમે અમારી કામગીરી પર પ્રશ્રો કરી રહ્યાં છો.

 

આ જોગાનુજોગ છે કે વિશ્વ બેંકે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસની પ્રક્રિયા વર્ષ 2004માં શરૂ કરી હતી. ખુબ મહત્ત્વપૂર્ણ વર્ષ હતું. ઉપરાંત વર્ષ 2014 સુધી કોની સરકાર ભારતમાં હતી એ તમે જાણો છો.

 

હું એવો પ્રધાનમંત્રી છું, જેણે વિશ્વ બેંકનું બિલ્ડિંગ પણ જોયું નથી. અગાઉ વિશ્વ બેંકને ચલાવનારા અહીં બેસીને રાજ કરતાં હતાં.

 

મારે કહેવું છે કે તમે વિશ્વ બેંકનાં આ રેન્કિંગ પર પ્રશ્રો ઉઠાવવાને બદલે અમને સહકાર આપો, જેથી આપણાં દેશનાં રેન્કિંગમાં વધારો સુધારો થાય. ન્યૂ ઇન્ડિયા માટે આગળ વધાવાનો સંકલ્પ કરો.

 

અમારો મંત્ર રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ છે. અમે વધુને વધુ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ. મને એ કહેતાં આનંદ થાય છે કે પહેલી વાર વિશ્વ બેંકે આ કવાયતમાં પેટા-રાષ્ટ્રીય સ્તરે પણ આપણને મદદ કરી છે. ભારત જેવા ગણતાંત્રિક લોકશાહી ધરાવતા દેશમાં સુધારાની પ્રક્રિયામાં દરેક પક્ષને સાથે લેવા સરળ વાત નથી. જોકે છેલ્લાં ત્રણ વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય એમ બંને સ્તરે સરકારની પ્રતિક્રિયામાં મોટો ફેરફાર થયો છે. રાજ્ય સરકારો વેપાર-વાણિજ્ય માટે સરળ વાતાવરણ ઊભું કરવા નવા માર્ગો શોધી રહ્યાં છે. તેમજ વેપાર-વાણિજ્યમાં સુધારાનો અમલ કરવા એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યાં છે, ત્યારે તેઓ તેનો અમલ કરવા એકબીજાને મદદ પણ કરે છે. આ રોમાંચક દુનિયા છે, જેમાં સ્પર્ધાત્મકતા અને સહકાર સહ-અસ્તિત્વ ધરાવે છે.

મિત્રો, 

વૃદ્ધિ અને રોજગારીને પ્રોત્સાહન આપવા માટેનાં કાર્ય માટે ઘણાં માળખાગત પરિવર્તનો, ઘણાં આકરાં નિર્ણયો અને ઘણાં નવા નીતિનિયમોની જરૂર છે. આ ઉપરાંત સરકારી અધિકારીઓની માનસિકતા બદલવાની જરૂર છે, જેથી તેઓ ડર છોડીને પ્રામાણિકતા સાથે કામ કરે. છેલ્લાં ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકારે આ મોરચે ઘણી કામગીરી કરી છે. અમે વ્યવસાયો અને કંપનીઓ માટે અવરોધરૂપ અનેક નીતિનિયમોમાં સુધારા-વધારા કર્યા છે. 

ઉત્પાદનની સાથે અમે માળખાગત ક્ષેત્રોમાં ઝડપી પ્રગતિ પણ પર ભાર મૂક્યો છે. એટલે અમે અમારાં રોકાણનાં વાતાવરણને સુધારવા સતત કામ કરી રહ્યાં છીએ. છેલ્લાં સાડાં ત્રણ વર્ષમાં અમે 21 ક્ષેત્રોમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણનાં 21 સાહસિક સુધારા કર્યા છે, જે 87 નીતિગત ક્ષેત્રોને આવરી લે છે. હું બે વર્ષ સુધી સાંભળતો હતો બિગ બેંગ… બિગ બેંગ… રિફોર્મ્સ… હવે બધું બંધ થઈ ગયું… કારણ કે લોકોને જાણ થઈ ગઈ છે કે રિફોર્મ્સની સ્પીડ અને લેવલ તથા સાઇઝ એટલી છે કે ટીકાકારો હાંફી ગયા છે.

 

એટલે સુધારા સંરક્ષણ, રેલવે, નિર્માણ વિકાસ, વીમો, પેન્શન, નાગરિક ઉડ્ડયન અને ફાર્માસ્યુટિકલ્સ જેવા નોંધપાત્ર ક્ષેત્રોને સ્પર્શ્યા છે. એફડીઆઈની 90 ટકાથી વધારે મંજૂરીઓ ઓટોમેટિક રૂટ મારફતે આપવામાં આવી છે. આ બહુ મોટી વાત છે. હવે આપણે એફડીઆઈ માટે સૌથી વધુ ઉદાર અર્થતંત્રોમાં સામેલ થઈ ગયા છીએ.

 

તેનાં પરિણામે એફડીઆઈ રોકાણમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે, નવી ઊંચાઈ હાંસલ થઈ રહી છે. માર્ચ, 2016નાં અંતે પૂર્ણ થયેલા વર્ષમાં 55.6 અબજ ડોલરનું એફડીઆઈ મળ્યું હતું, જે અત્યાર સુધી કોઈ પણ વર્ષમાં સૌથી વધારે હતું. પછીનાં વર્ષે ભારતને 60.08 અબજ ડોલર એફડીઆઈ મળ્યું હતું, જે વધુ એક નવી ઊંચાઈ સૂચવે છે. આ રીતે છેલ્લાં ત્રણ વર્ષમાં દેશમાં એફડીઆઈનાં પ્રવાહમાં 67 ટકાનો વધારો થયો છે.

 

ચાલુ નાણાકીય વર્ષમાં ઓગસ્ટ સુધીમાં કુલ 30.38 અબજ ડોલરનું એફડીઆઇ મળ્યું છે, જે ગયા વર્ષનાં સમાન ગાળામાં પ્રાપ્ત થયેલા એફડીઆઇ કરતાં 30 ટકા વધારે છે. ઓગસ્ટ, 2017માં ભારતને કુલ 9.64 અબજ ડોલરનું એફડીઆઇ મળ્યું હતું, જે કોઈ પણ મહિનામાં પ્રાપ્ત થયેલું અત્યાર સુધીનું સૌથી વધારે એફડીઆઇ છે.

 

મિત્રો! 

છેલ્લાં ત્રણ વર્ષમાં આપણે વ્યવસ્થિત રીતે, ગંભીરતા સાથે વેપાર-વાણિજ્ય સાથે સંબંધિત નિયમોની સમીક્ષા કરી છે. અમે સરકાર સાથે જોડાણને લઈને સંબંધિત વેપાર-વાણિજ્યની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો છે. અમે નિયમિત રીતે વેપાર-વાણિજ્ય અને વ્યવસાયનાં પ્રતિનિધિઓ સાથે ચર્ચાવિચારણા કરીએ છીએ, તેમની ચિંતા, તેમની સમસ્યાઓને સમજીએ છીએ અને તેનું સમાધાન કરવા નીતિનિયમોમાં સુધારાવધારા કરીએ છીએ.

 

હું ઘણી વખત ભાર મૂકું છું કે, શાસનની નીતિરીતિમાં પરિવર્તન લાવવા ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. ટેકનોલોજીનો ઉપયોગ ફિઝિકલ ઇન્ટરફેસને લઘુતમ કરશે અને નિર્ધારિત સમયગાળામાં નિર્ણયો લેવામાં સહાય કરે છે. મને એ જોઈને આનંદ થાય છે કે અનેક સરકારી વિભાગો અને રાજ્ય સરકારોએ શાસનની પદ્ધતિમાં સુધારો કરવા અને સેવા પ્રદાન કરવા ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

 

જ્યારે આપણે વેપાર-વાણિજ્ય સાથે સંબંધિત બાબતોને વિચાર કરીએ, ત્યારે ટેકનોલોજીનાં સાધન સાથે આપણે માનસિકતા બદલવાની પણ જરૂર છે. માનસિકતા અને મશીન એમ બંને સ્તરે સંપૂર્ણ રિ-એન્જિનીયરિંગની જરૂર છે. અગાઉનાં અતિ નિયંત્રણની માનસિકતાનું સ્થાન લઘુતમ સરકાર, મહત્તમ શાસનની વિભાવનાએ લેવું પડશે. આ અમારો લક્ષ્યાંક છે અને આમારી સરકાર તેને પાર પાડવા દ્રઢ છે.

 

આ ઉદ્દેશ સાથે વેપાર-વાણિજ્ય માટેનું વાતાવરણ સરળ બનાવવા અને વધારે અનુકૂળ કરવા કાયદાઓને નવેસરથી ઘડવા અને સરકારી પ્રક્રિયાઓને રિ-એન્જિનીયર કરવા વિસ્તૃત કવાયત હાથ ધરવામાં આવી હતી. ભારતીય નીતિનિયમોને આંતરરાષ્ટ્રીય સ્તરનાં શ્રેષ્ઠ નીતિનિયમોને સુસંગત બનાવવા પ્રયાસ થયો છે. અમે વેપાર-વાણિજ્ય સરળ કરવા માટેનાં વિશ્વ બેંકનાં રિપોર્ટમાં ભારતનો ક્રમ સુધારવા પ્રયાસ કર્યો હતો, આ માટે સરકારે વિસ્તૃત આર્થિક સુધારા કર્યા છે. આનું તમને એક ઉદાહરણ આપું. અમે 1200 જૂનાં કાયદા રદ કર્યા છે, જે શાસનમાં જટિલતા પેદા કરતાં હતાં. તેને કાયદાનાં પુસ્તકમાંથી જ દૂર કરી દીધા છે. તે જ રીતે રાજ્ય સરકારો દ્વારા હજારો નાનાં-મોટાં સુધારા કરવામાં આવ્યાં છે. આ વધારાનો પ્રયાસ વિશ્વ બેંકની જરૂરિયાતનો ભાગ નથી.

 

કેન્દ્ર સરકારનાં તમામ મંત્રાલયો, સરકારી એકમો, રાજ્ય સરકારો તેમજ નિયમનકર્તાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પદ્ધતિઓને ઓળખવી પડશે, તેમની સાથે સંકળાયેલા વિવિધ પક્ષો સાથે ચર્ચા કરવી પડશે તથા આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પદ્ધતિઓ સાથે નીતિનિયમો અને પ્રક્રિયાઓને સુસંગત કરવી પડશે. મને એ બાબતમાં કોઈ શંકા નથી કે આ સંસ્થાઓમાં કાર્યરત લોકોની ક્ષમતા અને જાહેર સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દુનિયાનાં અન્ય દેશોનાં લોકો કરતાં જરાં પણ ઓછી નથી.

મિત્રો, આ રેન્કિંગને ભલે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ કહેવાય છે, પણ મારું માનવું છે કે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસની સાથે ઇઝ ઑફ લીવીંગ લાઇફનું રેન્કિંગ પણ છે. આ રેન્કિંગ સુધરવાનો અર્થ છે કે, દેશમાં સામાન્ય નાગરિક, દેશનાં મધ્યમ વર્ગનું જીવન વધારે સરળ થયું છે.

 

હું આવું એ માટે કહું છું કે આ રેન્કિંગ માટે જે માપદંડો અપનાવવામાં આવ્યાં છે, તેમાંથી મોટા ભાગનાં સામાન્ય નાગરિક, દેશનાં યુવાનોનાં જીવન સાથે સંબંધિત છે.

 

ભારતનાં રેન્કિંગમાં આટલો સુધારો થયો છે, કારણ કે છેલ્લાં ત્રણ વર્ષમાં સરકારે દેશનાં સામાન્ય નાગરિકનાં જીવનમાં મુશ્કેલીઓ ઓછી કરવા સુધારાનો માર્ગ અપનાવ્યો છે. ત્રણ વર્ષમાં દેશમાં કરવેરાની પ્રક્રિયામાં મોટો ફેરફાર થયો છે. આવકવેરાનું રિટર્ન ભરવા હવે મહિનાઓ સુધી રાહ જોવી નહીં પડે. પીએફ રજિસ્ટ્રેશન અને પીએફનાં રૂપિયા મેળવવા તમારે સરકારી કચેરીઓનાં ધક્કા નહીં ખાવા પડે. હવે બધું ઓનલાઇન થઈ ગયું છે.

 

મારાં નવયુવાન સાથીદાર, હવે ફક્ત એક દિવસમાં નવી કંપની રજિસ્ટર કરાવી શકે છે. વેપાર-વાણિજ્ય સાથે સંબંધિત કેસોની સુનાવણી પણ સરળ થઈ ગઈ છે. ત્રણ વર્ષમાં ભારતમાં કન્સ્ટ્રક્શન પરમિટ મેળવવી સરળ થઈ છે. વીજળીનું કનેક્શન મેળવવું સરળ થઈ ગયું છે. રેલવે રિઝર્વેશન કરાવવું સરળ થઈ ગયું છે. જે પાસપોર્ટ અગાઉ મહિનાઓમાં મળતો હતો, હવે એક અઠવાડિયાની અંદર મળે છે. આ ઇઝ ઑફ લીવીંગ લાઇફ નથી તો શું છે? 

 

મારે એ હકીકતને ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કે, જ્યારે તમામ વ્યવસાયો માટે વેપાર-વાણિજ્ય માટેની સરળતા મહત્ત્વપૂર્ણ છે, ત્યારે લઘુ ઉત્પાદકો સહિત નાનાં વ્યવસાયો માટે એ આવશ્યક છે. આ ક્ષેત્ર દેશમાં મોટી સંખ્યામાં રોજગારી પેદા કરે છે અને તેને વધારે સ્પર્ધાત્મક બનાવવા આપણે વેપાર-વાણિજ્ય કરવા માટેનો ખર્ચ ઘટાડવો પડશે. વેપાર-વાણિજ્ય સરળ કરવાની કામગીરીમાં આ લઘુ વ્યવસાયો અને ઉત્પાદકોની સમસ્યાઓનું સમાધાન થવું જોઈએ.

 

એક વખત ફરી મારે વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં વિવિધ પાસાં પર કામ કરનારી ટીમને તેમનાં સમર્પણ અને પ્રતિબદ્ધતા પર અભિનંદન આપું છું. મને ખાતરી છે કે આપણે સંયુક્તપણે ભારતનાં ઇતિહાસનું નવું પ્રકરણ લખીશું અને ભારતની કાયાપલટ કરીશું, જેથી આપણાં લોકોનાં સ્વપ્ન અને આકાંક્ષાને પાંખ મળશે.

 

હું વેપાર-વાણિજ્ય સરળ કરવા માટે અમારાં પ્રયાસોમાં માર્ગદર્શન આપવા બદલ વિશ્વ બેંકનો આભાર માનુ છું. મારે જણાવવું છે કે, ભારત જેવા મોટાં દેશમાં વૃદ્ધિની પ્રક્રિયાને અસર કર્યા વિના નિર્ણાયક બદલાવ લાવવાનો અનુભવ દુનિયાનાં અન્ય ઘણાં દેશો માટે ઉદાહરણરૂપ બની શકે છે. અન્ય લોકોમાંથી શીખવાની હંમેશા તક ઉપલબ્ધ હોય છે. જો જરૂર જણાશે, તો અમે અન્ય દેશો સાથે અમારો અનુભવ વહેંચીને ખુશ થઈશું.

 

ધન્યવાદ! 

આપનો ખૂબ ખૂબ આભાર !!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s PC exports double in a year, US among top buyers

Media Coverage

India’s PC exports double in a year, US among top buyers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Congratulates India’s Men’s Junior Hockey Team on Bronze Medal at FIH Hockey Men’s Junior World Cup 2025
December 11, 2025

The Prime Minister, Shri Narendra Modi, today congratulated India’s Men’s Junior Hockey Team on scripting history at the FIH Hockey Men’s Junior World Cup 2025.

The Prime Minister lauded the young and spirited team for securing India’s first‑ever Bronze medal at this prestigious global tournament. He noted that this remarkable achievement reflects the talent, determination and resilience of India’s youth.

In a post on X, Shri Modi wrote:

“Congratulations to our Men's Junior Hockey Team on scripting history at the FIH Hockey Men’s Junior World Cup 2025! Our young and spirited team has secured India’s first-ever Bronze medal at this prestigious tournament. This incredible achievement inspires countless youngsters across the nation.”