મુખ્યમંત્રીશ્રીના કેન્દ્રની સરકારની નિયત ઉપર આકરા પ્રહારો
શ્રી મનમોહનસિંહની કેન્દ્ર સરકારે કાળા નાણાંનું શ્વેતપત્ર બહાર પાડયું એમાં સફેદ જૂઠ સિવાય કાંઇ નથી
ગુજરાતે દૂધક્ષેત્રે શ્વેતક્રાંતિ કરી અને હવે દૂધ જેવા સફેદ કપાસથી બીજી શ્વેતક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે
ત્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકાર પશુઓની કતલ કરાવી તેના મટનની નિકાસ માટે "પિન્ક રિવોલ્યુશન' કરવા માગે છે.. .
દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ૭૧મી વાર્ષિક સાધારણ બેઠક અને નવનિયુકત પદાધિકારી શપથવિધિ સમારોહ
ગુજરાત સરકાર નવી પ્રગતિશીલ ટેક્ષ્ટાઇલ પોલિસી લાવી રહી છે
કપાસની ફાઇવ-એફ ફોર્મ્યુલા (ફાર્મ-ફાઇબર-ફેબિ્રક-ફેશન-ફોરેન)
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ૭૧મી વાર્ષિક સાધારણ સભામાં નવનિયુકત પદાધિકારીઓનો શપથગ્રહણ સમારોહ સંપન્ન થયો હતો.ગુજરાતની તારીફ વિશ્વભરમાં કેમ થઇ રહી છે તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશની સ્થિતિની તુલનામાં ગુજરાતની પ્રગતિનો અલગ રસ્તો કંડાર્યો, વિકાસ કરવો હોય તો ગુજરાત તરફ બધાંએ જોવું પડશે એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે.

હંમણાં યુપીએ- ટુના ત્રણ વર્ષનું રિર્પોટ કાર્ડ મૂકયું તેની સાથેનો સંદર્ભ દર્શાવતાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતનો વિકાસ કેટલી ઊંચાઇ ઉપર પહોંચ્યો છે તે સમજાઇ જશે, તેમ જણાવ્યું હતું.
તેમણે જાહેર કર્યું હતું કે, ગુજરાત સરકાર ટૂંક સમયમાં આક્રર્ષક અને પ્રગતિશીલ ટેક્ષ્ટાઇલ પોલિસી લઇને આવી રહી છે કપાસની ફાઇવ ""એફ'' ફાર્મ-ફાઇબર-ફેબિ્રક-ફેશન-ફોરેન ફોર્મ્યુલા લઇને આવશે. એમ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સુરતમાં દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ ચેમ્બર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સભામાં જણાવ્યું હતું કે, તેમણે એકબાજુ ઉમેર્યું દિલ્હીની કેન્દ્ર સરકાર કાળા નાણાંનું શ્વેતપત્ર બહાર પાડે છે પણ એમાં સફેદ જૂઠ જેવો સફેદ કાગળ સિવાય કશું નથી,
જ્યારે ગુજરાત શ્વેતક્રાંતિ કરી બતાવી અને દૂધ જેવા કપાસથી બીજી શ્વેતક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કેન્દ્રની સરકાર પશુઓની કતલ કરીને તેના મટનની નિકાસ દ્વારા પિન્ક રિવોલ્યુશન કરવા પ્રતિબદ્ધ છે.
ચેમ્બરનો નવો કાર્યભાર સંભાળી રહેલા પદાધિકારીઓને આવકારતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરતે સાચા અર્થમાં ખૂબ ઓછા સમયમાં અલગ પ્રકારના વિકાસનું કાઠું કાઢયું છે. આજના વૈશ્વિક અર્થતંત્રના યુગમાં એકલાઅટૂલા વિકાસના ડગ ચાલી શકે નહીં. વિશ્વના અર્થકારણની રણનીતિને ધ્યાનમાં રાખીને માત્ર ઉઘોગો જ નહીં, શિક્ષણ, સેવાકીય ક્ષેત્રોએ પણ વૈશ્વિક દૃષ્ટિકોણ કેળવવો જ પડશે. જે ઝડપથી પરિવર્તનો ચાલી રહ્યા છે એ કક્ષાએ તાલ મિલાવવા પડે. આ સંદર્ભમાં ગુજરાતે વિશ્વને ધેલું લગાડયું એની પાછળ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વાયબ્રન્ટ ગુજરાત અભિયાન કર્યું તેની સફળતાનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરત ચેમ્બરે પણ હિન્દુસ્તાન બહાર પોતાના વિકાસક્ષેત્રોનું કરેલું પદાર્પણ સાચી દિશાની પહેલ છે, એમ જણાવી અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રની હાલની સરકારને નિર્બલબાબાની સરકાર ગણાવી હતી તેનાથી કોઇને ખોટું લાગે છે પણ વાસ્તવિકતા જ આ છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત પાસે આર્યન ઓફ રો મટીરિયલ નથી છતાં સ્ટીલના ઉત્પાદનમાં રાજ્ય મોખરે છે. હીરાની ખાણો નથી પણ ગુજરાતમાં દુનિયાના દશમાંથી આઠ હીરાનું પ્રોસેસિંગ થાય છે. આ જ ગુજરાતની સામર્થ્યશકિત છે, એના કારણે ગુજરાત કયાંથી કયાં પહોંચી શકયું. આ દેશની સરકારે કાળા નાણાં અંગે શ્વેતપત્ર બહાર પાડયું પણ કોઇએ આ શ્વેતપત્ર વાંચ્યું હોય એવું જણાતું નથી. કારણ આ શ્વેતપત્રમાં કાંઇ નથી, શ્વેત કાગળ જ છે. આખો દેશ કાળા નાણાંની સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે દિલ્હીની કેન્દ્ર સરકાર કાળા નાણાં અંગે કેમ કશું હિંમતભેર કહી શકતી નથી. શું કારણ છે- કાળા નાણાંના શ્વેતપત્રમાં માત્ર કોરો કાગળ છે. આમાં માત્ર કાળા નાણાં વિશે સફેદ જૂઠ જ છે એમ તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રની વર્તમાન સરકારની નિયત ઉપર આકરા પ્રહારો કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આખા દેશમાં રોજગારીક્ષેત્રે એકલા ગુજરાતનો ફાળો જ ૭૨ ટકા છે જ્યારે બાકીના આખા દેશની રોજગારીની ટકાવારી ૨૮ ટકા છે. ગુજરાતે હુન્નર-કૌશલ્યની તાલીમ દ્વારા સ્કીલ ડેવલપમેન્ટના વિશાળ દરવાજા યુવાનો માટે ખોલી નાંખ્યા છે! મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના ઔઘોગિક ઉત્પાદનોનું નામ પડતા જ ગુજરાતની ઉત્પાદન ગુણવત્તા સાથે કોઇ પ્રતિષ્ઠામાં સમાધાન થાય નહીં- "મેઇડ ઇન ગુજરાત'ના ઉત્પાદનોમાં ઝીરો મેન્યુફેકચરિંગ ડિફેકટ, ઝિરો મેન ડેઇઝ લોસની પ્રતિષ્ઠા કાયમ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
એસજીસીસીઆઇના પદભાર સંભાળતા અધ્યક્ષશ્રી પરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશની આયાતો વધતી જાય છે અને નિકાસો ધટી રહી છે. ૭.૩ ટકાનો રાષ્ટ્રિય વિકાસ દર હાંસલ કરવાનું મુશ્કેલ જણાય છે, ત્યારે ગુજરાત રાજ્યે સતત બે આંકડાનો વિકાસ દર જાળવી રાખ્યો છે. તેમણે ગુજરાતને દેશના અર્થતંત્રનું સુકાની બનાવવા માટે મુખ્યમંત્રીશ્રીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. વિદાય લેતા અધ્યક્ષશ્રી રોહિત મહેતાએ વ્યાપાર-ઉઘોગોના વિકાસમાં રાજ્ય સરકારનો સહયોગ અને પ્રોત્સાહક નીતિઓની પ્રસંશા કરી હતી. સમારંભના મુખ્ય મહેમાન અને અધ્યક્ષશ્રી રીષી અગ્રવાલે સુરતને વિશ્વસ્તરીય કન્વેન્શન સેન્ટરની સુવિધાનો ઉલ્લેખ કરતાં વ્યાપાર-ઉઘોગના વિકાસમાં મુખ્યમંત્રીશ્રીના પીઠબળ અને રાજ્ય સરકારના સહયોગની પ્રસંશા કરી હતી.
આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના સદસ્યો સર્વશ્રી નરોત્તમભાઇ પટેલ, શ્રી મંગુભાઇ પટેલ, શ્રી નીતિનભાઇપટેલ, શ્રી રણજિત ગીલીટવાળા, સાંસદ શ્રીમતી દર્શના જરદોસ, શ્રી સી.આર.પાટીલ, મેયર શ્રી રાજેન્દ્ર દેસાઇ, એસજીસીસીઆઇના પદાધિકારીઓ, ધારાસભ્યોશ્રીઓ, વ્યાપાર-ઉઘોગ અને કોર્પોરેટ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


