પ્રગતિનાં મૂળ : ગુજરાતની સર્વગ્રાહી પ્રગતિ માટેનાં વૃક્ષોનું વાવેતર

 

પ્રિય મિત્રો,

આવતી કાલે શ્રાવણ મહિનાની ‘પવિત્રા બારસ’ ના પવિત્ર અવસરે હું આ વર્ષના ‘વન મહોત્સવ’ નું ઉદઘાટન કરીશ. પાછલાં કેટલાંક વર્ષોમાં, ગુજરાતમાં આ વાર્ષિક વન મહોત્સવ અભિયાનોએ સામાજિક વનનિર્માણની વિભાવનામાં એક તદ્દન નવા અર્થનો ઉમેરો કરેલ છે. તે આપણી ભાવિ પેઢીઓને આપણા દ્વારા એક હરિયાળો બગીચો આપી જવાનું સુનિશ્ચિત કરવાના આપણા નિશ્ચય તથા પ્રતિબદ્ધતાને પ્રગટ કરે છે.

આ વર્ષના ‘વન મહોત્સવ’ નું ઉદઘાટન કરવા માટે હું પંચમહાલના સંતરામપુર તાલુકામાં આવેલ એક સુંદર પહાડી ગામ માનગઢ જઈશ. માનગઢની ભૂમિએ કેટલાક અત્યંત બહાદુર આદિવાસી શૂરવીરો પેદા કરેલ છે, કે જેઓએ અન્યાયી સંસ્થાનવાદી સામ્રાજ્યવાદ સામે બળવાનું રણશિંગું ફૂંક્યું હતું. અગાઉ 1913 માં, અંગ્રેજોએ નિર્દયપણે 1507 આદિવાસીઓની હત્યા કરી હતી, જ્યારે તેઓ અવિરત શોષણનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા, આ આપણને ઘાતકી જલીયાંવાલા બાગના હત્યાકાંડની યાદ અપાવે છે. 1857 ની આઝાદીની પ્રથમ લડાઈ પછી પ્રથમ વખત એવું બનેલ કે આટલી તીવ્રતા, સમર્પણ અને આદર્શવાદ સાથે ગુજરાતના લોકોમાં દેશભક્તિની ચિનગારી સળગાવવામાં આવેલ. 

આ આદિવાસીઓનું નેતૃત્વ બહાદુરી અને પ્રેરણાત્મક નેતૃત્વની મશાલ સમાન ગોવિંદ ગુરુ દ્વારા કરવામાં આવેલ. પોતાના આધ્યાત્મિક ઉપદેશો દ્વારા તેઓએ આદિવાસી સમુદાયોની સ્વાતંત્ર્ય અધિકારો અને સ્વમાનના હેતુ માટે કામ કરેલ. તેમણે પોતાના લોકોમાં જાગરૂકતા પેદા કરવા માટે અથાક રીતે કામ કર્યું, જેથી તેમનો સમુદાય બાકીના સમાજ સાથે સમાન રીતે વિકાસ કરી શકે.

ગોવિંદ ગુરુ વાસ્તવમાં તેમના સમય કરતાં આગળ હતા. ગોવિંદ ગુરુ જેવા વ્યક્તિઓનો ફાળો સમયની સ્મૃતિમાં ધારદાર રહે છે અને કંઈક એવો છે કે જેને ઇતિહાસની તવારીખમાંથી ભૂંસી શકાય તેમ જ નથી. ગુજરાતના લોકો રાષ્ટ્રને આઝાદી તરફના માર્ગે લઈ જવા માટે ગોવિંદ ગુરુ જેવા તેમના ગૌરવશાળી પુત્રોનો પ્રચંડ ફાળો ક્યારેય ભૂલશે નહીં.

આજે જ્યારે આપણે માનગઢથી ‘વન મહોત્સવ - 2012’ ની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે, આપણે આ બહાદુર વ્યક્તિઓને આપણી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ કે જેઓએ સત્ય અને ન્યાયની યજ્ઞવેદીમાં પોતાની જાતની આહુતિ આપી દીધી. આ શૂરવીરોને અંજલિ રૂપે 1507 વૃક્ષો તથા વિવિધ પ્રદર્શનો સાથેના ‘ગોવિંદ ગુરુ સ્મૃતિ વન’ નું નિર્માણ કરવામાં આવશે. આપણા આદિવાસી મિત્રોની પ્રકૃતિ સાથેની એકરૂપતા ખૂબ જાણીતી છે અને મને ખાતરી છે કે આ પગલું ઘણા અન્ય લોકોને ફક્ત ગોવિંદ ગુરુ જેવાઓમાંથી પ્રેરણા લેવા માટે જ નહીં, પરંતુ આપણાં જંગલોની સાચવણીને મહત્વ આપવા માટે સમર્થ બનાવશે.

અમારું મક્કમપણે એવું માનવું છે કે ગુજરાત સરકારની પ્રત્યેક પહેલ પૂર્ણરૂપે એક લોક આંદોલન હોવી જોઈએ! લોકશક્તિની સંપૂર્ણ તથા સક્રિય સામેલગીરીથી વધારે પવિત્ર બીજું કંઈ જ નથી. આ સંદર્ભમાં, અમે સુનિશ્ચિત કરેલ છે કે તમામ મહત્વની સરકારી પહેલો રાજ્યના પાટનગરની મર્યાદામાં જ નહીં, પરંતુ લોકોની વચ્ચે આયોજિત થાય. આ વન મહોત્સવ પણ કોઈ અપવાદ નથી - તમને જાણીને આનંદ થશે કે 2005 થી આ મહોત્સવનું આયોજન ગુજરાતના જુદા જુદા ભાગોમાં થાય છે, જે વિશિષ્ટ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આપણે ત્યાં એક ‘વન’ ના સ્વરૂપમાં એક કાયમી યાદગીરી સ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, જે પોતાની રીતે સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળ તરીકેનો હેતુ પાર પાડે છે, ચાહે તે ગાંધીનગરનું ‘પુનીત વન’ (2004) હોય, અંબાજીનું ‘માંગલ્ય વન’ (2005) હોય, તારંગાનું ‘તીર્થંકર વન’ (2006) હોય, સોમનાથનું ‘હરિહર વન’ (2007) હોય, ચોટીલાનું ‘ભક્તિ વન’ (2008) હોય, શામળાજીનું ‘શ્યામલ વન’ (2009) હોય, પાલિતાણાનું ‘પાવક વન’ (2010) હોય કે પાવાગઢનું ‘વિરાસત વન’ (2011) હોય. આપણી સંસ્કૃતિના અન્વેષણ માટેની તથા ઇતિહાસ સાથેનાં આપણાં મૂળને મજબૂત કરવા માટેની સાચા અર્થમાં આ એક અનન્ય તક બની રહે છે.

ગુજરાત સમગ્ર રાજ્યમાં હરિયાળી વધારવામાં કોઈ કસર બાકી રાખતું નથી. હજી એક અઠવાડિયાં પહેલાં જ, મને એક સમાચારપત્રનો અહેવાલ વાંચીને ખૂબ જ આનંદ થયો, જેમાં જણાવાયું હતું કે ગાંધીનગર ભારતમાં વૃક્ષોની રાજધાની છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે ગુજરાતની રાજધાનીનો 53.9% ભાગ વૃક્ષોથી છવાયેલ છે, એનો અર્થ એ થયો કે પ્રત્યેક 100 વ્યક્તિ દીઠ 416 વૃક્ષો છે. આપણા દેશમાં વૃક્ષોથી આચ્છાદિત ભૌગોલિક વિસ્તાર 2.82% છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો 4% છે. 2003 માં, જંગલ વિસ્તાર સિવાયના ભાગમાં આપણે ત્યાં 25.1 કરોડ વૃક્ષો હતાં અને 2009 સુધીમાં તે સંખ્યા 26.9 કરોડે પહોંચી ગઈ; આવતા દસ વર્ષમાં આપણે તેને 35 કરોડે પહોંચાડવાની દિશામાં કાર્ય કરી રહ્યા છીએ. હકીકતમાં, મને જણાવતાં આનંદ થાય છે કે ગાંધીનગર, વડોદરા અને ભાવનગર ભારતનાં મોટા ભાગનાં લીલાં શહેરો કરતાં વધારે હરિયાળાં છે.

મિત્રો, પ્રકૃતિની પૂજા કરવી એ આપણી સમૃદ્ધ સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે. આપણી સંસ્કૃતિમાં આપણે માનીએ છીએ કે વૃક્ષોમાં ભગવાનનો વાસ રહેલો છે! મને વિશ્વાસ છે કે ‘વન મહોત્સવ’ નો આ પ્રયત્ન ગુજરાતને વધારે હરિયાળું તથા વધારે સુંદર બનાવવામાં સફળ નીવડશે. આપણે શક્ય તેટલાં વધારે વૃક્ષો વાવવાં જોઈએ - ખરેખર તો હું ઘણી વાર મા-બાપોને પુત્રીના જન્મ પર બે વૃક્ષો વાવવાનું કહું છું.

ગોવિંદ ગુરુ ઉપરના એક પુસ્તકની નકલ તથા ગુજરાતના શહેરી વિસ્તારોમાં વૃક્ષોના વ્યાપની સ્થિતિ નો અહેવાલ હું આ સાથે જોડું છું. હું જંગલ ખાતાને આપણાં શહેરોમાં વૃક્ષોના વ્યાપ ઉપર આટલો અગત્યનો અહેવાલ પ્રગટ કરવા બદલ અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે આપને આ સુંદર કામને વાંચવાનો આનંદ થશે.

atin;mso-bidi-language: GU'>પાલિતાણાનું ‘પાવક વન’ (2010) હોય કે પાવાગઢનું ‘વિરાસત વન’ (2011) હોય. આપણી સંસ્કૃતિના અન્વેષણ માટેની તથા ઇતિહાસ સાથેનાં આપણાં મૂળને મજબૂત કરવા માટેની સાચા અર્થમાં આ એક અનન્ય તક બની રહે છે.

 

આપનો

નરેન્દ્ર મોદી

 

E Book- ઈ-બુક - માનગઢ ક્રાંતિના નાયક - શ્રી ગોવિંદ ગુરુ

ઈ-બુક - ગુજરાતના શહેરી વિસ્તારોમાં વૃક્ષોના વ્યાપની સ્થિતિ (30મી જુલાઈના રોજ તેનું વિમોચન થયા બાદ ઉપલબ્ધ થશે)

 

 

ગોવિંદ ગુરુ સ્મૃતિ વન - Watch

વાવે ગુજરાત અભિયાન – Watch

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation

Media Coverage

Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.