માનગઢ ડુંગર ઉપર ગોવિંદગુરૂના નેતૃત્વમાં ખેલાયેલા આઝાદી સંગ્રામની શતાબ્દી ઉજવાશે
નવાસી નાયકા વીર શહીદોની જીવંત સ્મૃતિરૂપે જોરીયા પરમેશ્વર વડેક પ્રાથમિક શાળા અને રૂપસિંહ નાયક દાંડીયાપુરા પ્રાથમિક શાળાનું નામાભિધાન
૨૦૧૨નો વન મહોત્સવ માનગઢ ડુંગર ઉપર ઉજવાશે
આઝાદી જંગના શહિદો- પરાકમોના અનેક ઇતિહાસને વિસારી દેવામાં આવ્યો છે આમ શા માટે બન્યું ?
કાળની ગર્તામાં વિલિન થયેલા આદિવાસીઓના આઝાદી જંગના શોર્ય ઇતિહાસને ૧૪૪ વર્ષે મુખ્યમંત્રીશ્રીએ દુનિયા સમક્ષ ઉજાગર કર્યો
વીર વનવાસી શહિદોનું સ્મારક બનશે જાંબુઘોડાઃ વનવાસીઓની વતન વંદના
૧૮૬૮ માં વિદેશી સલ્તનતના જુલ્મો સામે રણસિંગુ ફુકનાર જોરિયા પરમેશ્વર સહિત પાંચ શહિદોને શ્રધ્ધાંજલિનો વનવાસી ક્ષેત્રમાં ગરિમાપૂર્ણ સમારોહ
અગ્રેજી સલ્તનતના અત્યાચારો- જુલ્મો સામે લડીને શૂરવીરતાથી ભારત માતા માટે શહિદી લેનારા નાયકા વનવાસીઓને સો સો સલામ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં અગ્રેજ સલ્તનતના જુલ્મો સામે સશસ્ત્ર સંગ્રામ ખેલીને શહિદી વહોરનારા નાયકા આદિવાસી નરબંકાઓને ભાવપૂર્વક સ્મરણાંજલિ આપતા આ વીર શહિદોની જીવંત સ્મૃતિ રૂપે વડેકની પ્રાથમિક શાળા વીર શહિદ જોરીયા પરમેશ્વર અને દાંડીયાપુરા પ્રાથમિક શાળા રૂપસિંહ નાયકાનું નામ જોડાશે એવી જાહેરાત કરી હતી. પંચમહાલના અંતરિયાળ વનવાસી ક્ષેત્રમાં જાંબુઘોડામાં યોજાયેલ વનવાસીઓની વતન વંદનાના આ સમારોહમાં ભારતમાતાની ભક્તિ કાજે થનગનતા આદિવાસી પરિવારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ પંચમહાલની વનવાસી ભૂમિ ઉપર ૧૯૧૨-૧૩ માં વનવાસી સંત ગોવિંદગુરૂના નેતૃત્વમાં માનગઢના ડુંગર ઉપર આદિવાસીઓએ અંગ્રેજો સામે જંગ છેડેલો અને માનગઢમાં અંગ્રેજોએ આદિવાસીઆો ઉપર આઝાદીની લડાઇથી તંગ આવીને નરસંહાર કરેલો તેની યાદ આપીને જણાવ્યું કે આગામી જુલાઇમાં રાજ્યનો વન મહોત્સવ માનગઢના ડુંગર ઉપર યોજીને ગોવિંદગુરૂની આગેવાનીમાં માનગઢના અંગ્રેજો સામેના શહિદી શૌર્યની ગાથાના શતાબ્દી વર્ષને ચિરંજીવ બનાવાશે.અગ્રેજો સામેના આઝાદી જંગમાં સશસ્ત્ર ક્રાંતિની શૂરવીરતા દાખવવામાં અગ્રેસર પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં આજે મુખ્યમંત્રશ્રીની ઉપસ્થિમાં વનવાસીઓની વતન વંદનાનો સ્મરણાંજલિ સમારોહ યોજવામાં આવ્યો હતો.

આઝાદીના સશસ્ત્ર સંગ્રામમાં આ આદિવાસી સમાજના શૂરવીર ઇતિહાસને વર્તમાન ગુજરાત સરકારે કાળની ગતિમાંથી ઉજાગર કર્યો છે. સને ૧૮૬૮ માં જાંબુઘોડા, વડેક દાંડીયાપુરાના અંતરિયાળ પ્રદેશમાં નાયકા આદિવાસી સમાજ ઉપર વિદેશી સલ્તનત દ્વારા ગુજારાતા જુલ્મો અને અત્યાચારો સામે નાયકા સંત જોરિયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકની આગેવાનીમાં નાયકા આદિવાસીઓએ અગ્રેજો સામે સશસ્ત્ર જંગ ખેલ્યો હતો. અને વિદેશી સલ્તનત આખી હચમચી ઉઠી હતી. જાંબુઘોડાના વડેકને અગ્રેજોના બ્રિટીશ લશ્કરે ઘેરો ઘાલીને રીતસર લડાઇ કરવી પડેલી. આ જંગમાં પકડાયેલા જોરિયા પરમેશ્વર સહિત પાંચ નાયકાઓને જાંબુઘોડાના કિલ્લામાં ખટલો ચલાવીને ફાંસી અપાઇ હતી. અને ૨૩ જણાને આજીવન કારાવાસ સહિત કુલ ૫૮ નાયકા આદિવાસીઓને અગ્રેજ સલ્તનતે કેદ કર્યા હતા. ૧૬ મી અપ્રિલ ૧૮૬૮માં નાયકા આદિવાસીઓના આ પાંચ વીર બંકાઓએ ભારત માતાની વતન વંદના કરીને શહિદી વહોરી હતી. પરંતુ આદિવાસીઓની આ સશસ્ત્ર આઝાદી જંગની ઐતહાસિક શૌયગાથા આઝાદી પછી પણ કાળની ગતિમાં વિલીન કરી દેવામાં આવેલી. મુખ્યમંત્રીશ્રીએ આદિવાસીઓની વતન વંદનાની આ શહિદીના ઇતિહાસને ૧૪૪ વર્ષ પછી દેશ અને દૂનિયા સમક્ષ મુકવા આજે ૧૬ મી એપ્રિલની પૂર્વ સંધ્યાએ જાંબુઘોડામાં નાયકા વનવાસીઓના શહિદોની વંદના કરી હતી.તેમણે જાહેરાત કરી હતી કે એક વર્ષમાં જાંબૂઘોડામાં શહિદ સ્મારકનું નિર્માણ કરવા દર વર્ષે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજવા તથા નવી પેઢીમાં આ શહિદોની સ્મૃતિ કાયમ રહે તેવું આયોજન કરાશે
ખમીરવંતા શૂરવીર વનવાસીઓની વિશાળ એવીઆ સ્મરણાંજલિ સભામાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે પાંચેય વનવાસી નાયકા નરબંકા શહિદો જોરિયા પરમેશ્વર, રૂપસિંહ નાયક, ગલાલીયા નાયક, રાવજીડો નાયક અને બાબરીયા ગલમા નાયકના પરાક્રમો આપણી ભારતમાતાની વતનભક્તિની અવિસ્મરણિય વીરગાથા છે. તેમની શહિદીને સો સો સલામ. આ વીર શહિદોના વંશજ વારસોનું મુખ્યમંત્રીશ્રીએ અભિવાદન સન્માન કર્યું હતું. ૯૦ વર્ષના આઝાદી જંગના ઇતિહાસમાં આવી અનેક વતન પરસ્તીની શૌર્યગાથાઓની ઘટના હજુ પણ વણસ્પર્શી રહી ગઇ છે. તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શહિદોને આ સ્મરણાંજલિમાં વનબંધુઓ સાથે સરકાર પણ એટલી જ સંવેદનાથી ભાગીદાર બની છે. અંગ્રેજોના અત્યાચારો સામે પરાક્રમપૂર્વક લડીને શહિદી વહોરનારા આવા દેશ ભક્તોને ભુલાવી કેમ દેવાયા તેવો બંધક પ્રશ્ન ઉઠાવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશ આઝાદ થયા પછી બધી સરકારો આ ઇતિહાસ ભુલી ગઇ તેનું પ્રાયશ્ચિત આ સરકાર કરી રહી છે. આ શહિદોની કાયમી સ્મૃતિ જળવાય, આવનારી પેઢીઓ યાદ રાખે તેમાં શહિદોની સાથે ભેદભાવ રાખીને અનેક દેશ ભક્તોથી ન્યોછાવરીને ભુલાવી દેવાના રીતસરના પેતરા રચાયા છે. તેની સામે મુખ્યમંત્રીશ્રીએ આક્રોશ અને પીડા વ્યકત કર્યા હતા.
૧૮૫૭ ના આઝાદીના જંગમાં અને તે પછી કમલ અને રોટીના આઝાદીના સુત્ર સાથે અગ્રેજોના નાકે દમ લાવી દેવાના અનેક દેશ ભક્તોની લડાઇમાં ગુજરાત પણ ક્યાંય પાછળ રહ્યું નહોતું અને પંચમહાલ સહિતના આદિવાસીઓ પણ અગ્રેજો સામે લડીને ગુજરાતના પરાક્રમોની ગાથા રહી હતી.
માનગઢના ડુંગર ઉપરનો જંગ ખેલાનારા ગોવિંદગુરૂ, રામા હીરજી, મોતીરાવ તેજાવત, અમરસીંહ ગામીત જેવા અનેક આદિવાસી પરાક્રમી પૂર્વજોએ અગ્રેજો સામે જીવસટોસટનો જંગ ખેલેલો તેમની સ્મૃર્તિને પણ ચિરંજીવ બનાવવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ વીર શહિદોના બલીદાનો એળે જશે નહી એમ જણાવી આ દેશ માટે મરી ફીટનાર શહિદોને વંદન કરતા મુખ્યમંત્રીશ્રીએ દેશ કાજે જીવી જાણવાનો સંકલ્પ કરવા અનુંરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીજીના અહિંસક સત્યાગ્રહની આઝાદી લડતની સાથે આઝાદી કાજે સશસ્ત્ર ક્રાંતિનો જંગ છેડનાર શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ ૭૩ વર્ષ સુધી વિદેશમાં રહ્યા પછી હિન્દૃસ્તાની ધરતી ઉપર મુખ્યમંત્રીશ્રી લાવ્યા તેમ છતાં દિલ્હી સરકારનુ પેટનું પાણી હલતું નહોતું તેમ જણાવ્યું હતું. આઝાદીની લડતમાં એક જ કુટુંબના યોગદાનના ગાણા ગાતા લોકોની આંખ ઉઘાડે તેવી અનેક આઝાદી જંગના ક્રાંતિકારી લડવૈયાઓની સ્મૃતિમાં કચ્છ માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્મા શહિદ સ્મારક આ સરકારે કર્યું છે. આ પ્રસંગે જાંબુઘોડામાં કુઇ ૮.૭૫ કરોડના ત્રણ વિકાસ કામોનું ખાતમૂહુર્ત મુખ્યમંત્રીશ્રીએ કર્યુ હતું. જેમાં જાંબુઘોડામાં હાઇલેવલ પુલનું નવનિર્માણ, તાલુકા પંચાયતના નવા ભવનનું નિર્માણ અને રર્બન ભૂગર્ભ ગટર યોજનાના વિકાસ કામોનો સમાવેશ થાય છે.
અંગ્રેજોએ આદરેલા અને જલીયાવાલા બાગ હત્યાકાંડને પણ ભૂલાવી દે તેવા માનગઢ હત્યાકાડના શહિદોની યાદમાં શહિદ વન ઉછેરવાના નિર્ણયનો ઉલ્લેખ કરતા સાંસદશ્રી રામસિંહ રાઠવા જણાવ્યું હતું કે આદિજાતિવીરો સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન માતૃભૂમિ માટે અને તે પછી સામાજિક સુધારા અને અધિકારો માટે સાહસભર્યા સંષર્ષા કર્યો છે આદિજાતિઓને આવી અનોખી વતન વંદનાને બિરદાવવાનો આ કાર્યક્રમ છે.
આ સરકારે વતનપ્રેમી વનબંધુઓનો અજાણ્યો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ કયું છે. તેવી લાગણી વ્યકત કરતા માર્ગ અને મકાન રાજય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે પોતાના અધિકારો અને માતૂભૂમિ માટે શહાદત વહોરનારા જોરીયા પરમેશ્વર, રૂપસિંહ નાયક,ભયજીભાઇ બારીયા યથોચિત સન્માન આપવાની સાથે જાંબુઘોડા તાલુકાને નવા વિકાસ આપવાનો આ કાર્યક્રમ છે
વતન માટે શહિદ થનારાઓના ગૌરવને ઉજાગર કરતા જિલ્લા કલેકટર શ્રીમતી મનીષા ચંદ્રાએ સહુને આવકારતા સાર્ધ શતાબ્દી પૂર્વે પોતાના અધિકારો માટે બલિદાન આપનારા આદિજાતિ વીર શહિદોની ગૌરવગાથાનો ઉલ્લેખ કર્યો હતો.
વંનબંધુઓની વતન વંદનાના આ ગૌરવભર્યા કાર્યક્રમમાં પંચમહાલના સહ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડીયા, આદિજાતિ કલ્યાણ રાજયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત અધ્યક્ષા રશ્મિકાબેન, ધારાસભ્ય સર્વશ્રી અરવિંદસિંહ ચૌહાણ, ફતેસિંહ ચૌહાણ, અભેસિંહ તડવી, જેઠાભાઇ ભરવાડ, પૂર્વ ધારાસભ્ય સર્વ શ્રી વેચાતભાઇ બારીયા, ઉદેસિંહ બારીયા, તાલુકા પંચાયત પ્રમુખો, પદાધિકારીઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સચિવશ્રી ભાગ્યેશ જહા, કલેકટર શ્રીમતી મનીષા ચંદ્રા, શહીદોના પરીવારજનો તથા વિશાળ સંખ્યામાં વનવાસી જનસુમદાય હાજર રહયો હતો.


