મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ પ્રોજેકટને યુનાઇટેડ નેશન્સ પબ્લીક સર્વિસ એવોર્ડનું પ્રતિષ્ઠિત ગૌરવ પ્રાપ્ત થયું છે.

રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આ વિગતો આપતાં જણાવ્યું કે, સંયુકત રાષ્ટ્રસંધનો આ જાહેર સેવા એવોર્ડ-ર૦૧૦ આજે સ્પેનના બાર્સિલોનામાં યોજાયેલા શાનદાર સમારોહમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ.કે.શર્માને એનાયત કરવામાં આવ્યો હતો. તા.ર૩મી જૂન દરવર્ષે "યુનાઇટેડ નેશન્સ પબ્લીક સર્વિસ ડે'' તરીકે ઉજવાય છે અને વિશ્વમાં જાહેર સેવા અને વહીવટના ઉત્કૃષ્ઠ યોગદાન તથા પહેલ માટેનો આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

સ્વાગત (SWAGAT : STATE WIDE ATTENTION ON GRIEVENCES WITH APPLICATION OF TECHNOLOGY) ને આ સંયુકત રાષ્ટ્રસંધ જાહેર સેવા એવોર્ડ, જાહેર સેવાઓમાં "પારદર્શિતા, જવાબદેહિતા અને પ્રતિભાવ-પ્રક્રિયામાં ગુણાત્મક સુધારા'' માટે આપવામાં આવ્યો છે.

ગુજરાતે યુ.એન. પબ્લીક સર્વિસ એવોર્ડ સતત બીજા વર્ષે જીત્યો છે. સને ર૦૦૯ના વર્ષમાં ગુજરાત સરકારની પાણી વિતરણમાં જનભાગીદારી વ્યવસ્થાપનની પહેલ કરનારી વાસ્મો (WASMO: Water And Senitation Management Organisation)ને નવીનત્તમ વ્યવસ્થાપન દ્વારા જળવ્યવસ્થાપન નીતિમાં લોકભાગીદારીને પ્રેરિત કરવા માટે આવો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આમ વિશ્વભરમાં યુ.એન. પબ્લીક સર્વિસ એવોર્ડ પ્રાપ્ત કરનારા ગણતરીના દેશોમાં ગુજરાતે પોતાનું ગૌરવભર્યું સ્થાન અંકિત કર્યું છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે સંયુકત રાષ્ટ્રસંધ દરવર્ષે સ્પર્ધાત્મક પ્રવેશ-એન્ટ્રીઓ મેળવે છે અને દુનિયાના દેશોમાં જાહેર સેવાઓનો વહીવટ વધુ કાર્યક્ષમ, પારદર્શી અને ઉત્તરદાયી બને તેવી સર્જનાત્મક સિધ્ધિઓ અને યોગદાનને વૈશ્વિક માન્યતા આપે છે.

સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં, ગુજરાતે આ સંયુકત રાષ્ટ્રસંધનો જાહેર સેવા એવોર્ડ સ્વાગત પ્રોજેકટ માટે મેળવ્યો તે માટે રાજ્યના પ્રશાસનને અભિનંદન આપતાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે "લોકશાહીમાં જનતાનો અવાજ સર્વોપરી છે. જનતાની રજૂઆતને ન્યાય મળે તે સુશાસનની સાચી કસોટી છે''. સ્વાગત પ્રોજેકટ દ્વારા રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષા સુધી વહીવટી વ્યવસ્થા જનતાની રજૂઆતોના વાજબી નિરાકરણ માટે ટેકનોલોજીના માધ્યમથી કાર્યરત બની રહી છે અને આ કઠોર પરિશ્રમની ફલશ્રુતિરૂપે યુ.એન. પબ્લીક સર્વિસ એવોર્ડ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયને પ્રાપ્ત થયો છે.

લોકશાહીનું હાર્દ જીવંત અને લોકાભિમુખ એવા સુશાસનથી ધબકતું રાખવા માટે જનફરિયાદોનો ન્યાયી ઉકેલ લાવવા સ્વાગત પ્રોજેકટ સફળ રહ્યો છે. મુખ્યમંત્રીશ્રી દરમહિને મલ્ટી-વિડીયો કોન્ફરન્સ માધ્યમથી રાજ્યના બધા જ ર૬ જિલ્લાઓ અને રરપ તાલુકાઓ સહિત સચિવાલયના બધા વિભાગોને સાથે રાખીને જનફરિયાદોના કેસોનું નિરાકરણ સ્થળ ઉપર અને નિヘતિ સમયાવધિમાં લાવે છે. આ એવો પહેલો પ્રોજેકટ છે જેના દ્વારા સામાન્ય નાગરિકને વહીવટના સર્વોચ્ચ કેન્દ્ર એવા મુખ્યમંત્રીશ્રીની સમક્ષ રજૂઆત કરવાનું સરળત્તમ માધ્યમ પ્રાપ્ત થાય છે અને વિડીયો કોન્ફરન્સ સાથે જોડાયેલા સંબંધકર્તા સરકારી અધિકારીઓના ઉપસ્થિતિમાં વાજબી ન્યાય મળે છે.

ગુજરાતમાં ઇન્ફરમેશન ટેકનોલોજીનું તાલુકા કક્ષા સુધીનું એડવાન્સ ટેકનોલોજી નેટવર્ક રાજ્ય સરકારે પ્રસ્થાપિત કર્યું છે અને રાજ્યના કોઇપણ ખૂણામાંથી સામાન્ય માનવીની રજૂઆતોના ઉકેલ માટેની વહીવટી પ્રક્રિયાનું વિનિયમન થાય છે. એપ્રિલ-ર૦૦૩થી શરૂ કરેલા સ્વાગત પ્રોજેકટ અન્વયે અત્યાર સુધીમાં ૯૭ ટકા જનફરિયાદોનું વાજબી નિરાકરણ આવ્યું છે જેમાં પ૦,પ૮પ કેસો રાજ્ય તથા જિલ્લાકક્ષાના અને ૪૩૬૨૧ કેસો તાલુકાકક્ષાએ નોંધવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી વ્યકિતગત ધોરણે જિલ્લા અને તાલુકા કક્ષાના જનફરિયાદના કેસોની તલસ્પર્શી રજુઆત સાંભળીને તેના ગુણાત્મક ઉકેલ માટે તંત્રને સૂચનાઓ આપે છે. રજૂઆતકર્તા સામાન્ય નાગરિકને યુનિક આઇ.ડી. નંબર અપાય છે જેના કારણે તે પોતાની રજૂઆતની પ્રગતિ, પ્રક્રિયા અને પરિણામ વિશે જાતે જ માહિતગાર રહી શકે છે.

બાર્સિલોના સ્પેનમાં આજે યોજાયેલા આ એવોર્ડ પ્રદાન સમારોહમાં અને UNPAN વેબસાઇટ ઉપર ગુજરાત સરકારના સ્વાગત પ્રોજેકટમાં સંખ્યાબંધ જનરજૂઆતોની સફળતાના કેસો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

ગુજરાતે આ યુ.એન. પબ્લિક સર્વિસ એવોર્ડ સ્વાગત ઓનલાઇન પબ્લીક ગ્રીવન્સીસ રિડ્રેસલ માટે મેળવીને સમાજ શ્રેયાર્થે સુશાસનની નવી દિશા, જાહેર સેવામાં ઉત્કૃષ્ઠ ગુણાત્મક સુધારા કરીને બતાવી છે જેને સંયુકત રાષ્ટ્રસંધની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને માન્યતા પ્રાપ્ત થઇ છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
AI Impact Summit: PM Modi showcases India's culture to world leaders

Media Coverage

AI Impact Summit: PM Modi showcases India's culture to world leaders
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 19 ફેબ્રુઆરી 2026
February 19, 2026

BHASHINI to Global Leadership: How PM Modi is Building a Human-Centric AI Future for Bharat & the World