આદરણીય મહાનુભવ શ્રીમાન જીન્બેકોવ, કિર્ગિઝ ગણરાજ્યના રાષ્ટ્રપતિ
આદરણીય શ્રીમાન આદીલબેક ઉલુ શુમકારબેક, ડાયરેક્ટર, ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી,
શ્રી સંદીપ સોમાની, પ્રમુખ, ફિક્કી
ભારત અને કિર્ગીસ્તાનમાં વ્યવસાય, ઉદ્યોગ અને શૈક્ષણિક જગતમાંથી આવતા ખ્યાતનામ સહભાગીઓ,
ભારત અને કિર્ગિઝ વ્યાપાર સમુદાયોની વચ્ચે આ વ્યવસાય ફોરમનું આયોજન ખૂબ જ પ્રસન્નતાનો વિષય છે. એ પણ મહત્વપૂર્ણ છે કે મારીબીશ્કેક યાત્રાના દ્વિપક્ષીય તબક્કાનો પ્રારંભ આ વ્યવસાય ફોરમથી થઇ રહ્યો છે. આ આપણી પારસ્પરિક પ્રાથમિકતાઓનું સૂચક છે. ભારત અને કિર્ગીસ્તાન વચ્ચેપ્રાચીન કાળથી ઘનિષ્ઠ સંસ્કૃતિક અને આર્થિક સંબંધો રહ્યા છે. આ ઐતિહાસિક ભાગીદારીને આધુનિક સમય અનુસાર આગળ વધારવાની અપાર સંભાવનાઓ છે. રાષ્ટ્રપતિ જીન્બેકોવ અને હું જુદા–જુદા ક્ષેત્રોમાં ભારત કિર્ગિઝ સંબંધોનો વિસ્તાર કરવા ઈચ્છીએ છીએ. અને ખાસ કરીને વ્યાપાર અને રોકાણના ક્ષેત્રમાં તેમને ખાસ મજબૂત કરવા માંગીએ છીએ.રાષ્ટ્રપતિજીએ આ ફોરમને પોતાનું માર્ગદર્શન આપ્યું અને વ્યક્તિગત રૂપે તેમાં ભાગ લીધો. તેણી માટે હું તેમનો આભાર પ્રગટ કરું છું.
મિત્રો,
વિશ્વની અર્થવ્યવસ્થામાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે. તેવામાં ભારત જેવી મોટી અર્થવ્યવસ્થાની આર્થિક વૃદ્ધિ અને ટેકનોલોજીકલ વિકાસ, વિશ્વમાં સ્થાયિત્વ અને આશાના પ્રમુખ કારક છે. ભારત એક વિશાળ બજાર તો છે જ. અમારા દેશની યુવા પ્રતિભા અને ઉત્સાહી નવપ્રવર્તકો 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના અમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
મિત્રો,
એ સ્પષ્ટ છે કે વર્તમાન સમયમાં આપણો દ્વિપક્ષીય વ્યાપાર અને આર્થિક ભાગીદારી સંભાવના કરતા ઘણા ઓછા છે. એટલા માટે વ્યવસાય ફોરમની આ પહેલ ખૂબ જ યોગ્ય સમય પર કરવામાં આવી રહી છે. મારા મત મુજબ વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે ત્રણ ઉત્પ્રેરકો છે – યોગ્ય વાતાવરણ, જોડાણ અને બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે બી ટુ બી આદાન-પ્રદાન. હું જણાવવા માંગીશ કે યોગ્ય વાતાવરણ બનાવવા માટે અમે બમણો કર નાબૂદી સંધિને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. સાથે જ, દ્વિપક્ષીય રોકાણ કરાર પર અમે સક્રિય રૂપે વાતચીત કરી રહ્યા છીએ. તેનાથી રોકાણ માટે મજબૂત આધાર મળશે. અમે દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા માટે પંચવર્ષીય રોડમેપ તૈયાર કર્યો છે. કિર્ગિઝ ગણરાજ્ય, યુરેશિયન આર્થિક સંઘનું સભ્ય છે. અમે યુરેશિયન આર્થિક સંઘની સાથે વેપારને પ્રોત્સાહન આપવા માટે પસંદગીયુક્ત વેપાર કરાર પર પણ કામ કરી રહ્યા છીએ.
વેપારને સુગમ બનાવવામાં વધુ સારો સંપર્ક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ચાબહાર બંદર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંપર્કનું એક નવું માધ્યમ બનીને આવ્યું છે. ભારત અને મધ્ય એશિયાની વચ્ચે સંપર્કના વધુ સારા વિકલ્પો બનાવવા ઉપર આપણે ધ્યાન આપવું પડશે. બી ટુ બી આદાન-પ્રદાનમાં વૃદ્ધિ કરવા માટે પણ અમે કેટલાય પગલાઓ લીધા છે. આ વર્ષે બિશ્કેકમાં “નમસ્કાર યુરેશિયા” ટ્રેડ શો આયોજિત કરવામાં આવશે. ભારત અને કિર્ગિઝ રિપબ્લિકના જુદા જુદા ઉત્પાદન વેપારમાં એકબીજાના પુરક છે. આપણે આ બધા જ અવસરોનો ફાયદો ઉઠાવવો જોઈએ. કિર્ગિઝ ઓર્ગેનિક ઉત્પાદનોની બજારમાં સારી સાખ છે. અહીંનું પહાડી મધ, અખરોટ અને ડેરી ઇત્પાદનો ઇકોલોજીકલ રૂપે શુદ્ધતા અને કુદરતી પ્રક્રિયાની માટે ખ્યાતનામ છે. તે જ રીતે ભારતના વેપારીઓ અને રોકાણકારો માટે ઔષધિઓ, ટેક્સટાઈલ, રેલવે, હાયડ્રો પાવર, ખાણ અને ખનીજ તેમજ પ્રવાસનના ક્ષેત્રોમાં કિર્ગિઝ ગણરાજ્યમાં સારા અવસરો ઉપલબ્ધ છે.
મિત્રો,
હુંકામના કરું છું કે તમારી બધી જ ચર્ચાઓ સાર્થક બને. હું કિર્ગિઝ વ્યાપાર જગતના નેતાઓને ભારતીય ઉદ્યમીઓની સાથે કામ કરવા માટે પ્રોત્સાહિત કરું છું.
આપ સૌનું ભારતમાં પણ એટલું જ સ્વાગત છે અને ભારતના લોકોને તો જ્યાં એરપોર્ટ પર ઉતરતા જ, માનસ સાંભળતા જ લાગતું હશે કે આપણે ખૂબ જ પોતાપણા સાથે જોડાયેલા છીએ માનવ સાંભળતા જ લાગે છે કે આપણે તો દુનિયાની જૂની વસ્તુઓ સાથે જોડાયેલા છીએ એટલું પોતીકાપણું છે. જો ભાષામાં પણ થોડું ધ્યાન આપવામાં આવે તો કેટલાય શબ્દો સમાન મળશે તમને એટલી નિકટતા મળશે તો આટલું પોતીકાપણું ખૂબ સહજ છે. તેનો લાભ બંને પક્ષો લે અને બંને દેશોના વિકાસમાં ઉદ્યોગજગત વેપાર જગતના મિત્રોનું યોગદાન વધે. એ જ એક અપેક્ષાની સાથે આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ.
આપ સૌનો ખૂબ-ખૂબ આભાર!


